ISRO એ અજાણી ભૂમિ પર ઉતારશે Chandrayaan2 જ્યાં આજ સુધી કોઈ દેશ નથી પહોંચ્યો

ચંદ્રયાન

ઇમેજ સ્રોત, PIB

    • લેેખક, રમેશ શિશુ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

અંતરીક્ષ ક્ષેત્રે ભારતે વધુ એક સિદ્ધિ હાંસલ કરી લીધી છે. ચંદ્રયાન-2 ચંદ્રની કક્ષામાં સ્થાપિત થઈ ગયું છે.

ગત 22 જૂલાઈએ પ્રક્ષેપણ-યાન જીએસએલવી માર્ક-3એમ 1થકી પ્રક્ષેપિત કરાયેલા ચંદ્રયાને ગત 14 ઑગસ્ટે પૃથ્વીની કક્ષામાંથી નીકળીને ચંદ્રપથ તરફ આગળ વધવાનું શરૂ કરી દીધું છે.

આ પહેલાં આ મૂનમિશનને 15 જુલાઈ 2019ના રોજ મોડી રાત્રે 2.15 કલાકે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી સતિષ ધવન સ્પેસ સેન્ટરથી લૉન્ચ કરવામાં આવનાર હતું, પરંતુ ટેકનિકલ ખામીને કારણે તેને અટકાવી દેવાયું હતું.

યાન ચંદ્રની એવી જગ્યાએ ઊતરશે કે જ્યાં હજુ સુધી બીજો કોઈ દેશ પહોંચી શક્યો નથી.

કેટલાક ખતરાઓને ધ્યાનમાં રાખીને કોઈ પણ સ્પેસ એજન્સી અત્યાર સુધી ત્યાં પહોંચી શકી નથી.

અત્યાર સુધી જેટલાં પણ મૂન મિશન થયાં છે, તે વિષુવવૃત્તિય વિસ્તારમાં જ થયાં છે. આ જગ્યા સમથળ છે.

દક્ષિણ ધ્રુવ વિસ્તાર ઊબડખાબડ સપાટી ધરાવતો વિસ્તાર છે અને ત્યાં યાન ઉતારવું વધારે પડકારજનક છે.

line

મુખ્ય ઉદ્દેશ

ચંદ્રયાન

ઇમેજ સ્રોત, Getty Images

આ મિશનનો મુખ્ય ઉદ્દેશ અસમતલ વિસ્તાર પર સૉફ્ટ લૅન્ડિંગ કરવાનો છે અને તેની સપાટી પર રૉબોટિક રોવર ચલાવવાનો છે.

આ મિશન સાથે વૈજ્ઞાનિકોનો મુખ્ય ઉદ્દેશ ચંદ્રની ભૌગોલિક સ્થિતિ, ખનિજની સ્થિતિ, ચંદ્રની સપાટી પર ફેલાયેલાં રાસાયણિક તત્ત્વો, માટીનાં તત્ત્વો અને ચંદ્ર પર પાણીની સ્થિતિ અંગે સંશોધન કરવાનો છે.

સોવિયેટ યુનિયન, અમેરિકા અને ચીન બાદ ભારત ચોથો એવો દેશ છે કે જે મૂન મિશન ચલાવી રહ્યો છે અને તે ભ્રમણકક્ષા, તેની સપાટી અને વાતાવરણ અંગે વિવિધ પ્રકારના પ્રયોગો હાથ ધરશે.

આ મિશનનું લક્ષ્ય ચંદ્ર પ્રત્યે આપણી સમજને વધારે સારી કરવાનું છે કે જે મનુષ્ય માટે મદદરૂપ સાબિત થઈ શકે છે.

line

ચંદ્રયાન-2માં શું છે ખાસ?

વીડિયો કૅપ્શન, નીલ આર્મસ્ટ્રોંગ કેવી રીતે સૌથી પહેલા પહોંચ્યા ચંદ્ર પર?

ચંદ્રયાન-2 મિશન એ ચંદ્રયાન-1નો જ બીજો ભાગ છે.

ચંદ્રયાન-1ની મદદથી ચંદ્ર પર પાણીના કણોની શોધ થઈ હતી. હવે ચંદ્રયાન-2ની મદદથી પાણીની સ્થિતિને વધારે સારી રીતે જાણવાનો પ્રયાસ કરવામાં આવશે.

ચંદ્રયાન-2 સ્પેસક્રાફ્ટને ત્રણ ભાગમાં વહેચવામાં આવ્યું છે જેમ કે ઑર્બિટર, લૅન્ડર અને રોવર.

તેમાં લૅન્ડરને ડૉ. વિક્રમ સારાભાઈના નામ પરથી વિક્રમ નામ આપવામાં આવ્યું છે જ્યારે છ વ્હીલ ધરાવતા રોવરને પ્રજ્ઞાન નામ આપવામાં આવ્યું છે જેમનું નિર્માણ ઇસરોએ જ કર્યું છે.

મિશનના માધ્યમથી ચંદ્રની આસપાસ ઑર્બિટરને મૂકવામાં આવશે. વિક્રમ લૅન્ડર ચંદ્રના દક્ષિણ ધ્રુવ વિસ્તારમાં લૅન્ડ થશે અને પ્રજ્ઞાન રોવર ચંદ્રની સપાટીની આસપાસ ભ્રમણ કરીને પરીક્ષણ કરશે.

મૂન મિશન

ઇમેજ સ્રોત, Getty Images

લૅન્ડર ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક મૅન્ઝિનસ સી અને સિમ્પેલિયસ એનની વચ્ચે 6 સપ્ટેમ્બર 2019ના રોજ ઊતરશે.

રોવર વિસ્તારની તપાસ કરશે અને ત્યાં 14 દિવસ સુધી પરીક્ષણ કરશે. જોકે, ઑર્બિટરનું મિશન એક વર્ષ સુધી ચાલશે.

ચંદ્રયાનનું લૅન્ડિંગ ભારતના સૌથી શક્તિશાળી રૉકેટ GSLV Mk-3 દ્વારા કરવામાં આવશે કે જેનું વજન 640 ટન છે. તે 3890 કિલોગ્રામનું વજન ધરાવતા ચંદ્રયાન-2ને લઈને ઉડાન ભરશે.

સ્પેસક્રાફ્ટમાં 13 વૈજ્ઞાનિક ઉપકરણો પણ મોકલવામાં આવશે કે જેમાંથી 8 ઑર્બિટરમાં રહેશે, 3 લૅન્ડરમાં અને 2 રોવરમાં રહેશે. તેમાં એક નાસાનું ઉપકરણ પણ મોકલવામાં આવશે.

ઈસરોના ચૅરમૅનના જણાવ્યા અનુસાર રોવરના વ્હીલની એક બાજુ અશોક ચક્ર અને બીજી બાજુ ઈસરોની છાપ છે. એટલે જ્યારે રોવર ચંદ્રની સપાટી પર પહોંચશે ત્યારે આ બન્નેની છાપ ચંદ્ર પર પડશે.

line

દક્ષિણ ધ્રુવ પાસે લૅન્ડિંગ શા માટે?

રૉકેટ લૉન્ચ

ઇમેજ સ્રોત, EPA

કોઈને સવાલ થઈ શકે છે કે ખતરો હોવા છતાં દક્ષિણ ધ્રુવ પાસે શા માટે ચંદ્રયાન-2નું લૅન્ડિંગ કરવામાં આવશે.

તેનો જવાબ છે કે આ વિસ્તાર પર કોઈ દ્વારા સંશોધન કરવામાં આવ્યું નથી. ત્યારે આ મિશનની મદદથી કંઈક રસપ્રદ અને નવું સંશોધન થઈ શકે છે.

આ વિસ્તારનો મોટો ભાગ સૂર્યના પડછાયા હેઠળ રહે છે અને ત્યાં સૂર્યનાં કિરણો પડતાં નથી તેના કારણે આ વિસ્તાર ખૂબ ઠંડો રહે છે.

વૈજ્ઞાનિકોને આશંકા છે કે કદાચ આ વિસ્તારમાં પાણી અને ખનીજ પદાર્થો મળી શકે છે.

ચંદ્ર પર પાણીની ખોજ મનુષ્ય માટે એક મોટી સિદ્ધિ સાબિત થઈ શકે છે અને ભવિષ્યમાં મનુષ્યના રહેવા માટે સારી જગ્યા તરીકે તે સાબિત થઈ શકે છે.

line

ચંદ્ર પર આટલું ધ્યાન શા માટે કેન્દ્રિત છે?

એક સમયે સ્ટીફન હૉકિંગે કહ્યું હતું, "મને લાગે છે કે જો મનુષ્યો અંતરિક્ષમાં ન જાય તો ભવિષ્યમાં મનુષ્યની કોઈ રેસ રહેશે જ નહીં."

અંતરિક્ષમાં ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક છે એટલે ત્યાં ટૅકનૉલૉજીનો પ્રયોગ કરવા માટે સ્પેસ મિશન ચલાવવાં જરૂરી છે.

ચંદ્રનો પૃથ્વીના જૂના ઇતિહાસ સાથે પણ સંબંધ છે.

રમેશ શિશુએ વર્ષ 1972માં અમેરિકાની યુનિવર્સિટી ઑફ ડેટ્રોઇટમાંથી કેમિકલ એન્જિનિયરિંગમાં ડૉક્ટરેટની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. તેમનો શૈક્ષણિક અને કૉર્પોરેટ જગતમાં 42 વર્ષનો અનુભવ છે. તેમણે બે ડઝન જેટલાં ટૅકનિકલ પેપર અને રિપોર્ટ તેમજ વિજ્ઞાનનું પુસ્તક 'Travel Beyond the Earth - Reaching the moon' પબ્લિશ કર્યું છે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો