#Balakot : શું આ મહિલા પાઇલટ્સે પાકિસ્તાનમાં 'ઍર સ્ટ્રાઇક'ને અંજામ આપ્યો હતો?

    • લેેખક, ફૅક્ટ ચેક
    • પદ, બીબીસી ન્યૂઝ

સોશિયલ મીડિયા પર ભારતીય વાયુદળના અલગ-અલગ ફાઇટર પાઇલટ્સ્ની તસવીરો વાઇરલ થઈ રહી છે, જેની સાથે દાવો કરાય રહ્યો છે કે તેમણે પાકિસ્તાનની અંદર કરવામાં આવેલા હવાઈ હુમલાને અંજામ આપ્યો હતો.

ટ્વિટર અને ફેસબુક ઉપર આ પ્રકારની તસવીરો હજારો વખત જોવાઈ છે અને શૅર થઈ છે. વૉટ્સઍપ અને ફેસબુક મૅસેન્જર ઉપર પણ તે વ્યાપક રીતે શૅર થઈ રહી છે.

બુધવારે પાકિસ્તાનની સેનાએ દાવો કર્યો હતો કે તેણે ભારતીય વાયુદળની કાર્યવાહીના પ્રત્યાઘાતરૂપે વળતી કાર્યવાહી કરી છે અને ભારતીય વાયુદળના બે વિમાન તોડી પાડ્યા છે.

પાકિસ્તાને સ્વીકાર્યું હતું કે એક પાઇલટ તેના કબજામાં છે, ભારતે પણ સ્વીકાર્યું કે તેમના એક પાઇલટ લાપતા છે.

આમ છતાંય આ ફોટોઝ સોશિયલ મીડિયા ઉપર ફરતા રહ્યા, જોકે તેનો વાસ્તવિક હવાઈ કાર્યવાહી સાથે કોઈ સંબંધ નથી.

તા. 14મી ફેબ્રુઆરીએ ભારતના અર્ધ-લશ્કરી દળ સીઆરપીએફ (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ)ના કાફલા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 40 સૈનિકોનાં મૃત્યુ થયા હતા.

હાથમાં મહિલા સાથે આ પાઇલટની આ તસવીર વ્યાપક રીતે શૅર થઈ રહી છે. તેના માટે કહેવાય છે કે પાકિસ્તાન સામે ભારતીય વાયુદળે હાથ ધરેલી કાર્યવાહીમાં તેઓ એકમાત્ર મહિલા પાઇલટ હતા.

તેમની ઓળખ અનિતા શર્મા તરીકે અપાય રહી છે. કૅપ્શનમાં લખેલું છે કે "બહાદુર પાઇલટ અનિતા શર્માને અભિનંદન. પાકિસ્તાનમાં 300 આતંકવાદીઓનો સફાયો કરવાના ઑપરેશનમાં તેઓ એકમાત્ર મહિલા પાઇલટ હતા."

ઑપેરશન અંગે ભારતીય વાયુદળ દ્વારા કોઈ માહિતી આપવામાં નથી આવી અને સામાન્ય રીતે આ પ્રકારના ગુપ્ત મિશનમાં ભાગ લેનારા સૈન્ય અધિકારીઓના નામ પણ જાહેર કરવામાં નથી આવતા.

આ તસવીર અવની ચતુર્વેદીની છે, ભારતના મહિલા ફાઇટર્સની પ્રથમ બેચમાં તેઓ સામેલ હતાં.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, કોઈની મદદ વિના એકલપંડે ફાઇટર જેટ ઉડાવનારા તેઓ પ્રથમ મહિલા પાઇલટ છે.

અન્ય એક એક વાઇરલ તસવીરમાં પણ આવો જ દાવો થઈ રહ્યો છે, જે મુજબ સંભાળનારા સ્ક્વૉર્ડન લીડર સ્નેહા શેખાવતે આ હુમલાઓને અંજામ આપ્યો હતો.

વર્ષ 2012માં 63મી ગણતંત્ર દિવસ પરેડ દરમિયાન ભારતીય વાયુદળની ટૂકડીની કમાન સંભાળી હતી. સન્માન મેળવનારા તેઓ પ્રથમ મહિલા હતા.

અન્ય કેટલીક પોસ્ટ્સમાં તેઓ સુરતની ભૂલકા ભવન સ્કૂલના ઉર્વશી ઝરીવાલા છે, પરંતુ વાસ્તવમાં તેઓ સ્ક્વૉર્ડન લીડર સ્નેહા શેખાવત છે.

સ્નેહા શેખાવત વર્ષ 2007માં નેશનલ ડિફેન્સ ઍકૅડમી માટે સિલેક્ટ થયા હતા અને હૈદરાબાદ ટ્રેનિંગ સેન્ટર ઍવૉર્ડ જીત્યો હતો.

સ્નેહા મૂળતઃ રાજસ્થાનના શેખાવટી વિસ્તારના છે.

અન્ય કેટલાક ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા ઉફર વાઇરલ થયા છે, જે મુજબ આ 12 ફાઇટર પાઇલટ્સે પુલવામા હુમલાનો બદલો લીધો હતો.

જોકે, રિવર્સ ઇમેજ સર્ચ કરતા માલૂમ પડ્યું કે આ તસવીર વાયુદળની કવાયત ઇંદ્રધનુષ-4 સમયની છે.

વર્ષ 2015માં ભારતીય વાયુદળ તથા યૂકેના રૉયલ ઍરફૉર્સે મળીને આ કવાયત હાથ ધરી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો