સબરીમાલા મંદિર વિવાદ : મંદિરમાં પ્રવેશનાર મહિલાએ કહ્યું કે મને જરા પણ ડર ન હતો

કેરળના સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ મંદિરમાં પ્રવેશ કરનારાં બે મહિલાઓએ સુરક્ષા મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
તેમને સુરક્ષા પૂરી પાડવા માટે સુપ્રીના ચીફ જસ્ટિસે કેરળ સરકારને નિર્દેશ આપ્યા છે.
અરજી પર આજે સુપ્રીમમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
પીટીઆઈ અનુસાર બે મહિલાઓ કનકદુર્ગા અને બિંદુ અમિની બન્નેએ સુપ્રીમમાં અરજી કરી છે.
તેઓ 2જી જાન્યુઆરીના રોજ સબરીમાંલા મંદિરમાં પોલીસ પ્રોટેક્શન સાથે પ્રવેશ્યાં હતાં.
જોકે, આ ઘટના બાદ તેમને ધમકીઓ મળી રહી હોવાની તેમની ફરિયાદ રહી છે.
જેને પગલે તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને સુરક્ષા માટે માંગણી કરી હતી.
સુપ્રીમના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ આદેશમાં કહ્યું, "પિટિશનકર્તા બન્ને મહિલાઓને સુરક્ષા પૂરી પાડવામાં આવે. કેરળ સરકાર તેમની સુરક્ષા માટે જવાબદાર છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અત્રે ઉલ્લેખનીય છે કે કનકદુર્ગા અને બિંદુ અમ્મીનીએ મંદિરમાં પ્રવેશ કર્યા બાદ કેરળમાં ઘણો વિવાદ થયો હતો અને ઘર્ષણ પણ થયું હતું.

કેમ સબરીમાલા મંદિરમાં પ્રવેશ કરવાનો નિર્ણય કર્યો?

ઇમેજ સ્રોત, Getty Images
તેમાંથી એક પિટિશનકર્તા બિંદુ અમિનીએ બીબીસી સાથે વાતચીત કરી હતી.
જેમાં તેમણે આ સબરીમાલા મંદિરમાં પ્રવેશ મામલે તેમના વિચાર જણાવ્યા હતા.
વળી તેમણે કેમ મંદિરમાં પ્રવેશવાનો પડકાર ઉઠાવ્યો તેના વિશે વાત કરી.
સબરીમાલા મંદિર વિશે બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું, "મેં ઘણાં મંદિરોની મુલાકાત લીધી છે. મને તે પસંદ છે."
"સબરીમાલા પણ એક મંદિર જ છે. પણ આ મંદિરની મુલાકાતનું મુખ્ય કારણ બંધારણીય સર્વોપરિતા છે."
તેમણે ઉમેર્યું, "કોર્ટ ભારતના નાગરિકોને જેટલા પણ અધિકારો આપે છે, તેમાં સમાનતાનો અધિકાર મુખ્ય છે."
"સબરીમાલા મંદિરમાં તેનું ઉલ્લંઘન થતું હતું. મેં સુપ્રીમ કોર્ટના ચુકાદાનો અમલ કરાવાવાની કોશિશ કરી."

તમે આ વાંચ્યું કે નહીં?


ઇમેજ સ્રોત, Getty Images
તેમને જ્યારે પૂછ્યું કે શું તેમને મંદિરમાં પ્રવેશ પૂર્વે કોઈ બાબતો ડર હતો અને તેનાથી શું પરિણામો આવી શકે છે?
તેના જવાબમાં તેમણે કહ્યું હતું, "હું પરિણામો મામલે તૈયાર હતી. જોકે, મને કોઈ વાતનો ડર નહોતો. જ્યાં સુધી પરિણામોની વાત છે તો લોકો મને મારી પણ નાખે."
આ પગલું ભરવાની તેમને પ્રેરણા ક્યાંથી મળી તેના વિશે જણાવતા તેમને કહ્યું, " હું કાયદો ભણાવું છું અને બંધારણીય સિદ્ધાંતો તથા નૈતિકતાના પાઠ શીખવું છું. આથી સબરીમાલાના નિર્ણયને આવકારું છું."
"હાલના તબક્કે આપણે જાતીય અસમાનતાઓ સામનો કરી રહ્યા છીએ. આ નિર્ણયનું પાલન જાતીય સમાનતા લાવવામાં મદદરૂપ નીવડશે."

શું છે સબરીમાલા વિવાદ?

ઇમેજ સ્રોત, Getty Images
અગાઉ સુપ્રીમ કોર્ટે કેરળના સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર અંગેની સુનાવણીમાં મહિલાઓને મંદિર પ્રવેશ માન્ય રાખ્યો હતો.
કેરળમાં સબરીમાલા મંદિરમાં 10થી 50 વર્ષની મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ છે. આ સદીઓ જૂની પરંપરા છે.
પ્રતિબંધ એવા માટે છે કારણ કે 10થી 50 વર્ષની મહિલાઓને માસિક ધર્મ હોય છે.
કોર્ટે તેમની ટિપ્પણીમાં ઘણીવાર કહ્યું કે પુરુષોની જેમ મહિલાઓને પણ મંદિરમાં જવાનો અધિકાર છે.
સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ઉપરોક્ત બે મહિલાઓએ મંદિરમાં પ્રવેશની કોશિશ કરી હતી.
તેમને કેરળ સરકારે પોલીસ સુરક્ષા સાથે મંદિરમાં પ્રવેશવામાં મદદ કરી હતી.
જોકે, સમગ્ર ઘટનાને પગલે કેરળમાં વિવાદ અને હિંસાના બનાવ નોંધાવ્યા હતા. જેને પગલે રાજકારણ પણ ગરમાયું હતું.


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














