ડૉ. હાથીના મૃત્યુ માટે જવાબદાર 'કાર્ડિયાક અરેસ્ટ' શું છે?

કવિ કુમાર આઝાદની તસવીર

ઇમેજ સ્રોત, Kavi Kumar Azad/FB

    • લેેખક, દિપલકુમાર શાહ
    • પદ, બીબીસી ગુજરાતી

ટેલિવિઝન શ્રેણી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના ડૉ. હાથીનું કાર્ડિયાક અરેસ્ટના કારણે મૃત્યુ થઈ ગયું છે. શ્રેણીમાં ડૉ. હાથીનું પાત્ર ભજવતા રવિકુમાર આઝાદને હૃદય રોગનો હુમલો આવતા તેઓ કાર્ડિયાક અરેસ્ટનો શિકાર બન્યા હતા.

હૃદય રોગ સંબધિત કાર્ડિયાક અરેસ્ટના કારણે અત્યાર સુધી ઘણા બોલીવૂડ સેલિબ્રિટીઝના મૃત્યુ થયા છે.

છેલ્લા એક વર્ષમાં પાંચથી વધુ સેલિબ્રિટીઝનું કાર્ડિયાક અરેસ્ટના કારણે મૃત્યુ થયું છે.

વળી દેશમાં યુવાનોમાં પણ કાર્ડિયાક અરેસ્ટનું પ્રમાણ જોવા મળી રહ્યું છે.

છેલ્લા એક વર્ષમાં બોલીવૂડ કલાકારો નરેન્દ્ર ઝા, રીમા લાગૂ, ઓમ પુરી અને ઇન્દર કુમારનું હૃદય રોગ હુમલાને કારણે મૃત્યુ થઈ ચૂક્યું છે.

વર્ષ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના 2016ના 'ગ્લોબલ ડિસીઝ બર્ડન' રિપોર્ટ અનુસાર ભારતમાં હૃદય રોગ સબંધિત બીમારીને કારણે 1.7 મિલિયન (17 લાખ) લોકોના મૃત્યુ થયા હતા.

રિપોર્ટ અનુસાર યુવાઓમાં પણ આ પ્રકારની બીમારીનું પ્રમાણ વધી રહ્યું હોવાનું જોવા મળ્યું છે.

line

કાર્ડિયાક અરેસ્ટ કે હાર્ટ ઍટેકમાં શું તફાવત છે?

હૃદયની તસવીર

ઇમેજ સ્રોત, Thinkstock

આમ કાર્ડિયાક અરેસ્ટ કે હાર્ટ ઍટેક આરોગ્ય સંબંધિત એક અતિ ગંભીર સમસ્યા છે.

ફાસ્ટ બની રહેલી લાઇફમાં હૃદય રોગ સંબંધિત બીમારીઓ મામલે કાળજી લેવું અત્યંત જરૂરી છે.

આપને આ પણ વાંચવું ગમશે

કાર્ડિયાક અરેસ્ટ અને હાર્ટ ઍટેકથી બચવા માટે શું કરવું જોઈએ અને તે થવા પાછળના કારણો જાણવા માટે બીબીસીએ સુરતના સિનિયર કાર્ડિયોલોજિસ્ટ ડૉ. અતુલ અભ્યકંર સાથે વાતચીત કરી.

ડૉ. અતુલે આ વિશે જણાવ્યું કે ખરેખર હાર્ટ ઍટેક અને કાર્ડિયાક અરેસ્ટ બન્ને જુદી જુદી બાબત છે.

હૃદયની તસવીર

ઇમેજ સ્રોત, Thinkstock

તેમણે કહ્યું, "હૃદય રોગમાં હૃદય સાથેની નળીઓ (ધમનીઓ)માં અવરોધ અને રક્તપ્રવાહમાં ખલેલ થવાની સમસ્યા સંકળાયેલી છે.”

“આ સમસ્યા હૃદયની કામગીરી અત્યંત ધીમી કે ખૂબ જ ઝડપી બનાવી દે છે અને કાર્ડિયાક અરેસ્ટ આવે છે."

"હૃદયને પૂરતું લોહી નહીં પહોંચતા અને તેની કામગીરીમાં વિક્ષેપ ઊભો થતાં કાર્ડિયાક અરેસ્ટમાં આવી જતાં હૃદય એકાએક કામ કરવાનું જ બંધ કરી દે છે અને મૃત્યુ થાય છે."

"સરળ શબ્દોમાં કહીએ તો હાર્ટ ઍટેક હૃદયના 'ઇલેકટ્રિકલ સિસ્ટમ'માં સર્જાતી ખામી છે અને કાર્ડિયાક અરેસ્ટ એ હૃદય તદ્દન કામ કરતું બંધ થઈ જાય તે સ્થિતિ છે."

line

કાર્ડિયાક અરેસ્ટની સ્થિતિમાં શું કરવું?

મહિલા

ઇમેજ સ્રોત, iStock

કાર્ડિયાક અરેસ્ટ થવા પાછળના કારણો અને જ્યારે આવું કંઈક થાય તો શું કરવું તે વિશે જણાવતા ડૉ. અતુલ કહે છે કે જો વ્યક્તિને પહેલાંથી જ હૃદય સંબંધિત અન્ય બીમારી કે તકલીફ હોય તો કાર્ડિયાક અરેસ્ટનું જોખમ રહે છે.

તેમણે વધુમાં કહ્યું,"કાર્ડિયાક અરેસ્ટ થવા પાછળનું એક કારણ હાર્ટ ઍટેક પણ છે."

“જો વ્યક્તિને જન્મજાત જ હૃદય સંબંધિત તકલીફ હોય તો કાર્ડિયાક અરેસ્ટનું જોખમ રહેતું હોય છે."

"હવે વૃદ્ધો ઉપરાંત યુવાનોમાં પણ કાર્ડિયાક અરેસ્ટનું પ્રમાણ જોવા મળે છે."

મહિલા

ઇમેજ સ્રોત, SPL

કાર્ડિયાક અરેસ્ટ થાય તો શું કરવું તે અંગે તેમણે કહ્યું કે કાર્ડિયાક અરેસ્ટમાં દર્દીને ઝડપથી સારવાર મળવી જરૂરી હોય છે.

હાર્ટ એટેકના દર્દીને ઘણી વાર ખબર પણ ન હોય અને સ્ટ્રોક આવીને જતો રહેતો હોય છે.

"પરંતુ કાર્ડિયાક અરેસ્ટમાં સ્થિતિ ગંભીર હોય છે અને જોખમ વધારે. વ્યક્તિ તરત બેભાન થઈ જાય છે અને ક્યારેક મોંમાંથી ફિણ પણ નીકળી જાય છે."

"કાર્ડિયાક અરેસ્ટ આવે તો વ્યક્તિને જરૂર જણાય તો અન્ય વ્યક્તિ માઉથ-ટુ-માઉથ પદ્ધતિથી શરીરમાં ઓક્સિજન આપવાની કોશિશ કરી શકે છે."

"ઉપરાંત જો કોઈ વ્યક્તિને સીપીઆર (કાર્ડિયોપલ્મોનરી રિસસાઇટેશન)ની તાલીમ મળેલી હોય તો તે દર્દીને સીપીઆર આપી શકે છે."

"તબીબી મદદ આવે ત્યાં સુધી સીપીઆર આપવાથી વ્યક્તિના બચી જવાની શક્યતા રહેલી હોય છે."

line

25 ટકા દર્દી 40થી ઓછી ઉંમરના

મહિલા

ઇમેજ સ્રોત, iStock

ભારતમાં કાર્ડિયાક અરેસ્ટના પ્રમાણ અંગે તેમનું છે કે, દેશમાં કાર્ડિયાક અરેસ્ટને કારણે કેટલા લોકો મૃત્યુ પામે છે તે અંગે કોઈ ચોક્કસ આંકડા ઉપલબ્ધ નથી. કાર્ડિયોવેસ્ક્યુલરના આંકડા કે સંશોધન ઉપલબ્ધ હોઈ શકે છે.

જોકે, હૃદય રોગના હુમલા સંબંધિત બીમારીથી થતાં મૃત્યુ અંગે સંશોધન થાય છે.

ઇન્ડિયન હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ અનુસાર દેશમાં કુલ હાર્ટ ઍટેકના 25 ટકા સ્ટ્રોક 40થી ઓછી ઉંમરની વ્યક્તિઓમાં જોવા મળ્યા છે.

line

માનસિક સ્થિતિ અને કાર્ડિયાક અરેસ્ટનું જોખમ

દરમિયાન સુરતના મનોચિકિત્સક ડૉ. મુકુલ ચોક્સીનું કહેવું છે કે કાર્ડિયાક અરેસ્ટ માણસના મૃત્યુ માટે જવાબદાર આખરી સ્ટેપ છે.

કાર્ડિયાક અરેસ્ટ માટે જવાબદાર હાર્ટ એટેક પાછળના કારણો વિશે જણાવતા ડૉ. મુકુલ ચોક્સીએ કહ્યું કે ધુમ્રપાન, ડાયાબિટીઝ, કોલેટ્રોલ, મેદસ્વીતા અને ટાઇપ-એ પર્સનાલિટી જેવા પરિબળો તેનું જોખમ ઊભું કરી શકે છે.

સરળ શબ્દોમાં સમજાવતા તેમણે કહ્યું,"ખરેખર શરીરમાં કોઈ પણ સમસ્યા થાય એટલે અંદરના અંગો કામ કરવાનું બંધ કરી દે છે."

વ્યક્તિની માનસિક સ્થિતિ કઈ રીતે કાર્ડિયાક અરેસ્ટનું જોખમ સર્જી શકે તે વિશે તેમણે કહ્યું, "આજના સમયમાં લોકોમાં સ્ટ્રેસનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે."

"ટાઇપ-એ પર્સનાલિટી ધરાવતી વ્યક્તિને તેનું જોખમ રહેતું હોય છે."

line

શું છે ટાઇપ-એ પર્સનાલિટી?

ટાઇપ-એ પર્સનાલિટી શું છે તે વિશે જણાવતા કહ્યું કે, વિશિષ્ટ લક્ષણોના આધારે વ્યક્તિની પર્સનાલિટી (પ્રકૃતિ)નું વર્ગીકરણ કરવામાં આવે છે.

વ્યક્તિની લાક્ષણિકતાનું વર્ગીકરણ ટાઇપ-એ અને ટાઇપ-બી પર્સનાલિટી એમ બે પ્રકારે થાય છે.

દુશ્મનાવટ, વ્યગ્રતા, લાગણીઓ વ્યક્ત કરવામાં મુશ્કેલી, અતિ સ્પર્ધાત્મક સ્વભાવ, અતિચોક્કસાઈનો આગ્રહ ઉપરાંત સંપત્તિ, સ્ટેટસ અને સત્તાનો અસ્વસ્થ આધાર સહિતની લાક્ષણિકતાનો ટાઇપ-એ પર્સનાલિટીમાં સમાવેશ થાય છે.

તેમણે ઉમેર્યું કે વ્યક્તિની પ્રકૃતિમાં અતિશય મહત્ત્વકાંક્ષાઓ અને ઉગ્રતા પણ તેનું જ ઉદાહરણ છે.

"આ પ્રકારની વ્યક્તિને હૃદયની ધમનીઓ સંબંધિત બીમારી અને અન્ય તણાવ સંબંધિત રોગ થવાનું જોખમ રહે છે. આથી કાર્ડિયાક અરેસ્ટનું જોખમ રહે છે."

ટાઇપ-બી પ્રકારના લોકો શાંત, ધૈર્ય ધરાવતા અને ઓછા તણાવમાં હોય છે. તેમની પ્રકૃતિ ટાઇપ-એ કરતા ઊલટી હોય છે.

line

6.2 કરોડ લોકો હૃદયની બીમારીનો શિકાર બન્યા

ગ્રાફ

ઇમેજ સ્રોત, iStock

અમેરીકામાં રિચર્ચ જનરલમાં છપાયેલા અહેવાલ અનુસાર, વર્ષ 2015 સુધીમાં ભારતમાં 6.2 કરોડ લોકો હૃદયની બીમારીનો ભોગ બન્યા છે. તેમાં લગભગ 2.3 કરોડ લોકોની ઉંમર 40 વર્ષથી ઓછી છે .

મતલબ કે 40 ટકા હૃદયની બીમારીઓના દર્દીઓની ઉંમર 40 વર્ષથી ઓછી છે. ભારત માટે આ આંકડાઓ ચોંકાવનારા છે.

જાણકારોનું માનવું છે કે આખી દુનિયામાં ભારતમાં આ આંકડાઓ ઝડપથી વધી રહ્યા છે. Healthdata.org મુજબ, અકાળ મૃત્યના કારણોમાં વર્ષ 2005માં હૃદયની બીમારીનું સ્થાન ત્રીજું હતું.

મહિલા

ઇમેજ સ્રોત, iStock

પરંતુ વર્ષ 2016માં હૃદયની બીમારી અકાળ મૃત્યુનું પહેલું કારણ બની ગઈ હતી.

10-15 વર્ષ પહેલાં હૃદયની બીમારીને મોટી ઉંમરના લોકો સાથે જોડીને જોવામાં આવતી હતી, જોકે છેલ્લા એક દાયકાથી હૃદયની બીમારીના આંકડાઓ કંઈક જૂદું જ પ્રતિબિંબ રજૂ કરે છે.

દેશના જાણીતા કોર્ડિયોલૉજિસ્ટ અને પદ્મ શ્રી ડૉ. એસ. સી. મનચંદા મુજબ દેશના યુવાનોનું હૃદય નબળું પડી રહ્યું છે.

તેમનાં અનુસાર, નબળાં હૃદયનું કારણ નવા જમાનાની જીવન શૈલી છે. જીવનમાં તણાવ, ખાવાની ખોટી ટેવ, કમ્પ્યુટર/ ઇલેક્ટ્રોનિક ઉપકરણો પર મોડે સુધી કામ કરવું, સ્મૉકિંગ, તંબાકુ, દારૂની લત, પર્યાવરણ પ્રદુષણને તેઓ આ માટે કારણભૂત જણાવે છે.

line

હાર્ટ ઍટેકનાં લક્ષણો

ડૉક્ટરોના કહેવા પ્રમાણે, હાર્ટ ઍટેકનું સૌથી મોટું લક્ષણ હૃદયમાં દુખાવો થવાનું છે. સામાન્ય રીતે ફિલ્મના દ્રશ્યમાં કોઈને હાર્ટ ઍટેક આવે તો તેઓ પોતાની છાતી પકડી લે છે.

જ્યારે હૃદય સુધી પૂરતું લોહી ના પહોંચે ત્યારે ઍટેક આવે છે. સામાન્ય રીતે આપણી ધમનીઓના રસ્તામાં કોઈ અડચણ આવવાને કારણે લોહી હૃદય સુધી નથી પહોંચી શકતું. એટલા માટે હૃદયમાં તીવ્ર પીડા થાય છે.

પરંતુ ક્યારેક હાર્ટ ઍટેકમાં પીડા થતી પણ નથી. તેને સાઇલન્ટ હાર્ટ ઍટેક કહેવાય છે.

વર્ષ 2016માં અલગઅલગ બીમારીઓથી મરનારની સંખ્યામાં 53 ટકા લોકોના મૃત્યુ હૃદયની બીમારીથી થયા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો