ભાજપનો વિજય રાજસ્થાન અને મધ્ય પ્રદેશની ચૂંટણીઓ પર અસર કરશે?

નરેન્દ્ર મોદીની તસવીર

ઇમેજ સ્રોત, AFP

    • લેેખક, કિસલય ભટ્ટાચાર્ય
    • પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે

ભાજપે ત્રિપુરામાં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસને શૂન્ય પર સમેટી ડાબેરીઓના ગઢને ધ્વસ્ત કરી નાંખ્યો. ભારતીય રાજનીતિમાં આ અભૂતપૂર્વ ઘટના છે.

ત્રિપુરામાં ભાજપે ગત વિધાનસભા ચૂંટણીમાં 50 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 49 પર ડિપોઝિટ જપ્ત થઈ ગઈ હતી.

સીપીઆઈ(એમ)ના નેતા માણિક સરકારની ભારતના શ્રેષ્ઠ મુખ્યમંત્રીઓમાં ગણના થાય છે. ત્રિપુરાની રાજનીતિમાં તેમની મજબૂત પકડ રહી છે.

રબર ઉત્પાદનમાં ત્રિપુરાનો કેરળ બાદ બીજો ક્રમ આવે છે. વળી આર્મડ ફોર્સ સ્પેશ્યિલ પાવર એક્ટ(AFSPA) હટાવનાર તે પૂર્વોત્તરનું એકમાત્ર રાજ્ય છે.

અહીં વિદ્રોહને સમાપ્ત કરી દેવાયો છે. 30થી વધુ કલ્યાણકારી યોજનાઓની શરૂઆત કરવામાં આવી છે અને અહીંનો માનવ વિકાસ સૂચકાંક પણ સારો છે.

તમને આ પણ વાંચવું ગમશે

જ્યારે ત્રિપુરાની સરકારે રાજ્ય માટે આટલું બધું કર્યું તો પછી કેમ ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે.

આખરે માણિક સરકારે શું ભૂલ કરી? દરેકને આ સવાલ થઈ રહ્યો છે.

line

ડાબેરીઓથી મોહભંગ કેમ?

કાર્યકર્તાઓની તસવીર

ભારતીય મતદાતાઓના મગજમાંથી હવે ડાબેરી સરકારો પ્રત્યેનું આકર્ષણ ખતમ કેમ થઈ રહ્યું છે.

કોઈ પણ સરકાર માટે 25 વર્ષનો સમય લાંબો સમય ગણાય છે.

મતદાતાઓને ફરીથી પોતાની તરફ કરવા માટે અને જીતવા માટે આ લાંબો સમય માનવામાં આવે છે. ચૂંટણી લડી રહેલા તમામ પક્ષ તેમને વધુમાં વધુ મત મળે એવું ઇચ્છતા હોય છે.

માણિક સરકારની આ વખતની સૌથી મોટી ભૂલ એ રહી કે તેઓ મતદાતાઓનો અસલ મૂડ પારખી શક્યા નહીં.

માણિક સરકારે એ વાત પણ સ્વીકારી કે તેમની સરકાર નવી રોજગારીનું સર્જન કરવામાં નિષ્ફળ રહી હતી. રાજ્યનો શૈક્ષણિક દર તો ઊંચો છે પણ શહેરી વિસ્તારોમાં બેરોજગારીનું પ્રમાણ 17 ટકા છે.

એટલું જ નહીં 7મું પગાર પંચ પણ લાગુ નથી કરવામાં આવ્યું. સીપીઆઈ(એમ)ની કેડર પર ભાઈ-ભત્રીજાવાદના આરોપ લાગતા રહ્યા છે.

બંગાળી આદિવાસીઓને તેમણે ક્યારેય ગંભીરતાથી લીધા નથી.

line

ભાજપ કઈ રીતે જીત્યો?

માણિક સરકારની તસવીર

ઇમેજ સ્રોત, EPA

છેલ્લાં વર્ષોમાં ભાજપે ત્રિપુરામાં મજબૂત પકડ જમાવવા જમીની સ્તર પર કામ કર્યું હતું.

તેમને ખબર હતી કે ડાબેરીઓ સાથે મુકાબલો કરવા માટે તેમણે જમીની સ્તરે કામ કરીને કેડરને ધીરે ધીરે મજબૂત કરવી પડશે.

આ કામ કરવા ભાજપ અને આરઆએસના 50 હજારથી વધુ કાર્યકર્તાઓ એકજૂટ થયા હતા.

તેમણે તેમની કાર્યપ્રણાલીને સીમાવર્તી રાજ્ય અનુસાર બનાવી દીધી હતી.

line

પેજ પ્રમુખની મહત્ત્વની ભૂમિકા

કાર્યકર્તાઓની તસવીર

મોર્ચા, વિસ્તારક, પેજ પ્રમુખ અને સંપર્કના આધાર પર પાંચ સ્તરની પ્રણાલી તૈયાર કરવામાં આવી હતી.

ત્રણ પ્રકારના મોર્ચા તૈયાર કરાયા હતા. મહિલા, યુવા અને એસસી/એસટી/ઓબીસી.

વિસ્તારકોએ એ બાબત નિશ્ચિત કરી કે મંડળમાં આંતરિક વિખવાદ પેદા ન થાય અને પાર્ટીની યુવા બ્રિગેડે તેને સારી રીતે નિભાવ્યું.

પેજ પ્રમુખને પેજ ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા અને પ્રત્યેકને 60 મતદાતાઓની જવાબદારી આપવામાં આવી. તેમણે મતદાતાઓની જરૂરિયાતોનું ધ્યાન રાખ્યું.

તેઓ ટ્રેનમાં મુસાફરી કરતા લોકો પાસે જઈને તેમની સમસ્યા પૂછતા અને પછી આ જાણકારી મંડળ સુધી પહોંચાડતા હતા.

ચૂંટણી પહેલાં ભાજપે આદિવાસી બેઠકો પર પોતાની પકડ મજબૂત કરી નાખતા ડાબેરીઓની મતબૅન્કમાં આ મોટું નુકસાન હતું.

સ્પષ્ટ પણે સમજી શકાય છે કે ભાજપે પોતાની જીતની રૂપરેખા પહેલાંથી જ તૈયાર કરી લીધી હતી. જેમાં તે વિજય મેળવવામાં સફળ પણ રહ્યો.

બીજી તરફ ડાબેરીઓ સંતોષ માનીને બેઠા હતા અને કૉંગ્રેસે ચૂંટણી પહેલા જ હથિયાર હેઠાં મૂકી દીધાં હતાં.

line

હિંદુ મતબૅન્ક

મહિલા કાર્યકર્તાઓની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

એક સવાલ એવો પણ છે કે ત્રિપુરામાં હિંદુ મતબૅન્ક સહિતના અન્ય મુદ્દાની કેટલી અસર પડી?

આનો જવાબ હા છે. પણ આ મુદ્દા ભાજપને તેની જીતથી દૂર ન કરી શક્યા.

પૂર્વોત્તરના બે અન્ય રાજ્ય નાગાલૅન્ડ અને મેઘાલયમાં પણ ભાજપે સારું પરફોર્મન્સ કર્યું છે.

ભાજપની યોજના પણ આ જ હતી. ત્રિપુરાએ તમામને નિશબ્દ કરી દીધા. વળી અન્ય બે રાજ્યોનાં પરિણામોથી પણ ઘણાને આશ્ચર્ય થયું છે.

નાગાલૅન્ડમાં એનડીએની સરકાર હતી પણ તેમાં ભાજપનો દબદબો ઓછો હતો.

પણ આ વખતે ભાજપે તેમાં સુધારો કર્યો છે. પ્રાદેશિક પક્ષોએ ચૂંટણીનો બહિષ્કાર કરવા છતાં ભાજપ તેમને ચૂંટણીના મેદાન સુધી ખેંચી લાવવામાં સફળ રહ્યો.

line

ભાજપની ચાણક્ય નીતિ

મહિલા કાર્યકર્તાઓની તસવીર

ઇમેજ સ્રોત, TWITTER @INCMEGHALAYA

શાંતિ સમજૂતી અંગેના સ્પષ્ટીકરણના અભાવે ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો હતો.

ભાજપે તેની સફળ રણનીતિથી આ મુદ્દાને જ ગાયબ કરી દીધો.

એક એવું રાજ્ય જ્યાં નાણાં, બંદૂક અને ગ્રામ પરિષદના ફરમાનોની જ બોલબાલા છે, ત્યાં કોઈ પણ પ્રકારની વિચારધારા કામ નથી આવતી.

પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના સહયોગી નેફુ રિયોએ નામાંકન વખતે હરીફને રોકવા માટે માર્ગ બ્લોક કરાવી દીધો હતો. જેથી તે સમયસર નામાંકન ન કરી શકે.

મેઘાલયમાં ગૌહત્યા પર પ્રતિબંધ એક રીતે ભાજપ નાટે નુકસાન ભરેલું પગલું માનવામાં આવી રહ્યું હતું. પણ જમીની સ્તરે વાસ્તવિકતા કંઈક અલગ જ હતી.

કોલસા અને ચૂનાના પથ્થરોની ખાણમાં લાગેલો પ્રતિબંધ લોકો માટે ગૌહત્યા પરના પ્રતિબંધથી વધુ મહત્ત્વનો છે.

line

રાષ્ટ્રીય રાનીતિ પર કેટલી અસર?

કાર્યકર્તાઓની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

કેટલાક લોકો એવો તર્ક આપે છે કે સંસદમાં આ રાજ્યોનું પ્રતિનિધિત્વ ઘણું ઓછું છે. આથી આ પરિણામો રાષ્ટ્રીય રાજનીતિ પર વધુ અસરકારક પુરવાર નહીં થાય.

જોકે, એક પક્ષ જે આશા અને ઇરાદાની ઉડાન પર સવાર છે, તેમના માટે આ પરિણામો આ સમય સિવાય ક્યારેય નહોતાં આવી શકતાં.

આગામી બે મહિનામાં કર્ણાટકમાં ચૂંટણી છે. રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં પણ ભાજપ સામે સત્તા ટકાવી રાખવાનો પડકાર છે.

આથી આ પરિણામો આગામી ચૂંટણીમાં ભાજપમાં વધુ ઉત્સાહ પેદા કરશે.

સામાન્ય ધારણાથી પર વિપક્ષ માટે એક શીખ છે કે ભાજપ તેની દરેક બેઠક પર વધુ બળ વાપરી રહ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો