Shivaji : શું શિવાજી મુસ્લિમવિરોધી હતા?

    • લેેખક, રામ પુનિયાની
    • પદ, ઇતિહાસ સંશોધક અને માનવાધિકાર કાર્યકર્તા

મહારાષ્ટ્રની યાદોમાં શિવાજી સૌથી લોકપ્રિય રાજા છે. મહારાષ્ટ્રમાં હિંદુ કૅલેન્ડર પ્રમાણે શિવાજીજયંતીની ઉજવણી થઈ રહી છે.

શિવાજી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પુરંદરેનું નાટક 'જાણતા રાજા' શિવાજીને મુસ્લિમવિરોધીના રૂપમાં પ્રસ્તુત કરે છે.

તેમને રાજકીય પક્ષો પોતપોતાની રીતે યાદ કરે છે. કેટલાક લોકો તેમને 'ગૌ બ્રાહ્મણ પરિપાલક' (બ્રાહ્મણ અને ગાયના રક્ષક) તરીકે ઓળખે છે, તો કેટલાક લોકો તેમને કલ્યાણકારી રાજા કહે છે.

આ સાથે જ એક એવો અહેસાસ પણ છે કે જે તેમને મુસ્લિમવિરોધીના રૂપમાં દર્શાવે છે.

line

શું હતી શિવાજીની નીતિઓ?

જાણતા રાજા નાટકનું આ દૃશ્ય

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મહારાષ્ટ્રની યાદોમાં શિવાજી સૌથી લોકપ્રિય રાજા છે.

થોડાં વર્ષો પહેલાં મહારાષ્ટ્રના મિરાજ-સાંગલી વિસ્તારમાં ગણેશોત્સવ દરમિયાન તોરણ પર શિવાજીને અફઝલ ખાનની હત્યા કરતા દર્શાવવામાં આવ્યા હતા. તેમનાં પોસ્ટરો સમગ્ર મહારાષ્ટ્રમાં મોકલવામાં આવ્યાં હતાં.

ત્યારબાદ આ જ મુદ્દાને લઈને વિસ્તારમાં સાંપ્રદાયિક હિંસા ભડકી હતી. લોકોમાં એ ધારણા બનવા લાગી કે હિંદુ શિવાજી મુસ્લિમ અફઝલ ખાનને મારી રહ્યા છે.

આ પ્રકારના પ્રચારનો ઉપયોગ મુસ્લિમોની ઉશ્કેરણી અને હિંસા ભડકાવવા માટે થતો હતો.

કટ્ટર હિંદુ દક્ષિણપંથી કાર્યકર્તાઓએ પ્રતાપગઢમાં અફઝલ ખાનનો મકબરો તોડવા પ્રયાસ કર્યો હતો.

જ્યારે લોકોને એ કહેવામાં આવ્યું કે આ મકબરાનું નિર્માણ શિવાજીએ જ કર્યું હતું ત્યારે આ ઉત્પાત શમ્યો હતો. શિવાજી એ રાજા હતા કે જેઓ બધા જ ધર્મોનું સન્માન કરતા હતા.

તેમની નીતિઓ, સેના અને પ્રશાસનિક નિયુક્તિઓમાં તેની સ્પષ્ટ ઝલક જોવા મળે છે.

એક રસપ્રદ વાત છે. શિવાજીના દાદા માલોજીરાવ ભોસલેએ સૂફી સંત શાહ શરીફના સન્માનમાં પોતાના દીકરાઓનાં નામ શાહજી અને શરીફજી રાખ્યાં હતાં.

શિવાજીએ સ્થાનિક હિંદુ રાજાઓની સાથે જ ઔરંગઝેબ વિરુદ્ધ લડાઈ લડી હતી.

રસપ્રદ વાત એ છે કે ઔરંગઝેબ સાથે યુદ્ધમાં ઔરંગઝેબની સેનાનું નેતૃત્વ કરનારી વ્યક્તિ રાજા જયસિંહ હતી. તેઓ એક રાજપૂત હતા અને ઔરંગઝેબના રાજદરબારમાં ઉચ્ચ અધિકારી હતા.

શિવાજીએ પોતાના પ્રશાસનમાં માનવીય નીતિઓ અપનાવી હતી, જે કોઈ ધર્મ પર આધારિત નહોતી.

તેમની થળસેના અને જળસેનામાં સૈનિકોના નિમણૂક માટે ધર્મનો કોઈ માપદંડ નહોતો અને તેમાં એક તૃતીયાંશ સૈનિકો મુસ્લિમ હતા.

line

શિવાજી અને મુસ્લિમ

જાણતા રાજા નાટકનું આ દૃશ્ય

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શિવાજી દરેક ધર્મોનું સન્માન કરતા હતા અને તેમણે 'હજરત બાબા યાકૂત થોરવાલે'ને આજીવન પેન્શન આપવાના આદેશ આપ્યા હતા.

તેમની નૌસેનાનું નેતૃત્વ સિદ્દી સંબલ કરી રહ્યા હતા અને સિદ્દી મુસ્લિમ તેમની નૌસેનામાં મોટી સંખ્યામાં હતા.

જ્યારે શિવાજી આગ્રાના કિલ્લામાં નજરકેદ હતા, ત્યારે કેદમાંથી છોડાવવા માટે જે બે વ્યક્તિઓએ તેમની મદદ કરી હતી તેમાંથી એક વ્યક્તિ મુસ્લિમ હતી. તેમનું નામ મદારી મેહતર હતું.

તેમના ગુપ્તચર મામલાના સચિવ મૌલાના હૈદર અલી હતા અને તેમના તોપખાનાની કમાન ઇબ્રાહીમ ખાનના હાથમાં હતી.

શિવાજી દરેક ધર્મોનું સન્માન કરતા હતા અને તેમણે 'હજરત બાબા યાકૂત થોરવાલે'ને આજીવન પેન્શન આપવાના આદેશ આપ્યા હતા.

જ્યારે ગુજરાત સ્થિત તેમના ચર્ચ પર હુમલો થયો હતો ત્યારે ફાધર એંબ્રોઝની પણ તેમણે મદદ કરી હતી.

શિવાજીએ પોતાની રાજધાની રાયગઢમાં પોતાના મહેલની સામે મુસ્લિમ શ્રદ્ધાળુઓ માટે એક મસ્જિદનું નિર્માણ એ જ રીતે કરાવ્યું હતું જે રીતે તેમણે પોતાની પૂજા માટે જગદીશ્વર મંદિર બનાવ્યું હતું.

line

વસઈના નવાબનાં પુત્રવધૂની વાત

જાણતા રાજા નાટકનું આ દૃશ્ય

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, તેમની નૌસેનાનું નેતૃત્વ સિદ્દી સંબલ કરી રહ્યા હતા અને સિદ્દી મુસ્લિમ તેમની નૌસેનામાં મોટી સંખ્યામાં હતા.

શિવાજીએ પોતાના સૈનિક કમાન્ડરોને એ સ્પષ્ટ નિર્દેશ આપ્યા હતા કે કોઈ પણ સૈન્ય-અભિયાન દરમિયાન મુસ્લિમ મહિલાઓ અને બાળકો સાથે દુર્વ્યવ્હાર કરવામાં ન આવે.

મસ્જિદો અને દરગાહોને ચુસ્ત સુરક્ષા આપવામાં આવી હતી.

તેમણે એવા પણ આદેશ આપ્યા હતા કે જ્યારે પણ કોઈને કુરાનની કૉપી મળે તો તેને સન્માન આપવામાં આવે અને મુસ્લિમોને સોંપી દેવામાં આવે.

વસઈના નવાબનાં પુત્રવધૂને શિવાજી દ્વારા સન્માન આપવાની વાત પણ બધા જ જાણે છે.

જ્યારે તેમના સૈનિક લૂંટેલા સામાનની સાથે નવાબનાં પુત્રવધૂને પણ લઈ આવ્યાં, ત્યારે શિવાજીએ એ મહિલાની માફી માગી હતી અને પછી સૈનિકોની સુરક્ષા સાથે તેમને તેમનાં મહેલ પહોંચાડવામાં આવ્યાં હતાં.

અફઝલ ખાનની હત્યાના મામલાને ખૂબ હવા આપવામાં આવી. અફઝલ ખાન આદિલશાહી સલ્તનતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. તેમની સાથે શિવાજીએ લાંબી લડાઈ લડી હતી.

અફઝલ ખાને તેમને પોતાના તંબુમાં બોલાવી મારી નાખવાની યોજના બનાવી હતી, ત્યારે શિવાજીને એક મુસ્લિમ, રુસ્તમે જમાંએ સાવધાન કર્યા હતા.

તેમણે શિવાજીને એક લોખંડનો પંજો પોતાની સાથે રાખવાની સલાહ આપી હતી.

line

અફઝલ ખાન અને શિવાજી

જાણતા રાજા નાટકનું આ દૃશ્ય

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અંગ્રેજોએ જ્યારે ઇતિહાસ લખ્યો તો તેમણે રાજાઓ વચ્ચે સત્તા સંઘર્ષને ધર્મનું રૂપ આપી દીધું હતું.

લોકો એ ભૂલી જાય છે કે અફઝલ ખાનના સલાહકાર પણ એક હિંદુ, કૃષ્ણમૂર્તિ ભાસ્કર કુલકર્ણી હતા. તેમણે શિવાજી વિરુદ્ધ પોતાની તલવાર ઉઠાવી હતી.

અંગ્રેજોએ જ્યારે ઇતિહાસ લખ્યો તો તેમણે રાજાઓ વચ્ચે સત્તા સંઘર્ષને ધર્મનું રૂપ આપી દીધું હતું.

'શિવાજી મુસ્લિમવિરોધી હતા' આ ધારણા રાજકીય ઉદ્દેશને પૂર્ણ કરવા માટે બનાવવામાં આવી હતી. ઘણાં પુસ્તકો પ્રકાશિત કરવામાં આવ્યાં અને તેમાં પણ આ જ દૃષ્ટિકોણ સાથે આ બાબતને વણી લેવામાં આવી છે.

પુરંદરેના નાટક 'જાણતા રાજા'ને મહારાષ્ટ્રમાં ખૂબ પ્રસિદ્ધિ મળી છે. આ નાટક શિવાજીને મુસ્લિમવિરોધીના રૂપમાં પ્રસ્તુત કરે છે.

ઇતિહાસકાર સરદેસાઈએ 'ન્યૂ હિસ્ટ્રી ઑફ મરાઠા'માં લખ્યું છે, 'શિવાજીને કોઈ પણ રીતે મુસ્લિમો પ્રત્યે નફરત ન હતી. એક સંપ્રદાયના રૂપે પણ નહીં અને એક ધર્મ રૂપે પણ નહીં.'

આ બધું જ શિવાજીએ સાંપ્રદાયિક સૌહાર્દ માટે જે અપનાવ્યું તેને દર્શાવે છે, અને તેમનું પ્રાથમિક લક્ષ્ય પોતાના રાજ્યની સીમાને જેમ બને તેમ વધારે ક્ષેત્ર સુધી સ્થાપિત કરવાનું હતું.

તેમને મુસ્લિમવિરોધી કે ઇસ્લામવિરોધી દર્શાવવા એ સત્યતાની મજાક ઉડાવવા સમાન છે.

(રામ પુનિયાની આઈઆઈટી મુંબઈમાં પ્રોફેસર રહી ચૂક્યા છે અને 2007માં તેમને 'નેશનલ કૉમ્યુનલ હાર્મની' પુરસ્કારથી સન્માનિત કરાયેલા છે.)

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો