ઇસરોનો નવો લૉન્ચ થયેલો ઉપગ્રહ EOS-8 વરસાદ અને વાવાઝોડાં વિશે કઈ-કઈ માહિતી આપશે

શુક્રવારે ઇન્ડિયન સ્પૅસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન(ઇસરો)એ પોતાનું EOS-8 મિશન સફળતા પૂર્વક લૉન્ચ કર્યું છે અને ઉપગ્રહને સફળતાપૂર્વક તેની ભ્રમણકક્ષામાં પ્રસ્થાપિત કરી દેવાયો છે.

EOS-8 (અર્થ ઑબ્ઝર્વેશન સેટેલાઇટ-8) ને ઇસરો પોતાના લૉન્ચિંગ વ્હીકલ SSLV-D3ની સહાયતાથી લૉન્ચ કર્યું. હવે, આ પ્રૌદ્યોગિકી દેશના ખાનગી ક્ષેત્રને ટ્રાન્સફર કરવામાં આવશે.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર આ મિશન 15મી ઑગસ્ટના રોજ લૉન્ચ થવાનું હતું પરંતુ અમુક કારણોસર હવે તે 16મી ઑગસ્ટના રોજ લૉન્ચ થયું.

લગભગ સાડા છ કલાકનું કાઉન્ટડાઉન શુક્રવારે સવારે બે વાગ્યા અને 47 મિનિટ આસપાસ શરૂ થયું હતું. સવારે નવ વાગ્યા 17 મિનિટથી એક કલાકનો સમયગાળો હતો, ત્યારે આ લૉન્ચિંગ કરવામાં આવ્યું હતું.

આ ઉપગ્રહમાં ઇલ્કેટ્રો ઑપ્કિલ ઇન્ફ્રારેડ પે-લોડ, ગ્લોબલ નૅવિગેશન સેટાલાઇટ સિસ્ટમ અને SiC યુવી ડોસીમીટર છે.

ઇસરોએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, “આ EOS-8 મિશનમાં સૂક્ષ્મઉપગ્રહોનું નિર્માણ અને તેના ડિઝાઇનિંગ, માઇક્રોસેટેલાઇટ બસ સાથે કામ આપી શકે તેવા પે-લોડ ઇન્સ્ટ્રુમૅન્ટ્સ બનાવવા તથા ભવિષ્યના ઑપરેશનલ ઉપગ્રહો માટે નવી ટેકનૉલૉજી સાથે તાદાત્મ્ય બેસાડવું એ મુખ્ય લક્ષ્ય રહ્યું છે.”

આ ઉપગ્રહમાં રહેલું EOIR પે-લોડ એ દિવસ અને રાત્રિ બંને સમયે તસવીરો ખેંચશે, જેના કારણે ઉપગ્રહ આધારિત સર્વેલન્સ, આપત્તિનું મૉનિટરિંગ, પર્યાવરણીય બાબતોનું મૉનિટરિંગ, ફાયર ડિટેક્શન, જ્વાળામુખીની પ્રક્રિયાનું અવલોકન, ઇન્ડસ્ટ્રિયલ અને પાવરપ્લાન્ટ ડિઝાસ્ટર મૉનિટરિંગમાં મદદ મળશે.

આ ઉપગ્રહમાં રહેલું GNSS-R આધારિત રિમૉટ સૅન્સિંગ ઍપ્લિકેશન દ્વારા દરિયાઈ સપાટીમાં વહેતા પવન વિશે અને માટીમાં રહેલા ભેજ વિશે માહિતી મેળવી શકાશે. આ સિવાય પૂરની આગાહી પણ કરી શકાશે અને પાણીના સ્ત્રોત વિશે પણ માહિતી મળશે.

લૉન્ચ કેમ ખાસ છે?

  • EOS-8 લૉન્ચનો હેતુ રાષ્ટ્રીય કાર્યો માટે સ્પૅસ ટેક્નૉલૉજીનો ઉપયોગ કરવાનો છે
  • આ ઉપગ્રહ થકી સમગ્ર પૃથ્વીની ગતિવિધિ ઉપર નજર રાખી શકાશે
  • વાતાવરણ ઉપર અભ્યાસ કરવાની સાથે-સાથે ઉપગ્રહ થકી ઑઝૉન વાયુના સ્તર ઉપર પણ નજર રાખી શકાશે
  • અર્બન પ્લાનિંગમાં પણ આ ઉપગ્રહનો ઉપયોગ થશે જેમાં જમીન કયા હેતુ માટે ઉપયોગમાં લેવામાં આવી છે તે જાણી શકાશે
  • ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ અને સર્વૅલન્સ માટે પણ આ ઉપગ્રહ મહત્ત્વની માહિતીઓ પુરી પાડશે

અગાઉ ઇન્સેટ-3ડીએસ સેટેલાઇટ છોડાયો હતો

17 ફેબ્રુઆરી 2024માં ઇસરોએ ઇન્સેટ-3ડીએસ (INSAT-3DS) ઉપગ્રહ લૉન્ચ કર્યો હતો. આ ઉપગ્રહ પૃથ્વીની સપાટી, મહાસાગરો, વાતાવરણ અને પર્યાવરણની ઉપર સતત નજર રાખે છે. આ સિવાય મહત્ત્વની માહિતી ભેગી કરીને તેને જમીન પરના કેન્દ્રમાં પ્રસારિત કરે છે. સર્ચ અને રૅસ્ક્યૂ સર્વિસમાં પણ આ ઉપગ્રહ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

આ થર્ડ જેનરેશન સેટેલાઇટ માટે કેન્દ્ર સરકારની મિનિસ્ટ્રી ઑફ અર્થ સાયસન્સે જરૂરી ભંડોળ પુરું પાડ્યું છે.

હવામાન અને વાતાવરણ સંબંધિત સંશોધન માટે દેશની મહત્ત્વની સંસ્થાઓ જેમ કે ભારતીય હવામાન વિભાગ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટ્રોપિકલ મિટિયોરૉલૉજી અને નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઑફ ઑશન ટેક્નૉલૉજી આ ઉપગ્રહનો ઉપયોગ કરે છે.

વાતાવરણ અને ઋતુ વિશેની સચોટ આગાહી કરવામાં ઉપગ્રહ દ્વારા મોકલવામાં આવેલી માહિતી ઘણી મદદરૂપ પુરવાર થાય છે. સમયસર આગાહી થવાના કારણે ખેડૂતો અને મછીમારોને ખાસ્સો લાભ થઈ રહ્યો છે.

ઇસરોએ INSAT-3D and INSAT-3DR સેટેલાઇટ પણ અંતરિક્ષમાં લૉન્ચ કર્યા છે જે વાતારવણ અને ઋતુ સંબંધી આગાહી કરવા માટે જરૂરી માહિતી પુરી પાડી રહ્યાં છે.

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.