જ્યારે જાહેરમાં ગોળી મારીને અંદાજે 60 વર્ષ પહેલાં અમેરિકન રાષ્ટ્રપતિની હત્યા કરી દેવાઈ

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ભારતીય સમય પ્રમાણે, રવિવારે સવારે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ તથા આગામી ચૂંટણીની રેસમાં સામેલ ડોનાલ્ડ ટ્રમ્પ પર અમેરિકાના પેન્સિલ્વેનિયામાં આયોજિત એક રેલી દરમિયાન ગોળીબાર થયો હતો.
સિક્રેટ સર્વિસના એજન્ટ્સ ટ્રમ્પને સલામત રીતે તેમની ગાડી સુધી લઈ ગયા હતા. આ પછી સુરક્ષાબળોએ વળતી કાર્યવાહી કરી, જેમાં સંદિગ્ધ હુમલાખોર થૉમસ મૅથ્યુ ક્રૂકસ ઠાર મરાયો હતો.
હુમલામાં એક રેલીમાં રહેલી એક વ્યક્તિનું પણ મૃત્યુ થયું છે. અમેરિકાની તપાસ સંસ્થા ફેડરલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશને આ વાતની પુષ્ટિ કરી છે.
હુમલા બાદ ટ્રમ્પના જમણા કાન પાસેથી લોહી વહેતું હોવાની તસવીરો બહાર આવી હતી.
જોકે, સમગ્ર ઘટનાક્રમે લગભગ 60 વર્ષ પહેલાં ઘટેલી ઘટનાની યાદ અપાવી દીધી હતી, જ્યારે અમેરિકાના 35મા રાષ્ટ્રપતિની ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી. તેઓ અમેરિકાના સૌથી યુવા, સુધારાવાદી, કરિશ્માઈ અને લોકપ્રિય રાષ્ટ્રપતિ હતા.
કૅનેડી પર હુમલો થયો ત્યારે હજારો દર્શક હાજર હતા, જેઓ પ્રત્યક્ષદર્શી પણ હતા, જેના કારણે હજારો અટકળો વહેતી થઈ હતી.

'રાષ્ટ્રપતિ કૅનેડી ખુલ્લી કારમાં ફરવાનું પસંદ કરતા'

ઇમેજ સ્રોત, AFP/Getty Images
જ્યારે કોઈ નેતા ખુલ્લી જગ્યામાં ખુલ્લી ગાડીમાંથી પસાર થવાના કાર્યક્રમનું આયોજન કરે ત્યારે તેમના સુરક્ષાકર્મીઓ, ગુપ્તચરતંત્ર તથા તેના ઍજન્ટ્સ માટે પડકારજનક સ્થિતિ ઊભી કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ખુલ્લી જગ્યામાં બંને બાજુ લોકો એકઠા હોય છે, કતારમાં ઊભેલા નિર્દોષ લોકોની વચ્ચે હુમલાખોર પણ હોઈ શકે છે. રોડ શો દરમિયાન આસપાસમાં મોટી તો ક્યાંક નિર્માણાધીન ઇમારતો હોય છે, જ્યાંથી લાંબા અંતર સુધી ગોળીબાર કરી શકે તેવી સ્નાઇપર ગન સાથે હુમલાખોર જે તે નેતા માટે જોખમ ઊભું કરી શકે છે. આવું જ તા. 22 નવેમ્બર 1963ના દિવસે થયું હતું.
અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ જૉન તથા જૅક્લીન 'જેકી' કૅનેડી પર જીવલેણ હુમલો થયો હતો. સિક્રેટ સર્વિસના ઍજન્ટ ક્લિન્ટ હિલ કારની પાછળ જ હતા. હિલે એ દિવસને યાદ કરી વિગતો આપતા કહ્યું હતું :
રાષ્ટ્રપતિ કૅનેડી ખુલ્લી કારમાં ફરવાનું પસંદ કરતા. તેઓ લોકોને એ વાતનો અહેસાસ કરાવવા માગતા હતા કે તેઓ જનતાને માટે સતત ઉપલબ્ધ છે. તેમની અને જનતાની વચ્ચે કોઈ નથી.
એ દિવસે રાષ્ટ્રપતિ તથા તેમનાં પત્ની જૅક્લિન ખુલ્લી લિમૉઝીન ગાડીમાં પસાર થઈ રહ્યાં હતાં. એ દિવસે ટૅક્સાસના ડલાસ શહેરમાં રસ્તાઓ પર ભારે ભીડ હતી, ભીડ ખૂબ જ ખુશ હોય તેમ લાગતું હતું.
છતાં ક્લિન્ટ હિલ જાણતા હતા કે ડલાસમાં કેટલાક લોકો રાષ્ટ્રપતિના કામથી ખાસ ખુશ ન હતા. કૅનેડીની અમુક નીતિઓ સામે વિરોધ હતો, પરંતુ એના કારણે તેમની પર જીવલેણ હુમલો થઈ શકે તેવી કોઈ ગુપ્ત માહિતી સિક્રેટ સર્વિસને નહોતી મળી.
એવામાં ક્લિન્ટને જમણા ખભા પાસેથી કશું પસાર થવાનો અવાજ આવ્યો. તેઓ તત્કાળ કાર તરફ દોડ્યા, પરંતુ એટલી વારમાં રાષ્ટ્રપતિને ગોળી લાગી ગઈ હતી. એ પછી સિક્રેટ ઍજન્ટ્સે ફર્સ્ટ લૅડીને કારની અંદર જ છુપાવી દીધાં અને સુરક્ષાઘેરો બનાવ્યો.
અવસાન સમયે રાષ્ટ્રપતિ કૅનેડીની ઉંમર 46 વર્ષની હતી અને તેઓ ત્રણ વર્ષ અગાઉ જ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. ટેલિવિઝનનાં પ્રારંભિક વર્ષોમાં યુવા કૅનેડી, તેમનાં પત્ની તથા બાળકોએ નાગરિકોમાં વ્હાઇટ હાઉસ પ્રત્યે આકર્ષણ ઊભું કર્યું હતું.
એક ઘટના, અનેક થિયરી

ઇમેજ સ્રોત, AFP
ઘટના સમયે ટૅક્સાસના ગવર્નર પ્રૅસિડન્ટની આગળની સીટ પર જ બેઠા હતા, તેઓ પણ ગોળી વાગવાથી ઘાયલ થયા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમને બચાવી લેવાયા હતા.
હુમલાના એક જ કલાકમાં જેડી ટિપિત નામના પોલીસમૅનની પણ હત્યા કરી દેવામાં આવી. એ પછી પોલીસે લી હાર્વૅ ઑસ્વાલ્ડ નામના શખ્સની ધરપકડ કરી. બાર કલાકની અંદર જ પોલીસે તેના પર રાષ્ટ્રપતિ કૅનેડી તથા ટિપિતની હત્યાનું તહોમતનામું મૂક્યું.
આરોપી ઑસ્વાલ્ડની પર ખટલો ચાલે અને તેમણે એકલા હાથે હત્યાકાંડને અંજામ આપ્યો કે તેમની સાથે બીજું કોઈ પણ હતું? ક્યારથી તૈયારીઓ શરૂ કરી? શા માટે કૅનેડીથી નારાજ હતા? શું તેમનો કોઈ વિદેશી તત્ત્વો સાથે સંપર્ક હતો? જેવા સવાલના જવાબ મળે તે પહેલાં એક નાટ્યાત્મક ઘટના ઘટી.
રાષ્ટ્રપતિની હત્યાના બે દિવસ પછી તા. 24 નવેમ્બરે જૅક રૂબી નામના સ્થાનિક નાઇટક્લબ માલિકે ડલાસ પોલીસ ડિપાર્ટમેન્ટના બૅઝમૅનન્ટમાં ઑસ્વાલ્ડની હત્યા કરી નાખી. આ હત્યાકાંડ ટેલિવિઝન પ્રસારણ દરમિયાન કૅમેરામાં કેદ થઈ ગયો હતો.
રૂબી પર ઑસ્વાલ્ડની હત્યાનો ખટલો ચલાવવામાં આવ્યો અને તેમને મૃત્યુદંડની સજા મળી, જેની સામે તેમણે અપીલ કરી. જોકે, ખટલો શરૂ થાય તે પહેલાં વર્ષ 1967માં કૅન્સરને કારણે તેમનું મૃત્યુ થઈ ગયું.
જૅફર્સન મૉર્લી વૉશિંગ્ટન પોસ્ટના પૂર્વ પત્રકાર છે. તેમણે આ હત્યાકાંડ વિશે અનેક પુસ્તક લખ્યાં છે. તેમનું કહેવું છે કે 'મેં હત્યાકાંડ વિશે તથ્યો જ લખ્યાં છે અને ક્યારેય ષડયંત્રકારી વાતો નથી લખી.'
જૅફર્સનનું માનવું છે કે કૅનેડી માટે જીવલેણ નીવડેલી ગોળી પાછળથી નહીં, પરંતુ આગળથી છોડવામાં આવી હતી. ઝૅપરૂડર નામના સ્થાનિકે કૅનેડીની અંતિમ ક્ષણોને વીડિયો કૅમેરામાં ઉતારી હતી.
એ વીડિયોને ટાંકતા જૅફર્સન કહે છે કે 'કૅનેડીનું માથું પાછળની તરફ ફંટાય છે. મને ખ્યાલ છે કે એવી થિયરી છે કે જ્યારે પાછળથી ગોળી મારવામાં આવે, ત્યારે માથું ગોળીના સ્રોત તરફ નમે છે. પરંતુ સામાન્ય સમજ પણ કહે કે એમ થવાની સંભાવના નથી. એટલે એવું લાગે કે સામેથી ગોળી છૂટી હશે.'
જ્યારે કોઈ શખ્સ ગોળીબાર કરે ત્યારે તેના શરીર પર ગનપાઉડર ચીપકી જાય છે. સંદિગ્ધનો પૅરાફિન ટેસ્ટ કરીને તેણે ગોળીબાર કર્યો છે કે કેમ, તે સુનિશ્ચિત કરવામાં આવે છે. આ ટેસ્ટની વિશ્વસનિયતા સંદિગ્ધ રહી છે. છતાં ઑસ્વાલ્ડના ગાલના પૅરાફિન ટેસ્ટમાં ગનપાઉડર નહોતો મળ્યો. જેના કારણે ઑસ્વાલ્ડે ગોળી છોડી હતી કે કેમ, તેના વિશે સવાલ ઊભા થયા હતા.
વૉરન કમિશનના તારણથી વિપરીત ટૅક્સાસના ગવર્નરનું કહેવું હતું કે જે ગોળીથી રાષ્ટ્રપતિની હત્યા થઈ, એ જ પ્રકારની ગોળી તેમને નહોતી વાગી.

ઇમેજ સ્રોત, Getty Images
સીઆઈએના કાઉન્ટર-ઇન્ટેલિજન્સ સ્ટાફ દ્વારા ઑસ્વાલ્ડ પર નજર રાખવામાં આવી રહી હતી, વર્ષ 1959માં ઑસ્વાલ્ડની ફાઇલ ખુલ્લી જે નવેમ્બર-1963માં બંધ થઈ હતી. તેની ઉપર નજર રાખનારાઓમાં જૅમ્સ ઍંગ્લટન પણ હતા, જેઓ આગળ જતાં સીઆઈએના ડાયરેક્ટર પણ બન્યા.
પ્રો. થૉમસ વ્હેલનના કૅનેડી હત્યાકાંડના અભ્યાસુ છે. વૉરન કમિશનના રિપોર્ટને ટાંકતા તેઓ કહે છે કે 'વર્ષ 1959માં સ્વઘોષિત માર્ક્સવાદી ઑસ્વાલ્ડે તત્કાલીન સોવિયેટ સંઘની મુલાકાત લીધી. ઑસ્વાલ્ડે સોવિયેટ સંઘના નાગરિકત્વ માટે અરજી કરી હતી અને વર્ષ 1962 સુધી ત્યાં જ નિવાસ કર્યો હતો.'
'કૅનેડીની હત્યાના બે મહિના પહેલાં સપ્ટેમ્બર-1963માં ઑસ્વાલ્ડે મૅક્સિકો સિટી ખાતે ક્યૂબા અને રશિયાની ઍમ્બેસીની મુલાકાત લીધી હતી. શું ત્યાં ઑસ્વાલ્ડે સોવિયેટ કે ક્યુબાના ગુપ્તચર અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી? શું તેમણે હત્યા માટે ઑસ્વાલ્ડને લીલીઝંડી આપી હતી? મિસાઇલ સંકટને કારણે ક્યૂબાના ફિડલ કાસ્ત્રો પાસે કૅનેડીની હત્યા માટે ચોક્કસ કારણ હતું.'
કૅનેડી પછી લિંડન બી જૉન્સન અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા. તેમણે કૅનેડીની હત્યાના એક અઠવાડિયા પછી સમગ્ર ઘટનાક્રમ વિશે તપાસ કરવા માટે વૉરન કમિશનની નિમણૂક કરી.
એક વર્ષની અંદર જ સપ્ટેમ્બર-1964માં તેમણે પોતાનો અહેવાલ આપ્યો, જે 26 વૉલ્યુમનો છે.
અહેવાલના નિષ્કર્ષ મુજબ, ઑસ્વાલ્ડ દ્વારા દક્ષિણ-પશ્ચિમમાં આવેલી ટૅક્સાસ સ્કૂલ ડિપૉઝિટરીમાં છઠ્ઠા માળેથી ગોળીબાર કરવામાં આવ્યો હતો. લી તથા રૂબિ કોઈ રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય કાવતરામાં સંડોવાયેલા હોય તેવા કોઈ પુરાવા કમિશનને મળ્યા ન હતા.
વર્ષ 1968માં ચાર તબીબોની પૅનલે વૉરન કમિશન દ્વારા જે નિષ્કર્ષ રજૂ કરવામાં આવ્યા તેને અનુમોદન આપ્યું.
એક એવી થિયરી વહેતી થઈ હતી કે ખુદ અમેરિકાની જ ગુપ્તચર સંસ્થા સૅન્ટ્રલ ઇન્ટેલિજન્સ ઍજન્સીએ તેના રાષ્ટ્રપતિની હત્યા કરાવી હતી. વર્ષ 1975માં રૉકફિલર કમિશને "સીઆઈએની સંડોવણી અંગે વિશ્વસનીય પુરાવા ન હોવાનું" ઠેરવીને આ થિયરી પર પૂર્ણવિરામ મૂકવાનો પ્રયાસ કર્યો હતો.
આ સિવાય એક કરતાં વધુ શખ્સોએ ગોળીબાર કર્યો હોવાની થિયરી પણ વહેતી થઈ હતી.
વર્ષ 1979માં 'હત્યાકાંડ વિશેની હાઉસ સિલેક્ટ કમિટી' વૉરન કમિશનનાં મોટાં ભાગનાં તારણોને અનુમોદન આપ્યું છતાં ઉમેર્યું કે, "બે બંદૂકધારીઓએ રાષ્ટ્રપતિ કૅનેડી તરફ ગોળીઓ છોડી, તેની બહુ વધુ સંભાવના છે."
કૅનેડી તથા તેમના હત્યાકાંડ વિશે 40 હજાર કરતાં વધુ પુસ્તક લખાયાં છે, જે કદાચ પુસ્તકાલય નહીં તો તેના અનેક કબાટને ભરી દેવા માટે પૂરતાં છે.
આગળ પણ જેમ-જેમ સૅનેટ દ્વારા વર્ષ 1992માં આર્કાઇવ કરી દેવાયેલા લાખો દસ્તાવેજ સાર્વજનિક થતાં જશે, તેમ નવી વિગતો અને કદાચ પુસ્તકો બહાર આવતી રહેશે.
વર્ષ 2017ના એક સર્વેમાં લગભગ 61 ટકા અમેરિકનોએ મત વ્યક્ત કર્યો હતો કે કૅનેડીની હત્યામાં એક કરતાં વધુ લોકો સંડોવાયેલા હતા અને આગામી વર્ષોમાં સર્વે થશે તો પણ કદાચ જ અલગ તારણ હશે.












