ઇઝરાયલ-ઈરાન વચ્ચેના વેરની એ આગ જે આખા મધ્યપૂર્વને દઝાડી રહી છે

ઇમેજ સ્રોત, Reuters
- લેેખક, મહમૂદ અલ નગ્ગર
- પદ, બીબીસી અરબી
ઇઝરાયલ અને પેલેસ્ટાઇનના સંગઠન હમાસ વચ્ચેના યુદ્ધને કારણે મધ્યપૂર્વ એશિયામાં તણાવ વધી ગયો છે. હવે, આ સંઘર્ષમાં ઈરાન તથા તેના પ્રૉક્સી પણ સામેલ થઈ ગયા છે.
7 ઑક્ટોબરે હમાસ દ્વારા ઇઝરાયલ ઉપર હુમલો કરાયો હતો. ઈરાને આ હુમલામાં તેની સંડોવણીનો ઇન્કાર કર્યો, સાથે જ હમાસ વિરૂદ્ધ ઇઝરાયલની કાર્યવાહીનું સમર્થન પણ ન કર્યું.
પોતાની ઉપરના હમાસના હુમલાને ઇઝરાયલે 'ડિવૅસ્ટૅટિંગ અર્થક્વૅક' એટલે કે વિનાશકારી ભૂકંપ જેવો ગણાવ્યો હતો.
હજી સુધી ઈરાને ઇઝરાયલ સાથે સીધો સંઘર્ષ ટાળ્યો છે, પરંતુ પ્રત્યક્ષ રીતે તથા અપ્રત્યક્ષ સંગઠનો મારફત યહૂદી રાષ્ટ્ર તેના નિશાન પર રહ્યું છે.
ઈરાન દ્વારા લેબનોના હિઝબુલ્લાહ, યમનના હૂતી તથા ઇરાકનાં અનેક શસ્ત્રજૂથોને 'પ્રતિકારની ધરી' (ઍક્સિસ ઑફ રૅઝિસ્ટ્ન્સ) તરીકે ઓળખવામાં આવે છે. આમાંથી અનેક સમૂહોને અમેરિકા, બ્રિટન તથા અન્ય કેટલાક દેશ આતંકવાદી સંગઠન માને છે.
હિઝબુલ્લાહની ભૂમિકા

ઇમેજ સ્રોત, Getty Images
ગાઝામાં ચાલી રહેલા સશસ્ત્ર સંઘર્ષને લીધી ઇઝરાયલ તથા હિઝબુલ્લાહ વચ્ચેનો તણાવ વકરી ગયો છે. હમાસના હુમલાના ગણતરીના કલાકો બાદ 8 ઑક્ટોબરે હિઝબુલ્લાહે ઇઝરાયલના શેબા ફાર્મ્સ વિસ્તારમાં હુમલા કર્યા હતા અને આગલા દિવસે હમાસે કરેલી કાર્યવાહીને પોતાનો ટેકો જાહેર કર્યો હતો.
શેબા ફાર્મ્સમાં થયેલા હુમલાનું વેર વાળવા ઇઝરાયલની સેનાએ હિઝબુલ્લાહના ટેન્ટ્સને ટાર્ગૅટ કર્યા હતા. જોકે, લેબનાનનું કહેવું હતું કે ઇઝરાયલી સેનાએ કરેલી કાર્યવાહીમાં તેના નાગરિક ઘાયલ થયા હતા.
હૂતી વિદ્રોહીઓનો મોરચો
ગાઝાની લડાઈને એકાદ મહિના જેવો સમય થયો હતો કે યમનના હૂતી વિદ્રોહીઓ પણ ઇઝરાયલ સામેની લડાઈમાં સામેલ થઈ ગયા. 14મી નવેમ્બરે હૂતી નેતા અબ્દુલ મલિકે સ્પષ્ટપણે જાહેરાત કરી કે તેમના સંગઠન દ્વારા રાતા સમુદ્રમાંથી પસાર થતાં ઇઝરાયલી કંપનીઓનાં જહાજોને નિશાન બનાવવામાં આવશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હૂતીના હુમલાઓની અસર વૈશ્વિક વ્યાપાર ઉપર પણ પડી. સંભવિત હુમલાને ટાળવા માટે ઇઝરાયલ તરફની સફર ખેડી રહેલાં તમામ જહાજોને હજારો કિલોમીટર લાંબો બીજો રૂટ લેવાની ફરજ પડી.
ડિસેમ્બર-2023માં હૂતીઓએ બે ઇઝરાયલી જહાજો ઉપર હુમલા કરવાનો દાવો કર્યો. હૂતી વિદ્રોહીઓએ દાવો કર્યો હતો કે એ જહાજોએ તેના નૌકાદળ દ્વારા આપવામાં આવેલી ચેતવણીઓને અવગણી હતી.
હૂતીઓએ એક જહાજના ઇઝરાયલી માલિકને પણ પોતાના કબજામાં લઈ લીધો હતો. ચાલુ વર્ષે જાન્યુઆરી મહિનામાં હૂતી વિદ્રોહીઓએ બ્રિટનના એક ઑઇલ ટેન્કર ઉપર મિસાઇલથી હુમલો કર્યો હતો, એ પછી અમેરિકાએ યમનમાં હવાઈ હુમલા કર્યા હતા.
હૂતી વિદ્રોહીઓએ દાવો કર્યો હતો કે અમેરિકા તથા બ્રિટનનાં વિમાનોએ પશ્ચિમ યમનના અલ હુદૈદાહમાં રાસ ઇસ્સા તેલક્ષેત્રને ટાર્ગૅટ કર્યું હતું. આ વિસ્તાર દરિયાઈ વ્યવહારની સુરક્ષા માટે બનાવવામાં આવેલા આંતરરાષ્ટ્રીય સંગઠનનો હિસ્સો હતો.
લેબનાનમાં ઇઝરાયલની કાર્યવાહી

ઇમેજ સ્રોત, Reuters
2 જાન્યુઆરીએ ઇઝરાયલે લેબનાન ઉપર હવાઈ હુમલા કર્યા, જેમાં હમાસના બીજા ક્રમાંકના નેતા તથા વેસ્ટબૅન્કમાં હમાસના નેતા સાલેહ અલ-અરૌરીનું મોત થયું. ઇઝરાયલના કહેવા પ્રમાણે સાલેહ અલ-અરૌરી હમાસ તથા હિઝબુલ્લાહ વચ્ચે કડીરૂપ હતા.
આ ઘટનાના થોડા દિવસ બાદ હિઝબુલ્લાહએ ઇઝરાયલના મેરોન ઍરબૅઝને નિશાન બનાવીને લગભગ 40 રૉકેટ છોડ્યાં. આ કાર્યવાહીને અલ-અરૌરીની હત્યાના જવાબમાં હાથ ધરવામાં આવેલી 'પ્રારંભિક કાર્યવાહી' ગણાવી.
8 જાન્યુઆરીએ ઇઝરાયલે ફરી હવાઈ હુમલા કર્યા, જેમાં હિઝબુલ્લાહના રદવાન ફૉર્સના ડેપ્યુટી કમાન્ડર વિસામ અલ-તાવિલનું મૃત્યુ થયું. તેમને મેરોન ઍરબૅઝ ઉપર થયેલા હુમલાનું કાવતરું રચવાના આરોપી માનવામાં આવે છે.
ઇરાકી મિલિશિયા ઉપર આઈઆરજીસીનું પ્રભુત્વ ?

ઇમેજ સ્રોત, Getty Images
જાન્યુઆરી મહિનાના અંતભાગમાં સીરિયાની સરહદ પાસે ઉત્તર-પૂર્વ જૉર્ડનમાં 'ટાવર 22' તરીકે ઓળખાતા અમેરિકાના સૈન્યમથક ઉપર ડ્રોન હુમલો કર્યો હતો. જેમાં અમેરિકાના ત્રણ સૈનિક માર્યા ગયા હતા, જ્યારે 34 અન્ય ઘાયલ થયા હતા.
જૉર્ડનનું કહેવું હતું કે આ હુમલો તેની સીમામાંથી નહોતો થયો, પરંતુ સીરિયામાંથી થયો હતો.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને આ હુમલાની ટીકા કરી અને સીરિયા-જૉર્ડનમાં સક્રિય ઈરાનસમર્થિત આતંવાદી જૂથોને આ હુમલા માટે જવાબદાર ઠેરવ્યાં. સાથે જ આ હુમલા માટે જવાબદાર સમૂહોને પાઠ ભણાવવાની વાત પણ કહી.
પાછળથી કતાઇબ હિઝબુલ્લાહ તથા ઇરાકના મિલિશિયાએ આ હુમલાની જવાબદારી લીધી. અમેરિકાનું કહેવું છે કે આ ઇરાકી મિલિશિયા ઈરાનના ઇસ્લામિક રિવૉલ્યુશન ગાર્ડ કૉરની (આઈઆરજીસી) ઓથમાં કામ કરે છે.
જોકે, ઇરાકી મિલિશિયા ઉપર ઈરાનનું કેટલું પ્રભુત્વ છે, તેના વિશે સ્પષ્ટપણે કંઈ કહી શકાય એમ નથી. આ હુમલા માટે જવાબદાર સંગઠનોને પોતાનું સમર્થન હોવાની વાતનો ઈરાને ઇન્કાર કર્યો હતો.
ઇઝરાયલ સાથે ટક્કર ટાળતું ઇરાન

ઇમેજ સ્રોત, Getty Images
એક તરફ ઈરાન દ્વારા ઇઝરાયલના અસ્તિત્વને જ નકારવામાં આવે છે, તો બીજી બાજુ તેની સાથે પ્રત્યક્ષ સંઘર્ષને ટાળતું રહે છે.
એપ્રિલ મહિનાની શરૂઆતમાં ઇઝરાયલે સીરિયાના દમાસ્કસ ખાતે ઈરાની કૉન્સ્યુલેટ ઉપર હુમલો કર્યો, જેમાં બ્રિગેડિયર જનરલ મહમદ રેઝા જાહેદી સહિત આઈઆરજીસીના અનેક અધિકારીઓનાં મૃત્યુ થયાં હતાં.
એ જ મહિનાના અંતમાં ઇઝરાયલને તાંકીને ઈરાને ડ્રોન તથા ક્રૂઝ મિસાઇલ્સ છોડ્યાં. આ ઇઝરાયલ ઉપર તેનો પહેલો સીધો હુમલો હતો. ઈરાને નેગેવમાં ઇઝરાયલના હવાઈમથકને પણ નિશાન બનાવવાનો દાવો કર્યો.
ઇઝરાયલની સેનાએ દાવો કર્યો હતો કે મોટા ભાગની મિસાઇલોને ઇઝરાયમાં પ્રવેશતા પહેલાં જ અટકાવી દેવામાં આવી હતી.
અન્યત્ર વકરવાની આશંકા
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ચાલુ વર્ષે જૂન મહિના અંત તથા જુલાઈના શરૂઆતી સમયમાં હિઝબુલ્લાહ તથા ઇઝરાયલ વચ્ચેનો તણાવ વકરી ગયો હતો. જેના કારણે હિઝબુલ્લાહે તેના હુમલાઓને વધુ આક્રમક બનાવ્યા. આમ કરવા જતાં તેના અનેક લડવૈયા મૃત્યુ પામ્યા.
7મી જુલાઈના રોજ હિઝબુલ્લાહે મેરૉન સહિત ઇઝરાયલના ઉત્તરભાગમાં આવેલા ઍરબૅઝ ઉપર ભારે રૉકેટમારો કર્યો. જુલાઈ મહિનાના અંતભાગમાં ઇઝરાયલના તાબા હેઠળના ગોલાન હાઇટ્સમાં ફૂટબૉલ રમી રહેલા 12 બાળકો સહિત કેટલાક યુવાનો રૉકેટહુમલામાં મૃત્યુ પામ્યાં.
હિઝબુલ્લાહએ આ હુમલાની જવાબદારી લેવાનો ઇન્કાર કરી દીધો. આ પછી ઇઝરાયલે લેબનોનમાં આવેલા હિઝબુલ્લાહના સાત ઠેકાણા ઉપર હવાઈહુમલા કરીને જવાબ આપ્યો.
ઈરાનસમર્થિક હૂતી વિદ્રોહીઓ તથા ઇઝરાયલ વચ્ચે જુલાઈ મહિનામાં સીધો ટકરાવ થયો હતો. ઇઝરાયલે યમનમાં હૂતી વિદ્રોહીના કબજા હેઠળના એક બંદર ઉપર હુમલા કર્યા હતા. આ બંદર રાતા સમુદ્રમાં આવેલુ છે.
ઇઝરાયલની કાર્યવાહીમાં નવ લોકો મૃત્યુ પામ્યા તથા 80 વધુ ઘાયલ થયા. એક દિવસ પહેલાં જ તેલ અવીવમાં ડ્રોન હુમલો થયો હતો, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું, જ્યારે આઠથી વધુ ઘાયલ થયા હતા.
જુલાઈ મહિનામાં જ વધુ બે હત્યાઓ થઈ. પહેલા તો હિઝબુલ્લાહના મિલિટરી કમાન્ડર ફુઅદ શકૂર બૈરુતમાં હતા, ત્યારે હવાઈહુમલો થયો હતો. આ ઘટનાના ગણતરીના કલાકોમાં ઈરાનના નવા રાષ્ટ્રપતિની તાજપોશીમાં સામેલ થવા પહોંચેલા હમાસના નેતા ઇસ્માઇલ હાનિયાનું મૃત્યુ થયું. જોકે, ઇઝરાયલે તેની પણ જવાબદારી સ્વીકારી ન હતી.
આ ઘટનાઓને કારણે એવી ચર્ચાઓએ વેગ પકડ્યો છે કે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે લાંબા સમયથી પ્રવર્તમાન તણાવ મોટા પાયે સીધી ટક્કરનું સ્વરૂપ ધારણ ન કરી લે. જેની અસર સમગ્ર વિસ્તારમાં જોવા મળશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન














