અમેરિકા થઈને કેનેડામાં ગેરકાનૂની રીતે પ્રવેશવું 25 માર્ચ પછી અઘરું બની જશે

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, મેડલાઇન હાલપર્ટ
- પદ, બીબીસી ન્યૂઝ, ન્યૂ યૉર્ક
અમેરિકા અને કેનેડા વચ્ચે એક સમજૂતિ થઈ છે જેને લીધે હવે શનિવાર 25 માર્ચથી અમેરિકા થઈને કેનેડામાં અને કેનેડા થઈને અમેરિકામાં ગેરકાયદેસર ઘુસવું મુશ્કેલ થઈ જશે.
અમેરિકા અને કેનેડાએ બિનસત્તાવાર સરહદી ક્રૉસિંગ પર આશ્રય ઇચ્છુકોની શરણ મેળવવાની માગણી અને દાવા ખારિજ કરવા મુદ્દેની સમજૂતી કરી હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.
અમેરિકાના પ્રમુખ જો બાઇડનની કેનેડામાં ઓટ્ટાવાની મુલાકાત વખતે કેનેડાના વડા પ્રધાન જસ્ટીન ટ્રૂડો સાથે તેઓ એ સમજૂતી કરી હોવાની જાહેરાત કેનેડાના વડા પ્રધાનની ઓફિસ (પીએમઓ) દ્વારા કરવામાં આવી છે.
સમજૂતીને કારણે બંને દેશોની સરહદો પર બંને બાજુથી એકબીજાની સરહદમાં ઘુસીને શરણ માગતા માઇગ્રન્ટ્સના દાવા ફગાવી દેવા માટે અધિકારીઓને સત્તા મળશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમેરિકા તરફથી કેનેડામાં આવતા માઇગ્રન્ટ્સની સંખ્યામાં પણ વધારો થયો છે.
બીબીસી અમેરિકાના પાર્ટનર સીબીએસ ન્યૂઝને અમેરિકાના અધિકારીઓએ જણાવ્યા પ્રમાણે રૉક્સહામ રોડથી પ્રવેશતા માઇગ્રન્ટ્સનાં પ્રવાહને અકુંશમાં લેવાના લક્ષ્યના ભાગરૂપે આ સમજૂતી થઈ છે. કેનેડાના શહેર ક્યૂબૅક અને અમેરિકાના શહેર ન્યૂ યૉર્ક વચ્ચેનું આ એક બિનસત્તાવાર સરહદી ક્રોસિંગ છે.
આ સમજૂતીના ભાગરૂપે કેનેડા 15 હજાર માઇગ્રન્ટ્સ માટે નવો રૅફ્યૂજી પ્રોગ્રામ પણ તૈયાર કરશે જેઓ દક્ષિણ અને મધ્ય અમેરિકામાં અત્યાચાર અને હિંસાને લીધે ભાગી રહ્યા છે.

2004ના સેફ થર્ડ કન્ટ્રી એક્ટમાં શું સુધારો થયો?

ઇમેજ સ્રોત, Reuters
જો બાઇડને તેમની કેનેડાની મુલાકાત દરમિયાન વડા પ્રધાન જસ્ટીન ટ્રુડો સાથે આર્થિક, વેપાર અને ઇમિગ્રેશન મુદ્દાઓ પર બેઠક કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જો બાઇડન અમેરિકા પરત ત્યારે આ સમજૂતીની જાહેરાત કરવામાં આવી છે.
બંને દેશો વચ્ચેના 2004ના સેફ થર્ડ કન્ટ્રી એક્ટમાં સુધારો કરાયો છે જે આ સમજૂતીનો મુખ્ય ભાગ છે. જેમાં માઇગ્રન્ટ્સ જ્યાં પ્રથમ 'સુરક્ષિત' દેશમાં પહોંચે ત્યાં શરણ માટે દાવો કરે એવી જરૂર રહેતી હતી, તે પછી અમેરિકા હોય કે કેનેડા.
આ કાયદામાં જે છીંડા હતા એને લીધે કેનેડામાં બિનસત્તાવાર ક્રોસિંગ પૉઇન્ટ્સથી પ્રવેશતા માઇગ્રન્ટ્સને પરત મોકલી નહોતા શકાતા. એ છીંડા બંધ કરવા માટે આ નવી સમજૂતી કરવામાં આવી છે.
કાયદાની આ છટકબારીનો લાભ લઈને હજારોની સંખ્યામાં માઇગ્રન્ટ્સ કેનેડાની રોક્સહામ રોડ જેવી જગ્યાઓથી અમેરિકાતી કેનેડામાં પ્રવેશી જતા હતા. ગત સપ્તાહે ન્યૂ યૉર્ક શહેરના સત્તાધિશોએ કહ્યું કે તેઓ કેનેડા સાથેની અમેરિકાની સરહદથી પ્રવાસ કરવા માટે માઇગ્રન્ટ્સને મફતમાં બસની ટિકિટ આપશે.

આ સમજૂતી તરત જ અલમમાં આવી જશે

ઇમેજ સ્રોત, Reuters
અમેરિકા-કેનેડા સરહદ મામલે વાટાઘાટો ઘણા મહિનાઓથી સ્થગિત હોવાના અહેવાલ હતા. અમેરિકાના અધિકારીઓ કાયદામાં ફેરફાર કરવા તૈયાર નહોતા કારણ કે યુએસ-મૅક્સિકો સરહદે અમેરિકા ખુદ માઇગ્રન્ટ્સ સંકટનો સામનો કરી રહ્યું હતું.
બાઇડન પ્રશાસને અમેરિકાની મૅક્સિકો સાથેની સરહદ પાસે શરણ માગનારા માઇગ્રન્ટ્સ સામે કાર્યવાહી કરવાનું પણ સૂચવ્યું હતું. જેથી કોરોના પછી મે મહિનામાં અંકુશો દૂર કરાયા બાદ શરણ માગનારા માઇગ્રન્ટ્સ માટે દાવો કરવો મુશ્કેલ થઈ જાય.
પણ માનવાધિકાર જૂથો દ્વારા આ સૂચનની ઘણી ટીકા થઈ હતી.
નવો યુએસ-કેનેડા કરાર તરત જ અમલમાં આવી જશે કેમકે તેના અમેરિકી સંસદની મંજૂરી લેવાની જરૂરી નથી.
જસ્ટીન ટ્રૂડો પણ કહી ચૂક્યા છે કે રોક્સહામ રોડ સરહદ પર માઇગ્રન્ટ્સના પ્રવેશની સમસ્યા દૂર કરવા એટલે કે ગેરકાનૂની સરહદી પ્રવેશ રોકવા માટે સેફ થર્ડ કન્ટ્રી એક્ટ ફરીથી તૈયાર કરવો જરૂરી છે.














