પીએમ મોદીના અમેરિકા પ્રવાસ પહેલાં ટ્રમ્પ ભારતને કેમ ઝાટકા આપી રહ્યા છે?

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકામાં જ્યારે નવેમ્બરમાં થયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પની જીત થઈ ત્યારે ભારત પાસે નિરાશ થવાનું એક પણ કારણ ન હતું.
નવેમ્બરના બીજા અઠવાડિયામાં ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે તો ત્યાં સુધી કહ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બનવાથી ઘણા દેશો ચિંતામાં છે પણ ભારત આમાંથી બાકાત છે.
જયશંકરે એ પણ કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સારા સંબંધો છે અને આ ભારત માટે સારું છે.
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખૂબ ઉમળકાથી ટ્રમ્પને જીતના અભિનંદન પાઠવ્યા હતા. ત્યાં સુધી કહેવામાં આવી રહ્યું હતું કે ચીનની નિકાસ પર અમેરિકા ટેરિફ લગાવશે તો એનો ફાયદો ભારતને થશે. પરંતુ અમેરિકાએ બુધવારે પોતાના લશ્કરી વિમાન દ્વારા 104 ભારતીયોને જે પ્રકારે દેશનિકાલ કર્યા તે અંગે સવાલો ઊઠી રહ્યા છે.
આ 104 ભારતીયોમાંથી ઘણાએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું છે કે તેમને હાથ-પગમાં હાથકડી અને સાંકળથી બાંધીને ભારત લઈ આવવામાં આવ્યા હતા.
સમાજવાદી પાર્ટીના સાંસદ રાજીવ રાયે બુધવારે કહ્યું, "અબ કી બાર ટ્રમ્પ સરકારના નારા લગાવતા પીએમ મોદીએ કહેવું જોઈએ કે ભારતનું આ રીતે અપમાન કેમ થઈ રહ્યું છે? અમેરિકા લશ્કરી વિમાન દ્વારા કોલંબિયાના લોકોને મોકલી રહ્યું હતું, પરંતુ કોલંબિયાએ આનો વિરોધ કર્યો, જ્યારે બીજી તરફ ભારતે કોઈ વાંધો ઉઠાવ્યો ન હતો."
ભારતીયોને સેનાના વિમાન દ્વારા મોકલવા સામે વાંધો કેમ નહીં?

ઇમેજ સ્રોત, Getty Images
વ્યૂહાત્મક બાબતોના નિષ્ણાત બ્રહ્મા ચેલ્લાની માને છે કે ભારતે અમેરિકાને ભારતીયોને માનવીય રીતે પાછા મોકલવા અને ગુનેગારોની જેમ હાથકડી ન પહેરાવવાનું કહેવું જોઈતું હતું.
"મૅક્સિકો અને કોલંબિયાએ તેમના નાગરિકોને લશ્કરી વિમાનોમાં હાથકડી પહેરાવીને મોકલવાનો વિરોધ કર્યો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બ્રહ્મા ચેલાની ઍક્સ પર લખ્યું,"'કોલંબિયાએ તો પોતાનું વિમાન પણ મોકલ્યું. પરંતુ ભારતે માત્ર હાથકડી પહેરેલા ભારતીયોને લશ્કરી વિમાનમાં સ્વીકાર્યા જ નહીં, પરંતુ ગેરકાયદેસર ઇમિગ્રેશનનો સામનો કરવા માટે ભારત અને અમેરિકા વચ્ચે સહયોગ ખૂબ જ મજબૂત હોવાની બડાઈ પણ મારી."
આ સમગ્ર મુદ્દા પર, એસ. જયશંકરે ગુરુવારે સંસદમાં કહ્યું કે કાયદેસર ઇમિગ્રેશનને પ્રોત્સાહન આપવું અને ગેરકાયદેસર હિલચાલ બંધ કરવી બંને દેશોના હિતમાં છે.
જયશંકરે કહ્યું, "ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સાથે ઘણી અન્ય ખોટી બાબતો પણ જોડાયેલી છે. ત્યાં લોકો ખરાબ રીતે ફસાયેલા હતા અને અમાનવીય પરિસ્થિતિમાં કામ કરી રહ્યા હતા. બધા દેશોની ફરજ છે કે તેઓ પોતાના નાગરિકોને પાછા લે. પાછા મોકલવાની પ્રક્રિયા નવી નથી, પરંતુ વર્ષોથી ચાલી રહી છે. અમે યુએસ સરકાર સાથે વાત કરી રહ્યા છીએ કે જેમને પાછા મોકલવામાં આવી રહ્યા છે તેમની સાથે ફ્લાઇટમાં અમાનવીય વર્તન ન થવું જોઈએ."
યુનાઇટેડ સ્ટેટ્સ બૉર્ડર પેટ્રોલના ચીફ માઇકલ ડબલ્યુ. બૅંક્સે ઍક્સ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ભારતીયોના હાથ-પગ સાંકળથી બંધાયેલા છે.
આ વીડિયો સાથેની તેમની પોસ્ટમાં, બૅંક્સે લખ્યું, "ભારતમાંથી ગેરકાયદેસર વિદેશીઓને સફળતાપૂર્વક દેશનિકાલ કરવામાં આવ્યા છે. અમે ઇમિગ્રેશન નિયમો પ્રત્યે પ્રતિબદ્ધ છીએ. જો તમે ગેરકાયદેસર રીતે આવો છો, તો તમને આ રીતે પાછા મોકલવામાં આવશે."
બ્રહ્મા ચેલ્લાની માને છે કે ટ્રમ્પે સ્પષ્ટ કરી દીધું છે કે તેમને માત્ર ભારત સાથે વેપારથી મતલબ છે.
ચેલાનીએ ઍક્સ પર લખ્યું, "ટ્રમ્પના આમંત્રણ પર, પીએમ મોદી આવતા અઠવાડિયે વ્હાઇટ હાઉસ જઈ રહ્યા છે અને બીજી તરફ, અમેરિકાએ તેના લશ્કરી વિમાન દ્વારા ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સના પહેલા જૂથને પરત મોકલી દીધું છે. તેનો સંદેશ સ્પષ્ટ છે - ટ્રમ્પનો અર્થ વ્યવસાય છે. ટ્રમ્પ હવે ભારત સાથે પોતાના પક્ષમાં વધુ સોદા કરશે પણ મોદી ત્યાંથી શું પાછું લાવશે?"
ટ્રમ્પને લઈને ભારતનું આકલન કેવું?

ઇમેજ સ્રોત, Getty Images
અગાઉ, ભારતના વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ સંસદમાં કહ્યું હતું કે ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદીને આમંત્રણ મળે એ માટે એસ. જયશંકરને અમેરિકા મોકલવામાં આવ્યા હતા.
આના જવાબમાં જયશંકરે કહ્યું હતું કે, "રાહુલ ગાંધી જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે. જયશંકરે કહ્યું હતું કે શક્ય છે કે રાહુલ ગાંધી રાજકીય લાભ માટે જાણી જોઈને ખોટું બોલી રહ્યા હોય પરંતુ આનાથી વિદેશમાં ભારતની છબી ખરડાશે."
જો આપણે આ રાજકીય મુદ્દાઓને બાજુ પર રાખીએ તો પણ, 20 જાન્યુઆરીએ ટ્રમ્પના શપથ ગ્રહણ પછી જે બન્યું તે ભારતના તરફેણમાં હોય તેવું લાગતું નથી.
નરેન્દ્ર મોદી આવતા અઠવાડિયે અમેરિકા જઈ રહ્યા છે અને વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળશે. પરંતુ મોદીની મુલાકાત પહેલા ટ્રમ્પે ઘણા મુદ્દાઓ પર ભારતની ચિંતા વધારી છે.
ભારત ઈરાનમાં ચાબહાર બંદર બનાવી રહ્યું છે જેથી પાકિસ્તાનને બાયપાસ કરીને અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સાથે વેપાર કરી શકાય. બીજી તરફ, ટ્રમ્પ વહીવટીતંત્ર ઈરાન પર મહત્તમ દબાણની રણનીતિ અપનાવી રહ્યું છે.
ટ્રમ્પે પોતાના પહેલા કાર્યકાળમાં ઈરાનમાં ચાબહાર બંદર બનાવવા માટે છૂટ આપી હતી પરંતુ હવે તેની સમીક્ષા કરવાની ચર્ચા થઈ રહી છે.
ઈરાન પર 'મહત્તમ દબાણ' અંગે વ્હાઇટ હાઉસ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'જે કોઈ ઈરાનને કોઈપણ રીતે આર્થિક લાભ આપે છે એમને પ્રતિબંધોમાંથી મળેલી છૂટછાટમાં કાં તો બદલાવ આવશે અથવા રદ કરવામાં આવશે.'
જેમાં ઈરાનનું ચાબહાર બંદર પણ શામેલ છે.
અમેરિકાના આ વલણ પર ભારતના ભૂતપૂર્વ વિદેશ સચિવ કંવલ સિબ્બલે લખ્યું છે કે,"પહેલાં ટ્રમ્પ વિશે આશાવાદી વાતાવરણ હતું કે ભારતને અન્ય લોકોની સરખામણીમાં અમેરિકા સાથે સંબંધો વધારવામાં મદદ મળશે, પરંતુ હવે એવું લાગતું નથી."
ટ્રમ્પ વહીવટીતંત્ર બધી બાજુએ પ્રભુત્વ બતાવી રહ્યું છે. અમેરિકાની નવી સરકારમાં અમારા મિત્રો છે પરંતુ જે નીતિઓ બનાવવામાં આવી રહી છે તે નિયમોની વિરુદ્ધ છે. અમેરિકા હવે ચાબહાર પર આપવામાં આવેલી છૂટછાટો પર નિશાન સાધી રહ્યું છે. આ આપણા માટે એક આંચકો છે અને આપણી વ્યૂહાત્મક સ્વાયત્તતા માટે એક મુશ્કેલ કસોટીનો સમય છે.
ટ્રમ્પ રશિયાના સંબંધો મામલે શું કરશે?

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકન મીડિયા આઉટલેટ બ્લૂમબર્ગે લખ્યું, "ભારત પહેલાથી જ અમેરિકા સાથે સંમત થઈ ગયું હતું કે તે દસ્તાવેજ વગરના ભારતીયોને પાછા લાવવામાં મદદ કરવા તૈયાર છે. સ્વાભાવિક છે કે આ મામલે ભારત સરકારને પણ નીચાજોણું થશે."
અમેરિકાથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને લઈને જતી દરેક ફ્લાઇટમાં આ પ્રશ્ન ઉઠશે: મોદી સરકારે રોજગારની તકો ક્યાં ઊભી કરી છે? વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ છોડવા માટે ઘણા ભારતીયો કેમ આતુર માટે છે? શું ભારતમાં તેમના માટે કોઈ નોકરીની તકો નથી?"
બ્લૂમબર્ગે લખ્યું છે કે, "મોદી સરકારે અમેરિકાને ખુશ કરવાનું શરૂ કરી દીધું છે. ગયા અઠવાડિયે શનિવારે, ભારતનું વાર્ષિક બજેટ રજૂ કરવામાં આવ્યું હતું અને ઘણાં ઉત્પાદનો પર આયાત ડ્યૂટીમાં ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી હતી."
બ્લૂમબર્ગ માને છે કે ભારત રશિયા પાસેથી તેલની આયાત મર્યાદિત કરી શકે છે.
બ્લૂમબર્ગે તેની વેબસાઇટ પર લખ્યું, "આ બધાના બદલામાં, ભારત કેટલીક છૂટછાટો માંગશે. જેમ કે અમેરિકામાં ગૌતમ અદાણી સામે ચાલી રહેલા કાનૂની કેસને સ્થગિત કરવો. આ સાથે, ભારત ઇચ્છશે કે અમેરિકા ફરીથી ભારત પર તેની ધરતી પર કોઈ અમેરિકનની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ ન લગાવે."
થિંક ટૅન્ક ધ વિલ્સન સેન્ટર ખાતે સાઉથ એશિયા ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર માઇકલ કુગેલમૅને લખ્યું છે, "ટ્રમ્પ ભારતને 'ટેરિફ કિંગ' તરીકે જુએ છે, પરંતુ તેમણે હજુ સુધી કોઈ નવા ટેરિફની જાહેરાત કરી નથી."
આ કદાચ એટલા માટે છે કારણ કે ભારત ટ્રમ્પને સારી રીતે સમજે છે.
ટ્રમ્પે યુએસ રાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળતાની સાથે જ ભારતે ટેરિફ ઘટાડવાનો સંકેત આપ્યો હતો અને બિનદસ્તાવેજી ભારતીયોને પાછા લાવવા માટે પણ અનુમતિ આપી હતી. ભારતે પણ અમેરિકાથી તેલ આયાત કરવાનો સંકેત આપ્યો છે.
કુગેલમૅને લખ્યું, "અન્ય દેશોએ ટ્રમ્પ પ્રત્યે આવા કોઈ સંકેતો પાસ કર્યા ન હતા અને તેમને ટેરિફનો સામનો કરવો પડ્યો. ભારત આ મુદ્દા પર ટ્રમ્પ સાથે મુશ્કેલીમાં પડવા માંગતું નથી. આનો અર્થ એ નથી કે ભારતને ટ્રમ્પ વહીવટીતંત્ર તરફથી નવા પડકારોનો સામનો કરવો નહીં પડે. અમેરિકાની ઈરાન નીતિ ભારતના ચાબહાર પ્રોજેક્ટને પણ અસર કરશે. આવનારા સમયમાં વધુ સમસ્યાઓ આવશે."
એવું કહેવામાં આવી રહ્યું છે કે ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન ભારતને રશિયા સાથેના ઉષ્માપૂર્ણ સંબંધોમાં પણ મુશ્કેલી આવશે.
જોકે, ભારત રશિયા પાસેથી લશ્કરી પુરવઠા પરની તેની નિર્ભરતા ઘટાડી રહ્યું છે. અમેરિકા હવે ભારત પર રશિયા પાસેથી તેલ ખરીદી ઘટાડવા અને અમેરિકા પાસેથી તેલ ખરીદી વધારવા માટે દબાણ લાવી શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન















