ગુજરાત: સાપ કરડવાનો હોય ત્યારે શું સંકેત આપે, કેવો અવાજ કાઢે?

સાપ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, પારસ જ્હા
    • પદ, બીબીસી સંવાદદાતા

એક બાજુ મધરાતે જન્માષ્ટમીની ઉજવણી થઈ રહી હતી બીજી બાજુ સુરેન્દ્રનગરના મફતિયાપરામાં પોતાના ઘરમાં સૂતેલા 17 વર્ષના વિપુલને અચાનક હાથમાં કંઈક ભોંકાતું હોય તેવું લાગ્યું. ઊંઘમાંથી ઊઠી ગયેલા વિપુલને લાગ્યું કે હાથમાં પહેરેલી લકીનો હૂક વાગ્યો હશે. તે પાછો સૂઈ ગયો. પણ થોડી જ વારમાં વિપુલના માતાએ તેની પથારીમાં જ સાપ જોયો અને બધાને બોલાવ્યા. વિપુલને સારવાર માટે હૉસ્પિટલ પહોંચાડવામાં લગભગ અઢી-ત્રણ કલાક લાગ્યા. અને સારવારના થોડાક જ સમય બાદ વિપુલનું મૃત્યુ થઈ ગયું.

આ ઘટના વર્ષ 2023ની છે, પરંતુ દર ચોમાસે આવી ઘટનાઓ બનતી રહે છે.

ચોમાસામાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં સાપ કરડવાની (સર્પદંશની) ઘટનાઓમાં વધારો થાય છે. સર્પદંશના કારણે ઝડપથી યોગ્ય સારવાર ન મળે તો મૃત્યુ થવાની સંભાવનાઓ વધી જાય છે.

ચોમાસામાં સર્પદંશ થવા પાછળ સર્પ વિશેષજ્ઞો ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી ઉપરાંત સાપનાં ઈંડાંમાંથી બચ્ચાં નીકળવાના સમયને કારણભૂત માને છે.

ગુજરાતમાં જોવા મળતી લગભગ 60થી 62 જેટલી પ્રજાતિઓમાંથી માત્ર ચાર સાપના દંશ મનુષ્યો માટે જીવલેણ સાબિત થઈ શકે છે.

જોકે, સર્પદંશ થાય ત્યારે એક મિનિટનો પણ સમય બગાડ્યા વિના તાત્કાલિક સારવાર મળી જાય તો જીવ બચાવી શકાય છે.

સર્પ વિશેષજ્ઞોના મતે જો સર્પદંશની સારવાર કરાવવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થાય તેના કરતાં ખૂબ જ સરળ ઉપાયો કરવાથી સાપને કરડતા અટકાવી શકાય છે. તેમાં પણ જો સાપના વર્તન વિશેની સમજણ કેળવવામાં આવે તો સાપ અને મનુષ્ય બન્નેને નુકસાનથી બચાવી શકાય છે.

બીબીસી ગુજરાતી

ગુજરાતમાં જોવા મળતા ચાર ઝેરી સાપ કયા છે અને તેને કેવી રીતે ઓળખવા?

ફૂરસો (સો સ્કેલ્ડ વાઇપર)

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ફૂરસો (સો સ્કેલ્ડ વાઇપર)

ગુજરાત સહિત ભારતમાં સર્પદંશથી થતા સૌથી વધુ મૃત્યુ પાછળ મુખ્યત્વે ચાર ઝેરી સાપ કારણરૂપ હોય છે.

જેમાં નાગ (ઇન્ડિયન કોબ્રા), કાળોતરો (ઇન્ડિયન ક્રેટ), ખડચિતળો (રસેલ્સ વાઇપર) અને ફૂરસો (સો સ્કેલ્ડ વાઇપર)નો સમાવેશ થાય છે.

કાળોતરો - ઇન્ડિયન ક્રેટ

ઈન્ડિયન ક્રેટ ભારતમાં જોવા મળતી સાપની ચાર મુખ્ય ઝેરી પ્રજાતિ પૈકીની એક છે. ક્રેટની કેટલીક પેટા જાતિઓ પણ છે. એ પૈકીની ત્રણ ભારતમાં જોવા મળે છે.

તેમાં સાદા ક્રેટ,પટ્ટાવાળા ક્રેટ અને કાળા ક્રેટનો સમાવેશ થાય છે. આ પ્રકારની સાપની લંબાઈ દોઢ મીટર સુધીની હોય છે. તેના માથાથી પૂંછડી સુધીમાં ભીંગડાંની સંખ્યા ઉત્તરોત્તર ઘટતી જાય છે.

ખડચિતળો - રસેલ્સ વાઇપર

આ સાપ અજગર જેવો દેખાય છે. તેથી ઘણા લોકોને જેના વિશે ગેરસમજ થાય છે. તેના શરીર પર ત્રણ સમાંતર સાંકળ જેવી રેખાઓ હોય છે અને તેનું મોં દેડકા જેવું હોય છે. તેના ફૂંફાડાનો અવાજ મરઘીના બચ્ચાના અવાજ જેવો હોય છે. આ સાપનું ઝેર અત્યંત ખતરનાક હોય છે.

સાપ

ફૂરસો અથવા પૈડકું - સો-સ્કેલ્ડ વાઇપર

આ ઝેરી સાપ ભારત દેશમાં લગભગ દરેક જગ્યાએ જોવા મળે છે. તેનો રંગ ભૂરો, આછો પીળો કે રેતી જેવો હોય છે. પીઠની બન્ને બાજુ નિસ્તેજ સફેદ રેખા હોય છે. આ સાપનું કદ ટૂંકું હોય છે, પરંતુ તેનું ઝેર ખતરનાક હોય છે.

નાગ - કોબ્રા

આ સૌથી ઝેરી સાપમાંથી એક છે. કોબ્રાનો રંગ કાળો તથા ઘેરા બદામી રંગ સુધીના વિવિધ રંગોમાં જોવા મળે છે.

તે જ્યારે ફેણ ફૂલાવે ત્યારે ફેણમાં ચશ્મા અથવા ત્રિશુળ જેવો આકાર જોવા મળે છે. ઘણી વખત આવો આકાર જોવા ન મળે અને માત્ર ફેણ જ ચડાવેલો સાપ હોય તો તે પણ કોબ્રા અથવા નાગ જ હોય છે.

તે ગુજરાત સહિત ભારતનાં મોટા ભાગનાં રાજ્યોમાં જોવા મળે છે. તે ઝાડી-ઝાંખરા, જંગલ અને માનવ વસાહતોની નજીક પણ જોવા મળે છે.

બીબીસી ગુજરાતી

સાપ ક્યારે કરડે?

સર્પદંશ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

છેલ્લાં 38 વર્ષથી માનવ વસાહતોમાં આવી ગયેલા સાપને બચાવવાનું અને સાપ વિશે લોકજાગૃતિનું કામ કરતા ગાંધીનગરના સર્પપ્રેમી કર્મશીલ ધર્મેન્દ્ર ત્રિવેદી કહે છે, “આપણે સાપથી ડરવાની જરૂર નથી, કારણ કે સાપ આપણાથી (મનુષ્યોથી) ડરતા હોય છે. એટલું જ નહીં સાવચેતી રાખવાથી અને સાપના વર્તનની સમજણ કેળવવાથી પણ સર્પદંશથી બચી શકાય છે.”

તેમણે વધુમાં કહ્યું, “ઝેર એ સાપ માટે શિકાર કરવાનું હથિયાર છે, જેનો ઉપયોગ તે ખોરાક માટે પોતાના શિકાર પર કરે છે. એટલે સાપનું ઝેર સાપ માટે ઉપયોગી હોય છે અને તે તેનો ખૂબ જ કરકસરપૂર્વક ઉપયોગ કરે છે. જો તેની પાસે બચવાનો બીજો કોઈ ઉપાય ન હોય ત્યારે જ તે પોતાના બચાવના આખરી ઉપાય તરીકે મનુષ્યને કરડે છે. સાપને છંછેડો નહીં અને એની હાજરીથી તમે ગભરાઈ ન જાવ તો તે શાંતિથી તમારા પગ પરથી પણ સરકી જશે.”

ધર્મેન્દ્ર ત્રિવેદીએ ઊમેર્યું કે “માણસને ક્યારે કરડે એનું અવલોકન કરીએ તો આપણે જાણી શકીએ કે શિયાળો એ સાપ માટે શીતનિદ્રાનો સમયગાળો છે એ સમયે તે દરમાં સૂતા જ રહે છે. ત્યારબાદ એ ઉનાળામાં શીતનિદ્રામાંથી બહાર આવે છે અને એ સમયગાળો તેમના પ્રજનનનો અને ઈંડાં મૂકવાનો હોય છે.”

તેમણે ઉમેર્યું, “ચોમાસામાં એ ઈંડાંમાંથી સાપનાં બચ્ચાં જન્મે છે. ચોમાસું એ સાપ અને તેમના બચ્ચાં માટે આગામી શિયાળાની શીતનિદ્રાની તૈયારી કરવાનો સમયગાળો છે. વળી ચોમાસામાં જ દેડકાં, ઉંદર, જીવડાં, ગરોળી વગેરે જીવજંતુઓ અને પ્રાણીઓ જે સાપનો ખોરાક છે તે સરળતાથી મળી રહે છે એટલે સાપ તેમને શોધતા-શોધતા માણસોના ઘરમાં કે તેની આસપાસ પહોંચી જાય છે.”

સાપની વર્તણૂક વિશે વાત કરતા જબલપુરસ્થિત સર્પવિજ્ઞાની (હર્પેટોલૉજિસ્ટ) વિવેક શર્મા કહે છે, “મોટા ભાગે ગ્રામ્ય વિસ્તારોમાં જ સર્પદંશની ઘટનાઓ થતી જોવા મળે છે. તેમનું વિશ્લેષણ કરીએ તો જાણવા મળે છે કે ઘરમાં જે સ્થળોએ અંધારું કે ઓછો પ્રકાશ હોય જેમ કે, રસોડું, સ્ટોર રૂમ કે બેડ રૂમ જેવી જગ્યાઓમાં સર્પદંશ થાય છે. આ ઉપરાંત જે જગ્યામાં સાપનો ખોરાક બને તેવા જીવજંતુઓ રહેતા હોય, જેમ કે ઘરનો ભંગાર ભેગો થયો હોય ત્યાં, કચરાની જગ્યામાં, ગરોળી, દેડકાં કે ઉંદર હોવાની શક્યતા વધુ રહે છે આથી એવી જગ્યાઓમાં અથવા ઘાસની ગંજી ગોઠવી હોય તેવાં સ્થાનોએ સાપ કરડવાનો ભય વધુ રહે છે.”

તેમણે વધુમાં કહ્યું, “તમે સાપને ઘરમાં રૂમની વચ્ચેથી પસાર થતા ભાગ્યે જ જોયો હશે. સાપને અંધારી અને ઓછા પ્રકાશવાળી જગ્યાઓ વધારે પસંદ પડે છે. તેઓ આવાં સ્થાનોમાં શરણ શોધતા આવી ચડે છે.”

બીબીસી ગુજરાતી

સાપ કરડતા પહેલાં ચેતવણી આપે છે, કાળોતરા સિવાય!

ખડચિતળો (રસેલ્સ વાઇપર)

ઇમેજ સ્રોત, getty

ઇમેજ કૅપ્શન, ખડચિતળો (રસેલ્સ વાઇપર)

“કાળોતરાને ગુજરાતમાં ‘મીંઢો સાપ’ કહેવામાં આવે છે.”

આમ કહેતા ધર્મેન્દ્ર ત્રિવેદી જણાવે છે, “કાળોતરો ક્યારે કરડે, એ નક્કી કરવું અઘરું છે. બાકી બીજા ત્રણ ઝેરી સાપ – નાગ, ફૂરસો અને ખડચિતળો એ કરડતાં પહેલાં ચેતવણી આપે છે. જેમ કે નાગ ઊંચો થઈને ફેણ બતાવે છે, ખડચિતળો ફૂંફાડા મારે છે અને ફૂરસો પોતાના ભીંગડાં ઘસીને કરવતથી કાપણી થતી હોય તેવો અવાજ કાઢે છે. જો તમને આ ત્રણ સાપના વર્તનના આવા સંકેતો સમજણ પડે તો તમે તમારી જાતને બચાવી શકો છો. પરંતુ કાળોતરો આવી કોઈ ચેતવણી નથી આપતો અને એ સીધો દંશ દઈ દે છે.”

તેમણે વધુમાં કહ્યું, “સામાન્ય રીતે કાળોતરા સિવાયના સાપ દિવસરાત ગમે ત્યારે જોવા મળે અને કરડી શકે. પણ કાળોતરો મોટા ભાગે રાત્રે જ બહાર નીકળે અને કરડે છે.”

ધર્મેન્દ્ર ત્રિવેદીની આ વાત સાથે વિવેક શર્મા પણ સહમત થાય છે.

તેમનું કહેવુ છે, “ક્રેટ (કાળોતરો) નોક્ટર્નલ એટલે કે રાત્રે જ ફરતો સાપ છે અને તે સાંજથી મોડી રાત સુધીના સમયમાં જ ફરતો જોવા મળે છે. બાકીના વાઇપર પ્રજાતિના સાપ (ખડચિતળો, ફૂરસો વગેરે) મોટે ભાગે ઘરને બદલે ખેતરો અને બાંધકામ ચાલતું હોય તેવાં સ્થળોએ વધુ જોવા મળે છે, કારણ કે તેમણે પોતાની આસપાસના પરિવેશના આધારે તેના રંગોમાં અનુરૂપ બનીને (કૅમૉફ્લૅઝ કરીને) એવી રીતે સંતાઈ જવાનું હોય છે કે તેને સરળતાથી શોધી કે ઓળખી ન શકાય અને તે પોતાના શિકાર પર નજર પણ રાખી શકે અને તક મળે ત્યારે હુમલો પણ કરી શકે.”

બીબીસી ગુજરાતી

સાપ કરડે ત્યારે તેના ઝેરની શરીરમાં કેવી અસર થાય?

હેમાંગ દોશી

ઇમેજ સ્રોત, hemang doshi

ઇમેજ કૅપ્શન, હેમાંગ દોશી

ચાર પ્રકારના સાપના ઝેરની અસર શરીરના બે જુદાં જુદાં તંત્રો પર પડે છે.

આ વિશે વાત કરતા ધ્રાંગધ્રામાં છેલ્લાં 20 વર્ષથી સારવાર આપી રહેલા સિનિયર ઇન્ટેન્સિવિસ્ટ ડૉ. હેમાંગ દોશીએ કહ્યું, “કોબ્રા અને કાળોતરા સાપનું ઝેર ન્યૂરોટૉક્સિક હોય છે અને ખડચિતળા અને ફૂરસાનું ઝેર હિમેટોટૉક્સિક હોય છે. ન્યૂરોટૉક્સિક ઝેર શરીરના ચેતાતંત્ર પર અસર કરે છે અને દર્દીમાં લકવાની અસર, શ્વાસ લેવામાં તકલીફ પડવી જેવાં લક્ષણો જોવાં મળે છે. જ્યારે હિમેટોટૉક્સિક ઝેરની અસર શરીરના રૂધિરાભિસરણતંત્રમાં થાય છે એટલે કે આ ઝેર લોહીમાં ભળી જાય છે અને શરીરના આંતરિક ભાગોમાં હેમરેજ (લોહીની નળીઓ ફાટવી) થવા લાગે છે.”

તેમણે વધુમાં કહ્યું, “નાગ કરડે ત્યારે તેના ઝેરની અસર શરીર પર 10-15 મિનિટમાં જ દેખાવા લાગે છે. જ્યારે 30-45 મિનિટમાં એ ઝેરની તીવ્રતાની અસર સૌથી વધુ થઈ જાય છે. કાળોતરો સાપ કરડે તો તેના ઝેરની અસર દેખાવામાં દોઢથી બે કલાક થાય છે અને ચારથી છ કલાકમાં તેની તીવ્રતા સૌથી વધુ થઈ જાય છે. જ્યારે ફૂરસા અને ખડચિતળા સાપની અસર તરત નથી દેખાતી. તેમાં સાપ કરડવાની જગ્યાએ સોજો આવી જવો અને તીવ્ર દુખાવો થવાનાં લક્ષણો જોવાં મળે છે.”

બીબીસી ગુજરાતી

સાપ કરડે તો શું કરવું અને શું ન કરવું?

ધર્મેન્દ્ર ત્રિવેદી

ઇમેજ સ્રોત, Dharmendra Trivedi

ઇમેજ કૅપ્શન, ધર્મેન્દ્ર ત્રિવેદી

ધમેન્દ્ર ત્રિવેદીને સાપને બચાવવા જતાં 2008માં નાગે (કોબ્રા)એ ડંખ માર્યો હતો.

તેમણે કહ્યું, “સાપના દાંત ઇન્જેક્શન જેવા હોય છે. આપણે સ્નાયુમાં, નસમાં અને ચામડીનાં બે પડની વચ્ચે એમ ત્રણ રીતે ઇન્જેક્શન લઈએ છીએ. સાપનું ઝેર પણ આ ત્રણ રીતે જ શરીરમાં પ્રવેશે છે. જ્યારે પણ સાપ કરડે ત્યારે એક પણ મિનિટનો પણ વિલંબ કર્યા વિના સરકારી હૉસ્પિટલે અથવા અનુભવી ડૉક્ટર પાસે સારવાર માટે પહોંચી જવું. ક્યારેય પણ કોઈ ભૂવા કે મંદિરે સાપનું ઝેર ઉતારવાની વિધિ માટે ન જવું. એ અંધશ્રદ્ધા છે.”

તેમણે ઉમેર્યું “મને કોબ્રા અને ખડચિતળો એમ બન્ને પ્રકારના સાપ કરડી ચૂક્યા છે, પરંતુ હું મને સાપ કરડ્યાની દસમી મિનિટે હૉસ્પિટલમાં દાખલ થઈ ગયો હતો. એને કારણે મને યોગ્ય સારવાર મળી અને હું બચી શક્યો. સાપને બચાવનારાને જ સાપ કરડે એ ગૌરવની વાત નથી. સાપ તો એની પ્રકૃતિ પ્રમાણે જ વર્તે છે, સ્નેક રેસ્ક્યુઅર તરીકે અમે યોગ્ય પ્રક્રિયાઓનું પાલન ન કરીએ તો સાપ કરડી શકે.”

ડૉ. દોશીએ કહ્યું, “હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ 108 જેવી ઍમ્બ્યુલન્સની સુવિધાઓને કારણે ઝડપથી નજીકના ડૉક્ટર પાસે સારવાર માટે પહોંચી શકાય છે. હવે સાપને મારીને સાથે લઈ આવવાની જરૂર ન પડે તેવી દવાઓ મળે છે. આવી એન્ટિવૅનમ દવાઓમાં ચારેય પ્રકારના ઝેરી સાપના ઝેરની અસર દૂર કરતી દવાઓ હોય છે.”

બીબીસી ગુજરાતી

સાપ કરડે ત્યારે...

  • સાપના ડંખની જગ્યાને સાબુવાળા પાણીથી સાફ કરી નાખવી.
  • લોહીનું પરિભ્રમણ ધીમું કરવા ડંખની જગ્યાથી એક વેંત ઉપર એક આંગળી જેટલો ગાળો રાખીને પાટો બાંધવો
  • શક્ય તેટલું ઝડપથી એમડી ફિઝિશિયન ડૉક્ટર પાસે કે સિવિલ હૉસ્પિટલમાં પહોંચવું

શું ન કરવું?

  • ક્યારેય પણ ચુસ્ત પાટો ન બાંધવો (એમ કરવાથી શરીરનો એ ભાગ કાપવાની નોબત આવી શકે છે.)
  • સાપ કરડ્યા પછી શરીરનું વધુ હલનચલન ના કરવું ( એમ કરવાથી શરીરમાં ઝેર ઝડપથી ફેલાઈ શકે છે. )
બીબીસી ગુજરાતી

સર્પદંશ બાદ જીવ બચવો શક્ય છે

સાપ

ઇમેજ સ્રોત, Getty Images

સુરેન્દ્રનગરમાં જન્માષ્ટમીના દિવસે જ સર્પદંશથી અવસાન પામેલા વિપુલના ભાઈ સાગર કોળીએ કહ્યું, “મારા ભાઈને 12 કે 12:30ની આસપાસ સાપે ડંખ માર્યો હતો. અમને એના એક કલાક પછી ખબર પડી. જ્યારે તેને શ્વાસ ચડવા લાગ્યો ત્યારે અમે તેને ડૉક્ટર પાસે લઈ ગયા. હૉસ્પિટલે પહોંચવામાં જ અમને અઢીથી પોણા ત્રણ કલાક જેટલો સમય લાગ્યો, જેને કારણે ડૉક્ટરે સારવાર કર્યા પછી પણ મોડું થઈ ગયું હોવાને કારણે તેને બચાવી ન શકાયો.

જોકે, સમયસર સારવાર મળી જાય તો જીવ બચાવી પણ શકાય છે.

ધ્રાંગધ્રાથી 20 કિલોમીટર દૂર આવેલા કૌંડ ગામના કૈલાસનગરમાં રહેતા લાલાભાઈ ભાટિયા કહે છે, “મારો ભત્રીજો કાનજી ભાટિયા 19-20 વર્ષનો જ છે. તેના પિતા અને તે અનાજ કરિયાણાની દુકાન ચલાવે છે. એને તેના કાઉન્ટરની નીચે છુપાયેલો કોબ્રા કરડી ગયો હતો. પરંતુ તેનો ડંખ લાગતા જ તેને ખબર પડી ગઈ અને અમે તેને તાત્કાલિક સારવાર માટે લઈ ગયા. ધ્રાંગધ્રાથી અમે 10 કિલોમીટર દૂર હતા ત્યારે તે બેભાન થઈ ગયો હતો. પરંતુ અમે તેને ઝડપથી હૉસ્પિટલે પહોંચાડી દીધો અને યોગ્ય સારવાર બાદ એ ચાર-પાંચ દિવસમાં જ સ્વસ્થ થઈ ગયો હતો.”

તેમણે ઉમેર્યું, “અમારી એ ભૂલ થઈ ગઈ હતી કે અમને ખબર નહોતી એટલે અમે તેને પાણી પીવડાવ્યું હતું, જે અમારે નહોતું પીવડાવવાનું. જોકે હવે એ સંપૂર્ણ સ્વસ્થ ગઈ ગયો છે.”

બીબીસી ગુજરાતી

સાપ કરડે જ નહીં તેના માટે શું કરવું?

નાગ (ઇન્ડિયન કોબ્રા)

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નાગ (ઇન્ડિયન કોબ્રા)

વિવેક શર્માનું માનવું છે કે સાપ કરડે ત્યારે તેની સારવાર કરવાને બદલે જે વિસ્તારમાં સાપ નીકળવાની શક્યતા હોય ત્યાં રહેતા લોકોએ એવી સરળ ટેવો પાડવી જોઈએ કે તેઓ સાપનો ડંખ લાગવાથી બચી શકે.

તેમણે કહ્યું, “ખુલ્લામાં કે પછી ઘરમાં ઊંઘતા લોકોએ બારેમાસ પલંગની ફરતે મચ્છરદાની લગાવીને જ ઊંઘવું જોઈએ. મચ્છરદાની માત્ર મચ્છરથી જ નહીં સર્પદંશથી પણ બચાવે છે. આ એક સહેલો અને સરળ ઉપાય છે, પરંતુ અસરકારક છે.”

વિવેકે વધુમાં જણાવ્યું, “અંધારી કે ઓછા પ્રકાશવાળી ઘરની કે બહારની જગ્યાઓમાં જતાં પહેલાં હાથમાં ટૉર્ચ લઈને પ્રકાશ નાખીને બરાબર ચકાસી લેવું. તિજોરીની પાછળ કે ગૅસના બાટલાની પાછળ કે પછી ગોદડું મૂકવાનાં ડામચિયાં જેવી પોલાણવાળી જગ્યાએ હાથ નાખતા પહેલાં તેને હલાવીને, થોડો ખખડાટ કરીને અને બરાબર જોઈ લેવું.”

તેમણે ઉમેર્યું, “ખેતરમાં કે ઘાસનાં મેદાનો કે બગીચામાં જાવ ત્યારે બૂટ પહેરીને જાવ અને ઝાડી-ઝાંખરાંમાં કોઈ વસ્તુ પડી ગઈ હોય તો જોયા તપાસ્યા વિના તેમાં હાથ ના નાખો. આ બધું કરવા માટે કોઈ વિશેષ ખરીદી કે કોઈ વિશેષ તૈયારીની જરૂર નથી. માત્ર થોડી સાવચેતીથી જ સર્પદંશથી બચી શકાય છે.”

બીબીસી ગુજરાતી

ભારતમાં શું છે સર્પદંશની ઘટનાઓની સ્થિતિ?

પ્રિયંકા કદમ

ઇમેજ સ્રોત, priyanka kadam

ઇમેજ કૅપ્શન, પ્રિયંકા કદમ

મુંબઈસ્થિત પ્રિયંકા કદમ સર્પદંશની સારવાર અને તેના વિશે વૈશ્વિક કક્ષાએ જાગૃતિ માટે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ)ના વર્કિંગ ગ્રૂપમાં કામ કરી ચૂક્યાં છે અને હાલમાં તેઓ સ્નેકબાઇટ હીલિંગ ઍન્ડ એજ્યુકેશન ઇન્ડિયા (એસએચઈ-ઇન્ડિયા) સંગઠનનાં સ્થાપક સભ્ય છે.

તેમણે કહ્યું, “સર્પદંશ એક તાત્કાલિક અને સઘન મેડિકલ સારવાર માગતી સ્થિતિ છે. દુર્ભાગ્યે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (પીએચસી) અને સામૂદાયિક આરોગ્ય કેન્દ્રો (સીએચસી)માં એન્ટિવૅનમ (સર્પદંશની) સારવાર માટે યોગ્ય માળખાકીય સુવિધાઓ અને તાલીમબદ્ધ સ્ટાફની ખાલી જગ્યાઓ હોવાને કારણે દર્દીઓને ઘણી વખત દૂરના અંતરે આવેલી હૉસ્પિટલોમાં મોકલી દેવામાં આવે છે, જે આખરે દર્દીના મૃત્યુ અથવા શારીરિક વિકલાંગતામાં પરિણમે છે.”

તેમણે વધુમાં કહ્યું, “સર્પદંશની સારવારને રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમ (નેશનલ હેલ્થ પ્રોગ્રામ)માં સમાવેશ કરવાની તાકીદની જરૂરિયાત છે. તેનાથી આરોગ્ય સંભાળ માટેની સુવિધાઓ માટે બજેટની જોગવાઈ થઈ શકશે અને આશા કાર્યકર્તાઓ (એક્રેડિટેડ સોશિયલ હેલ્થ ઍક્ટિવિસ્ટ – આશા)ને પણ વળતર આપી શકાશે, આરોગ્યસેવાના કર્મચારીઓની તાલીમ અને ક્ષમતાવર્ધન થઈ શકશે, સામુદાયિક જાગૃતિના કાર્યક્રમો દ્વારા સર્પદંશને રોકી શકાશે અને હૉસ્પિટલમાં પ્રસૂતિ માટે જે પ્રકારે લાભ આપવામાં આવે છે તે જ પ્રકારે સર્પદંશની સારવાર લેનાર દર્દીઓને પણ લાભ આપી શકાશે.”

તેઓ કહે છે કે આ પ્રકારના પગલાથી સર્પદંશ સાથે સંકળાયેલી રૂઢિગત માન્યતાઓ, અંધવિશ્વાસ અને સદીઓ જૂના રિવાજોને તથા પરંપરાગત સારવાર પદ્ધતિઓને ખસેડીને મેડિકલ સારવાર તરફ વાળી શકાશે.

(આ અહેવાલમાં સુરેન્દ્રનગરથી બીબીસીના સહયોગી સચીન પીઠવાના ઇનપુટ્સ મળેલા છે)

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી