તમારા ઘરમાં સાપ ઘૂસી જાય તો શું કરવું?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, મુરુગેશ કડકન્નુ
- પદ, બીબીસી તામિલ
હું નાનો હતો ત્યારે અમારા ઘરની આજુબાજુ ઘણાં વૃક્ષો હતાં. એક સાંજની વાત છે. જમતી વખતે વીજળી જતી રહી. અંધારામાં બાકીનું ભોજન પતાવીને હું વાસણ ધોવા સામેના નળ પાસે ગયો. એ જ પળે પાંચ ફૂટ લાંબો એક સાપ ત્રણ ફૂટ ઊંચી દિવાલ પાર કરીને અમારા ઘરમાં આવી ગયો.
ઝાંખા ચંદ્રપ્રકાશમાં સાપની જાડાઈ અને લંબાઈ સ્પષ્ટ દેખાતી હતી. તે ક્યા પ્રકારનો સાપ છે તેની મને ખબર નહોતી.
હું ભયથી થીજી ગયો. નળમાંથી પાણી વહેતું હતું. મારા હાથમાં એંઠી થાળી હતી. હું એ જ જગ્યાએ ઊભો હતો.
અંધકારમાં પણ મારી નજર પાણીના નળ પાસેના સાપ પર ટકેલી હતી. દિવાલ પાસેના ખૂણામાં નાળિયેર રાખવામાં આવ્યાં હતાં. સાપ સરકીને ત્યાં ચાલ્યો ગયો.
મારા જીવનમાં સાપ જોવાનો તે પહેલો અનુભવ હતો.

સાપનો ભય તેના વિનાશ તરફ દોરી જશે

ઇમેજ સ્રોત, Getty Images
સાપ શબ્દ સાંભળતાની સાથે જ ઘણા લોકો ધ્રૂજવા લાગે છે, પરંતુ વાસ્તવમાં માણસનો આ જ ડર સાપના લુપ્ત થવાનું મુખ્ય કારણ છે.
સાપની પ્રજાતિના સંરક્ષણ માટે દર વર્ષે 16 જુલાઈએ વર્લ્ડ સ્નેક ડે મનાવવામાં આવે છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા અનુસાર, દર વર્ષે આશરે 50 લાખ લોકોને સાપ કરડે છે. અભ્યાસ સૂચવે છે કે સર્પદંશ દર વર્ષે 81,000થી 1,38,000 લોકોનાં મોતનું કારણ બને છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સર્પદંશથી ભારતમાં સૌથી વધુ મૃત્યુ થાય છે. જુલાઈ-2020માં પ્રકાશિત એક અભ્યાસ અનુસાર, ભારતમાં 2000થી 2019 સુધીમાં 12 લાખ લોકો સર્પદંશને કારણે મૃત્યુ પામ્યા હતા.
પર્યાપ્ત તબીબી સુવિધાના અભાવ અને સર્પદંશનો ભોગ બનેલા લોકો દ્વારા કુદરતી ઉપાય અપનાવવામાં આવ્યા હોવાથી સર્પદંશના કુલ કેસોની સાચી સંખ્યા મેળવવી મુશ્કેલ છે.
સંશોધકો જણાવે છે કે મોટાભાગના લોકોનાં મૃત્યુ સાપ વિશેની જાગૃતિના અભાવે થાય છે.

ભારતમાં જોવા મળતા સાપની 300 પ્રજાતિમાંથી માત્ર 60 જ ઝેરી
ભારતમાં સાપની 300 પ્રજાતિ છે, પરંતુ તેમાંથી માત્ર 60 જ પ્રજાતિ ઝેરી છે. તેમાં પણ ચાર તો અત્યંત ઝેરી હોય છે.
ભારતીય ક્રેટ માનેર
ક્રેટ ભારતમાં જોવા મળતી સાપની ચાર મુખ્ય ઝેરી પ્રજાતિ પૈકીનો એક છે. માનેરની કેટલીક પેટા જાતિઓ પણ છે. એ પૈકીની ત્રણ ભારતમાં જોવા મળે છે.
તેમાં સાદા ક્રેટ,પટ્ટાવાળા ક્રેટ અને કાળા ક્રેટનો સમાવેશ થાય છે.
આ પ્રકારની સાપની લંબાઈ દોઢ મીટર સુધીની હોય છે.
તેના માથાથી પૂંછડી સુધીમાં ભીંગડાની સંખ્યા ઉત્તરોત્તર ઘટતી જાય છે.
રસેલ વાઇપર
આ સાપ અજગર જેવો દેખાય છે. તેથી ઘણા લોકોને જેના વિશે ગેરસમજ થાય છે.
તેના શરીર પર ત્રણ સમાંતર સાંકળ જેવી રેખાઓ હોય છે અને તેનું મોં દેડકા જેવું હોય છે.
તેના ફૂંફાડાનો અવાજ મરઘીનાં બચ્ચાના અવાજ જેવો હોય છે.
આ સાપનું ઝેર અત્યંત ખતરનાક હોય છે.

ઇમેજ સ્રોત, Getty Images
સો-સ્કેલ્ડ વાઇપર
આ ઝેરી સાપ ભારત દેશમાં લગભગ દરેક જગ્યાએ જોવા મળે છે.
તેનો રંગ ભુરો, આછો પીળો કે રેતી જેવો હોય છે.
પીઠની બન્ને બાજુ નિસ્તેજ સફેદ રેખા હોય છે. આ સાપનું કદ ટૂંકુ હોય છે, પરંતુ તેનું ઝેર ખતરનાક હોય છે.
કિંગ કોબ્રા
આ વિશ્વનો સૌથી મોટો ઝેરી સાપ છે. તે ગાઢ જંગલોમાં રહે છે અને મનુષ્યના સંપર્કમાં બહુ ઓછો આવે છે.
કિંગ કોબ્રાનો રંગ ઓલિવ ગ્રીન, ઘેરો બદામી અથવા કાળો હોય છે.
પેટ પર આછા પીળા, સફેદ ભીંગડા નરમ તથા એકસમાન હોય છે.
નાના કિંગ કોબ્રાની ઓળખ તેના કાળા શરીર પરની પ્લમેજ હોય છે.
કિંગ કોબ્રા સંપૂર્ણપણે વિકસિત થાય પછી તેનું માથું બહુ વજનદાર દેખાય છે.

માણસની બેદરકારી અને સાપની પ્રતિક્રિયાઓ

ઇમેજ સ્રોત, Getty Images
માણસો સામાન્ય રીતે સાપને ખતરનાક પ્રાણી ગણે છે. જોકે, પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે કાર્યરત કલિંગા ફાઉન્ડેશનના સંશોધન સંચાલક એસ આર ગણેશ જણાવે છે કે માણસો સાપથી ડરતા હોય છે અને મોટાભાગના સાપના મોત માટે માનવીય ક્રિયાઓ તથા બેદરકારી જવાબદાર હોય છે.
એસ આર ગણેશ કહે છે, “સાપ કાયમ માણસને સ્પર્શવા ઇચ્છતો નથી. છ ફૂટ લાંબા કોબ્રાનું મહત્તમ વજન એક કિલો હોઈ શકે. કલ્પના કરો કે 60-70 કિલો વજનની વ્યક્તિ તેના પર પગ મૂકે, ત્યારે શું થાય. એ સ્થિતિમાં સાપ બચાવ માટે પોતાના મોંનો ઉપયોગ શસ્ત્ર તરીકે કરે છે. તમે કુતરા પર પગ મૂકો તો તે પણ કરડે જ. સાપ પણ એવું કરે છે.”
“સામાન્ય રીતે આવું ખેતીની જમીનમાં થતું હોય છે. ખેડૂતો જમીનને ભગવાન માને છે. તેથી તેઓ ઉઘાડા પગે ખેતરમાં ચાલે ત્યારે તેમનો પગ અકસ્માતે સાપ પર પડી શકે છે,” એમ જણાવતાં તેઓ ઉમેરે છે, હકીકતમાં સાપ પણ માણસથી ડરતો હોય છે. તે પણ માણસથી દૂર રહેવા ઇચ્છતો હોય છે, પરંતુ તેના શરીર પર અકસ્માતે પણ પગ મૂકાઈ જાય ત્યારે તે પ્રતિકાર કરે છે.
સાપ ઘરમાં કેવી રીતે ઘૂસી જાય?
ગણેશના જણાવ્યા મુજબ, તમારા ઘરમાં સાપ પ્રવેશી જાય ત્યારે બારી-બારણાં ખુલ્લાં રાખો. તેને બહાર નીકળી જવાનો સમય આપો.
સાપ ઘરમાં પ્રવેશે પછી બારી-દરવાજા બંધ કરીને તેને લાકડી વડે મારવાનો પ્રયાસ કરવામાં આવે ત્યારે સાપની પાસે ખુદનો બચાવ કરવાનો, ડંખ મારવા સિવાય બીજો કોઈ વિકલ્પ હોતો નથી.
માનવ વસ્તી પાસેના સાપ પોતાની વિશેષતાઓને સારી રીતે જાણતા હોય છે, એમ જણાવતાં તેઓ કહે છે, “આપણે સાપને જોઈએ તે પહેલાં સાપે આપણને અનેક વખત જોયા હોય છે. સાપ કેટલાંક ઘરોમાં ઈંડાં મૂકીને સરકી જતા હોય છે. આ એક જ દિવસમાં બનતી ઘટના નથી. તેઓ દિવસભર એ વિસ્તારમાં રહેતા હોય છે અને માનવ હિલચાલ ક્યારે નથી હોતી તે જાણતા હોય છે.”
અભ્યાસમાં જોવા મળ્યું છે કે ભારતમાં 70 ટકા સર્પદંશ બિન-ઝેરી સાપના અને 30 ટકા ઝેરી સાપના હોય છે. એ જ રીતે ભારતમાં સર્પદંશની 90 ટકા ઘટનામાં ચાર ચોક્કસ પ્રકારના સાપ જ જવાબદાર હોય છે.
ઘણી વખત લોકો કોઈ પણ ઝેરી સાપને જીવલેણ ભારતીય કોબ્રા ગણવાની ભૂલ કરે છે. તેથી આ સાપના અસ્તિત્વ પર જોખમ સર્જાય છે.

સાપ ઘરમાં ઘૂસી જાય તો શું કરવું?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઉર્વનમ નામની સંસ્થા સાથે સંકળાયેલાં અને સાપને પકડવા તથા તેને બચાવવાનું કામ કરતા વિશ્વાના કહેવા મુજબ, સાપને જોઈને ડરવું ન જોઈએ.
વિશ્વા કહે છે, “કેટલાક લોકો ઘરમાં ઝેરી સાપને જુએ છે, ત્યારે તેઓ સાપને સરકી જવાના તમામ રસ્તા બંધ કરી દે છે. તેથી સાપ બહાર જઈ શકતો નથી. આવું કરવામાં આવે ત્યારે સાપ ઘરમાં જ ક્યાંક સંતાઈ જાય. તેને પકડવાનું મુશ્કેલ બની જાય.”
બાળપણમાં કોબ્રા સાથેના મારા પ્રથમ અનુભવમાં આવું બન્યું હતું. એ દિવસે હું ગભરાઈને જાગ્યો હતો. વડીલોએ મને થોડીવારમાં ઘર બહાર નીકળી જવા જણાવ્યુ હતું. એ પછી કોબ્રાને મારવા લાકડીઓ લઈને એકઠા થયેલા લોકોથી આખો રસ્તો ભરાઈ ગયો હતો.
સાપને બહાર નીકળવાના તમામ માર્ગ બંધ કરી દેવામાં આવ્યા હતા. ચારેકોર ભીડ હતી. વીજ પુરવઠો ફરી શરૂ થતાંની સાથે જ તમામ લાઇટ્સ ચાલુ કરી દેવામાં આવી હતી અને દરેક ખૂણામાં પ્રકાશ ઝળહળતો રહે તે રીતે લેમ્પ્સ ગોઠવી દેવાયા હતા.
એ વખતે એક યુવક બહાદુરી સાથે માત્ર હાથ વડે સાપને પકડવાનો પ્રયાસ કરતો હતો. તેની બહાદુરી જોઈને આશ્વર્ય થાય, પરંતુ એમ કરવું યોગ્ય નથી, એવું વિશ્વા જણાવે છે.
વિશ્વા કહે છે, “કેટલાક લોકો તાલીમ લીધા વિના સાપને પકડવાના પ્રયાસ કરતા હોય છે અને અકસ્માતે સર્પદંશને કારણે મૃત્યુ પામતા હોય છે. તેથી સાપ દેખાય ત્યારે શક્ય હોય ત્યાં સુધી તેની નજીક જવાનું ટાળવું જોઈએ. કેટલાક સ્થળે સાપ રહેતા હોય છે. એવી જગ્યાએ જતી વખતે લોકોએ સર્પમિત્રો તથા ફાયર બ્રિગેડના કર્મચારીઓને કાયમ સાથે રાખવા જોઈએ.”

સાપ ડંખ મારે તો શું કરવું?
સર્પદંશ પછી બેચેનીને કારણે તબિયત વધારે ખરાબ થાય છે, એમ જણાવતાં વિશ્વા કહે છે, “કેટલાક લોકો સાપે શરીરના જે હિસ્સામાં ડંખ માર્યો હોય તેની આજુબાજુના હિસ્સામાં ચુસ્ત કપડું કે દોરી બાંધી દે છે. આમ કરવાનું ટાળવું જોઈએ. એ ઉપરાંત સાપને મારવામાં સમય બગાડવાને બદલે સર્પદંશ થયો હોય તે વ્યક્તિને ઝડપથી ડૉક્ટર પાસે પહોંચાડવી જોઈએ. શક્ય તેટલી વહેલી તકે હૉસ્પિટલ પહોચવું જોઈએ.”
વિશ્વા ઉમેરે છે, “કેટલાક લોકોને નિરુપદ્રવી સાપે ડંખ માર્યો હોય તેવું પણ બને, પરંતુ સાપે ડંખ માર્યો એટલે મરી જ જઈશું. એવું વિનાકારણે વિચારવાને લીધે રક્તસ્રાવ વધી જાય છે અને તે મોતનું કારણ બને છે. તેથી સર્પદંશ થાય ત્યારે ગભરાવાનું ટાળવું જોઈએ. તમારી નજીકની વ્યક્તિને સાપે ડંખ માર્યો હોય તો તે પણ ગભરાય નહીં તેની તકેદારી લેવી જોઈએ.”
સાપને ટાળી ન શકાય, સર્પદંશને ટાળી શકાય
એસ આર ગણેશ કહે છે, “આજે આપણે જ્યાં રહીએ છીએ, તે ઠેકાણે અગાઉ પ્રાણીઓ રહેતાં હતાં. આપણે પ્રાણીઓના પ્રાકૃતિક આવાસમાં જઈને ઘર બાંધીએ છીએ. તેથી એવા સ્થળે સાપ આવશે જ એ આપણા પૂર્વજો સમજતા હતા.”
“ભારતમાં સાપની અનેક પ્રજાતિ લુપ્ત થવાના આરે છે. તેમના પ્રાકૃતિક નિવાસનો નાશ થયો છે. જો તેમાં સુધારો કરવો હોય તો લોકોએ સમજવું જોઈએ કે સાપનું અસ્તિત્વ માણસને ત્રાસ આપવા માટે નથી. સાપ અને મનુષ્યનું સહઅસ્તિત્વ શક્ય છે. અકસ્માત તો મોટરકારને લીધે પણ થાય છે. એ કારણે આપણે કારનો ઉપયોગ બંધ કરી દઈએ છીએ?”
અકસ્માતો કેવી રીતે ટાળી શકાય તેનો વિચાર કરવો જોઈએ. તમામ સાપને ખતમ કરી નાખવાનું વિચારી જ ન શકાય, કારણ કે તે શક્ય નથી. તમારે ફક્ત એટલું જ વિચારવાનું છે કે સાપના ડંખથી કેવી રીતે બચવું, એમ ગણેશ ભારપૂર્વક કહે છે.
મને લાગે છે કે મેં જે સાપ જોયો હતો એ પણ માણસથી બચવા માટે નાળિયેરની નીચે સંતાઈ ગયો હશે. તેને જોઈને હું ડર્યો ન હોત, શાંત બેઠો રહ્યો હોત તો તે ચૂપચાપ સરકી ગયો હોત.
તે દિવસે કોબ્રાની મનઃસ્થિતિ શું હતી અને તેણે જે કર્યું તે શા માટે કર્યું તે છેલ્લે સુધી જાણી શકાયું નહીં, કારણ કે બધા લોકોએ તેને ઘેરી લીધો હતો. બચવાની તક આપ્યા વગર તેને મારી નાખ્યો હતો.














