ચરબી ઓછી કરવા ઑપરેશન કરાવવાથી નુકસાન થાય કે નહીં?

ઇમેજ સ્રોત, Getty Images
નિકિતા અને રિદ્ધિમા (નામ બદલ્યું છે)એ તેમના શરીરને આકર્ષક અને સુડોળ બનાવવા માટે ગયા અઠવાડિયે ઑપરેશન કરાવ્યું.
તેમની ઉંમર 40 થી 45 વર્ષની વચ્ચે છે અને બંને ઑપરેશન માટે ત્રણ દિવસ સુધી હૉસ્પિટલમાં રહ્યાં હતાં.
તેમના શરીરમાં આવેલા બદલાવ બાદ બંને ખૂબ જ ખુશ છે.
તેમણે 360 ડિગ્રી લિપોસક્શન કરાવ્યું હતું. સામાન્ય ભાષામાં તેમણે તેમનાં શરીરની બધી બાજુઓમાંથી થોડી ચરબી દૂર કરાવી હતી. જેથી તેમના શરીરને આકર્ષક આકાર મળી શકે.
દિલ્હી-એનસીઆરથી આવેલી નિકિતા અને રિદ્ધિમાની જેમ તમને દેશ-વિદેશમાં એવી સેંકડો મહિલાઓ જોવા મળશે જે સુંદર અને આકર્ષક દેખાવા માટે આવી સર્જરી કરાવતી હોય છે.
પરંતુ તેની અસર એકતરફી હોય છે? એટલે કે આ પછી શરીર પર કોઈ આડઅસર કે પ્રતિકૂળ અસર નથી થતી?
ગયા વર્ષે કન્નડ ટેલિવિઝન અભિનેત્રી ચેતના રાજના બેંગલુરુની એક ખાનગી હૉસ્પિટલમાં મૃત્યુના સમાચાર સામે આવ્યા હતા.
તેમણે લોકપ્રિય કન્નડ ટેલિવિઝન સીરિયલ 'ગીતા' અને 'દોરાસ્વામી'માં કામ કર્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એવા અહેવાલો આવ્યા હતા કે ચેતના રાજે વજન ઘટાડવા માટે સર્જરી કરાવી હતી ત્યારબાદ તેમની તબિયત બગડી હતી.
બીબીસીએ તેના એક અહેવાલમાં માહિતી પણ આપી હતી કે વજન ઘટાડવાની સર્જરી બાદ સાત બ્રિટિશ નાગરિકોનાં મોત થયાં હતાં.
તો આ કેસમાં સૌથી વધુ ચર્ચિત મુદ્દો મેલિસા કેરનું મૃત્યુ હતો.
31 વર્ષીય મેલિસા કેરનું 2019માં તુર્કીના સૌથી મોટા શહેર ઇસ્તંબુલની એક ખાનગી હૉસ્પિટલમાં બટ-લિફ્ટ સર્જરી દરમિયાન મૃત્યુ થયું હતું.
2020માં ત્રણ બાળકોનાં માતા પણ તુર્કી જઈને લિપોસક્શન કરાવ્યું હતું પરંતુ પછી તેમનું મૃત્યુ થયું હતું.

શું તુર્કીમાં વધુ સર્જરીઓ થાય છે?

ઇમેજ સ્રોત, GOOGLE
શા માટે મહિલાઓ લિપોસક્શન માટે તુર્કીને પસંદ કરે છે?
તુર્કીના સ્વાસ્થ્ય મંત્રાલયે 2019માં USHAS નામની હેલ્થકેર કંપનીની શરૂઆત કરી હતી. તેમના મતે તાજેતરનાં વર્ષોમાં તુર્કી મેડિકલ ટુરિઝમનું હૉટસ્પૉટ બની ગયું છે.
તે દાવો કરે છે કે આરોગ્યસંભાળ સુવિધાઓ, નિષ્ણાત ડૉકટરો અને પરવડે તેવા તબીબી ખર્ચને લીધે તુર્કી આજે આરોગ્ય પર્યટનનું ટોચનું સ્થળ બની ગયું છે.
આ મુજબ વર્ષ 2022ના પ્રથમ છ મહિનામાં લગભગ છ લાખ લોકો સ્વાસ્થ્ય સુવિધાઓનો લાભ લેવા તુર્કી આવ્યા હતા.
ઇન્ટરનેશનલ સોસાયટી ઑફ ઍસ્થેટિક પ્લાસ્ટિક સર્જરીએ સ્તન વૃદ્ધિ, આંખની કીકીની સર્જરી, પેટની ટક, લિપોસક્શન અને નાકને ફરીથી આકાર આપવાની સર્જરીના સંદર્ભમાં તુર્કીને ટોચના દસ દેશોમાં સ્થાન આપ્યું છે. જેમાં સૌથી વધુ સંખ્યા મહિલાઓની હતી.
બીબીસીના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, તુર્કીમાં આ પ્રકારની સર્જરી કરાવવા માટે વૉટ્સઍપ પર મૅસેજ દ્વારા થોડીવારમાં સર્જરી બુક કરાવી શકાય છે.
બ્રિટનમાં લગભગ રૂ. 10 લાખનો ખર્ચ ધરાવતી સર્જરી તુર્કીમાં લગભગ રૂ. બે લાખમાં થાય છે.

આ સર્જરીને લઈને શું ચિંતાઓ છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બીબીસી દ્વારા પ્રકાશિત થયેલા એક લેખમાં કહેવામાં આવ્યું છે કે, આરોગ્ય અધિકારીએ મેલિસા કેરના મૃત્યુ અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે "મેલિસા કે અન્ય આવા લોકોને સર્જરી માટે વિદેશ જતા પહેલા યોગ્ય માહિતી આપવામાં આવતી નથી."
બ્રિટિશ સ્વાસ્થ્ય મંત્રી મારિયા કોફિલ્ડે કહ્યું કે, સરકાર આ મુદ્દાને ગંભીરતાથી લઈ રહી છે.
ભવિષ્યમાં આવા મૃત્યુને અટકાવવા અંગે નોર્ફોકના વરિષ્ઠ આરોગ્ય અધિકારી જેક્લીન લેક દ્વારા લખાયેલા અહેવાલના જવાબમાં કોફિલ્ડે જણાવ્યું હતું કે, આરોગ્ય અને સામાજિક સંભાળ વિભાગના અધિકારીઓ ટૂંક સમયમાં તુર્કીની મુલાકાત લેશે અને ત્યાંના તેમના સમકક્ષોને મળવા જશે.
બ્રિટિશ સરકારનું કહેવું છે કે, અનેક મૃત્યુ બાદ તે તુર્કીના અધિકારીઓને મળીને મેડિકલ અને કૉસ્મેટિક ટુરિઝમ સંબંધિત નિયમો પર ચર્ચા કરશે.
બ્રાઝિલિયન બટ લિફ્ટ સર્જરી દરમિયાન મેલિસા કેરને લોહીના ગાંઠો થઈ ગઈ હતી જેનાથી જે તેમના હૃદય સુધી પહોંચી ગઈ હતી.
બ્રિટનનાં આરોગ્ય મંત્રી મારિયા કૉલફિલ્ડે જણાવ્યું હતું કે, "બ્રાઝિલિયન બટ-લિફ્ટ (BBL) ને ધ્યાનમાં લેતા લોકોને એના જોખમો વિશે સંપૂર્ણ માહિતી આપવી જોઈએ અને સર્જરી પહેલા તેમને સંપૂર્ણ રીતે બધી જ બાબતો ધ્યાનમાં લેવા માટે સમય આપવો જોઈએ."
આવું જ કંઈક ડૉ. અશ્વિનીકુમાર સિંહનું કહેવું છે જેઓ યથાર્થ સુપરસ્પેશિયાલિટી હૉસ્પિટલ-ગ્રેટર નોઇડાના પ્લાસ્ટિક સર્જન છે.
તે બે બાબતો પર ભાર મૂકે છે, "પ્રથમ એ કે જે આ સર્જરી કરાવવા માગે છે તેણે આગળ વધતા પહેલાં તેના વિશે સંપૂર્ણ રીતે વિચારવું જોઈએ. બીજું એ કે આ સર્જરી માત્ર માન્ય ડૉક્ટર દ્વારા જ થવી જોઈએ."
મારિયા કૉલફિલ્ડ કહે છે કે, બ્રાઝિલિયન બટ-લિફ્ટ (BBL) અન્ય કૉસ્મેટિક સર્જરી કરતાં 10 ગણું જોખમ ધરાવે છે.

લિપોસક્શન શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
બ્રિટિશ હેલ્થ કેર કંપની નેશનલ હેલ્થ સર્વિસ (NHS) અનુસાર લિપોસક્શન એક કૉસ્મેટિક સર્જરી છે.
આ સર્જરી એવા વ્યક્તિ માટે કરવામાં આવે છે જે તેના શરીરમાંથી વધારાની ચરબી દૂર કરવા માંગે છે.
'લિપો' એટલે 'ચરબી' અને 'સક્શન' એટલે 'દૂર કરવું કે કાઢવું'.
આ સર્જરી શરીરના તે ભાગમાં કરવામાં આવે છે જ્યાં ચરબીનું પ્રમાણ એકઠું થઈ રહ્યું છે અને જેને કસરત અથવા તંદુરસ્ત આહાર દ્વારા પણ ઘટાડવું મુશ્કેલ છે.
આ સર્જરીની મદદથી નિતંબ, ગળા, ઠોડી, પેટ, જાંઘ, હાથના ઉપરના અને પાછળના ભાગો, પગનો પાછળનો ભાગ અથવા પિંડલી અને પીઠમાંથી થોડી ચરબી ઓછી થાય છે.
લિપોસક્શનનો હેતુ લાંબા સમય સુધી શરીરના આકારમાં સુધારો કરવાનો છે, જેનો આધાર એના પર હોય છે કે તમે તંદુરસ્તી સાથે વજન જાળવી રાખો.
તે એવા લોકો પર શ્રેષ્ઠ કામ કરે છે જેનું વજન વધારે નથી. આ સર્જરી શરીરના તે ભાગમાં કરવામાં આવે છે જ્યાં ત્વચા સખત અને લવચીક બની ગઈ હોય.
જો કે NHS (એનએચએસ)માં લિપોસક્શન સર્જરી ઉપલબ્ધ નથી. તેના કારણ વિશે જણાવવામાં આવ્યું કે, "આ એક કૉસ્મેટિક કારણોસર" કરવામાં આવતી સર્જરી છે તેથી અમારે ત્યાં તે નથી થતી.”

'લિપોસક્શન સંપૂર્ણપણે સલામત છે'

ઇમેજ સ્રોત, Getty Images
પરંતુ ડૉ.અશ્વિની કહે છે કે, લિપોસક્શન સંપૂર્ણપણે સલામત છે. 99.9 ટકા દર્દીઓને કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી. બધું બરાબર રહે છે. જો તે સુરક્ષિત ન હોત તો, તેને અમેરિકાના એફડીએ દ્વારા મંજૂરી આપવામાં આવી ન હોત."
ડૉક્ટર અશ્વિની બીબીસીના સહયોગી અંજલિ દાસને કહે છે કે, આમાંથી પસાર થનારી વ્યક્તિના તમામ વાઈટલ પહેલા તપાસવામાં આવે છે. જેમ કે કોઈપણ સર્જરી પહેલા કરવામાં આવતું હોય છે.
ડૉ. અશ્વિની કહે છે, “સર્જરી પહેલાં સંપૂર્ણ તપાસ કરવામાં આવે છે અને જ્યારે દર્દી ફિટ હોય ત્યારે જ તેની સર્જરી કરવામાં આવે છે.
તેઓ વધુમાં કહે છે, "સર્જરી પછી દવાઓ લેવી પડે છે. દવાઓમાં ઍન્ટિબાયૉટિક્સ અને પેઇનકિલર્સ આપવામાં આવે છે.”

'વજન ઘટાડવાની પ્રક્રિયા નથી'

ઇમેજ સ્રોત, Getty Images
ડૉ. અશ્વિની કહે છે, "લિપોસક્શન કરાવતા પહેલા બધા લોકોનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે. અમે તેમની અપેક્ષાઓ જાણીએ છીએ. અને તે મુજબ તપાસ કર્યા પછી અમે કહીએ છીએ કે સર્જરી કરવું યોગ્ય હશે કે નહીં. ઘણી વખત અમે સ્પષ્ટપણે ના પાડીએ છીએ."
લિપોસક્શન અંગે તેઓ સ્પષ્ટપણે કહે છે કે, "તે વજન ઘટાડવાની પ્રક્રિયા નથી. તે 'બોડી કૉન્ટૂરિંગ પ્રૉસિજર' છે. તે શરીરને વધુ સારો આકાર આપવાની પ્રક્રિયા છે. તે વજન ઘટાડવા સાથે કોઈ લેવાદેવા નથી. તેનાથી શરીરનો આકાર સારો બનાવી શકાય છે. તે શરીરના કયા ભાગોમાં શક્ય છે તે વિશે જણાવી દેવામાં આવે છે અને જ્યાં તે નથી થઈ શકવાનું તે સ્પષ્ટપણે ના કહી દેવામાં આવે છે."
સમસ્યાઓ ક્યારે ઊભી થાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
આવા ઘણા અહેવાલો છે જેમાં એવું કહેવામાં આવે છે કે, લિપોસક્શનથી મૃત્યુ થયું છે. આ પ્રશ્ન પર ડૉ. અશ્વિની કહે છે, "આ સર્જરી હંમેશા પ્રમાણિત પ્લાસ્ટિક સર્જન દ્વારા જ થવી જોઈએ. તે કોઈ ટૅકનિશિયન અથવા સર્જન દ્વારા કરાવો જે પ્લાસ્ટિક સર્જન નથી તો, એવા જ કિસ્સાઓમાં સમસ્યાઓ ઊભી થાય છે.”
તેઓ એમ પણ કહે છે કે, આ સર્જરી ક્યાં થઈ રહી છે તે જોવું જોઈએ. જે હૉસ્પિટલમાં આ સર્જરી થવાની છે ત્યાં શું વ્યવસ્થા છે? ઉદાહરણ તરીકે ICU સેટઅપ હોવું જોઈએ કારણ કે જો કોઈ સમસ્યા ઊભી થાય તો તેનું તાત્કાલિક નિદાન થઈ શકે છે. જો સેટઅપ યોગ્ય છે તો સર્જરી દરમિયાન કોઈ સમસ્યા ઊભી થાય તો, મોટાભાગની સારવાર સરળતાથી થઈ શકે છે."
"જો તમે તેને નાના સેન્ટરમાં કરો છો જ્યાં કોઈ બેકઅપ નથી, કોઈ ICU સેટઅપ નથી, તો કોઈપણ મોટા લિપોસક્શનમાં સમસ્યા આવી શકે છે."
લિપોસક્શન પ્રક્રિયા
ડૉ. અશ્વિની કહે છે, "લિપોસક્શનમાં શરીરમાં એક સોલ્યુશન ઇન્જેક્ટ કરવામાં આવે છે. જે વધારાની ચરબીને તોડે છે અને તેને સક્શન દ્વારા બહાર કાઢવામાં આવે છે."
"તમે એક સમયે કેટલું લિપોસક્શન કરી શકો છો અને પ્રક્રિયા પછી તમારે કઈ સાવચેતીઓ લેવાની જરૂર છે તેના માટે સાર્વત્રિક લિપોસક્શન માર્ગદર્શિકા છે.
બધા પ્લાસ્ટિક સર્જનો તેને સારી રીતે અનુસરે છે."
ડૉ. અશ્વિની કહે છે, "પ્લાસ્ટિક સર્જન માટે "પ્લાસ્ટિક સર્જરીમાં DNB" ની ડિગ્રી અને મેડિકલ કાઉન્સિલમાંથી રજિસ્ટ્રેશન હોવું ફરજિયાત છે અને અનુભવ પણ હોવો જોઈએ.
મૂળ લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો .














