સુપ્રીમ કોર્ટે જેના પર સ્ટે મૂક્યો એ ગૌચરની જમીન અદાણીને કેમ આપવામાં આવી હતી?

- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી સંવાદદાતા, અમદાવાદ
ગુજરાતમાં કચ્છના મુંદ્રા પાસે આવેલા નવીનાળ ગામના રહેવાસીઓ માટે પાંચમી જુલાઈનો દિવસ 13 વર્ષ લાંબી કાનૂની લડાઈ બાદ મળેલી જીતના આનંદનો દિવસ હતો. આ દિવસે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને અદાણી પૉર્ટ્સ કંપનીને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (એસઈઝેડ – સેઝ) માટે આપેલી 131 હેક્ટર જમીન ગામલોકોને પરત આપી દેવાનો હુકમ કર્યો હતો.
જોકે, ગામલોકોના વિજયની ખુશીની ઉજવણી પર પાંચ દિવસમાં જ અલ્પવિરામ મૂકાઈ ગયું છે. અદાણી પૉર્ટ્સે હાઈકોર્ટના આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે અને સુપ્રીમ કોર્ટે 10 જુલાઈના દિવસે હાઈકોર્ટના હુકમની અમલવારી પર હાલ સ્ટે મૂક્યો છે. નોંધપાત્ર બાબત એ છે કે કોઈપણ પ્રોજેક્ટ માટે સરકાર દ્વારા સંપાદિત કરાયેલી ગૌચરની જમીનને ગામલોકોને પરત આપવામાં આવે તેવી ઘટના ગુજરાતમાં દુર્લભ છે.
ગુજરાત હાઈકોર્ટનાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠ દ્વારા તા.5 જુલાઈ 2024ના દિવસે અદાણી SEZ માટે ફાળવેલી મુંદ્રા તાલુકાના નવીનાળ ગામની 108 હેક્ટર જમીન પરત કરવાનો આદેશ કર્યો હતો.
જોકે, આ ગુજરાત હાઈકોર્ટના ઑર્ડરને અદાણી દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. તા.10 જુલાઈ 2024ના દિવસે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બી.આર. ગવઈ અને જસ્ટિસ કે. વી. વિશ્વનાથનની બેન્ચે ગુજરાત હાઈકોર્ટના આદેશ પર સ્ટે મૂક્યો હતો. આ સાથે આ સંદર્ભમાં ગુજરાત હાઈકોર્ટ પાસે જવાબ માગ્યો છે.
શું છે સમગ્ર મામલો?

ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરનાર અને નવીનાળ ગામના રહેવાસી અને પૂર્વ ઉપસરપંચ ફકીર મહમદ સમેજા અદાણી SEZ વિસ્તાર માટે આપવામાં આવેલી તેમના ગામની ગૌચરની જમીન પરત મેળવવા માટે 13 વર્ષથી કાનૂની લડાઈ લડી રહ્યા છે.
તેમના જણાવ્યા અનુસાર રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2005માં અદાણી પૉર્ટ્સને મુંદ્રાના નવીનાળ ગામની ગૌચરની જમીનની ફાળવણી કરવામાં હતી. આ જમીન સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન વિસ્તાર તરીકે નોટીફાય કરવામાં આવી હતી અને આ જમીન પર અદાણી પૉર્ટ્સે SEZની સ્થાપના કરી હતી.
સમેજાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું, "આ લડત મારી એકલાની નહીં, પરંતુ ગામની લડત છે. અમારા ગામનાં પશુઓની લડત છે. અમારા ગામમાં 2,000 લોકોની વસ્તી છે અને 1500 જેટલી ગાયો છે. આ ઉપરાંત ઘેટાં-બકરાં પણ છે. રાજ્ય સરકારના નિયમ મુજબ, ગામમાં 100 પશુઓ સામે 40 એકર ગૌચર જમીન હોવી જોઈએ. અમારા ગામમાં ઢોરની સંખ્યા વધુ છે, પણ હવે ગામ પાસે ગૌચરની જમીન રહી નથી."
તેઓ વધુમાં જણાવે છે કે, " રાજ્ય સરકાર દ્વારા અમારા ગામની ગૌચરની જમીન અદાણી કંપનીને આપવામાં આવી હતી. અદાણી કંપની દ્વારા વર્ષ 2010માં જમીનની ફરતે કાંટાની વાડ કરવાની શરૂ કરવામાં આવી હતી. એ સમયે અમે અહીંયા સ્થાનિક સ્તરે લડત શરૂ કરી હતી, પરંતુ અમને પરિણામ ન મળતા અમે વર્ષ 2011માં ગુજરાત હાઈકોર્ટમાં અમારી ગૌચરની જમીન પરત મેળવવા માટે પિટિશન ફાઇલ કરી હતી. જે અંગે અગાઉ સરકાર દ્વારા અમને ગૌચર માટે જમીન આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો. જોકે ત્યારબાદ સરકાર દ્વારા આજ દિન સુધી અમને જમીન આપવામાં આવી નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ વધુમાં જણાવે છે કે, રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2014માં અમને જમીન આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો પરંતુ વર્ષ 2024 સુધી અમને જમીન આપવામાં ન આપતા અમે ફરીથી ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયની માગ સાથે ગયા હતા. રાજ્ય સરકારે કોર્ટમાં કહ્યું હતું કે, અમારી પાસે જમીન નથી."
"કોર્ટે સરકારને જમીન આપવા માટે કહ્યું હતું. જેમાં તા. 4 જુલાઈ 2024ના રોજ કલેકટર દ્વારા ઠરાવ કરવામાં આવ્યો કે કંપનીને આપેલી જમીનનો ઠરાવ રદ કરી ગામના લોકોને ગૌચરની જમીન પરત કરવી. 131 હેકટર જમીન પરત કરવાનો ઑર્ડર કરવામાં આવ્યો છે. આ આદેશ બાદ ગામના લોકો મળીને આ આનંદની ઉજવણી કરતા હતા ત્યાં તો કંપની દ્વારા સુપ્રીમ કોર્ટમાંથી તેની ઉપર સ્ટે મેળવવામાં આવ્યો છે. જેથી અમે દુઃખી છીએ, પરંતુ હાર્યા નથી. અમે અમારી જમીન પરત નહીં મળે ત્યાં સુધી લડતા રહીશું. "
આ કાનૂની લડતમાં સરપંચ ચૂંટણી હારી ગયા

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
નવીનાળ ગામના રહેવાસી હરિભાઈ થરૂએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું, "અમે તો ગાયોને પૂજનારા લોકો છીએ. હાલ ગામમાં ગૌચર ન હોવાથી અમારી ગાયો હેરાન થાય છે. ગાયો ઉપરાંત અમારા ગામમાં 1 હજાર જેટલાં ઘેટાં-બકરાં પણ છે. તેમને પણ ચરવા માટેની જમીન નથી. અમારી રોજીરોટીનો સવાલ છે. અમે 15 વર્ષ કરતાં વધારે સમયથી અમારા હકની લડત લડી રહ્યા છીએ."
હરિભાઈ વધુમાં જણાવે છે, "વર્ષ 2005માં અમારા ગામની ગૌચરની જમીન અમને જાણ કર્યા સિવાય સરકાર દ્વારા કંપનીને આપી દેવામાં આવી હતી. અમારા ગામમાં જમીન મર્યાદિત હતી તેમ છતાં જમીન કંપનીઓને આપી દેવામાં આવી હતી. જે એના કારણે અમે હેરાન થઈ રહ્યા છીએ. હાલમાં અમારી થોડીક ગૌચરની જમીન હતી, જેમાં નાનાં વાછરડાં ચરતાં હતાં. એ જમીનમાં પણ પર્યાવરણ શુદ્ધ કરવાના નામે વૃક્ષો ઉગાડી દેવામાં આવ્યાં છે. જેથી એ જમીન પશુઓને ચરવા માટે બચી નથી. ગાયો અને ઘેટાં-બકરાં પણ પર્યાવરણનો ભાગ જ છે. એમને બચાવવા માટે ગૌચરની જમીન ખૂબ જરૂરી છે."
નવીનાળ ગામના પૂર્વ સરપંચ નટુભાઈ જાડેજાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું, "રાજ્ય સરકાર દ્વારા ગૌચરની અને ખરાબાની જમીન પણ કંપનીને આપી દેવામાં આવી છે. જેના કારણે ઢોર ચરાવવામાં તકલીફ થઈ રહી છે. કંપની દ્વારા ઢોર માટે થોડોક ચારો નાખવામાં આવે છે, પરંતુ ઢોર વધારે છે. જેથી તેમના માટે ચારો પૂરતો થતો નથી. હું ગામમાં વર્ષ 2002થી 2012 સુધી સરપંચ હતો. મારા વિશે એવી વાતો થઈ કે હું કંપની તરફે છું એટલે વર્ષ 2017માં હું ચૂંટણી પણ હારી ગયો હતો. જોકે, હું આજે પણ ગામ લોકો તરફે જ છું."
“ગુજરાત હાઈકોર્ટે કહ્યું – ગૌચરની જમીનની માલિક સરકાર નહીં, પણ લોકો છે”

ગ્રામજનો તરફથી કાનૂની લડત ગુજરાત હાઈકોર્ટના વકીલ આનંદ વર્ધન યાજ્ઞિક લડી રહ્યા છે. તેમના મતે ગ્રામજનોને જેમજેમ આ સંપાદનની જાણ થતી રહી તેમતેમ તેઓ આ લડતમાં જોડાતા ગયા.
યાજ્ઞિકે જણાવ્યું, "વર્ષ 2005માં અદાણી SEZને 22 ગામમાંથી 17 ગામની આશરે 2,600 એકર જમીન આપી દેવામાં આવી હતી. શરૂઆતમાં તો ગ્રામજનોને ખબર પડી ન હતી પરંતુ જ્યારે ખબર પડી ત્યારે લોકો તેને પડકારવા લાગ્યા."
તેઓ વધુમાં જણાવે છે કે, " નવીનાળ એ મુંદ્રા તાલુકાનું એક ગામ છે. જે અદાણી SEZ વિસ્તારમાં આવતાં 22 ગામોમાંથી એક છે. આ ગામના લોકોએ ગૌચરની જમીનના ઠરાવને વર્ષ 2011માં ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો. ગામ લોકોની રજૂઆત હતી કે, અમારે 200થી 300 એકર જમીનની જરૂરત છે અને ત્યારે તમે અમારા માટે 40 એકર જમીન રાખી છે. એ કેટલે અંશે વ્યાજબી છે? ગામ પાસે ગૌચર રહેતું નથી. અમારા ગામનાં ઢોર શું કરશે? વર્ષ 2013માં ગુજરાત સરકારે ઠરાવ કર્યો હતો કે, અમે 231 એકર જમીન આપી છે પણ અમે 1331 એકર જમીન કરતાં વધારે જમીન પાછી આપીએ છીએ. ત્યારબાદ વર્ષ 2014માં ગુજરાત સરકારે કોર્ટમાં રીવ્યૂ પિટિશન ફાઇલ કરીને કહ્યું હતું કે, ‘માફ કરશો અમારી પાસે 1331 એકર જમીન નથી. અમારી પાસે તો આપવા માટે માત્ર 8 એકર જમીન છે એટલે અમારો નિર્ણય અમે પાછો લઈએ છીએ.’ ગુજરાત હાઈકોર્ટે રિવ્યૂ પિટિશન મંજૂર કરી હતી. ત્યારબાદ અમે સુપ્રીમ કોર્ટમાં ગયા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, આ સમગ્ર બાબતને ગુજરાત હાઈકોર્ટે વિચારણામાં લઈ તેનો આખરી નિર્ણય ગુણદોષ પર લેવો જોઈએ."
યાજ્ઞિક વધુમાં જણાવે છે, "વર્ષ 2024માં અમે ગુજરાત હાઈકોર્ટનાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠ સામે ગયા હતા. ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતું કે, ગૌચરની જમીનની માલિક સરકાર નથી, પરંતુ લોકો તેના માલિક છે. વર્ષ 2005માં તમારે લોકો માટે જમીન આપવાની હતી, એના બદલે વેચી નાખી. અદાણી SEZને તમે જેટલી જમીન આપી હતી એટલી જમીન તમારે પાછી આપવી પડશે. નહીં તો અમારે ઑર્ડર કરવો પડશે. ત્યારબાદ સરકારે ગામથી 7 કિલોમીટર દૂર જમીન આપવાનો વિચાર કર્યો હતો, પરંતુ ગ્રામજનોએ તેનો વિરોધ કર્યો હતો અને કોર્ટમાં કહ્યું હતું કે, ઢોર 7 કિલોમીટર દૂર ચરવા ન જાય. ગુજરાત હાઈકોર્ટે તેમની વાત માન્ય રાખી હતી. સરકારને કહ્યું હતું કે લોકોને એ જ ગામમાં ગૌચરની જમીન આપો અને જો જમીન ન હોય તો અદાણીને આપેલી જમીન પરત લઈને ગ્રામજનોને પાછી આપો."
તેઓ વધુમાં કહે છે, "ગુજરાત સરકારે પોતાનો ઠરાવ રજૂ કર્યો હતો કે ગુજરાત હાઈકોર્ટના તા. 19 એપ્રિલ 2024ના આદેશ પ્રમાણે, અમે જે અદાણી SEZને વર્ષ 2005માં જે જમીન આપી હતી એ જમીન અને તે ઉપરાંત અત્યારનાં ઢોરોને સંખ્યાને ધ્યાનમાં રાખી અમે 282 એકર જમીન અમે અદાણી પાસેથી તેમજ અમારી પાસેથી ગૌચરના નામ હેઠળ નવીનાળ ગામને પાછી તબદીલ કરીએ છીએ. આ અંગે અદાણી જૂથ દ્વારા કોર્ટમાં વિરોધ રજૂ કરીને કહ્યું હતું કે, જે જમીન અમને આપી દીધી છે એ સંપાદન વગર પાછી ન લઈ શકાય. જેમાં ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતું કે તમારે આ ઑર્ડરને ચૅલેન્જ કરવો હોય તો સ્વતંત્ર રીતે કરી શકો છો. ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારને કહ્યું હતું કે, તમે જમીન આપવાનો ઠરાવ કર્યો છે તેને અમલ કરો. કારણ કે, જ્યાં સુધી ગામ લોકોને ગૌચર માટે જમીન પરત નહીં મળે ત્યાં સુધી કોઈ મતલબ રહેતો નથી."
અદાણી પૉર્ટ્સ આ મામલે શું કહે છે?

આ કેસમાં અદાણી પૉર્ટ્સે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાના અમલ સામે સુપ્રીમ કોર્ટમાં અરજીને કરીને સ્ટે મેળવ્યો છે. કંપની દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસનોટમાં દાવો કરવામાં આવ્યો છે કે, "અદાણી SEZ દ્વારા ધોરણસરની પ્રક્રિયા અનુસર્યા બાદ 100 ટકા બજાર ભાવની ગણતરી અને તેના ઉપર 30 ટકા પ્રીમિયમની ચૂકવણી કરી આ જમીન સંપાદન કરવામાં આવી હતી. મુંદ્રાના નવીનાળ ગામની આ જમીન અદાણી પૉર્ટ્સને ફાળવવાના ગુજરાત સરકારના નિર્ણય સામે નવીનાળ ગામના કેટલાક રહેવાસીઓ વર્ષ 2011માં ગુજરાત હાઈકોર્ટમાં દાદ માગી હતી. આ બાબત ગુજરાત હાઈકોર્ટમાં વર્ષ 2011થી પેન્ડીંગ હતી.”
“આ જમીન ફાળવણીના 18 વર્ષ બાદ અચાનક ગુજરાત સરકારે સદરહુ જમીનની કાયદાકીય અને વાસ્તવિક સ્થિતિની ખરાઈ કર્યા વિના વર્ષ 2005માં અદાણી પૉર્ટ્સને ફાળવવામાં આવેલી 108 હેક્ટર્સથી વધુ જમીન પાછી લેવા માટે તા. 4 જુલાઈ 2024ના દિવસે આદેશ જારી કર્યો હતો. આ બાબતે તા. 5 જુલાઈ 2024 દિવસે ગુજરાત હાઈકોર્ટે તાત્કાલિક આદેશ કરી ફાળવવામાં આવેલ જમીન પરત લેવા રાજ્ય સરકારને આદેશ આપ્યો હતો. હાઈકોર્ટના આ હુકમ સામે અદાણી પૉર્ટ્સે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. જેના અનુસંધાને સુપ્રીમ કોર્ટે હવે ગુજરાત હાઈકોર્ટનો આ આદેશ સ્થગિત કર્યો છે."
શું છે આ મામલો?
ગામના રહિશો અને આ કેસને ગુજરાત હાઈકોર્ટમાં લડનારા વકીલ આનંદ વર્ધન યાજ્ઞિકે આપેલી વિગતો અનુસાર આ સમગ્ર મામલાની શરૂઆત 2005માં થઈ હતી.
રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2005માં SEZ નોટિફાય વિસ્તારમાં આવતી કચ્છના મુંદ્રાના નવીનાળ ગામની 108 હેક્ટર જમીન અદાણી પૉર્ટ્સને ફાળવી હતી. વર્ષ 2010માં કંપનીએ જમીનમાં ફેન્સિંગ કરવાનું શરૂ કર્યું, ત્યારે ગામના રહેવાસીઓએ વિરોધ કર્યો હતો. આ મુદ્દે વર્ષ 2011માં ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી (PIL) થઈ હતી. આ સમગ્ર પ્રકરણની સુનાવણી ચાલી હતી.
વર્ષ 2014માં રાજ્ય સરકારે ગ્રામજનોને ચરવા માટે 387 હેક્ટર સરકારી જમીન આપવાનો આદેશ પસાર કરાયો હતો, જેના પછી કોર્ટે કેસનું સમાધાન કર્યું હતું. પરંતુ સરકારે 387 હેક્ટર જમીન ફાળવી નહોતી. આ પછી ગ્રામજનોએ ગુજરાત હાઈકોર્ટમાં ફરી અરજી કરી હતી.
વર્ષ 2015માં રાજ્ય સરકારે કોર્ટને જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયતને ફાળવવા માટે માત્ર 17 હેક્ટર સરકારી જમીન ઉપલબ્ધ છે. રાજ્ય સરકારે દરખાસ્ત કરી હતી કે તે લગભગ 7 કિમી દૂર બાકીની જમીન ફાળવી શકે છે. જોકે, ગામ લોકોએ રાજ્ય સરકારની દરખાસ્ત ફગાવી હતી. આ સંદર્ભમાં એપ્રિલ 2024માં ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ડિવિઝન બેન્ચે રેવન્યૂ ડિપાર્ટમેન્ટના એડિશનલ ચીફ સેક્રેટરી (ACS)ને ઉકેલ શોધવાનો નિર્દેશ આપ્યો હતો.
ACS દ્વારા હાઈકોર્ટની ખંડપીઠને રાજ્ય સરકારે લગભગ 108 હેક્ટર અથવા 266 એકર ગૌચર જમીન પાછી લેવાના નિર્ણયની જાણ કરી હતી. મહેસૂલ વિભાગે કોર્ટને જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર કુલ 129 હેક્ટર જમીનને ગૌચર તરીકે વિકસાવશે અને તેને ગામને પાછી સોંપશે. અદાણી પૉર્ટ્સ પાસેથી લીધેલી 108 હેક્ટર જમીન અને અન્ય 21 હેક્ટર જમીન ઉમેરશે. હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારને આ દરખાસ્તનો અમલ કરવા નિર્દેશ આપ્યો હતો. અદાણી પૉર્ટ્સે ગુજરાત સરકારના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.












