‘ચાર લાખ રૂપિયાથી બાળક થોડું પાછું આવશે’, બાળકોનાં મોત મામલે વડોદરાવાસીઓનો આક્રોશ

બીબીસી ગુજરાતી વડોદરા

ઇમેજ સ્રોત, ANI

"બાળકોને પિકનિક પર લઈ ગયાં હતાં. અમને કહ્યું હતું કે તેઓ તેમને બોટમાં બેસાડવાના છે. બાળકોને લાઇફ જેકેટ પણ પહેરાવ્યું નહોતું."

"12 લોકોની ક્ષમતાવાળી બોટમાં કુલ 27 લોકોને બેસાડાયા હતા, તેમાં નાનાં નાનાં બાળકો હતાં, અમારું એક બાળક આ ઘટનામાં ગુજરી પણ ગયું."

ગુરુવારે સાંજે વડોદરાના હરણી તળાવમાં બોટ પલટાઈ જતાં સ્કૂલનાં 12 બાળકો સહિત બે શિક્ષિકાઓનાં મૃત્યુ થયાની ઘટનામાં બચાવી લેવાયેલી દીકરીનાં સંબંધી આસમા શેખે કંઈક આ શબ્દોમાં પોતાની ફરિયાદ કરી હતી.

જ્યારે તેમને બોટના ડૂબવાના કારણ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે બાળકી સાથે થયેલી વાતચીતને આધારે કહ્યું કે, "બાળકીએ કહ્યું કે બોટ ત્રાંસી થવા લાગી અને અચાનક પલટી ખાઈ જતાં બધા ડૂબવા લાગ્યા. બોટ ચલાવનારા બે લોકો સાથે હતા, તેમણે જ આને પણ બચાવી."

ઘટના બન્યા બાદ બાળકોને બચાવવા માટે રેસ્ક્યુ ઑપરેશન હાથ ધરાયું હતું અને ઈજાગ્રસ્તોને નજીકની હૉસ્પિટલમાં ખસેડાયા હતા.

સ્થળ પર હાજર અધિકારીઓ દ્વારા અપાયેલી માહિતી અનુસાર હજુ સુધી એક બાળક લાપતા છે.

ઘટના બાદ વડા પ્રધાન, રાષ્ટ્રપતિ, ગુજરાતના મુખ્ય મંત્રી અને ગૃહરાજ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો હતો.

ઘટનાને અનુસંધાને સ્થાનિક પોલીસે ‘ફરિયાદ નોંધી બે આરોપીઓની ધરપકડ કરી હતી’ અને ‘વધુ આરોપીઓની ધરપકડ માટે નવ ટીમો બનાવાઈ’ હોવાની માહિતી અપાઈ છે.

આ સમગ્ર ઘટના બાદ બાળકોના વાલી અને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો.

‘જો લાઇફ જૅકેટ પહેરાવ્યાં હોત તો બાળકો અમારી સાથે હોત’

વડોદરા બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, વડોદરાવાસી શિક્ષિકાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બીબીસી ગુજરાતીએ ઘટનાસ્થળની મુલાકાત લીધી ત્યારે ત્યાં હાજર લોકો સાથેની વાતચીતમાં ‘આક્રોશ અને સવાલો’ છલકાતા હતા.

ત્યાં હાજર એક મહિલાએ પોતાનો આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, "ચાર લાખ રૂપિયામાં કોઈનું બાળક પાછું નથી આવવાનું. અમારું તો આ ઘટનામાં કોઈ મર્યું નથી. તેમ છતાં અમને આટલું ખરાબ લાગે છે તો જેમનાં બાળકો મર્યાં છે, તેમના પર શું વીતી રહી હશે."

નોંધનીય છે કે રાજ્ય સરકારે મૃતકોના પરિવારજનોને ચાર લાખ રૂપિયાની સહાય ચૂકવવાની જાહેરાત કરી છે.

આ સિવાય અન્ય એક વ્યક્તિએ આ ઘટનાને ‘બેદરકારીનું પરિણામ’ ગણાવતાં કહ્યું હતું કે, "આટલાં બધાં બાળકોને કોઈ પણ જાતની સેફટી વગર કેમ બોટિંગ માટે મોકલ્યાં. આ તંત્ર, સરકાર અને શાળાની સીધી જવાબદારી છે."

તેમણે આરોપ કરતાં કહ્યું કે, "સરકાર કૉન્ટ્રેક્ટ આપીને દરેક વખતે છટકી જાય છે, પરંતુ જવાબદારો પર કાર્યવાહી થતી નથી. નાના માણસો ફસાય છે અને અસલી જવાબદારો બચી જાય છે."

વધુ એક વ્યક્તિએ આરોપ મૂકતાં કહ્યું હતું કે, "ગુજરાતમાં કૉર્પોરેશન સ્તરે વારંવાર આવી ઘટનાઓ બની રહી છે. તેથી મને લાગે છે કે કૉર્પોરેશને જાગૃત થવાની જરૂર છે. અમે હજુ સુધી કાંકરીયા, તક્ષશિલા અને મોરબીની ઘટનાઓ નથી ભૂલ્યા."

ત્યાં હાજર વધુ એક વડીલે વાત કરતાં કહ્યું હતું કે, "વડોદરામાં અગાઉ સૂરસાગર તળાવમાં પણ આવો જ બનાવ બન્યો હતો. જો એ દુર્ઘટનાને ધ્યાને લીધી હોત તો આજે આ ઘટના ન બની હોત. તેમાંથી કોઈ પાઠ નથી ભણાયો. જો બધાં ભૂલકાંને જેકેટ પહેરાવીને બોટિંગ માટે મોકલાયાં હોત તો આ દુર્ઘટના ન બની હોત. આ 100 ટકા નિષ્કાળજી છે."

વધુ એક વડોદરાવાસીએ આ મામલે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, "14 જણની કૅપિસિટીમાં 27ને લઈ જવાયાં આ અત્યંત દુ:ખદ અને નિંદનીય ઘટના છે. આ સરકાર અને તંત્ર તમામ જવાબદારો સામે કડક પગલાં ભરે એ જ દરેક વડોદરાવાસીની માગ હશે."

"જો લાઇફ જૅકેટ હોત તો આ તમામ બાળકો આજે અમારી સાથે હોત. હૉસ્પિટલમાં બાળકોનાં માતાપિતાનું આક્રંદ જોઈને ખૂબ દુ:ખ થઈ રહ્યું છે. અમે એ દૃશ્ય જોઈ પણ ન શક્યા. હૉસ્પિટલનાં દૃશ્યો વિશે મારી પાસે કોઈ શબ્દ નથી. એ ખૂબ કરુણ દૃશ્યો હતાં."

કલેક્ટરને સોંપાઈ મામલાની તપાસ

બીબીસી ગુજરાતી વડોદરા
ઇમેજ કૅપ્શન, આ બોટમાં જ બની હતી દુર્ઘટના

ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સમાચાર સંસ્થા એએનઆઈને જણાવ્યું હતું કે, "સમગ્ર મામલે વડોદરા પોલીસે એફઆઈઆર કરીને બે લોકોની ધરપકડ કરી છે. બાકીના આરોપીઓને પકડવા માટે નવ ટીમોની રચના કરાઈ છે. કૉન્ટ્રેક્ટર સહિત તમામ સામે કડક કાર્યવાહી કરાશે."

આ સિવાય તેમણે ઘટના દરમિયાન અને એ બાદ તંત્ર અને સરકાર દ્વારા લેવાયેલાં પગલાં અંગેની માહિતી આપતાં કહ્યું હતું કે, "ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડ, એનડીઆરએફ અને સ્થાનિક તંત્રની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી. રેસ્ક્યુ ઑપરેશન બાદ તમામ અસરગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હતા. તેના માટે સરકારે ખાનગી ડૉક્ટરોને પણ તૈયાર રાખ્યા હતા."

ઘટનાની તપાસ અંગે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, "તપાસ અધિકારીઓ ગુનાહિત મામલાની તપાસમાં લાગેલા છે. સંપૂર્ણ ઘટનાની તપાસ જિલ્લા કલેક્ટરને સોંપાઈ છે. જેઓ દસ દિવસમાં પોતાનો અહેવાલ સોંપશે."

બોટ સંચાલક અને કૉન્ટ્રેક્ટરની જવાબદારી નક્કી કરતાં તેમણે કહ્યું હતું કે, "પ્રાથમિક દૃષ્ટિએ આ સમગ્ર મામલામાં બોટ ચલાવનાર અને તેને મૅનેજ કરનાર લોકોનો દોષ છે, હું આ ઘટનાને ભૂલ નહીં કહું. આ સિવાય સુરક્ષા માટેની પૂરતી કાળજી પણ નહોતી લેવાઈ. ક્ષમતા કરતાં વધુ લોકોને બોટમાં બેસાડાયા. ઉપરાંત માત્ર દસ લોકોને જ લાઇફ જૅકેટ પહેરાવાયાં હતાં."

બોટ કેમ પલટાઈ?

બીબીસી ગુજરાતી વડોદરા
ઇમેજ કૅપ્શન, વડોદરાવાસીઓએ તંત્ર-સરકારને કર્યા આકરા સવાલ

સ્થળ પર હાજર એક વાલીએ જણાવ્યું હતું કે, “બોટમાં 30 બાળકો હતાં. અમને પહેલાં કોઈ જાણ નહોતી કરાઈ. માત્ર કહેવાયું હતું કે તમારું બાળક ગભરાઈ ગયું છે. એટલે અમે અહીં આવ્યા છીએ.”

સ્ટેન્ડિંગ કમિટીના ચૅરમૅન શીતલ મિસ્ત્રીએ ઘટના અંગે જાણકારી આપતાં કહ્યું હતું કે, “ઘટના બાદ છ જણની બૉડી રેસ્ક્યુ કરી છે, અલગ અલગ અંદાજ સામે આવી રહ્યા છે. છ બૉડી કઢાઈ છે. અમે મુખ્ય કૉન્ટ્રેક્ટર સાથે વાત કરી તો તેમણે કહ્યું કે બોટમાં 15 બાળકો હતાં.”

"આ સાડા ચાર વાગ્યાનો બનાવ છે. બોટનું બૅલેન્સ બગડતાં તે પલટી મારી ગઈ. આ ખૂબ ચિંતાજનક મામલો બન્યો છે. કૉન્ટ્રેક્ટર પણ લાપતા થઈ ગયા છે. તેમને કેટલાં બાળકો હતાં એનો બરાબર અંદાજ નહોતો. તેમની વાત પરથી લાગી રહ્યું છે કે બોટમાં વધુ બાળકો બેઠાં હશે."

જ્યારે તેમને લાઇફ જૅકેટ વગર બોટિંગ મામલે સવાલ કરાયો ત્યારે તેમણે કહ્યું કે, "આ તપાસનો વિષય છે. મેં એકેય બૉડી જોઈ નથી, પરંતુ કૉન્ટ્રેક્ટરનું કહેવું છે કે લાઇફ જૅકેટ આપ્યાં હતાં."

દુર્ઘટના અંગે કોણે શું કહ્યું?

બીબીસી ગુજરાતી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના અંગે ટ્વીટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું હતું, "હરણી તળાવની ઘટનાથી વ્યથિત છું. આ દુ:ખની ઘડીમાં મારી લાગણીઓ અસરગ્રસ્ત કુટુંબો સાથે છે. ઈજાગ્રસ્તો જલદી સાજા થાય તેવી કામના. સ્થાનિક તંત્ર શક્ય તમામ મદદ કરી રહ્યું છે. મૃતકોનાં સગાંને વડા પ્રધાન રાષ્ટ્રીય રાહત કોષમાંથી બબ્બે લાખ રૂ. અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂ.ની સહાય કરાશે."

ઘટનાને પગલે રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ 'એક્સ' પર લખ્યું કે , "ડૂબવાની ઘટના અત્યંત હૃદયવિદારક છે. જાન ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું."

તેમણે બચાવની કામગારી ચાલુ હોવાનું અને તાકીદે રાહત મળે એવી તંત્રને સૂચના આપી હોવાની પણ જાણકારી આપી હતી.

સમગ્ર ઘટના અંગે માહિતી આપતાં રાજ્યના શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે, "ઘટનામાં છથી સાત વિદ્યાર્થીઓનાં મૃત્યુ થયાં હોવાની સમાચાર મળ્યા છે. બચાવ કામગીરી ચાલુ છે."

"ઘટના બાબતે મુખ્ય મંત્રીએ પણ દુ:ખ વ્યક્ત કર્યું છે. આવી ઘટના ન બનવી જોઈએ. ઘટનામાં મૃત્યુ પામનાર બાળકોના આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના."

તેઓ આગળ વાત કરતાં કહે છે કે, "બાળકો નિર્દોષ હતાં. આવી ઘટના નહોતી બનવી જોઈતી. તેમને તરતાં ન આવડતું હોય. જવાબદાર વ્યક્તિએ પૂરતી વ્યવસ્થા કરીને બાળકોને બેસાડવાનાં હોય છે. આ શરતચૂક થઈ છે. અત્યારે સ્થાનિક લોકો, સ્થાનિક તંત્ર અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે હાજર છે."

રેડ લાઇન
રેડ લાઇન