વંદે માતરમ સામે ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુને શો વાંધો હતો?

બીબીસી ગુજરાતી વંદે માતરમ બંકિમચંદ્ર જવાહર લાલ નહેરુ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંસદ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નહેરુએ વંદે માતરમને સ્વતંત્રતા આંદોલનનો મંત્ર બનાવવા માટે સ્વંય રવીન્દ્રનાથ ટાગોર પાસે સલાહ લીધી હતી.

'વંદે માતરમ'નાં 150 વર્ષ પૂર્ણ થવા પર સોમવારે લોકસભામાં ચર્ચા થઈ હતી. જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઘણા દાવાઓ કર્યા.

પીએમ મોદીએ લોકસભામાં ચર્ચા દરમિયાન મહાત્મા ગાંધીથી લઈને પૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ તથા મહંમદઅલી ઝીણાનો ઉલ્લેખ કર્યો.

પીએમ મોદીએ સવાલ કર્યો કે 'જ્યારે બાપૂને વંદે માતરમ નૅશનલ એન્થમ સ્વરૂપે દેખાતું હતું તો તેની સાથે અન્યાય કેમ કરવામાં આવ્યો?'

સાથે જ તેમણે મહંમદઅલી ઝીણાએ વંદે માતરમ પર સવાલ ઉઠાવ્યો હતો અને 'જવાહરલાલ નહેરુએ તેની તપાસ હાથ ધરી' હોવાનો ઉલ્લેખ પણ કર્યો.

બીજી તરફ વિપક્ષે સ્વતંત્રતા આંદોલનમાં આરએસએસની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે 'વંદે માતરમ'ને રાષ્ટ્રીય ગીતનો દરજ્જો કૉંગ્રેસ પાર્ટીએ જ આપ્યો હતો.

આજે આ મામલે રાજ્યસભામાં ચર્ચા થશે. ત્યારે જોઈએ કે 'વંદે માતરમ'નો ઇતિહાસ શું છે?

અહીં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની 'વંદે માતરમ' કૃતિ શું છે, શા માટે વિવાદમાં છે અને જવાહરલાલ નહેરુને તેની સામે શું ખરેખર વાંધો હતો તેની વાત કરીએ.

વંદે માતરમના રચયિતા બંકિમચંદ્ર કોણ હતા?

બીબીસી ગુજરાતી વંદે માતરમ બંકિમચંદ્ર જવાહર લાલ નહેરુ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંસદ

ઇમેજ સ્રોત, TWITTER@RAILMININDIA

ઇમેજ કૅપ્શન, વંદે માતરમના રચયિતા બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાય

બંગાળી ભાષાના પ્રમુખ સાહિત્યકારોમાં જેમની ગણના થાય છે તે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે તેમનાં લખાણથી માત્ર બંગાળી સમાજને જ નહીં પણ સમગ્ર દેશને પ્રભાવિત કર્યો હતો.

બંકિમચંદ્ર એક વિદ્વાન લેખક હતા અને ઘણા ઓછા લોકોને જાણ હશે કે તેમની પ્રથમ પ્રકાશિત કૃતિ બંગાળી ભાષામાં નહોતી.

તેમની પહેલી કૃતિ અંગ્રેજી ભાષામાં પ્રકાશિત થઈ હતી અને તેનું નામ 'રાજમોહન્સ વાઇફ' હતું.

બંકિમચંદ્રનો જન્મ 1838માં એક પરંપરાગત સમૃદ્ધ બંગાળી પરિવારમાં થયો હતો.

તેમની પ્રથમ પ્રકાશિત બંગાળી કૃતિ 'દુર્ગેશનંદિની' હતી. જે માર્ચ 1865માં પ્રકાશિત થઈ હતી.

આ નવલકથા હતી પછી તેમને લાગ્યું કે તેમની અસલ પ્રતિભા કાવ્યલેખનમાં છે. જેથી તેમણે કવિતાઓ લખવાનું શરૂ કર્યું.

ઘણી મહત્ત્વપૂર્ણ સાહિત્ય કૃતિઓની રચના કરનારા બંકિમચંદ્રએ હુગલી કૉલેજ અને પ્રૅસિડેન્સી કૉલેજમાં અભ્યાસ કર્યો હતો.

'દુર્ગેશનંદિની'નું પ્રકાશન

બીબીસી ગુજરાતી વંદે માતરમ બંકિમચંદ્ર જવાહર લાલ નહેરુ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંસદ

ઇમેજ સ્રોત, WWW.MUSEUMSOFINDIA.GOV.IN

ઇમેજ કૅપ્શન, બંકિમ ચંદ્રનું આ ડૅસ્ક કોલકતાના વિક્ટોરિયા મેમોરિયલમાં રાખેલું છે

બ્રિટિશ સામ્રાજ્ય સામે દેશમાં પ્રથમવાર સંગઠિત વિદ્રોહ થયો ત્યારે એ જ વર્ષમાં તેઓ સ્નાતક થયા હતા.

વર્ષ 1857માં તેમણે બી.એ. પાસ કર્યું અને 1869માં કાયદાની ડિગ્રી મેળવી.

બંકિમચંદ્ર માત્ર એક સાહિત્યકાર જ નહીં, એક સરકારી અધિકારી પણ હતા.

તેમણે તેમના અધિકારી પિતાની જેમ ઉચ્ચસરકારી પદો પર પણ નોકરી કરી હતી અને 1891માં નિવૃત્ત થયા હતા.

માત્ર 11ની વર્ષની ઉંમરે તેમનું લગ્ન થયું, થોડાં વર્ષોમાં જ તેમનાં પત્નીનું નિધન થયું.

તેમણે રાજલક્ષ્મી દેવી સાથે બીજાં લગ્ન કર્યાં હતાં. તેમને ત્રણ પુત્રીઓ હતી.

વર્ષ 1865માં 'દુર્ગેશનંદિની' પ્રકાશિત થઈ પણ તેની કોઈ ખાસ ચર્ચા ન થઈ.

પરંતુ એક જ વર્ષમાં 1866માં તેમણે 'કપાલકુંડલા' નવલકથાની રચના કરી જે ખૂબ લોકપ્રિય બની.

તેમણે સામાજિક અને સાંસ્કૃતિક મુદ્દા પણ ઉઠાવ્યા હતા. રોમૅન્ટિક સાહિત્ય લખનારી વ્યક્તિના જીવનમાં આ સૌથી મહત્ત્વનો વળાંક હતો.

રાષ્ટ્રવાદનું પ્રતીક

બીબીસી ગુજરાતી વંદે માતરમ બંકિમચંદ્ર જવાહર લાલ નહેરુ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંસદ

ઇમેજ સ્રોત, ANAND MATH MOVIE

ઇમેજ કૅપ્શન, 1952માં હેમેન ગુપ્તાએ આ નવલકથા પર જ આધારિત આનંદ મઠ નામની ફિલ્મ બનાવી હતી

રામકૃષ્ણ પરમહંસના સમકાલીન અને તેમની નજીકના મિત્ર રહેલા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે આનંદમઠની રચના કરી જેમાં બાદમાં 'વંદે માતરમ'નો સમાવેશ કરાયો.

જોતજોતામાં વંદે માતરમ સમગ્ર દેશમાં રાષ્ટ્રવાદનું પ્રતીક બની ગયું. ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે આ માટે ધૂન તૈયાર કરી અને વંદે માતરમની લોકપ્રિયતા ઝડપથી વધવા લાગી.

એપ્રિલ 1894માં બંકિમચંદ્રનું નિધન થયું અને તેનાં 12 વર્ષ બાદ જ્યારે ક્રાંતિકારી બિપિનચંદ્ર પાલે એક રાજકીય પત્રિકા પ્રકાશિત કરવાનું શરૂ કર્યું તો તેનું નામ 'વંદે માતરમ' રાખ્યું હતું.

લાલા લાજપત રાય પણ આ જ નામથી એક રાષ્ટ્રવાદી પત્રિકાનું પ્રકાશન કરી ચૂક્યા છે.

બહુમુખી પ્રતિભા ધરાવતા આ રાષ્ટ્રવાદી સાહિત્યકાર એક વિનોદી વ્યક્તિ તરીકે પણ ઓળખાતા હતા.

તેમણે હાસ્ય-વ્યંગથી ભરપૂર 'કમલાકાંતેર દફ્તર' જેવી રચનાઓ પણ લખી છે.

'વંદે માતરમ' સાથે જોડાયેલાં કેટલાંક પરિબળ

બીબીસી ગુજરાતી વંદે માતરમ બંકિમચંદ્ર જવાહર લાલ નહેરુ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંસદ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ અને રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ

બંધારણ સભાના અધ્યક્ષ અને ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે 24 જાન્યુઆરી 1950ના રોજ ઘોષણા કરી કે 'વંદે માતરમને રાષ્ટ્રીયગીતનો દરજ્જો આપવામાં આવી રહ્યો છે.'

વંદે માતરમનો ઇતિહાસ ઘણો રસપ્રદ છે. બંકિમચંદ્રએ વંદે માતરમની રચના 1870ના દાયકામાં કરી હતી.

તેમણે ભારતને દુર્ગાનું સ્વરૂપ માનીને દેશવાસીઓને તેમના સંતાન ગણાવ્યાં હતાં.

તેમણે ભારતને માતા ગણાવ્યાં, જે અંધકાર અને પીડાથી ઘેરાયેલાં છે.

બાળકોને બંકિમચંદ્ર આગ્રહ કરતા હતા કે તેઓ તેમનાં માતાની વંદના કરે અને તેમને શોષણથી બચાવે.

ભારતમાતાને દુર્ગાનું પ્રતીક ગણવાને કારણે મુસ્લિમ લીગ અને મુસ્લિમ સમુદાયનો એક વર્ગ ગીતને શંકાની નજરે જોવા લાગ્યો.

નહેરુએ વંદે માતરમનો વિરોધ કર્યો?

બીબીસી ગુજરાતી વંદે માતરમ બંકિમચંદ્ર જવાહર લાલ નહેરુ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંસદ

ઇમેજ સ્રોત, TOPICAL PRESS AGENCY/GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, રવિન્દ્રનાથ ટાગોર લંડનની મુલાકાત દરમિયાન

આ જ કારણસર ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ વંદે માતરમને સ્વતંત્ર ભારતના રાષ્ટ્રગીત તરીકે સ્વીકારવા તૈયાર નહોતા.

મુસ્લિમ લીગ અને મુસલમાનોએ વંદે માતરમ એવા માટે વિરોધ કર્યો હતો કે તેઓ દેશને ભગવાનનું રૂપ ગણી તેની પૂજા ન કરી શકે.

નહેરુએ વંદે માતરમને સ્વતંત્રતા આંદોલનનો મંત્ર બનાવવા માટે સ્વંય રવીન્દ્રનાથ ટાગોર પાસે સલાહ લીધી હતી.

રવીન્દ્રનાથ બંકિમચંદ્રની કવિતાઓ અને રાષ્ટ્રભક્તિના પ્રશંસક હતા. તેમણે નહેરુને કહ્યું કે વંદે માતરમના પ્રથમ બે છંદ જ જાહેરમાં ગાવા જોઈએ.

જોકે, બંકિમચંદ્રની રાષ્ટ્રભક્તિ પર કોઈને શંકા નહોતી.

સવાલ એ હતો કે જ્યારે તેમણે 'આનંદમઠ' લખ્યું તેમાં તેમણે બંગાળના મુસ્લિમ રાજાઓ અને મુસલમાનો પર એવી ટિપ્પણીઓ કરી હતી જેમાં હિંદુ અને મુસ્લિમ સમુદાયો વચ્ચે તણાવ પેદા થયો હતો.

વંદે માતરમને એક કવિતા તરીકે લખવામાં આવ્યું હતું પરંતુ બાદમાં તે પ્રકાશિત થયેલી 'આનંદમઠ' નવલકથાનો ભાગ બની ગયું હતું.

'મુસ્લિમ વિરોધી ન કહી શકીએ'

બીબીસી ગુજરાતી વંદે માતરમ બંકિમચંદ્ર જવાહર લાલ નહેરુ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંસદ

ઇમેજ સ્રોત, ANAND MATH MOVIE

ઇમેજ કૅપ્શન, આનંદમઠ ફિલ્મનું એક દૃશ્ય
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

'આનંદમઠ'ની કહાણી 1772માં પૂર્ણિયા, દાનાપુર અને તિરહુતમાં બ્રિટિશ અને સ્થાનિક મુસ્લિમ રાજા વિરુદ્ધ સંન્યાસીઓના વિદ્રોહની ઘટનાથી પ્રેરિત છે.

હિંદુ સંન્યાસીઓ સામે મુસલમાન શાસકોનો પરાજય 'આનંદમઠ'નો સાર હતો. 'આનંદમઠ'માં બંકિમચંદ્રે બંગાળના મુસ્લિમ રાજાઓની ઘણી ટીકા કરી હતી.

તેમાં તેમણે લખ્યું, "અમે અમારો ધર્મ, જાતિ, સન્માન અને પરિવારનું નામ ગુમાવી દીધું છે. હવે અમે અમારું જીવન ગુમાવી દઈશું."

"જ્યાં સુધી તેમને ભગાડીશું નહીં ત્યાં સુધી હિંદુઓ તેમના ધર્મની રક્ષા કેવી રીતે કરશે?"

ઇતિહાસકાર તનિકા સરકારે કહ્યું,"બંકિમ ચંદ્ર એ વાતને માનતા હતા કે ભારતમાં અંગ્રેજો આવ્યા તે પૂર્વે બંગાળની દુર્દશા મુસ્લિમ રાજાઓના કારણે થઈ હતી."

'બાંગ્લા ઇતિહાસેર સંબંધે એકટી કોથા'માં બંકિમચંદ્રે લખ્યું,"મુઘલોના વિજય બાદ બંગાળનો ખજાનો બંગાળમાં ન રાખી દિલ્હી લઈ જવાયો."

પરંતુ પ્રતિષ્ઠિત ઇતિહાસકાર કે. એન. પણિક્કર અનુસાર,"બંકિમચંદ્રના સાહિત્યમાં મુસ્લિમ શાસકો વિરુદ્ધ કેટલીક ટિપ્પણીઓના આધારે એવું ન કહી શકાય કે બંકિમ મુસ્લિમ વિરોધી હતા. આનંદમઠ એક સાહિત્યકૃતિ છે."

"બંકિમચંદ્ર બ્રિટિશ સરકારમાં એક કર્મચારી હતા અને 'આનંદમઠ'માં અંગ્રેજો વિરુદ્ધમાં લખાયેલો ભાગ કાઢી નાખવા તેમના પર દબાણ હતું."

"19મી સદીના અંતમાં લખાયેલી આ રચનાને એ સમયના વર્તમાન સંજોગોના સંદર્ભમાં વાંચવી અને સમજવી જરૂરી છે."

કૉંગ્રેસ, જેના નેતૃત્વમાં અંગ્રેજો સામે આંદોલન ચાલી રહ્યું હતું તેણે વંદે માતરમ પર વિભાજનને રોકવા માટે ગાંધી, નહેરુ, અબ્દુલ કલામ આઝાદ તથા સુભાષચંદ્ર બોઝને લઈને 1937માં એક સમિતિ બનાવી હતી. જેમણે આ ગીત સામે કેટલોક વાંધો પ્રગટ કર્યો.

ઇમેજ સ્રોત, Keystone-France

ઇમેજ કૅપ્શન, કૉંગ્રેસ, જેના નેતૃત્વમાં અંગ્રેજો સામે આંદોલન ચાલી રહ્યું હતું તેણે વંદે માતરમ પર વિભાજનને રોકવા માટે ગાંધી, નહેરુ, અબ્દુલ કલામ આઝાદ તથા સુભાષચંદ્ર બોઝને લઈને 1937માં એક સમિતિ બનાવી હતી. જેમણે આ ગીત સામે કેટલોક વાંધો પ્રગટ કર્યો.

આ ગીત બંકિમચંદ્રએ 1975માં લખ્યું હતું જે બાંગ્લા અને સંસ્કૃતમાં હતું. આ ગીત બાદમાં બંકિમચંદ્રએ પોતાની પ્રસિદ્ધ પરંતુ વિવાદાસ્પદ બનેલી કૃતિ આનંદમઠ(1885)માં જોડી દીધું.

આ ગીતમાં બંકિમચંદ્રએ સાત કરોડની જનતાનો ઉલ્લેખ કર્યો છે. જે તે સમયે બંગાળ પ્રાંત જેમાં હાલનાં ઉડિશા અને બિહાર રાજ્યો પણ સામેલ હતાં, તેની વસ્તી હતી. આ પ્રકારે જ્યારે અરવિંદો ઘોષે તેનો અનુવાદ કર્યો ત્યારે તેને 'બંગાળનું રાષ્ટ્રગીત' એવું ટાઇટલ આપવામાં આવ્યું.

બંગાળના ભાગલા બાદ વંદે માતરમને બંગાળનું રાષ્ટ્રગીત બનાવી દીધું. 1905માં અંગ્રેજ સરકાર તરફથી કરવામાં આવેલા બંગાળના વિભાજન સામે ઉઠેલા અવાજને અંગ્રેજો સામેના હથિયારના રૂપમાં ફેરવી દીધો.

ત્યારે સ્વતંત્રતા માટેના આંદોલનમાં ભાગ લઈ રહેલા લોકોએ અંગ્રેજી શાસન સામે પોતાનાં વિરોધપ્રદર્શનોમાં ભરપૂર ઉપયોગ કર્યો. તેમાં હિંદુ અને મુસ્લિમો બંને સામેલ હતા.

વંદે માતરમનો નારો તે સમયે આખા બંગાળમાં આગની મારફતે ફેલાઈ ગયો. બારીસાલ (હવે બાંગ્લાદેશ)માં ખેડૂત નેતા એમ રસૂલની અધ્યક્ષતામાં બંગાળ કૉંગ્રેસના પ્રાંતીય અધિવેશનમાં વંદે માતરમ ગાવા બદલ અંગ્રેજની સેનાએ બર્બરતાથી હુમલો કર્યો હતો. ત્યાર પછી આ ગીત આખા ભારતમાં ગૂંજવા લાગ્યું.

ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, રામપ્રસાદ બિસ્મિલ અને અશફાકુલ્લાહ ખાન જેવા સ્વાતંત્રતા સેનાનીઓએ પણ વંદે માતરમ ગાયું.

આ નારો હવે રાષ્ટ્રવાદનું પ્રતિક બની ગયો હતો. એ જ પ્રકારે ઇન્ક્લાબ ઝિંદાબાદ. 20મી શતાબ્દીનો બીજો દસકો આવતાની સાથે જ અંગ્રેજ વિરોધી રાષ્ટ્રીય આંદોલન દેશવ્યાપી બની ગયું હતું.

કૉંગ્રેસ, જેના નેતૃત્વમાં આ આંદોલન ચાલી રહ્યું હતું તેણે વંદે માતરમ પર વિભાજપને રોકવા માટે ગાંધી, નહેરુ, અબ્દુલ કલામ આઝાદ તથા સુભાષચંદ્ર બોઝને લઈને 1937માં એક સમિતિ બનાવી હતી. જેમણે આ ગીત સામે કેટલોક વાંધો પ્રગટ કર્યો.

સૌથી મોટો વાંધો એ હતો કે આ ગીત એક ધર્મ વિશેષના હિસાબે ભારતીય રાષ્ટ્રવાદને પરિભાષિત કરે છે. આ સવાલ માત્ર મુસ્લિમ સંગઠનોએ જ નહીં પરંતુ શિખ, જૈન, ખ્રિસ્તી અને બૌદ્ધ સંગઠનોએ પણ ઉઠાવ્યો હતો.

તેનો હલ એ કાઢવામાં આવ્યો કે તે ગીતની શરૂઆતની બે પંક્તિ ગાવામાં આવે જેમાં કોઈ ધાર્મિક બાબતો નહોતી. પરંતુ આરએસએસ અને હિંદુ મહાસભાએ આખા ગીતને અપનાવવાની માગ રાખી જ્યારે કે મુસ્લિમ લીગે આખા ગીતનો જોરદાર વિરોધ કર્યો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યુઝરુમનું પ્રકાશન