શ્રીલંકા બૉમ્બ બ્લાસ્ટ : હિંસાથી બચવા મુસ્લિમ મહિલાઓ જંગલમાં આશરો લઈ રહી છે

ઇમેજ સ્રોત, ALLISON JOYCE
- લેેખક, રંજન અરુણ પ્રસાદ
- પદ, બીબીસી તામિલ, પુટ્ટાલમ
250થી વધુનો ભોગ લેનારા ઇસ્ટર સન્ડેના આત્મઘાતી હુમલા પછી શ્રીલંકાના મુસ્લિમ વિસ્તારો પર હુમલા થવા લાગ્યા છે. પુટ્ટાલમ, કુરુનેગાલા અને ગમ્પાહા જિલ્લામાં 13મી મેના રોજ મુસ્લિમો પર હુમલા થયા હતા.
આ વિસ્તારના ઘણા બધા મુસ્લિમ ગામો પર હુમલા થયા છે. બીબીસી તામિલે હુમલાનો ભોગ બનેલા કેટલાક ગામોની મુલાકાત લીધી હતી.
આ છે પુટ્ટાલમ જિલ્લાનું નટ્ટન્ડિયા - ડન્મેથ્રા ગામ. આ ગામમાં તામિલ બોલતા મુસ્લિમોની વસતિ વધારે છે, પણ આસપાસના ગામોમાં મુખ્યત્વે સિંહાલાભાષી લોકો જ વસે છે.
સોમવારે લગભગ 100 જેટલા લોકો, ચહેરા પર કપડાં બાંધીને ગામમાં ઘૂસી આવ્યા હતા એમ ડન્મેથ્રા ગામના લોકો કહે છે.
ગામના એક યુવાન નિશારે બીબીસી તામિલ સાથે વાતચીતમાં કહ્યું કે કંઈક ગરબડ થશે એમ સમજીને ગામના યુવાનો એકઠા થઈ ગયા હતા અને ટોળાનો સામનો કર્યો હતો.
બધા લોકો મોઢાં પર કપડાં ઢાંકીને જ આવ્યા હતા અને શોર્ટ કટમાંથી ગામમાં દાખલ થઈ ગયા હતા એમ આ યુવાને જણાવ્યું હતું.
'પહેલાં તો આ ટોળાએ મસ્જિદ પર હુમલો કર્યો અને બાદમાં નજીકની દુકાન અને મકાનો પર હુમલો કર્યો હતો', એમ તે કહે છે. 'અમારા ગામના લોકો રોજા તોડવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે જ આ હુમલો થયો હતો.'

તમે આ વાંચ્યું કે નહીં?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

'મહિલાઓ આખી રાત જંગલમાં રહી'

નિશારે એવું પણ જણાવ્યું, 'ગામની મહિલાઓને જાણ થઈ કે હુમલો થયો છે, ત્યારે તેઓ નાસીને બાજુના જંગલમાં જતી રહી હતી. આખી રાત તેઓ જંગલમાં જ છુપાયેલી રહી હતી. બીજા દિવસે સવારે જ તેઓ બહાર આવી હતી.'
ગામના લોકોના જણાવ્યા અનુસાર ટોળાએ મસ્જિદો પર હુમલો કર્યા બાદ મુસ્લિમોના ઘરો અને દુકાનો પર હુમલો કર્યો હતો. કેટલાક ઘરોને સળગાવી દેવાયા હતા. પેટ્રોલ બોમ્બ ફેંકીને આગ ચાંપી દેવામાં આવી હતી. ગામના લોકોને ચિંતા થઈ હતી કે ટોળું કદાચ પવિત્ર કુરાનને પણ સળગાવી દેશે.
અમે ગામની મુલાકાત લીધી ત્યારે ખ્યાલ આવી ગયો કે ગામ પર હુમલો થયો હશે. હુમલાને કારણે થયેલી તબાહીની નિશાનીઓ હજી પણ હતી. બળી ગયેલા વાહનો ચારે તરફ પડ્યા હતા અને મકાનો પણ બળીને રાખ થઈ ગયેલા હજી પણ એમ જ પડ્યા હતા.

નિશારનો આક્ષેપ છે કે સલામતી દળોના સહકાર સાથે જ હુમલો થયો હતો. સલામતી રક્ષકો ફરજ પર હતા તેમ છતાં ઘણા બધા ઘરોને સળગાવી દેવાયા. હુમલો અટકાવવા માટે તેમણે કોઈ પ્રયાસો કર્યા નહોતા. નિશાર કહે છે, 'અમને અમારા સલામતી જવાનો પર ભરોસો રહ્યો નથી.'
સેનાના પ્રવક્તા બ્રિગેડિયર સુમીથ અટ્ટાપટ્ટુ સાથે પણ બીબીસી તામિલે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, "જો ગેરકાયદે પ્રવૃત્તિઓને સૈનિકો સહકાર આપતા હોય તો તે બહુ મોટો ગુનો બને છે.
અમે સેનાના વડાની સલાહ લીધી છે. 'મુસ્લિમોના મકાનો અને દુકાનો પર નિશાન બનાવીને હુમલો થયો' અને આ હુમલા પાછળ સલામતી દળના જવાનો જવાબદાર હતા તેવા આક્ષેપોની તપાસ શરૂ કરવામાં આવી છે."
તેમણે કહ્યું કે લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે આ હુમલામાં કોઈ સલામતી જવાનો સંડોવાયેલા હોય તો તેના વિશે આગળ આવીને માહિતી આપે.
દરમિયાન નટ્ટનકુડી ગામના લોકોએ સરકારને અરજ કરી છે કે તેમની સલામતી માટે યોગ્ય બંદોબસ્ત ગોઠવવામાં આવે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













