હેડ ક્લાર્ક પરીક્ષા : પેપર લીક થવાનો મામલો કઈ રીતે બહાર આવ્યો?
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્યમાં હેડ ક્લાર્કની ખાલી પડેલી 186 જગ્યાઓ ભરવામાં આવી રહી છે. જેની પરીક્ષાનું પેપર લીક થયું હોવાનો દાવો કરાયો હતો.
આ મામલે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પત્રકારપરિષદ યોજીને સ્પષ્ટતા કરવામાં આવી હતી અને આ અંગે કાર્યવાહી થઈ રહી હોવાનું પણ તેમણે જણાવ્યું છે.
યુવરાજસિંહે મીડિયા સાથે વાત કરતાં કહ્યું છે કે, "સોશિયલ મીડિયામાં જે પેપર લીક થયા હતા, એ અંગે અમે પુરાવા આપ્યા છે; જે લોકોએ પેપર ફોડ્યું છે તથા જે લોકો વચેટિયા હતા તેમની માહિતી પણ અમે આપી છે."

ઇમેજ સ્રોત, Getty Images
આ જગ્યાઓ માટે રવિવારે 12 ડિસેમ્બરના રોજ રાજ્યમાં લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ખાલી પડેલી 186 જગ્યાઓ માટે રાજ્યભરમાંથી બે લાખથી વધુ લોકોએ ઉમેદવારી નોંધાવી હતી. જે પૈકી દોઢ લાખથી વધુ ઉમેદવારો પરીક્ષામાં હાજર રહ્યા હતા.
જોકે રવિવારે બપોરે 12 વાગ્યાથી યોજાયેલી આ પરીક્ષાનું પેપર શનિવારે રાતે જ લીક થઈ ગયું હોવાના આક્ષેપ ગુજરાત આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યા છે.

શું ખરેખર પેપર લીક થયું હતું?

ઇમેજ સ્રોત, Yuvrajsinh Jadeja
યુવરાજસિંહ જાડેજાએ બીબીસી ગુજરાતીના બાદલ દરજી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ”શનિવારની રાત્રે હિંમતનગરના એક ફાર્મહાઉસમાં 16 ઉમેદવારોને આ પેપર મળ્યું હતું.”
“આ 16 વિદ્યાર્થીઓ પૈકી એક વિદ્યાર્થીના સંબંધીએ આવીને મને આ વાત કહી હતી અને તેના માટે તેમણે પૈસા ખર્ચ્યા હોવાનું પણ જણાવ્યું હતું.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે એવું પણ કહ્યું છે કે, “બીજા દિવસે પરીક્ષા પૂરી થયા બાદ અમારી સંસ્થા સાથે જોડાયેલો એક યુવક મારી પાસે આવ્યો હતો અને એણે પણ કહ્યું હતું કે આ પેપર સવારે 10 વાગ્યે સોશિયલ મીડિયામાં ફરતું-ફરતું તેની પાસે આવ્યું હતું.”

અન્ય જિલ્લાઓમાં પણ પેપર લીક?

ઇમેજ સ્રોત, Yuvrajsinh Jadeja
જાડેજાનો દાવો છે કે “જ્યારબાદ ઊલટ તપાસ કરતા લીક થયેલું પેપર માત્ર હિંમતનગરમાં જ નહીં, પરંતુ સુરેન્દ્રનગર, વડોદરા, કચ્છ સુધી પહોંચી ગયું હતું.”
યુવરાજસિંહના જણાવ્યા પ્રમાણે, "લીક થયેલા પેપર માટે ઉમેદવારો પાસેથી 10થી 14 લાખ રૂપિયા જેટલી રકમ લેવામાં આવી છે અને આ જ પ્રકારે સબ-ઑડિટર અને નર્સની પરીક્ષામાં પણ આ જ રીતે પેપર લીક થયાં હતાં."
યુવરાજસિંહ જાડેજાનો દાવો છે કે તેમની પાસે પેપર લીક થયાના પુરાવા છે.
સાથે જ તેમનું કેહવું છે કે આ અંગે તેમણે ગૌણ સેવા પસંદગી સમિતિના સચિવને ટેલિફોનિક જાણ કરી છે.
જોકે તેમના દ્વારા અત્યાર સુધી આ અંગે પોલીસ કે પછી ગૌણ સેવા પસંદગી સમિતિને લેખિતમાં ફરિયાદ કે રજૂઆત કરવામાં આવી નથી.
યુવરાજસિંહ બાદમાં પત્રકારો સાથેની વાતચીતમાં ગૌણ સેવા પસંદગીમંડળના ચૅરમૅન અસિત વોરાને હઠાવવા અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને આ મામલે હસ્તક્ષેપ કરવા ભલામણ કરી હતી.

અધિકારીઓએ શું સ્પષ્ટતા કરી?
આ આક્ષેપો બાદ ગુજરાત ગૌણ સેવા પસંદગીમંડળના ચૅરમૅન અસિત વોરાએ બુધવારે પત્રકારપરિષદ યોજીને આ અંગે ખુલાસો કર્યો હતો.
તેમણે કહ્યું કે "પેપર લીક થવાની વાત જ્યારથી વહેતી થઈ છે, ત્યારથી આજ સુધી તેમની પાસે લેખિતમાં કોઈ ફરિયાદ આવી નથી."
"સોશિયલ મીડિયા પર વહેતા થયેલા ફોટો અને યુવરાજસિંહ દ્વારા રજૂ કરાયેલા પુરાવા પરીક્ષા બાદના હતા. જેથી તે યોગ્ય નથી."
જોકે પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી તપાસ અંગે પણ તેમણે વાત કરી હતી.
તેમણે કહ્યું કે, "સમાચારપત્રો અને ટીવી મીડિયામાં વહેતા થયેલા અહેવાલો બાદ સાબરકાંઠા પોલીસ દ્વારા તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને પોલીસે તેમની પાસેથી પરીક્ષાને લગતી તમામ માહિતી મેળવી હતી."


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












