શું આ પ્રખ્યાત મંદિર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની વચ્ચોવચ છે? - ફૅક્ટ ચેક

ઇમેજ સ્રોત, HTTPS://CUDDALORE.NIC.IN
- લેેખક, વિગ્નેશ એ
- પદ, બીબીસી તામિલ
લગભગ તમામ ધર્મોની પૌરાણિક કથાઓમાં પ્રાપ્ત મોટાભાગની માહિતી વિજ્ઞાનની વિપરીત હોય છે. જોકે આ આધુનિક વિજ્ઞાનથી ઘણા પહેલાં લખવામાં આવી છે પણ એમાંથી કેટલીક બાબતોનો વૈજ્ઞાનિક તથ્ય તરીકે પ્રચાર કરવામાં આવે છે.
આમાંથી એક કથાને તામિલનાડુના ચિદમ્બરમના પ્રખ્યાત હિન્દુ મંદિર સાથે સાંકળીને પ્રચાર કરવામાં આવે છે.
ઘણા લોકો દાવો કરે છે કે 'આ મંદિર ધરતીના કેન્દ્રની બરાબર ઉપર આવેલું છે'. બીજી બાજુ લોકો દાવો કરે છે કે 'મંદિર પૃથ્વીના મૅગ્નેટિક ઇક્વેટરની મધ્યમાં સ્થિત છે'.
આ માહિતીએ પોતાનો રસ્તો શોધી કાઢ્યો અને સોશિયલ મીડિયા મારફત તે તામિલનાડુ અને શ્રીલંકાનાં મુખ્ય સમાચાર માધ્યમો સુધી પહોંચી ગઈ અને લેખોમાં આ દાવાઓને છાપવામાં પણ આવ્યા.
2016માં શ્રીલંકાના મુખ્ય સમાચાર માધ્યમમાં એક લેખ લખવામાં આવ્યો હતો કે આઠ વર્ષ સુધી ચાલેલા સંશોધન અને કરોડો ડૉલરનો ખર્ચ કર્યા બાદ જાણવા મળ્યું છે કે પૃથ્વીનું ચુંબકીય કેન્દ્ર એ ચિદમ્બરમ નટરાજની પ્રતિમાના અંગૂઠાની નીચે છે.
જોકે, આ લેખમાં સ્પષ્ટતા કરાઈ નથી કે આ સંશોધન કોણે કર્યું અને કયા આધારે દાવો કરવામાં આવી રહ્યો છે.
આ દંતકથા એટલી શક્તિશાળી બની ગઈ કે આ મંદિર જે કુડ્ડાલોર જિલ્લામાં આવેલું છે ત્યાંની સત્તાવાર વેબસાઇટમાં લખવામાં આવ્યું છે કે 'આ મંદિર ચુંબકીય ભૂમધ્યરેખાની મધ્યમાં આવેલું છે'.
જોકે, હકીકત એવી છે કે ચુંબકીય ભૂમધ્યરેખા બીજા કોઈ ભારતીય શહેરમાંથી પસાર થાય છે. આ વિશે આગળ લેખમાં જાણીશું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

પૃથ્વીનું કેન્દ્ર

ચાલો આપણે એ દાવા વિશે તપાસ કરીએ કે શું આ મંદિર પૃથ્વીના કેન્દ્રમાં અને ચુંબકીય ભૂમધ્યરેખાના કેન્દ્રમાં છે.
અમેરિકન અંતરિક્ષ સંસ્થા નાસાના જણાવ્યા અનુસાર ભૂમધ્યરેખા પર પૃથ્વીની ત્રિજ્યા 6378.137 કિલોમિટર છે અને તેના ધ્રુવની ત્રિજ્યા 6,356.752 કિલોમીટર છે.
પૃથ્વીની કુલ ત્રિજ્યા 6371 કિલોમિટર છે. સમગ્ર વિશ્વમાં આ આંકડો સ્વીકારવામાં આવે છે.
જો વિશ્વ ગોળ હોય, તો તેનો વ્યાસ બધે જ એકસરખો હોત. પરંતુ તેવું નથી.
ચાલો આપણે જાણીએ આવું કેમ.
ઘણાં વૈજ્ઞાનિક સંગઠનોની જેમ નાસા પણ માને છે કે પૃથ્વી સંપૂર્ણપણે ગોળ નથી પરંતુ તેનો આકાર 'ચપટો ઈંડાકાર' છે.
એટલા માટે ઉત્તર અને દક્ષિણ ધ્રુવની સપાટી સહેજ ચપટી છે.
પૃથ્વીની ધ્રુવીય ત્રિજ્યા (પૃથ્વીના કેન્દ્રથી ધ્રુવો વચ્ચેનું અંતર) ભૂમધ્યરેખાની ત્રિજ્યા (પૃથ્વીના કેન્દ્ર અને ભૂમધ્યરેખા વચ્ચે અંકિત થયેલા કોઈ પણ બિંદુ વચ્ચેનું અંતર) કરતા ઓછી છે.
પૃથ્વી પશ્ચિમથી પૂર્વ તરફ આગળ વધે છે, જેના કારણે તેની પર સેન્ટ્રિફ્યૂજ ફૉર્સ લાગે છે. આ જ કારણે પૃથ્વીની ત્રિજ્યા મધ્યમાં એટલે કે ભૂમધ્યરેખાની નજીક છે.
આટલી બધી ભિન્નતા છતાં, કોઈ પણ વિસ્તારનો કેન્દ્રીય બિંદુ સીધી લીટીમાં પૃથ્વીના કોઈ પણ વિસ્તારમાં એક જેવો હશે.
જો તમે ભૂમધ્યરેખામાં છો તો પૃથ્વીનું કેન્દ્ર તમારા પગથી 6378.137 કિલોમિટર નીચે હશે અને જો તમે ઉત્તર અથવા દક્ષિણ ધ્રુવ પર છો, તો પૃથ્વીનું કેન્દ્ર તમારાથી 6356.752 કિલોમિટર નીચે હશે.
જો કોઈ બીજી જગ્યાએ હોવ તો પૃથ્વીનું કેન્દ્ર તમારાથી 6371 કિલોમિટર દૂર હશે અને આ હકીકત ફક્ત ચિદમ્બરમ મંદિર માટે નહીં પણ આખા વિશ્વ માટે એક સરખી છે.

પૃથ્વીની ચુંબકીય ભૂમધ્યરેખા

નટરાજ મંદિર વિશે બીજો દાવો કરવામાં આવે છે કે તે ચુંબકીય ભૂમધ્યરેખાની મધ્યમાં આવેલું છે.
પૃથ્વીનો ચુંબકીય વિસ્તાર હજારો કિલોમિટર સુધી ફેલાયેલો છે, જે અવકાશ સુધી પણ જાય છે.
તે પૃથ્વીના આંતરિક ભાગથી નીકળે છે, જે પૃથ્વીનું કેન્દ્ર છે. આનો અર્થ થયો કે ચિદમ્બરમ મંદિર ચુંબકીય વિસ્તારના મધ્યમાં ન હોઈ શકે. આ પણ ફેક ન્યૂઝ છે.

પરંતુ શું મંદિર ચુંબકીય ભૂમધ્યરેખાની મધ્યમાં આવેલું છે?

ઇમેજ સ્રોત, NASA
ભારત સરકારના વિજ્ઞાન પ્રસારસભાના એક વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. ટી. વી. વેંકટેશ્વરન બીબીસી તામિલને જણાવે છે કે 'પૃથ્વીનો ચુંબકીય વિસ્તાર ઉત્તર ચુંબકીય વિસ્તાર અને દક્ષિણ ચુંબકીય વિસ્તાર તરીકે અસ્તિત્વ ધરાવે છે. પૃથ્વીનો ઉત્તર ચુંબકીય ધ્રુવ દક્ષિણ ધ્રુવને મળે છે, જ્યારે દક્ષિણ ચુંબકીય ધ્રુવ ઉત્તર ધ્રુવને મળે છે."
"જ્યારે તમે દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ તરફ આગળ વધો અથવા તે રીતે પાછા આવો, ત્યારે બંને ચુંબકીય ધ્રુવો વચ્ચેનું અંતર એક લીટીની માફક હશે.''
"તેને પૃથ્વીની ચુંબકીય ભૂમધ્યરેખા કહેવામાં આવે છે. પરંતુ ભૌગોલિક ભૂમધ્યરેખાની જેમ, તે કોઈ સીધી રેખા નથી. સૂર્યમાંથી નીકળતા કણોને કારણે 10-15 કિલોમિટરની રેન્જમાં ઉતાર-ચઢાવ રહે છે."
વેંકટેશ્વરન કહે છે, "આ ચુંબકીય ભૂમધ્યરેખા તામિલનાડુના તિરુનેલવેલીની નજીકથી પસાર થાય છે અને મુંબઈસ્થિત ભારતીય ભૂસ્તર સંસ્થાની ચુંબકીય ખગોળ નિહાળવાની પ્રયોગશાળા તિરુનેલવેલીમાં છે."
ચુંબકીય ભૂમધ્યરેખા એ પૃથ્વી પરની એક કાલ્પનિક રેખા છે, જે ગોળાકાર હોય છે અને તેમાં કોઈ કેન્દ્રીય બિંદુ હોઈ શકે નહીં.
ચિદમ્બરમ મંદિરના કિસ્સામાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ચુંબકીય ભૂમધ્યરેખા તેની નજીકથી પસાર થાય છે, જ્યારે વાસ્તિવકતા એ છે આ ચિદમ્બરમથી 400 કિલોમિટર દૂરથી પસાર થાય છે.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












