ગુજરાતમાં પાણીની તંગીનો પ્રશ્ન કેમ હલ થઈ શકતો નથી?
- લેેખક, પાર્થ પંડ્યા
- પદ, બીબીસી ગુજરાતી
ગુજરાતના અનેક વિસ્તારો હાલ પાણીની તંગીનો સામનો કરી રહ્યા છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતનાં કેટલાંક ગામો અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીની તંગી છે.
બીજી તરફ રાજ્યના મુખ્ય મંત્રી અને ઉપમુખ્ય મંત્રી લોકોને પૂરતું પાણી મળી રહેશે એવું આશ્વાસન આપી રહ્યા છે.
મે મહિનો માંડ શરૂ થયો છે ત્યાં તો સૌરાષ્ટ્ર, બનાસકાંઠા અને કચ્છ જિલ્લાનાં ગામોમાં બેડાં માથે ઊંચકીને બંજર વિસ્તારોમાં પાણી શોધતી મહિલાઓનાં ટોળાં દેખાવાં લાગ્યાં છે.
સરહદને અડીને આવેલાં બનાસકાંઠાનાં ગામોમાં સ્થિતિ બદતર છે. ગુજરાતમાં દુષ્કાળ સમી સ્થિતિ મે મહિનાના જ પ્રારંભે સર્જાઈ છે.
કચ્છના બન્ની વિસ્તારમાંથી લોકો પોતાનાં ઢોરઢાંખર સાથે હિજરત કરી રહ્યા છે.
ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલ કહી ચૂક્યા છે કે ઓછા વરસાદના કારણે ગુજરાતના મોટા ભાગના ડૅમોમાં પાણીનો જથ્થો નહિવત્ છે.
જોકે, રાજ્યના મુખ્ય મંત્રી અને ઉપમુખ્ય મંત્રી કહી ચૂક્યા છે કે 31 જુલાઈ સુધી રાજ્યમાં પીવાની પાણીની અછત નહીં સર્જાય.

ગુજરાતમાં ડૅમની સ્થિતિ

ઇમેજ સ્રોત, Getty Images
રાજ્યમાં મોટા ભાગના ડૅમની સ્થિતિ એવી છે કે નર્મદાને બાદ કરતાં કોઈ પણ ડૅમમાંથી લાંબા સમય માટે પાણી આપી શકાય એવી કોઈ જ શક્યતા હાલના તબક્કે દેખાતી નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
26 એપ્રિલ 2019 સુઘીના પ્રાપ્ત આંકડા પ્રમાણે નર્મદા સહિત ગુજરાતમાં આવેલા 204 ડૅમમાં માત્ર 33.55 ટકા પાણી જ ઉપલબ્ધ છે.
નર્મદાને બાદ કરીએ તો અન્ય 203 ડૅમમાં 23.15 ટકા પાણી જ ઉપલબ્ધ છે.
સૌરાષ્ટ્રના 138 ડૅમમાં 10.59 ટકા અને કચ્છના 20 ડૅમમાં 13.04 ટકા પાણી ઉપલબ્ધ છે. કચ્છના 20 પૈકી 17થી વધુ ડૅમ ખાલીખમ છે, એવું સ્થાનિક અખબારો અનેક વખત નોંધી ચૂક્યાં છે.
સ્કૉલર અને ભાજપ સરકારના પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસે ફેસબુક પર લખ્યું છે કે માત્ર બે જ જળાશયોમાં પાણીનો જથ્થો 70થી 90 ટકા વચ્ચે છે, જ્યારે 78 જળાશયો તળિયાઝાટક થઈ ગયાં છે.
ઉત્તર ગુજરાતના 15 ડૅમની સ્થિતિ પણ સારી નથી. અહીં 16.24 ટકા પાણી જ ઉપલબ્ધ છે.
નર્મદા ડૅમમાં 50.89 ટકા પાણી ઉપલબ્ધ છે. આમ છતાં, મધ્ય ગુજરાતના છોટાઉદેપુર અને ખેડામાં પાણીનો કકળાટ છે.

તમે આ વાંચ્યું કે નહીં?

સરકાર શું કહે છે?
રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ મંગળવારે પત્રકાર પરિષદ યોજી હતી અને કહ્યું હતું, "31 જુલાઈ સુધી લોકોને પાણી પહોંચાડવા માટે સરકાર તૈયાર છે. લોકોએ ડરના માર્યા પાણીનો સંગ્રહ કરવાની જરૂર નથી."
તેમણે કહ્યું, "પાણીની પરિસ્થિતિ કંટ્રોલ બહાર નથી, પાણી છે પણ 500 કિલોમિટર દૂર પહોંચાડવાનો પ્રશ્ન છે."
"જે તે જિલ્લાની જરૂરિયાત પ્રમાણે સૌને પાણી મળી રહે એ માટે કલેક્ટરોને પણ છૂટો દોર આપવામાં આવ્યો છે."
જરૂર પ્રમાણે ટૅન્કરની મદદથી તંત્ર પાણી પહોંચાડવા તૈયાર હોવાનું પણ રૂપાણીએ જણાવ્યું હતું.
મુખ્ય મંત્રીએ બાંયધરી આપી હતી કે 31 જુલાઈ સુધી ગુજરાતમાં પીવાના પાણીની કોઈ જ સમસ્યા સર્જાશે નહીં.
રાજ્યભરમાં 31 જુલાઈ સુધી પીવાનું પાણી પહોંચાડવાનો દાવો કરાઈ રહ્યો છે, ત્યારે પીવાના પાણી માટે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતનાં ગામોમાં લોકો પાણી માટે વલખાં મારે છે.

પીવાના પાણીની પળોજણ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત ઉપરાંત મધ્ય ગુજરાતમાં પણ પીવાના પાણીની તંગી જોવા મળી રહી છે.
ડિસેમ્બર 2018માં ગુજરાતની મુખ્ય વેટલૅન્ડમાં ગણાતું અમદાવાદ પાસેનું નળ સરોવર સુકાઈ ગયું હતું અને 120.82 ચોરસ કિલોમિટરનો વિસ્તાર મેદાનમાં ફેરવાઈ ગયો હતો.
ગુજરાતનાં સરોવરો, ડૅમ, નદીઓ, તળાવોનાં તળિયાં દેખાઈ રહ્યાં છે અને ક્યાંક તો નદીઓના પટ સાવ કોરા છે.
ઓછા વરસાદના કારણે ખેતી માટે સિંચાઈના પાણીની અછત છેલ્લા થોડા મહિનાઓથી ચર્ચામાં છે, પણ હવે પીવાના પાણીની ચિંતા સતાવી રહી છે.
દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડમાં પીવાના પાણીની અછતના અહેવાલો સ્થાનિક અખબાર 'ગુજરાત સમાચાર' અને 'સંદેશ'માં પ્રકાશિત થયા હતા.
એ જ રીતે મધ્ય ગુજરાતમાં છોટાઉદેપુર જિલ્લાના બોડેલી અને નસવાડી તાલુકાનાં કેટલાંક ગામોમાં પાણીની તંગી છે.
વૉટર હાર્વેસ્ટિન્ગના ક્ષેત્રે કામ કરતાં અને ઉત્થાન સંસ્થાના સ્થાપક નફિસા બારોટ કહે છે કે આ વર્ષે પણ કપરી પરિસ્થિતિ છે.
તેઓ કહે છે, " ભાવનગરનાં ગામોમાં અઠવાડિયામાં એક વાર કે બે વાર પાણી આવે છે, ક્યાંક તો પંદર દિવસે પાણી આવે છે. એ પણ માંડ 40 મિનિટ માટે આવે છે અને એમાંથી જ બધાએ પાણી ભરવાનું હોય એવી પણ દશા છે."
"ભાવનગર જિલ્લાનાં કેટલાંક ગામોમાં તો મહિલાઓ અને બાળકો 3થી 4 કિલોમિટર દૂર પાણી શોધવા જાય છે અને ઘોઘામાં તો શાળા બંધ કરવી પડે એવી સ્થિતિ છે."


ટૅન્કરોથી પૂરું પડાતું પાણી

ઇમેજ સ્રોત, Getty Images
નફિસા બારોટનું કહેવું છે કે એક તરફ કહેવાય છે કે સાડા નવ હજાર ગામો નર્મદાની પાઇપલાઇનથી જોડાયેલાં છે, એ છતાં ટૅન્કરો દોડાવવાં પડે છે.
તેઓ કહે છે, "ગયા વર્ષે એપ્રિલથી જુલાઈમાં 4 હજાર પાણીનાં ટૅન્કરો સરકારે દોડાવવા પડ્યાં હતાં. આ વર્ષે પણ કપરી પરિસ્થિતિ છે, જળસંકટ માથે ઊભું જ છે.
ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલે 30 એપ્રિલે યોજેલી પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે 500 ગામોને ટૅન્કર મારફતે પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે અને આગામી દિવસોમાં જરૂર પડશે તો વધુ ગામોમાં ટૅન્કર મોકલાશે.
મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જિલ્લાઓમાં અધિકારીઓને અત્યારથી જ વ્યવસ્થા કરી લેવા કહેવામાં આવ્યું છે, જેથી જરૂર પડ્યે ટૅન્કરો થકી વધારે પાણી પહોંચાડી શકાય.
ઉનાળા દરમિયાન શહેરોમાં પણ ખાનગી ટૅન્કરોની બોલબાલા વધી જતી હોય છે.
વડોદરા સ્થિત સેન્ટર ફોર કલ્ચર ઍન્ડ ડેવલપમૅન્ટના રિસર્ચ કન્સલ્ટન્ટ ડૉ. જયેશ શાહે વડોદરામાં પાણીનાં ટૅન્કરના પ્રમાણ વિશે અભ્યાસ કર્યો છે.
આ અભ્યાસ પ્રમાણે માત્ર વડોદરામાં જ વર્ષે સરેરાશ 40 હજાર ફાયર બ્રિગેડનાં ટૅન્કર દ્વારા અને આશરે 2 લાખ 75 હજાર ખાનગી ટૅન્કરોનો પાણીના સ્રોત તરીકે ઉપયોગ થાય છે.
અન્ય શહેરો અને જિલ્લાઓમાં પણ સ્થિતિ વિકટ હોવાનું જાણવા મળે છે.

પાણીની અછત કેમ?
મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ પાણીની અછતનાં કારણો અંગે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ક્ષમતા વધારવા માટે જળાશયોને ઊંડા કરવામાં આવ્યાં હતાં, પણ આ વખતે વરસાદ ઓછો પડ્યો હોવાથી જળાશયોમાં પૂરતા પ્રમાણમાં પાણી નથી.
આ મામલે જયનારાયણ વ્યાસનું કહેવું છે કે જેટલાં ઘનમીટર માટીકામ થયું એટલાં ઘનમીટર જળસંગ્રહની શક્તિ ઊભી થઈ એમ ગણી 'હરખ હવે તો હિંદુસ્તાન'ની જાહેરાતો વ્યર્થ છે.
નફિસા બારોટ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે, "1970માં સ્થાનિક સ્રોતોને વિકસાવવાના પ્રયાસ હતા, 1990-99માં પ્રયાસો બદલાતા ગયા પછી બલ્ક વૉટર સપ્લાય સુધી પહોંચ્યા"
તેઓ જણાવે છે કે આટલાં વર્ષોમાં સ્થાનિક સ્રોતોને જાળવવાના અને વધારવાના પ્રયાસો કરવાની જરૂર હતી, પણ એના બદલે મોટા જથ્થામાં પાણીને પહોંચાડવાની યોજનાઓ પર જ કામ થયું. જેના પગલે સ્થાનિક સ્રોતોને જાળવી નથી શકાયા.
જયનારાયણ વ્યાસ નોંધે છે, "નર્મદાનું પાણી મધ્ય ગુજરાત અને કડી થઈ સૌરાષ્ટ્રમાં જાય, તે 92 મિટર પમ્પિંગ કરી રાજકોટ પહોંચાડે. રકાબી જેવા આજી ડૅમમાંથી પાણીનું બાષ્પીભવન થઈને ઊડી જવાની ક્ષમતા ગુજરાતમાં સૌથી વધારે છે, તેમાં આ પાણી નાખીએ એટલે લગભગ 40થી 50 ટકા પાણીનું બાષ્પીભવન થઈ જાય છે."
"સૌરાષ્ટ્રનું લાંબા ગાળાનું પાણીનું આયોજન, સિંચાઈ તેમજ પીવા માટે પ્રામાણિક અભ્યાસ અને વપરાશ માટે ખૂબ સંયમ જરૂરી છે."
કચ્છમાં નર્મદાના પાણી પહોંચાડવા વિશે તેઓ લખે છે કે કચ્છ અને નર્મદાનો ગ્રહમેળ ક્યારેય પૂરેપૂરો સધાયો નથી. 100 કરતાં વધારે વખત તૂટી ગયેલી કૅનાલોનો પણ તેમણે ઉલ્લેખ કર્યો છે.


'ગુજરાતનું પાણી ક્યાં જાય છે?'

ઇમેજ સ્રોત, Getty Images
ખેડૂત કર્મશીલ સાગર રબારીએ મુખ્ય મંત્રીની સંબોધીને લખેલા પત્રમાં પાણીની ગણતરી અંગે કેટલાક પ્રશ્નો પૂછ્યા છે.
તેઓ લખે છે, 15 ફેબ્રુઆરીથી ઓછા વરસાદનું કારણ આપીને સરકારે સિંચાઈ માટે અપાતું પાણી બંધ કરી દીધું છે.
તેમણે પત્રમાં નર્મદા યોજનાના આંકડા ટાંકીને લખ્યું છે, "ગુજરાતને નર્મદામાંથી મળતા વાર્ષિક 90 લાખ એકર ફૂટ પાણી પૈકી 60 લાખ 38 હજાર એકર ફૂટ પાણી મળ્યું છે અને હજી પાણીની આવક ચાલુ જ છે."
"બીજી તરફ સિંચાઈ માટે 17 લાખ 92 હજાર હેક્ટર પાણી આપવાના બદલે ત્રીજા ભાગનું એટલે કે 6 લાખ 40 હજાર હેક્ટર જ આપવામાં આવ્યું છે."
ગણતરીના આધારે તેઓ આક્ષેપ કરે છે કે 24 લાખ 81 હજાર એકર ફૂટ પાણીની ઘટ પડી રહી છે એટલે કે એનો કોઈ હિસાબ જ નથી.

શું નર્મદા યોજના ગુજરાતના પાણીનો ઉકેલ છે?

ઇમેજ સ્રોત, Getty Images
નર્મદા યોજના નામે એવો દાવો કરાતો હતો કે ગુજરાતમાં દુષ્કાળ હવે ભૂતકાળ થઈ જશે.
મંગળવારની પત્રકાર પરિષદમાં પણ મુખ્ય મંત્રીએ એવો દાવો કર્યો હતો કે નર્મદાનું પાણી અછતમાં પાણીની પૂર્તિ કરશે.
વિજય રૂપાણીએ કહ્યું હતું, "સૌરાષ્ટ્રના ડૅમો લગભગ ખાલી જ છે પણ ત્યાં નર્મદાનું પાણી પહોંચાડવામાં આવશે."
સ્પષ્ટ વર્તાય છે કે ગુજરાતના પાણીની સમસ્યાનો ઉકેલ મહદંશે નર્મદા યોજના કેન્દ્રીત થઈ રહ્યો છે, પણ એ કેટલા અંશે યોગ્ય છે?
જયનારાયણ વ્યાસે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં 13 શહેરો અને 14 હજાર કરતાં વધારે ગામડાં નર્મદાનું પાણી પીવે છે.
નર્મદા યોજનાના કારણે પીવાના પાણીની તંગી કંઈક હળવી થઈ છે, પણ તે સંપૂર્ણ ઉકેલ નથી.
તેમના બ્લૉગમાં લખે છે કે નર્મદા યોજના ગુજરાત માટે અખૂટ પાણીનો ભંડાર છે એ વાત મગજમાં હોય તો કાઢી નાખવી પડે.
નર્મદા યોજનાના પાણી અંગે ગણતરી કરતાં તેમણે લખ્યું છે, "નર્મદા યોજનામાં આપણે ભાગે 9 મિલિયન એકર ફીટ પાણી આવ્યું છે. 455 ફૂટ એટલે કે પૂરેપૂરો બંધ ભરાય તો માત્ર 4.7 મિલિયન એકર ફીટ પાણી જ મળે."

ઇમેજ સ્રોત, Getty Images
તેઓ કહે છે, "બાકીનું બારગી, માહેશ્વર જેવા મધ્ય પ્રદેશમાં વીજળી માટે બાંધેલા બંધમાંથી કટકે-કટકે આખું વરસ પાણી આવતું રહે તો જ આપણને 9 મિલિયન એકર ફીટ પાણી મળે."
નર્મદાના પાણીનો ક્યા અને કેટલા પ્રમાણમાં ઉપયોગ થાય છે એ વિશે વ્યાસ લખે છે, "4.7 મિલિયન ફીટમાંથી 1 મિલિયન એકર ફીટ પાણી તો ઉદ્યોગો અને પીવા માટે અનામત છે."
"ગુજરાતમાં 13 શહેરો અને 14 હજાર કરતાં વધારે ગામડાં નર્મદાનું પાણી પીવે છે, માટે પીવાના પાણીની તંગી કંઈક હળવી છે."
"બાકી રહેલાં 3.7 મિલિયન એકર ફીટ પાણીમાંથી ખેતી માટે અને તળાવો ભરવા કે બીજા કોઈ આયામો માટે વાપરવાનું છે."
કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભવિષ્યમાં નર્મદાના પાણી પહોંચાડવા વિશે ભવિષ્યની સ્થિતિ વિશે પણ વ્યાસે લખ્યું છે.
તેઓ નોંધે છે, "આવનાર સમયમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત એ ત્રણેય નર્મદા યોજનાનાં મુદ્દે સામસામે મેદાનમાં આવી જાય તે ખૂબ જ અણગમતું લાગે છે, છતાંય ક્યાંક અમંગળનાં એંધાણ આજે દેખાય છે."
"મનમાં શંકા પાકી થતી જાય છે કે નર્મદા યોજના કદાચ ગુજરાતનાં વિભાજન માટેનું એક મોટું પરિબળ બનીને ઊભી રહેશે."
"ગુજરાતનું જળસંકટ વિકટ સમસ્યા બની રહ્યું છે અને બનવાનું છે ત્યારે એ ભ્રમણાથી બહાર આવીએ કે નર્મદા બધા પ્રશ્નોનો એકમાત્ર ઈલાજ છે અને આપણે એ સાધી લીધો છે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














