ગુજરાતની આ બેઠકોએ ફરી એક વખત દેખાડ્યું કે કેન્દ્રમાં કોની સરકાર બનશે

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
લોકસભા ચૂંટણીનાં પરિણામોની જાહેરાત સાથે જ 'બેઠક આધારિત' સમીકરણો, પૃષ્ઠભૂમિ અને માન્યતાની ચર્ચાઓ થઈ ગઈ છે, ત્યારે ગુજરાતની અમુક બેઠકની વિશેષતા આ વખતે પણ જળવાઈ રહી હતી.
આ ત્રણ બેઠકને રાજકીય હવાને પારખી લેતી બેઠક (bell-wether) તરીકે ઓળખવામાં આવે છે.
એવી માન્યતા છે કે જે પક્ષ વલસાડ, જામનગર કે બનાસકાંઠાની બેઠક જીતે તે પક્ષ (કે તેના નેતૃત્વમાં યુતિ) કેન્દ્રમાં સરકાર બનાવે.
વર્તમાન ચૂંટણીમાં ભાજપે 303 બેઠક જીતી છે અને બહુમત માટે જરૂરી 272નો આંક પાર કરી લીધો છે તથા એનડીએ કુલ 350 બેઠક પર વિજય તરફ અગ્રેસર છે.
2014ની જેમ જ તમામ 26માંથી 26 બેઠક જીતીને ગુજરાતમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શનનું પુનરાવર્તન કર્યું છે.

વલસાડની વિશિષ્ટતા

ઇમેજ સ્રોત, Getty Images
અનુસૂચિત જાતિ માટે અનામત વલસાડ (બેઠક નંબર 26) પર ભાજપના ડૉ. કે. સી. પટેલની સામે ભાજપના જીતુ ચૌધરી હતા.
પટેલ આ ચૂંટણીમાં ચૌધરીને ત્રણ લાખ 53 હજાર 797 મતે હરાવી વિજયી થયા. ગત વખતે તેઓ 208004 મતે વિજયી થયા હતા.
લોકસભાની ચૂંટણી દરમિયાન 75.21 ટકા મતદાન થયું હતું અને 1256702 નાગરિકોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વરિષ્ઠ પત્રકાર ફયસલ બકીલીના કહેવા પ્રમાણે, "કેન્દ્રીય રાજકારણમાં 'જો વડા પ્રધાન બનવાનો રસ્તો ઉત્તર પ્રદેશમાંથી થઈને જાય છે', તો વલસાડ એ 'લક્કી ચાર્મ' છે."
"કેન્દ્રમાં જનતા પાર્ટીની સરકાર બની હોય કે જનતા દળની. વલસાડની બેઠકે રાજકીય વલણને પારખ્યું છે."
વર્ષ 2004 અને 2009માં કૉંગ્રેસના ઉમેદવાર કિશન પટેલ આ બેઠક પરથી સાંસદ રહ્યા હતા.
એ સમયે કેન્દ્રમાં કૉંગ્રેસના નેતૃત્વમાં યૂપીએ (યુનાઇટેડ પ્રૉગ્રેસિવ અલાયન્સ)ની સરકાર બની હતી.
હાફૂસ કેરી તથા ચીકુ માટે રાજ્યભરમાં વિખ્યાત વલસાડ હેઠળ ડાંગ (ST), વાંસદા (ST), ધરમપુર (ST), વલસાડ, પારડી, કપરાડા (ST) અને ઉમરગામ (ST) એ આ લોકસભાક્ષેત્ર હેઠળની વિધાનસભા બેઠકો છે.

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 2014માં ભાજપના ડૉ. કે. સી. પટેલે કૉંગ્રેસના કિશન પટેલને પરાજય આપ્યો. એ સમયે કેન્દ્રમાં ભાજપના નેતૃત્વમાં એનડીએ (નેશનલ ડેમૉક્રેટિક અલાયન્સ)ની સરકાર બની હતી.
2004 પહેલાં ભાજપના મણિલાલ ચૌધરી આ બેઠક પરથી સાંસદ હતા. એ સમયે કેન્દ્રમાં એનડીએની સરકાર હતી.
કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ધરમપુર ખાતે જાહેરસભાને સંબોધીને ગુજરાતમાં ચૂંટણીપ્રચારની 'ઔપચારિક' શરૂઆત કરી હતી.
પરંપરાગત રીતે આદિવાસી બહુમતી ધરાવતી આ બેઠક કૉંગ્રેસનો ગઢ રહી છે. જોકે, ગત વખતે મોદીલહેરમાં કૉંગ્રેસના હાથમાંથી આ બેઠકને ખૂંચવી લેવામાં ભાજપને સફળતા મળી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

વિધાનસભા અને વલસાડની બેઠક

ઇમેજ સ્રોત, Getty Images
વિધાનસભા માટે પણ વલસાડની બેઠકની 'રાજકીય હવાનું વલણ પારખતી બેઠક' તરીકે ઓળખવામાં આવે છે.
1990માં દોલતભાઈ દેસાઈ પ્રથમ વખત આ બેઠક જિત્યા હતા, ત્યારે ભાજપ અને જનતા પાર્ટીની યુતિ સરકાર બની હતી. ત્યારબાદથી ભાજપની એકલા હાથે સરકાર બની છે.
વર્ષ 2012થી ભરતભાઈ પટેલ આ બેઠક પરથી ભાજપનું પ્રતિનિધિત્વ કરે છે.
ગત પાંચ ચૂંટણીનો અભ્યાસ કરવામાં આવે તો ગુજરાતની જામનગર તથા બનાસકાંઠાની લોકસભા બેઠકોને પણ 'રાજકીય હવાનું વલણ' પારખી લેતી બેઠક તરીકે ઓળખવામાં આવે છે.
આ બેઠક પર જે પક્ષના સાંસદ વિજેતા થયા હોય, તે પક્ષ (કે યુતિ)એ કેન્દ્રમાં સરકાર બનાવી છે.


જામનગરની બેઠક

ઇમેજ સ્રોત, Getty Images
વર્તમાન ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પૂનમબહેન માડમે કૉંગ્રેસના ઉમેદવાર મૂળભાઈ કંડોરિયાને બે લાખ 36 હજાર 804 મતે પરાજય આપ્યો હતો.
2019માં આ બેઠક ઉપર 60.68 ટકા મતદાન થયું હતું, અહીં 1004790 મત પડ્યા હતા.
વર્ષ 2014માં ભાજપના ઉમેદવાર પૂનમબહેન માડમે (484412 મત), કૉંગ્રેસના ઉમેદવાર વિક્રમભાઈ માડમ (309123 મત)ને પરાજય આપ્યો હતો. યોગાનુયોગ વિક્રમભાઈ એ પૂનમબહેનના કાકા પણ થાય છે.
વર્ષ 2009માં કૉંગ્રેસના ઉમેદવાર વિક્રમ માડમને (47.33 %) અને ભાજપના ઉમેદવાર રમેશભાઈ મુંગરાને (42.89 %) મત મળ્યા હતા.
એ પહેલાંની બે ચૂંટણી દરમિયાન ભાજપના ઉમેદવાર ચંદ્રેશ પટેલે દિલ્હીમાં આ બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
કાલાવડ (SC), જામનગર ગ્રામીણ, જામનગર ઉત્તર, જામનગર દક્ષિણ, જામજોધપુર, ખંભાળિયા તથા દ્વારકા વિધાનસભા બેઠકો આ લોકસભા બેઠક હેઠળ આવે છે.

બનાસકાંઠાની બેઠક

ઇમેજ સ્રોત, Getty Images
2014ની ચૂંટણી દરમિયાન આ બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર હરિભાઈ ચૌધરીએ (507856 મત) કૉંગ્રેસના ઉમેદવાર જોઇતાભાઈ પટેલને (305522) લગભગ બે લાખ મતે પરાજય આપ્યો હતો.
છતાં 16મી લોકસભા દરમિયાન મોદી સરકારમાં રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી હરિભાઈને પડતા મૂકીને પરબત પટેલને ટિકિટ આપી, જેમણે ત્રણ લાખ 68 હજાર 296 મતે કૉંગ્રેસના પરથીભાઈ ભટોળને પરાજય આપ્યો હતો.
1096938 મતો સાથે 64.67 ટકા મતદાન નોંધાયું હતું. વાવ, થરાદ, ધાનેરા, દાંતા, પાલનપુર, ડીસા તથા દિયોદર વિધાનસભા ક્ષેત્ર આ લોકસભા બેઠક હેઠળ આવે છે.
2009ની ચૂંટણી દરમિયાન કૉંગ્રેસના ઉમેદવાર મુકેશભાઈ ગઢવીને (44.78 %) મત અને ભાજપના ઉમેદવાર હરિભાઈ ચૌધરીને (43.78 %) મત મળ્યા હતા. હરિભાઈનો લગભગ 10,301 મતથી પરાજય થયો હતો.
વર્ષ 2008માં લોકસભા અને વિધાનસભાની બેઠકોનું પુનઃસીમાંકન કરવામાં આવ્યું હોવાથી 'જ્ઞાતિ-જાતિ અને વિસ્તાર'ની દૃષ્ટિએ ત્યારપછી યોજાયેલી ચૂંટણીનો અભ્યાસ આદર્શ ગણવામાં આવે છે.


2014નાં પરિણામનું પુનરાવર્તન

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 2014માં ગુજરાતની તમામ 26 બેઠક ઉપર ભાજપનો વિજય થયો હતો. એ સમયે ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી ભાજપ તરફથી વડા પ્રધાનપદના ઉમેદવાર હતા.
30 વર્ષ બાદ કોઈ એક પક્ષને પૂર્ણ બહુમતી મળી અને ભાજપે 282 બેઠક જીતી. મોદીએ એનડીએ સરકારનું પાંચ વર્ષ માટે નેતૃત્વ કર્યું.
વર્ષ 2019માં ભાજપે સીટની સંખ્યાની દૃષ્ટિએ અગાઉ પ્રદર્શન રિપીટ કર્યું છે અને મતોની ટકાવારીની દૃષ્ટિએ પોતાનું સ્થાન વધુ મજબૂત કર્યું છે.
ગત વખતે ગુજરાતમાં 63.66 ટકા મતદાન થયું હતું, જેમાંથી ભાજપને લગભગ 60 ટકા મત મળ્યા હતા. 2017ની વિધાનસભા ચૂંટણી દરમિયાન આ ટકાવારી ઘટીને 49.1 ટકા ઉપર આવી ગઈ.
જોકે, 2019માં ભાજપે તેનું પ્રદર્શન સુધાર્યું. ગુજરાતમાં રેકૉર્ડ 64.11 ટકા વોટિંગ થયું, જેમાંથી ભાજપને 62.ટ ટકા મત મળ્યા.
ભાજપે ગુજરાત ઉપરાંત દિલ્હી, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને ચંડીગઢ જેવા યુનિટ્સમાં તમામ બેઠક ઉપર વિજય મેળવ્યો હતો.


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














