ધોળાવીરા : વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ થનાર ગુજરાતનું પાંચ હજાર વર્ષ જૂનું 'સ્માર્ટ સિટી'

ધોળાવીરાની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, જય મકવાણા
    • પદ, બીબીસી ગુજરાતી

ગુજરાતના કચ્છમાં આવેલું ધોળાવીરા એક એવું સ્થળ છે જે વર્લ્ડ હેરિટેજ યાદીમાં સામેલ છે.

આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયાએ ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ યાદીમાં સમાવવા યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ સેન્ટરને નોમિનેશન માટે ડોઝિયર સૌપ્રથમ 2018માં મોકલ્યું હતું અને સાથે જ ગુજરાત સરકારે સાઇટનો વિકાસ કરવા સમિતિઓ બનાવી હતી.

ગુજરાત સરકાર ધોળાવીરાનો વર્લ્ડ હેરિટેજમાં સમાવેશ થવાને ગર્વની વાત ગણાવતી રહી છે. તો વાંચો પાંચ હજાર જૂના એ શહેરની કહાણી જે કોઈ સ્માર્ટ સિટીથી ઓછું નહોતું.

line

ધોળાવીરા- આંતરરાષ્ટ્રીય બંદર

ધોળાવીરાની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ભુજથી લગભગ 200 કિલોમીટર ઉત્તરમાં ખદીરબેટ આવેલો છે. આ જ બેટ પર ધોળાવીરા ગામ વસ્યું છે. કચ્છના કોઈ પણ સામાન્ય ગામ જેવું જ ભાસતું આ ગામ એક અસામાન્ય ઇતિહાસ ધરબીને બેઠું છે.

ગામથી એકાદ કિલોમીટર દૂર ઉત્તર તરફ જઈએ તો 'કોટડા ટિંબા' વિસ્તાર આવે છે. બસ, આ જ વિસ્તાર ગામને અસામાન્ય બનાવે છે.

અહીં જ પાંચ હજાર વર્ષ પહેલાં એ સમયની આધુનિક સંસ્કૃતિનું નગર ધોળાવીરા ધમધમતું હતું.

'આઈઆઈટી ગાંધીનગર' અને 'આર્કિયોલોજિકલ સર્વે ઑફ ઇન્ડિયા' દ્વારા કરાયેલા એક સંશોધનમાં જાણવા મળ્યું હતું કે આ 'પુરાતન શહેર'માં પાંચ હજાર વર્ષ પહેલાં પાણીનું અદ્ભુત વ્યવસ્થાપન કરાયું હતું.

અહીં 'ગ્રાઉન્ડ પૅનિટ્રેટિંગ રડાર (જીપીઆર)' દ્વારા જમીન સ્કૅન કરવામાં આવી છે. આ સ્કૅનિંગ થકી જાણવાં મળ્યું કે એ સમયે શહેરમાં ડૅમ, નહેર, જળાશયો, વાવ, કૂવા જેવી જડબેસલાક અને આફલાતૂન વ્યવસ્થા ઊભી કરાઈ હતી.

સિંધુ ખીણની સંસ્કૃતિ 'મૉર્ડન ટાઉન પ્લાનિંગ' માટે જાણીતી હતી. આ સંસ્કૃતિનાં શહેરો એમનાં મકાનો, સ્થાપત્યો, જાહેર સ્થળો, ગટરવ્યવસ્થા માટે આજે પણ આદર્શ માનવામાં આવે છે.

વજનનિયમન, માપ, સિરામિક્સ, કળા અને કૌશલ્યમાં સિંધુ ખીણની સંસ્કૃતિએ ભારે મહારત હાંસલ કરી લીધી હતી અને રણમાં વસેલું હોવા છતાં ધોળાવીરા સિંધુ સંસ્કૃતિનું મહાનગર હતું અને અત્યંત સમૃદ્ધ હતું.

રણને કારણે ઊભી થયેલી પાણીની અછતને પહોંચી વળવા એ સમયે અહીં સિંધુ ખીણની સંસ્કૃતિનો ઇજનેરી કસબ કામે લગાડવામાં આવ્યો હતો.

'ડૅક્કન કૉલેજ ઑફ આર્કિયૉલૉજી'ના વાઇસ ચાન્સેલર પ્રોફેસર વસંત શિંદે આ અંગે વાત કરતાં બીબીસીને જણાવે છે કે 'સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોએ કચ્છના રણમાં એ સમયનું આધુનિક શહેર વસાવ્યું હતું.'

તેઓ કહે છે, "એ લોકો માટે ધોળાવીરાનું વેપારી મહત્ત્વ હતું, કારણ કે ધોળાવીરા એક 'આંતરરાષ્ટ્રીય બંદર'ની ગરજ સારતું હતું."

line

જળવ્યવસ્થાપન અને ઇજનેરી કસબ

મિસરની સંસ્કૃતિ દરમિયાન દોરેલાં ચિત્રો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મિસરની સંસ્કૃતિ દરમિયાન દોરેલાં ચિત્રો

પ્રોફેસરના મતે ધોળાવીરા વસાવતા પહેલાં ત્યાં સર્વે કરાયો હતો.

ધોળાવીરાનું ભૌગોલિક સ્થાન એને વેપારી બંદર તરીકે વિકસાવી શકે એમ હતું. જોકે, મુશ્કેલી એ હતી એ સ્થળની ચારેય તરફ રણ આવેલું હતું.

ચોતરફ રણની મુશ્કેલીનો સિંધુ ખીણના લોકોએ રસપ્રદ ઉકેલ શોધી કાઢ્યો હતો.

આ અંગે વાત કરતા પ્રોફેસર શિંદે જણાવે છે, ''ધોળાવીરાની બન્ને તરફ મનસર અને મનહર નામની મોસમી નદી આવેલી છે."

"ચોમાસા દરમિયાન જ આ નદીઓમાં પાણી રહે છે એટલે એ લોકોએ આ જ પાણીને શહેર તરફ વાળવાનું નક્કી કર્યું."

"તેમણે બન્ને નદીઓ પર અલગઅલગ સ્થળોએ ચેકડેમ બાંધ્યા અને ચોમાસામાં જ્યારેજ્યારે તેમાં પાણી કે પૂર આવ્યું એ તમામ પાણી એમણે શહેરમાં વાળી લીધું."

"આ પાણીના સંગ્રહ માટે શહેરમાં ભૂગર્ભ ટાંકીઓ બનાવાઈ અને 'અન્ડરગ્રાઉન્ડ વૉટર ટનલ' થકી તેમણે આ ત્રણેય ટાંકીઓને જોડી દીધી. એ રીતે તેમણે પાણીની સમસ્યાને દૂર કરી લીધી.''

પાણીની સમસ્યા દૂર થઈ એટલે રણમાં પણ સિંધુ ખીણના લોકો સમૃદ્ધિ તાણી લાવ્યા.

પ્રોફેસર વસંત શિંદેનું માનવું છે કે 'હડપ્પન ટેકનિક'નો ઉપયોગ કરવામાં આવે તો કચ્છના રણને પણ હરિયાળું બનાવી શકાય.

line

પ્રાચીન વિશ્વની ત્રણ મહાન સંસ્કૃતિ

પ્રતિકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

આજથી લગભગ પાંચેક હજાર વર્ષ પહેલાં વિશ્વમાં ત્રણ મુખ્ય સંસ્કૃતિઓ અસ્તિત્વ ધરાવતી હતી.

નાઇલ નદીના કિનારે પ્રાચીન મિસરની સંસ્કૃતિએ આલિશાન નગરો અને ભવનો બનાવ્યાં હતાં.

પશ્ચિમ અને મધ્ય-પૂર્વ એશિયામાં ટાઇગ્રીસ-યુફ્રેટિસ નદીના કિનારે મેસેપોટેમિયાની સંસ્કૃતિ વિકસી હતી.

એ જ વખતે સિંધુ નદીના કિનારે પણ એક સંસ્કૃતિ વિકસી. જેને એ સમયની સૌથી આધુનિક અને શહેરી સંસ્કૃતિ ગણવામાં આવી.

વીડિયો કૅપ્શન, કચ્છ : એ ગામ જ્યાં ઘરનાં સરનામાં દીકરીઓ કે વહુનાં નામથી શરૂ થાય છે
line

ગુજરાતમાં સિંધુ સંસ્કૃતિનાં શહેરો

પ્રતિકાત્મક તસવીર

હાલના ભારતના પશ્ચિમમાં અને પાકિસ્તાનના પૂર્વમાં સિંધુ નદીના કિનારે વિકસેલી હોવાને કારણે તેને સિંધુ ખીણની સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવી.

પાકિસ્તાનમાં આવેલું હડપ્પા આ સંસ્કૃતિનું મહત્ત્વનું કેન્દ્ર હતું અને એટલે આ પ્રાચીન સંસ્કૃતિ 'હડપ્પન સંસ્કૃતિ' તરીકે પણ જાણીતી છે.

સિંધુ ખીણની આ સંસ્કૃતિનાં મૂળ ઉત્તરમાં છેક અફઘાનિસ્તાન સુધી અને દક્ષિણમાં છેક ગુજરાત સુધી વિસ્તર્યાં હતાં.

હડપ્પા, ગનેરીવાલા, મોહેંજો-દડો, ધોળાવીરા, કાલી બંગળ, રાખીગઢી, રુપર અને લોથલ એ આ સંસ્કૃતિનાં મહત્ત્વનાં શહેરો હતાં.

કચ્છમાં આવેલું ધોળાવીરા અને અમદાવાદ નજીક આવેલું લોથલ ગુજરાતમાં આવેલી સિંધુ ખીણની સંસ્કૃતિની પુરાતત્ત્વીય સાઇટ્સ છે.

પ્રોફેસર શિંદે આ સંસ્કૃતિને ભારતીય સંસ્કૃતિનો પાયો ગણે છે. તેમના મતે ભારતનું આજનું જીવન એ જ સંસ્કૃતિના પાયા પર રચાયેલું છે.

line

સંસ્કૃતિનો સમયગાળો

પ્રતિકાત્મક તસવીર

'આર્કિયૉલૉજીકલ સર્વે ઑફ ઇન્ડિયા' સિંધુ ખીણની સંસ્કૃતિનો સમયગાળો ઈ.સ. પૂર્વે 1500થી ઈ.સ. પૂર્વે 3 હજાર વર્ષ સુધીનો ગણે છે.

જોકે, કેટલાક સંશોધકો સિંધુ ખીણની સંસ્કૃતિને એથી પણ વધુ પ્રાચીન ગણાવે છે.

'ઇન્ડસ વૅલી સિવિલાઇઝેશન' નામના પુસ્તકના લેખક ડૉ. સમર કંદુના મતે 6 હજાર વર્ષ પહેલાં આ સંસ્કૃતિની શરૂઆત થઈ હતી.

પ્રોફેસર શિંદે પણ આ સંસ્કૃતિ પાંચ હજાર વર્ષ કરતાં પહેલાં વિકસી હોવાનું હોવાનું માને છે.

બીબીસી સાથેની વાતચીતમાં પ્રોફેસર શિંદે જણાવે છે, ''રાખીગઢી અને અન્ય સાઇટ્સ પર હાલમાં જ થયેલા ઉત્ખનન દરમિયાન એવા સંકેતો મળ્યા હતા કે સિંધુ ખીણની સંસ્કૃતિ ઓછામાં ઓછી સાડા પાંચ હજાર વર્ષ જૂની છે.''

line

પતનની વાત

પ્રતિકાત્મક તસવીર

સિંધુ ખીણની સંસ્કૃતિનું પતન કઈ રીતે થયું એ અંગે પણ મતમતાંતર પ્રવર્તે છે.

એક મત એવો છે કે આર્યોના ભારતમાં આગમને સિંધુ ખીણની સંસ્કૃતિનો નાશ કર્યો.

બ્રિટિશ આર્મી ઑફિસર અને આર્કિયૉલૉજિસ્ટ સર રૉબર્ટ ઍરિક માર્ટિમર વ્હિલરનો દાવો હતો કે મધ્ય એશિયામાંથી ઊતરી આવેલા આર્યોનાં ધાડાંએ આ સંસ્કૃતિનો નાશ કર્યો હતો.

જોકે, પ્રોફેસર શિંદે આ દાવાને ફગાવી દેતાં જણાવે છે, ''ક્લાઇમેટ ચેન્જ (જળવાયું પરિવર્તન)ને કારણે આ સંસ્કૃતિનું પતન થયું હતું.''

તેઓ ઉમેરે છે, ''એ વખતે માત્ર દક્ષિણ એશિયામાં જ નહીં પણ જગતભરમાં જળવાયું પરિવર્તન અનુભવાયું હતું. મિસર અને મેસેપોટેમિયાની સંસ્કૃતિનાં વળતાં પાણી પણ આ જ કારણે થયાં હતાં.''

સિંધુ ખીણની સંસ્કૃતિની પૃષ્ઠભૂમિ પર બનેલી 'મોહેંજો-દડો' ફિલ્મમાં આ સંસ્કૃતિના વિનાશનું કારણ જળને ગણાવાયું છે.

'નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઑશનોગ્રાફી' આ સંસ્કૃતિનું પતન પાણીને કારણે થયું હોવાના સંકેત આપે છે.

ઇન્સ્ટિટ્યૂટના સંશોધનમાં એવા સંકેતો મળ્યા છે કે કચ્છના દરિયાકાંઠે આવેલી ભયાનક સુનામીએ ધોળાવીરાનો ભોગ લઈ લીધો હશે.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો