શ્રીદેવીને શું પહેલેથી જોખમ હતું?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સરોજ સિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
શ્રીદેવીએ અચાનક આ દુનિયામાંથી વિદાય લીધી, પરંતુ પોતાની પાછળ કેટલાય સવાલ છોડી ગયાં છે.
તેમનાં મૃત્યુનું કારણ કાર્ડિએક અરેસ્ટને જવાબદાર જણાવવામાં આવ્યું છે.
શ્રીદેવી માત્ર 54 વર્ષનાં હતાં. સામાન્ય રીતે ફિલ્મ સ્ટાર્સ જે રીતે સ્વાસ્થ્ય પર ધ્યાન આપે છે તે રીતે જોઈએ તો આ ઉંમર દુનિયા છોડીને જતી રહેવાની નથી.
સામાન્ય માન્યતા એ છે કે આ ઉંમરે મહિલાઓમાં હૃદય રોગની શક્યતાઓ ન બરાબર હોય છે. શું ખરેખર આવું હોય છે?
તમને આ પણ વાંચવું ગમશે
તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા ડૉક્ટર્સના જણાવ્યા મુજબ શ્રીદેવીનું મૃત્યુ મહિલાઓ માટે એક બોધપાઠ છે.
ઇન્ડિયન મેડિકલ એસોસિએશને શ્રીદેવીને શ્રદ્ધાંજલિ અર્પી છે. તેઓ કહે છે કે હવે જરૂરી એ છે કે મહિલાઓમાં કાર્ડિએક ડેથ માટે જાગૃતિ અભિયાન ચલાવવું જોઈએ. તેઓ આ અભિયાનને શ્રીદેવીને સમર્પિત કરવા માગે છે.

મહિલાઓને વધારે ખતરો?

ઇમેજ સ્રોત, AFP
ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ડૉ. કે. કે. અગ્રવાલના જણાવ્યા પ્રમાણે મહિલાઓમાં પ્રી મેનોપૉઝ હૃદયની બીમારી હોવી જોઈએ નહીં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેની પાછળ મહિલાઓમાં રહેલા સેક્સ હૉર્મોન્સ છે, જે તેમને હૃદય રોગની બિમારીથી બચાવે છે.
પરંતુ છેલ્લા કેટલાક સમયથી મહિલાઓમાં પ્રી મેનોપૉઝની ઉંમરમાં હાર્ટ એટેક જેવી બીમારીમાં વધારો થયો છે.
ડૉ. અગ્રવાલના જણાવ્યા મુજબ "હૃદયરોગના દસ હુમલામાંથી ત્રણ તો મહિલાઓને થઈ રહ્યા છે. આવું થવું ન જોઈએ."

મહિલાઓમાં હૃદય રોગનાં કારણો

ઇમેજ સ્રોત, iStock
મહિલાઓમાં જ્યારે પણ હૃદયરોગનો હુમલો કે કાર્ડિએક અરેસ્ટ થાય છે, તો તે પુરુષો કરતાં વધુ ગંભીર રીતે થાય છે.
મહિલાઓ માટે તો હાર્ટ એટેકમાં પણ શ્વાસ લેવામાં મુશ્કેલી શરૂ થઈ શકે છે.
મોટાભાગે તેમને શાંતિપૂર્ણ રીતે એટેક આવે છે. શ્રીદેવીના મામલામાં પણ આવું જ થયું લાગે છે.
ડૉ. અગ્રવાલના જણાવ્યા અનુસાર મહિલાઓમાં રોગનું નિદાન અને સારવાર બન્ને વિલંબથી શરૂ થાય છે.
આનું કારણ એ છે કે મહિલાઓ છાતીના દુખાવાને અવગણે છે. તેઓ સમજી શકતાં નથી અને હૉસ્પિટલ મોડેથી થાય છે, જ્યારે પુરુષો ઝડપથી હૉસ્પિટલમાં જાય છે.
મહિલાઓમાં સ્તન કેન્સરનો ભય વધુ હોય છે. જોકે આંકડાઓ આ વાતનું સમર્થન નથી કરતા.
ડૉ. અગ્રવાલ અનુસાર સમગ્ર વિશ્વમાં મહિલાઓનાં સ્તનનાં કેન્સરથી થતાં મૃત્યુ ઓછા છે અને હૃદય રોગના હુમલાથી થતાં મૃત્યુ વધુ છે.
એટલે જ આજે મહિલાઓમાં હૃદયથી જોડાયેલી બીમારીઓ વિશે જાગૃતિ ફેલાવવાની વધુ જરૂર છે.

મહિલાઓમાં હૃદય રોગનું નિદાન થવામાં વિલંબ કેમ?

ઇમેજ સ્રોત, iStock
મહિલાઓના ઇલેક્ટ્રો કાર્ડિઓગ્રામના ડેટા મોટેભાગે સાચા આવતા નથી.
કારણ કે ઈસીજી વખતે મહિલાઓને ઇલેક્ટ્રોડ અન્ય જગ્યાએ લાગે છે.
અમેરિકાની સંસ્થા ફ્રેમિંગઘમ લાંબા સમયથી મહિલાઓ અને હૃદય રોગ પર સંશોધન કરી રહી છે.
તેમના અભ્યાસ મુજબ:
- મહિલાઓમાં અચાનક કાર્ડિએક મૃત્યુનો દર પુરૂષો કરતાં ઓછો છે.
- મેનોપૉઝ પછી મહિલાઓમાં હૃદય રોગનું જોખમ વધે છે.
- 40 વર્ષની ઉંમર બાદ કોરોનરી હાર્ટની બીમારી દર બેમાંથી એક પુરુષ અને દર ત્રણમાંથી એક મહિલાને થાય છે.
કોરોનરી હૃદય બીમારીને લીધે થતાં મૃત્યુની સંખ્યા પુરુષો કરતાં મહિલાઓની સરખામણીમાં અડધોઅડધ છે.
ફિલ્મ સ્ટાર શ્રીદેવીના કેસમાં આ પણ એક કારણ હોઈ શકે છે. દુબઈનું મીડિયા ખલીજ ટાઇમ્સ મુજબ સંજય કપૂરે તેમને જણાવ્યું હતું કે શ્રીદેવીને હૃદય સાથે જોડાયેલી કોઈ સમસ્યા નહોતી.

કઈ રીતે હૃદય રોગનું સ્ક્રિનિંગ થઈ શકે?

ઇમેજ સ્રોત, iStock
શ્રીદેવીનાં મૃત્યુમાંથી પાઠ લઈને આજથી જ મહિલાઓ હૃદય રોગ માટે સજાગ બની શકે છે.
ડૉ. કે. કે. અગ્રવાલના જણાવ્યા પ્રમાણે હજુ પણ મોડું નથી થયું. આ માટે કેટલાંક સરળ ઉપાયો છે.
- 6 મિનિટ વૉક ટેસ્ટ - જો કોઈ મહિલા છ મિનિટમાં 500 મીટર અથવા વધુનું અંતર ચાલી શકે છે, તો તેમનાં હૃદયમાં બ્લૉકેજનું જોખમ ખૂબ ઓછું હોય છે.
- જે મહિલાઓએ 40ની ઉંમર પાર કરી દીધી છે તેમણે ક્યારેય નબળાઈ, થાક, છાતીનાં દુખાવાને અવગણવા ન જોઈએ કે જેનાં કારણો તેમને ખબર ન હોય.
- ડૉક્ટર અગ્રવાલના જણાવ્યા મુજબ જો કુટુંબમાં કોઈને હૃદયની બીમારીની ફરિયાદ હોય તો તે કુટુંબની મહિલાઓએ વધુ જાગૃત રહેવાની જરૂર છે. પરિવારમાં કોઈપણ પુરુષને 55 વર્ષની ઉંમર પહેલાં હૃદય રોગ હોય અને મહિલાને 65 વર્ષની ઉંમર પછી હોય તો પરિવારિક ઇતિહાસ મજબૂત બની જાય છે.
શ્રીદેવીનાં મૃત્યુ પછી તેમનાં પરિવારમાં હૃદય રોગ પારિવારિક ઇતિહાસનો ભાગ બનશે. એટલે એમની બે પુત્રીઓ જાહન્વી અને ખુશીએ વધુ સાવધ રહેવાની જરૂર છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












