સામ પિત્રોડા કોણ છે, જેમના કારણે કૉંગ્રેસ મુશ્કેલીમાં મુકાઈ

ઇમેજ સ્રોત, Getty Images
કૉંગ્રેસના વરિષ્ઠ નેતા સામ પિત્રોડાએ છેલ્લાં બે અઠવાડિયામાં બે વિવાદિત નિવેદનો આપ્યાં, જેના કારણે પાર્ટીએ સ્પષ્ટીકરણ આપવું પડ્યું હતું.
સામ પિત્રોડાએ પહેલાં વારસાઈ કરની ચર્ચા કરી હતી. ત્યાર બાદ ભારતમાં પણ તેના વિશે ચર્ચા થવા લાગી હતી અને ભારતીય જનતા પાર્ટીએ તેને લોકસભાની ચૂંટણીમાં એક મોટો મુદ્દો બનાવી દીધો.
ત્યાર બાદ બુધવારે એક ઇન્ટરવ્યૂનો એક ભાગ સોશિયલ મીડિયા પર વાઇરલ થવા લાગ્યો હતો. તેમણે આ ઇન્ટરવ્યૂ હાલમાં જ અંગ્રેજી સમાચારપત્ર સ્ટેટ્સમેનને આપ્યો હતો.
સામ પિત્રોડાએ ઇન્ટરવ્યૂમાં કહ્યુ, “આપણે ભારત જેવી વિવિધતાવાળા દેશને પણ એક સાથે રાખી શકીએ છીએ, જ્યાં પૂર્વમાં રહેતા લોકો ચાઇનીઝ જેવા દેખાય છે, પશ્ચિમમાં રહેતા લોકો આરબ જેવા દેખાય છે, ઉત્તરમાં રહેતા લોકો ગોરાઓ જેવા દેખાય છે અને દક્ષિણમાં રહેતા લોકો આફ્રિકાના લોકો જેવા દેખાય છે. જોકે, તેનાથી કોઈ ફરક નથી પડતો. અમે બધાં ભાઈ-બહેન છીએ.”
ભાજપે તેને વંશીય ટિપ્પણી ગણાવી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની ચૂંટણીસભામાં સામ પિત્રોડાના નિવેદનને લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ, “હું આજે ખૂબ જ ગુસ્સામાં છું. મને કોઈ ગાળો આપે ત્યારે મને ગુસ્સો આવતો નથી. હું સહન કરી લઉં છું. જોકે, આજે શહઝાદાના ફિલોસોફરે (સામ પિત્રોડા) એટલી મોટી ગાળો આપી છે, જેને કારણે હું ગુસ્સે છું. કોઈ મને જણાવો કે મારા દેશમાં ચામડીના રંગના આધારે લોકોની યોગ્યતા નક્કી થશે? બંધારણને માથા પર રાખીને નાચવાવાળા લોકો ચામડીના રંગને આધારે મારા દેશવાસીઓનું અપમાન કરે છે.”
વધતા જતા સંકટ વચ્ચે કૉંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા જયરામ રમેશે સામ પિત્રોડાના નિવેદનથી પોતાને દૂર રાખ્યા હતા અને સાંજ સુધીમાં તેમણે પિત્રોડાના ઇન્ડિયન ઓવરસીઝના પ્રમુખપદેથી રાજીનામું આપવાની અને તેને સ્વીકારવાની પણ માહિતી આપી હતી.
જોકે, આ પહેલી વખત નથી કે સામ પિત્રોડાએ પોતાનાં નિવેદનો થકી કૉંગ્રેસને મુશ્કેલીમાં મૂકી હોય. તેમણે 2019માં 1984માં થયેલાં શીખ રમખાણો પર એક નિવેદન આપ્યું હતું, જેને કારણે ઘણો વિવાદ થયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સામ પિત્રોડાએ એક સવાલના જવાબમાં કહ્યું, “1984માં જે થયું તે થયું, છેલ્લાં પાંચ વર્ષમાં શું થયું તેના વિશે વાત કરો.”
જોકે, આ નિવેદન પર હંગામો થયો તો સામે માફી માગી લીધી અને પોતાના નિવેદન માટે પોતાની ખરાબ હિંદીને કારણ ગણાવ્યું.
તે જ વર્ષે સામનું બીજું એક નિવેદન પણ ચર્ચામાં હતું. પુલવામાના હુમલા અને ભારતની જવાબી કાર્યવાહી પછી સામે કહ્યું, “હુમલાઓ થતા રહે છે. મુંબઈમાં પણ હુમલો થયો હતો. અમે પણ વળતો જવાબ આપવા માટે ફાઇટર પ્લેન મોકલી શકતા હતા પરંતુ તે યોગ્ય વાત નહોતી. મારા મત પ્રમાણે તમે દુનિયા સાથે આ રીતે વ્યવહાર ન કરી શકો.”
સામ પિત્રોડાનું શરૂઆતનું જીવન

ઇમેજ સ્રોત, SAM PITRODA
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વર્ષ 2015માં બીબીસી સંવાદદાતા રેહાન ફઝલે સામ પિત્રોડા સાથે ખાસ વાતચીત કરી હતી, જેમાં તેમણે પોતાની જિંદગીના અનેક કિસ્સા કહ્યા હતા.
સામની યાત્રાની શરૂઆત ઓડિશાના બોલાંગીર જિલ્લાના એક નાના ગામ ટીટલાગઢમાં થઈ હતી. સામના દાદા સુથાર અને લુહારનું કામ કરતા હતા.
તે જમાનામાં સામનો સૌથી પ્રિય શોખ હતો પોતાના ઘરની સામેથી પસાર થતી રેલવે લાઇન પર દસ પૈસાનો સિક્કો મૂકવો. ટ્રેન પસાર થઈ ગયા બાદ કચડાયેલા સિક્કાને શોધીને ભેગા કરવા.
સામના પિતા ઇચ્છતા હતા કે તેઓ ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષા શીખે.
તે માટે તેમણે સામ અને તેમના મોટા ભાઈ માણેકને ભણવા માટે પહેલાં ગુજરાતમાં વિદ્યાનગરસ્થિત શારદા મંદિર બૉર્ડિંગ સ્કૂલ મોકલ્યા અને પછી તેમને બરોડા યુનિવર્સિટીમાં મોકલ્યા.
ત્યાંથી જ તેમણે ભૌતિકશાસ્ત્રમાં પ્રથમ શ્રેણીમાં એમએસસીની પરીક્ષા પાસ કરી. ત્યાં જ તેમની મુલાકાત ભાવિ પત્ની અનુ છાયા સાથે થઈ.
જ્યારે તેમણે પહેલી વખત અનુને જોયાં, ત્યારે તેઓ તડકામાં પોતાના વાળ સૂકવી રહ્યાં હતાં.
સામ યાદ કરે છે, "મેં જ્યારે પહેલી વખત તેમને જોયાં, ત્યારે જ હું તેમને મારું દિલ આપી બેઠો હતો. તે સમયે મારી ઉંમર માત્ર વીસ વર્ષની હતી."
"આજની જેમ તે જમાનામાં પણ મારી પાસે એક ડાયરી રાખતો, તેમાં મેં લખ્યું કે આ યુવતી સાથે હું લગ્ન કરીશ."
સામનો પ્રેમપ્રસંગ

ઇમેજ સ્રોત, SAM PITRODA
પરંતુ અનુ સુધી પોતાની વાત પહોંચાડવામાં સામને દોઢ વર્ષનો સમય લાગી ગયો.
અમેરિકા જતાં પહેલાં તેઓ અનુનો હાથ માગવા તેમના પિતાને મળવા ગોધરા ગયા.
હજુ તો તેઓ દરવાજા પર જ હતા કે ત્યાં તેમનો કૂતરું દોડતો આવ્યો અને સામના હાથ પર બચકું ભરી લીધું.
સામ તેનાથી એટલા પરેશાન થઈ ગયા કે તેમના મોઢામાંથી એક શબ્દ પણ નીકળી ન શક્યો અને અનુનો હાથ માગવાની વાત તેમના મનમાં જ રહી ગઈ.
જ્યારે સામ પિત્રોડા શિકાગો પહોંચ્યા તો તેમણે અમેરિકન સંસ્કૃતિમાં ઢળવા માટે ભારે મથામણ કરવી પડી હતી.
સામ યાદ કરે છે, "ત્યાં બધું જ નવું હતું, દરેક વસ્તુ અજીબ લાગતી હતી. લોકો અજીબ હતા, ખાન-પાન અજીબ હતું. ભાષા અજીબ હતી."
"પહેલી વખત મેં ત્યાં ડોર નૉબ જોયો. અમારે ત્યાં તો સાંકળ હતી. રિવૉલ્વિંગ દરવાજો પણ મેં પહેલી વખત જોયો. અમે સમજી ગયા કે જીવન હવે આગળ જોવા માટે છે, પાછળ જોવા માટે નહીં."
સામ જણાવે છે, "મારા માટે સૌથી મોટો સાંસ્કૃતિક ઝટકો એ હતો કે એક સાથે ઘણા લોકો બાથરૂમમાં સામૂહિક રૂપે નાહતા હતા અને એ પણ નગ્નાસ્થામાં. નાહતા સમયે પણ તેઓ પરસ્પર વાતો કરતા હતા."
"આમ કરતાં મને ખૂબ શરમ આવી. એ માટે તેનાથી બચવા મેં રાત્રે 12 વાગ્યે નાહવાનું શરૂ કરી દીધું, જેથી હૉસ્ટેલના બાથરૂમમાં કોઈ હાજર ન હોય."
શિક્ષણ મેળવી લીધા બાદ સામે ટેલીવિઝન ટ્યૂનર બનાવતી કંપની ઑક ઇલેક્ટ્રોનિકમાં કામ કરવાનું શરૂ કર્યું.
ટેલિફોનની દુનિયા બદલવાનો વિચાર

ઇમેજ સ્રોત, SAM PITRODA
તેઓ તે સમયે દિલ્હીની સર્વશ્રેષ્ઠ તાજહોટલમાં રોકાયા હતા. ત્યાં પહોંચતા જ તેમણે તેમનાં પત્ની અનુને ટેલિફોન કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ટેલિફોન લાગ્યો જ નહીં.
આગામી દિવસે સવારે જ્યારે તેમણે પોતાની હોટલની બારીમાંથી જોયું તો નીચે રસ્તા પર ડેડ ફોનની પ્રતીકાત્મક અંતિમયાત્રા પસાર થઈ રહી હતી.
મૃતદેહની જગ્યાએ તૂટેલા, કામ ન કરતા ફોન રાખવામાં આવ્યા હતા અને લોકો જોર જોરથી સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા.
સામે તે જ સમયે નક્કી કર્યું કે તેઓ ભારતની ટેલિફોન વ્યવસ્થાને ઠીક કરશે.
26 એપ્રિલ 1984ના રોજ કેન્દ્રીય મંત્રીમંડળે સી-ડૉટની શરૂઆતની મંજૂરી આપી દીધી.
સામને એક રૂપિયા વાર્ષિક પગાર પર સી-ડૉટના પ્રમુખ બનાવવામાં આવ્યા.
સામ જણાવે છે, "રુઝવેલ્ટના સમયે અમેરિકામાં લોકોએ દેશને પોતાની મફત સેવાઓ આપી હતી. અમારા જે મિત્રો અહીં હતા રજની કોઠારી, આશિષ નંદી, ધીરુભાઈ શેઠ તે બધાએ જ કહ્યું કે જો તમારે દેશની સેવા કરવી છે તો મન લગાવીને કામ કરો. "
તેઓ કહે છે, "મેં વિચાર્યું કે આ સમય ભારતને આપવાનો છે, તેની પાસેથી લેવાનો નહીં. ભારતે મને ઘણું બધું આપ્યું હતું.
મેં દસ ડૉલરમાં અહીંથી ફિઝિક્સમાં માસ્ટર્સની ડિગ્રી પ્રાપ્ત કરી. એ જમાનામાં પગાર તો મોટા ન હતા. દસ હજાર રૂપિયા મહિનાનો પગાર લઈને હું શું કરતો?"
આ પહેલાં સામે ઇન્દિરા ગાંધી અને તેમનાં મંત્રીમંડળની સામે એક કલાકનું પ્રેઝન્ટેશન આપ્યું.
સામ કહે છે, "અમે બેંગલુરુમાં હાર્ડવેર ડિઝાઇન કરવાનું શરૂ કર્યું. સૉફ્ટવૅર માટે અમને દિલ્હીમાં જગ્યા મળી રહી ન હતી."
"રાજીવ ગાંધીએ સલાહ આપી કે તમે એશિયાડ વિલેજ જાઓ. જગ્યા તો સારી હતી, પણ ત્યાં એરકંડિશનિંગ ન હતું."
"દિલ્હીની ગરમીમાં એરકંડિશનિંગ ન હોય તો સૉફ્ટવૅરનું કામ થઈ શકતું નથી. અકબર હોટલમાં જગ્યા ખાલી હતી. અમે ત્યાં બે ફ્લોર લઈ લીધા."
ભારતમાં ટેલિફોનનો પ્રચારપ્રસાર

ઇમેજ સ્રોત, Getty Images
સામ જણાવે છે, "શરૂઆતમાં ફર્નિચર ન હતું. અમે છ મહિના ખાટલા પર બેસીને કામ કર્યું."
"અમે 400 યુવા એન્જિનિયરની ભરતી કરી. તેમને ટ્રેનિંગ આપવામાં આવી. ખબર પડી કે તેમાં કોઈ છોકરી નથી. પછી તેમાં છોકરીઓને લાવવામાં આવી."
થોડા જ મહિનામાં ભારતની દરેક ગલીમાં પીળા રંગના એસટીડી (સબસ્ક્રાઇબર ટ્રંક ડાયલિંગ) કે પીસીઓ (પબ્લિક કૉલ ઑફિસ) બૂથ દેખાવાં લાગ્યાં. આ અભિયાનમાં વીસ લાખ લોકોને રોજગારી મળી.
ફોન ભારતીય લોકોની સામાજિક ગતિવિધિઓનું કેન્દ્ર બન્યું. બૂથ ચલાવતા લોકોએ ત્યાં સિગારેટ, પીપરમીટ અને દૂધ જેવી વસ્તુઓ પણ વેચવાનું શરૂ કરી દીધું.
ટેલિફોન હવે લક્ઝરી ન રહીને રોજિંદા જીવનની જરૂરી વસ્તુ બની ગયો હતો.
સામ જણાવે છે, "અમે પહેલું ગ્રામીણ ઍક્સચેન્જ બનાવ્યું અને પછી ડિજિટલ ઍક્સચેન્જ બનાવ્યું. પછી તો દૂરસંચાર ક્રાંતિ શરૂ થઈ ગઈ, કેમ કે લોકો કુશળ બની ગયા. એ બીજ હતું જેની વાવણી અમે કરી હતી."
"દરેક વ્યક્તિ જેમણે ક્યારેક સી-ડૉટમાં કામ કર્યું, તે આજે કોઈ મોટા મૅનેજર છે, પ્રોફેસર છે કે પછી ઉદ્યમી છે. અમે એક દક્ષતા ઉત્પન્ન કરી અને પછી મલ્ટિપ્લાયર પ્રભાવ શરૂ થઈ ગયો."
દરમિયાન સામને ટેલિકૉમપંચના અધ્યક્ષ બનાવી દેવાયા.
તે દરમિયાન પ્રખ્યાત કંપની જનરલ ઇલેક્ટ્રિકના અધ્યક્ષ જૈક વેલ્ચ ભારત આવ્યા. તેઓ રાજીવ ગાંધીને મળવાના હતા, પરંતુ તેઓ કોઈ જરૂરી કામમાં વ્યસ્ત હતા.
રાજીવે જીઈના અધ્યક્ષને મળવા માટે સામને મોકલ્યા. વેલ્ચે પહેલો સવાલ કર્યો, "અમારા માટે તમારી પાસે શું પ્રસ્તાવ છે?"
સામે કહ્યું, "અમે તમને સૉફ્ટવૅર વેચવા માગીએ છીએ."
વેલ્ચ બોલ્યા, "પરંતુ અમે તો અહીં સૉફ્ટવૅર ખરીદવા આવ્યા નથી. અમારો ઉદ્દેશ તો તમને એન્જિન વેચવાનો છે."
સૉફ્ટવૅર ઉદ્યોગમાં યોગદાન

ઇમેજ સ્રોત, SAM PITRODA
વેલ્ચે એક એક શબ્દ ધ્યાનથી સાંભળ્યો અને કહ્યું, "તમે અમારી પાસેથી શું ઇચ્છો છો?"
સામનો જવાબ હતો, "એક કરોડ ડૉલરના સૉફ્ટવૅરનો ઑર્ડર."
વેલ્ચે કહ્યું, "હું મારી કંપનીના 11 લોકોને તમારી પાસે મોકલીશ. તમે તેમને મનાવી લો કે તમારા પ્રસ્તાવમાં દમ છે."
એક મહિના બાદ જીઈના ઉચ્ચ અધિકારીઓ દિલ્હી પહોંચ્યા. સામે તે સમયે નવી-નવી બનેલી કંપની ઇન્ફોસિસ સાથે તેમની બેઠક નક્કી કરી. ઇન્ફોસિસે કહ્યું કે તેમની તો કોઈ ઑફિસ પણ નથી.
સામે કહ્યું કે તમે જીઈવાળા લોકોને આ વાત ન કહેતા અને તેમને કોઈ ફાઇવસ્ટાર હોટલમાં મળો.
એ બેઠક થઈ અને જીઈએ એક કરોડ ડૉલરના સૉફ્ટવૅરનો પહેલો ઑર્ડર આપ્યો અને અહીંથી ભારતના સૉફ્ટવૅર કંસલ્ટિંગ ઉદ્યોગનો પાયો નંખાયો.
પરંતુ આ વચ્ચે રાજીવ ગાંધી ચૂંટણી હારી ગયા. 21 મે 1991ના રોજ અચાનક રાજીવ ગાંધીની હત્યા થઈ ગઈ. ત્યાર બાદ સામનું મન ભારતમાં ન લાગ્યું.
સામ યાદ કરે છે, "આપણે માત્ર એક વડા પ્રધાન નથી ગુમાવ્યા, મેં મારા સૌથી પ્રિય મિત્ર ગુમાવી દીધા છે. આ એક ઇચ્છા અને સપનાંનો અંત હતો. મેં મારી નાગરિકતા પણ બદલી નાખી. હું સમજી શકતો ન હતો કે હવે શું કરું."
"મારી સામે અંધારું જ અંધારું હતું અને ત્યારે જ મેં જાણ્યું કે મારી પાસે પૈસા બચ્યા ન હતા. મેં છેલ્લાં 10 વર્ષમાં કોઈ પગાર લીધો ન હતો. મેં વિચાર્યું કે અમેરિકા પરત ફરવાનો સમય આવી ગયો છે."
આ વાત સાંભળવામાં થોડી અજીબ લાગી શકે છે કે સામ પિત્રોડાએ કામ કરવાની ધૂનમાં 1965 બાદ કોઈ ફિલ્મ જોઈ ન હતી.
તેમના સારા મિત્ર અને પૂર્વ રેલમંત્રી દિનેશ ત્રિવેદી જણાવે છે, "સામ પિત્રોડા ન તો શૉપિંગ કરવા જતા, ન કોઈના જન્મદિનની પાર્ટીમાં જતા હતા. તેઓ ક્યારેય ફિલ્મ જોવા પણ જતા ન હતા."
"એક વખત તેઓ મારા ઘરે રોકાયા હતા. તેમનાં પત્ની અનુ પણ તેમની સાથે હતાં. મેં તેમને કહ્યું, ચાલો ફિલ્મ જોઈએ. સામે કહ્યું ફિલ્મ અને મારી વચ્ચે દૂર દૂર સુધી સંબંધ નથી. પરંતુ હું તેમને પરાણે 'થ્રી ઇડિયટ્સ' ફિલ્મ જોવા લઈ ગયો હતો."
"જ્યારે અમે ફિલ્મ જોઈને બહાર નીકળ્યા તો અનુએ કહ્યું કે તમારો ખૂબ ખૂબ આભાર. મેં કહ્યું કે આભારની શી જરૂર છે. અનુએ કહ્યું કે ચાલીસ વર્ષીય લગ્નજીવનમાં અમે પહેલી વખત સાથે કોઈ ફિલ્મ જોઈ છે."
તેઓ નાનપણથી તબલાં વગાડે છે, પૅઇન્ટિંગ્સ કરે છે અને સંગીત સાંભળે છે. ગઝલ સાંભળવી તેમને ખૂબ ગમે છે.
'ઇકોનૉમિસ્ટ' અને 'વૉલ સ્ટ્રીટ જર્નલ' વાંચવું તેમને ખૂબ પસંદ છે.
વિયેનામાં તેમનાં ચિત્રોનું પ્રદર્શન પણ થયું છે. સંગીત સાંભળવાનો તેમને ખૂબ શોખ છે, ખાસ કરીને વાહન ચલાવતા સમયે.
નાનપણમાં તેમણે પચાસના દાયકામાં જે ફિલ્મો જોઈ હતી તે હતી 'બરસાત', 'નાગિન', 'કાગઝ કે ફૂલ', 'પ્યાસા' અને જ્યારે પણ આ ફિલ્મોનાં ગીત તેઓ સાંભળે છે, તેઓ પોતે પણ સાથે-સાથે ગાવા લાગે છે.












