કમરના દુખાવાથી બચવાના સરળ ઉપાય, શું કરવું અને શું ટાળવું?

ઇમેજ સ્રોત, Getty Images

- આખરે કેમ થાય છે કમરનો દુખાવો?
- કમરના દુખાવાની સમસ્યા ક્યારે ગંભીર સંકેત તરીકે લેવી? કમરના દુખાવાની સમસ્યા દૂર કરવાના સરળ ઉપાયો અંગે તમે જાણો છો?
- આ સમસ્યાને લઈને ડૉક્ટર પાસે ક્યારે જવું?

ઘણા લોકોને, ખાસ કરીને ઓફિસમાં બેઠા રહેતા કે બેઠાડુ જીવીન જીવતા લોકોને કમરના દુખાવાની ઘણી ફરિયાદો રહેતી હોય છે.
આ સમસ્યાને સામાન્ય સમજીને ઘણા ડૉક્ટર પાસે નથી જતા. પરંતુ ઘણી વખત એવું પણ બને છે કે પીઠનો દુખાવો એ મોટી સમસ્યાનું સ્વરુપ ધારણ કરી લે છે. પરંતુ આવું ક્યારે બને છે?
પીઠના દુખાવા પાછળનાં સામાન્ય કારણો શું છે?
તેનાથી છુટકારો મેળવવા શું કરવું?
ક્યારે તેને લઈને ડૉક્ટર પાસે જવું?

કમરના દુખાવાનાં કારણો

ભારે અથવા ટૂંકા ગાળાનો પીઠનો દુખાવો થોડા દિવસોથી લઈને અઠવાડિયાં સુધી રહી શકે છે. ક્રોનિક પીઠનો દુખાવો ત્રણ અઠવાડિયાંથી વધુ સમય સુધી ચાલુ રહે છે.
આ દુખાવો સામાન્ય રીતે બેસતી વખતે કે ઊભા રહેવાથી, શરીરને બેડોળ રીતે વાળવાથી અથવા ખોટી રીતે ભાર ઉપાડવાથી અયોગ્ય મુદ્રાને કારણે થાય છે.
પીઠનો દુખાવો સામાન્ય રીતે ગંભીર પરિસ્થિતિ ઊભી કરતો નથી અને તે મોટા ભાગના કિસ્સાઓમાં, તે એકથી બે અઠવાડિયાંમાં સારો થઈ જાય છે. પેઇનકિલરની મદદથી તેનો ઇલાજ કરી શકાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કમરના દુખાવાનાં કારણો અંગે વાત કરતાં અમદાવાદ ઑર્થોપેડિક સર્જન ડૉ. ધ્યાન પટેલ કહે છે કે કમરનો દુખાવો આમ તો ઘણાં બધાં કારણોને લીધે થઈ શકે છે, પરંતુ મોટા ભાગે આ દુખાવો ચાર કારણોને લીધે થતો હોય છે.
તેઓ કમરના દુખાવાનાં કારણો વિશે વાત કરતાં કહે છે કે, “કમરના મણકાની આસપાસના સ્નાયુમાં સોજો ચડવાના કારણે કમરનો દુખાવો થઈ શકે છે. કોઈ ભારે વસ્તુ ઉપાડવાથી, ધક્કો મારવાથી, અસામાન્ય રીતે બેસવાની ટેવને કારણે પણ અચાનક કમરના સ્નાયુ પર સોજો ચડી શકે છે. જેને સાદી ભાષામાં કમરમાં ચસક ભરાઈ એવું કહેવાય.”
તેઓ આગળ વાત કરતાં કહે છે કે, “બીજાં કારણોમાં મણકા વચ્ચેની ગાદી ખસકી જવી, મણકામાં ઘસારાના કારણે તેમજ કરોડરજ્જુની અમુક અન્ય સમસ્યાઓના કારણે પણ કમરનો દુખાવો થઈ શકે છે.”

સંભાળ

દર્દશામક : પૅરાસીટામોલ અને આઇબુપ્રોફેન જેવી નોન-સ્ટીરોઇડ એન્ટિ-ઇન્ફ્લેમેટ્રી દવાઓ પીઠના દુખાવાને નિયંત્રણમાં રાખવા માટેની અસરકારક પેઇનકિલર છે.
ગરમ અને ઠંડી સારવાર : ગરમ પાણીથી સ્નાન અથવા ગરમ પાણીની બૉટલ દુખાવાની જગ્યાએ મૂકવાથી પીડા દૂર કરવામાં મદદ મળે છે.
ઠંડી સારવારમાં આઇસ પૅક અથવા ફ્રોઝન શાકભાજીની બૅગ પીડાદાયક જગ્યા પર મૂકવામાં આવે છે તે પણ અસરકારક છે.
સ્નાયુ ઢીલા મૂકવા : આરામ કરવો એ પીડાને હળવી કરવાનો મહત્ત્વનો ભાગ છે કારણ કે સ્થિતિ વિશે ચિંતા કરવાથી સ્નાયુઓ તણાવ વધે છે અને પરિસ્થિતિ વધુ કથળે છે.
કસરત : લાયક પ્રશિક્ષકની દેખરેખ હેઠળ સમૂહમાં કસરત કરવી.
સમૂહમાં સ્નાયુને મજબૂત કરવા અને મુદ્રામાં સુધારો કરવા માટેની કસરતો કરવાથી રાહત થાય છે.
ઘણા લોકો કમરના દુખાવાને ગંભીરતાથી નથી લેતા અને ડૉક્ટર પાસે જવાનું ટાળે છે. કેવી પરિસ્થિતિમાં ડૉક્ટર પાસે ક્યારે જવું જોઈએ?
આ પ્રશ્નનો જવાબ આપતાં ડૉ. ધ્યાન પટેલ કહે છે કે, “જ્યારે કમરના દુખાવાના કારણે પગ સુધી દુખાવો થતો હોય, પગમાં ચડવાની સમસ્યા સર્જાય તો તરત ડૉક્ટર પાસે જવું જોઈએ.”

પીઠનો દુખાવો ન થાય તે માટે શું ધ્યાનમાં રાખવું?

ઇમેજ સ્રોત, Getty Images
દુખાવો ન થાય એ માટેના ઉપાયો સૂચવતાં ડૉ. ધ્યાન પટેલ કહે છે કે, “કમરનો દુખાવો ટાળવા માટે કમરના સ્નાયુઓને મજબૂત કરવા માટેની કસરત કરવી જોઈએ. તેમજ વિટામિન બી 12 અને વિટામિન ડી 3ની કમી હોય તો તે માટેની ગોળીઓ લેવી જોઈએ.”
ડૉ. ધ્યાન પટેલ કમરના દુખાવાના ઇલાજ અંગે સલાહ આપતાં કહે છે કે, “જ્યારે પણ કમરમાં દુખાવો થાય તો પોતાના ફિઝિશિયનને બતાવવું જરૂરી છે. જેથી ગંભીર સમસ્યા થતા પહેલાં ઇલાજ થઈ શકે.”
આ સિવાય પીઠનો દુખાવો સામાન્ય રીતે નિયમિત કસરત દ્વારા અટકાવી શકાય છે.
ઊભા રહેતી વખતે યોગ્ય મુદ્રા : તમારું માથું આગળ રાખીને અને કમર સીધી રાખીને ઊભા રહેવું.
બેસતી વખતે યોગ્ય મુદ્રા : પીઠના ભાગે નાનો ટેકો લઈને સીધા બેસવું.
એડીવાળા બૂટ ન પહેરવા.
તણાવ અને ચિંતા ઘટાડવાનો પ્રયાસ કરવો.
સ્નાયુમાં તાણનું કારણ બની શકે તેવી અચાનક હલનચલન ટાળવું.














