સુરત: અકસ્માતમાં બંને હાથ કપાવવા પડ્યા, આજે પગથી 2200થી વધુ ચિત્રો દોર્યાં

ઇમેજ સ્રોત, RUPESH SONAVANE
- લેેખક, શીતલ પટેલ
- પદ, બીબીસી ગુજરાતી માટે, સુરતથી
લોકો હાથની રેખાઓમાં પોતાનું નસીબ શોધતા હોય છે, પરંતુ સુરતના આ કલાકારે સાબિત કર્યું છે કે નસીબ તો તેમનું પણ હોય છે જેમને હાથ નથી હોતા.
સુરતના વિકલાંગ ચિત્રકાર મનોજ ભીંગારેએ દૃઢ મનોબળ, મહેનત, સંઘર્ષ અને સમર્પણ દ્વારા પોતાનું નસીબ જાતે લખ્યું છે.
બન્ને હાથ ન હોવા છતાં મનોજ ભીંગારે જ્યારે કોરા કાગળ પર પોતાના મોઢા અને પગના અંગૂઠા વડે સુંદર ચિત્રોને આકાર આપે છે ત્યારે જોનારા દંગ રહી જાય છે. તેઓ વિવિધ પ્રકારનાં ચિત્રો પોતાના પગ અને મોઢાના ઉપયોગથી સરળતાથી દોરી શકે છે.
સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતા મનોજ મૂળ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના છે. તેમનો જન્મ મધ્ય પ્રદેશના બુરહાનપુરમાં થયો હતો.
પિતા ગોપાલભાઈ અને માતા શોભાબહેન ભીંગારેના એકમાત્ર સંતાન મનોજ એક આર્ટ સ્ટુડિયો ચલાવે છે. તેઓ પૅઇન્ટિંગ ક્લાસ પણ ચલાવે છે અને આર્થિક રીતે પણ પગભર બની પરિવારની જવાબદારી નિભાવે છે.
મનોજે અંદાજે 2200 ચિત્રો બનાવી ગોલ્ડ મેડલ, બ્રૉન્ઝ મેડલ, રાષ્ટ્રીય બાલશ્રી ઍવૉર્ડ સહિતના 16 જેટલા ઍવૉર્ડ પણ પ્રાપ્ત કર્યા છે.
બંને હાથ ન હોવા છતાં મનોજ એક સામાન્ય વ્યક્તિની જેમ જ પરિવાર સાથે સુખમય જીવન જીવે છે, પોતાનાં બાળકોને ભણાવે છે અને તેમની સાથે કેરમ રમે છે, મોબાઇલ પણ ઑપરેટ કરે છે, જાતે જમે પણ છે. પરંતુ ફર્ક માત્ર એટલો જ છે કે તેઓ આ બધાં કામ પગથી કરે છે.
અકસ્માત થયો અને બંને હાથ ગુમાવ્યા

ઇમેજ સ્રોત, RUPESH SONAVANE
મોઢા અને પગથી પૅઇન્ટિંગ કરનાર મનોજ બાળપણમાં એક સામાન્ય વ્યક્તિ હતા, પરંતુ એક અકસ્માતે તેમનું જીવન બદલી નાખ્યું હતું. આજે પણ અકસ્માતના એ દિવસને યાદ કરતાં તેમનાં માતા શોભનાબહેનની આંખો ભરાઈ આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભાવુક થઈ શોભનાબહેન કહે છે, ''1994માં જ્યારે મનોજ દસ વર્ષનો હતો ત્યારે એપ્રિલ મહિનામાં અમે તેને લઈને નાસિકની યાત્રાએ જઈ રહ્યા હતા. બસમાં 40થી 45 લોકો યાત્રા કરી રહ્યા હતા. મહારાષ્ટ્રના વણી ગામ નજીક બસ પલટી મારી ગઈ હતી. અકસ્માતમાં મારા માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. મેં અર્ધ બેભાન હાલતમાં જોયું કે લોકો એકબીજાને શોધી રહ્યા હતા.''
''પોણો કલાક સુધી લોકોએ મનોજની શોધખોળ કરી અને બસને ઊંચી કરી ત્યારે બસ નીચેથી મનોજ અને એક મહિલા મળ્યાં હતાં, મહિલાનું મોત થઈ ગયું હતું અને મનોજનો એક હાથ ફક્ત ચામડી પર લટકી રહ્યો હતો. અમને સારવાર માટે નાસિકની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.''
આ અકસ્માતમાં મનોજના પિતાના પણ બંને પગે ફૅક્ચર થયું હતું. શોભનાબહેનને માથામાં 18 ટાંકા આવ્યા હતા.
શોભનાબહેન કહે છે કે, ''અમારી સારવાર અલગ-અલગ વૉર્ડમાં ચાલી રહી હતી જેથી ચાર દિવસ સુધી મેં મનોજને જોયો ન હતો. પરંતુ જ્યારે હું તેના વૉર્ડમાં પહોંચી ત્યારે મને ખબર પડી કે તેનો એક હાથ કપાઈ ગયો છે અને બીજા હાથમાં પાટો બાંધેલો હતો. મેં મારા મન પર પથ્થર મૂક્યો અને પોતાને એવું સમજાવ્યું કે બીજા હાથથી તે પોતાની જિંદગી જીવી લેશે.''
''પરંતુ જ્યારે અમે નાસિકથી સુરત આવ્યા અને અહીંની સિવિલ હૉસ્પિટલમાં તેની સારવાર શરૂ કરી ત્યારે ડૉક્ટરોએ કહ્યું કે તેના બીજા હાથમાં પણ ઇન્ફેક્શન થઈ ગયું છે અને તેથી એ હાથને પણ કાપવો પડશે. આ સાંભળીને મારા જાણે કે પ્રાણ નીકળી ગયા હતા પરંતુ અમારી પાસે કોઈ વિકલ્પ નહોતો. અમારા એકના એક પુત્રનો બીજો હાથ પણ કાપવો પડ્યો હતો.''
જ્યારે શાળા-કૉલેજોમાં મનોજને ઍડમિશન ન મળ્યું

ઇમેજ સ્રોત, RUPESH SONAVANE
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મનોજનો જીવન પ્રત્યેનો જુસ્સો જોકે અતિશય મજબૂત છે. હાથ ન હોવાના કારણે સ્કૂલ કૉલેજમાં ઍડમિશન મેળવવામાં પણ તેમને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
મનોજ સરકારી મરાઠી શાળામાં અભ્યાસ કરતા હતા પણ અકસ્માત બાદ જીવનમાં મોટો ફેરફાર આવ્યો હતો. પરિવાર મનોજના ભવિષ્ય માટે ચિંતિત હતો તે સમયે ઘરે મળવા આવેલી વ્યક્તિએ વિકલાંગો માટે ચાલતી સંસ્થા વિશે જાણ કરી હતી.
મનોજ કહે છે, ''જ્યારે વર્ષ 1995માં ઍડમિશન લેવા માટે અપંગ માનવમંડળ સંસ્થા અમદાવાદ ખાતે પહોંચ્યા ત્યારે ઍડમિશન આપવાની ના પાડી દીધી હતી. તેમણે કહ્યું કે હૉસ્ટેલમાં રહેવા માટે પોતાનાં કામ જાતે કરતાં આવડવું જોઈએ અને એ સમયે હું પોતાનાં કામ જાતે કરી શકતો ન હતો.''
''મને આ હૉસ્ટેલના સુપરિન્ટેન્ડેન્ટ હરીશભાઈ ત્રિવેદી અને મણિભાઈ પરમાર દ્વારા મનજીભાઈ રામાણીનો સંપર્ક કરાવવામાં આવ્યો હતો. હું મનજીભાઈને મળવા ગયો અને મેં જોયું કે બંને હાથ ન હોવા છતાં પણ તેઓ પૅઇન્ટિંગ ક્લાસિસ કરાવે છે, હાથ વગર જ બધાં કામ જાતે કરી શકે છે. એમને જોઈને મેં નક્કી કરી લીધું કે હું પણ મારાં દરેક કામ જાતે જ કરીશ.''
મનોજ ત્યારબાદ સુરત પરત ફરે છે અને ઘરે પહોંચીને તમામ કામ જાતે જ કરવાની શરૂઆત કરે છે.
તેઓ કહે છે, ''મેં ઘરે આવીને બુક મૂકવી, તેને બેગમાંથી કાઢવી, પુસ્તકનાં પાનાં ફેરવવાં અને જાતે જમવાની પ્રૅક્ટિસ કરવી વગેરે શરૂ કર્યું. શરૂઆતમાં તો હું ચમચી પણ પકડી શકતો ન હતો. જોકે, આઠ મહિનામાં હું પોતાનાં કામ જાતે કરતાં શીખી ગયો હતો. ત્યારબાદ ફરી આ સંસ્થામાં ઍડમિશન માટે ગયો અને મને ઍડમિશન મળી ગયું.''
મનોજભાઈએ અપંગ માનવસેવા મંડળમાં ધોરણ 6થી 10 સુધીનો અભ્યાસ કર્યો.
અહીં જ તેમણે ચિત્રકલા, રમતો, સંગીત, વક્તૃત્વ સ્પર્ધા સહિતની અનેક સ્પર્ધાઓમાં પણ ભાગ લીધો હતો. આ દરમિયાન દિલ્હી ખાતે યોજાયેલી એક સ્પર્ધામાં તેમની પસંદગી થઈ અને એ જ તેમના જીવનનો જાણે કે સૌથી મોટો ટર્નિંગ પૉઇન્ટ સાબિત થયો હતો.
16 વર્ષની ઉંમરે બાલશ્રી ઍવૉર્ડ પ્રાપ્ત કર્યો

ઇમેજ સ્રોત, RUPESH SONAVANE
એ સ્પર્ધા વિશે જણાવતાં મનોજ કહે છે કે, "ત્યાં પાંચ દિવસ સુધી અલગ-અલગ વિષયો પર પૅઇન્ટિંગ કરવાનું હતું, 15 હરીફ હતા. અંદાજે ત્રણથી ચાર લોકો જ વિકલાંગ હતા. આ સ્પર્ધામાં મેં ભારતીય તહેવારો, સ્ટોરી આધારિત ચિત્ર, લાઇવ સ્કેચિંગ અને અને હું જે રોડ અકસ્માતનો ભોગ બન્યો હતો તેના પર પૅઇન્ટિંગ કર્યું હતું."
તેમણે આપેલી માહિતી અનુસાર, 1999માં યોજાયલી આ સ્પર્ધામાં તેમને બાલશ્રી ઍવૉર્ડ મળ્યો હતો.
"આ જ એ ક્ષણ હતી જ્યારે મેં નક્કી કરી લીધું કે હવે હું પૅઇન્ટર બનીશ અને તેમાં જ કારર્કિદી બનાવીશ. આ ઍવૉર્ડ બાદ અમદાવાદની અનેક સામાજિક સંસ્થાઓએ મારું સન્માન કર્યું હતું."
પરંતુ ઍવૉર્ડ મળ્યા બાદ પણ આગળ ભણવા માટેનું તેમનો સંઘર્ષ હજી બાકી હતો.
2003માં ધોરણ 12 પાસ કર્યા બાદ ફાઇન આર્ટ્સમાં ઍડમિશન લેવા માટે તેમને ફરી વખત રિજેક્શનનો સામનો કરવો પડ્યો હતો.
કૉલેજમાં ઍડમિશન ન મળતાં તેમણે એક વર્ષ સુધી અપંગ માનવમંડળમાં પૅઇન્ટિંગ શીખવાનું શરૂ રાખ્યું હતું.
ટ્રેનિંગ લીધા બાદ ફરી એક વખત તેઓ ફાઇન આર્ટસ કૉલેજમાં ઍડમિશન માટે પહોંચ્યા પરંતુ ફરી વખત એ જ જ્યૂરીએ તેમને ઍડમિશન માટે ના પાડી દીધી.
તેઓ કહે છે, "મેં એમને કહ્યું કે મને થોડા દિવસ માટે અહીં આવવા દો, જો હું સામાન્ય સ્ટુડન્ટની જેમ અભ્યાસ ન કરી શકું તો તમે મને ઍડમિશન ન આપતા. ત્યારબાદ મેં ફાઇન આર્ટસ કૉલેજમાં જવાનું શરૂ કર્યું અને એક અઠવાડિયા પછી તેઓએ મારાં પૅઇન્ટિંગ્સ જોઈને મને કૉલેજમાં ઍડમિશન આપી દીધું અને મેં ગ્રૅજ્યુએશનની ડિગ્રી મેળવી."
'સારું વ્યક્તિત્વ જોઈ લગ્ન કર્યાં'

ઇમેજ સ્રોત, RUPESH SONAVANE
મનોજનાં લગ્ન તેમના જ મામાની દીકરી ભાવના સાથે 12 વર્ષ પહેલાં થયાં હતાં.
તેમને બે બાળકો પણ છે. જીવનની દરેક ક્ષણમાં પત્ની ભાવના તેમનો હાથ બની તેમનો સાથ આપે છે.
ભાવના શારીરિક રીતે એકદમ સ્વસ્થ છે અને ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો છે. લોકો તેમને ઘણી વાર સવાલ પૂછે છે કે તેમણે મનોજ સાથે લગ્ન કેમ કર્યાં.
ભાવના હસતાં હસતાં કહે છે કે, "લોકોને મનોજમાં કમી દેખાતી હશે પરંતુ મને કોઈ જ કમી નથી દેખાતી. હું મનોજને પહેલેથી જ પસંદ કરતી હતી. અમે બાળપણથી એકબીજાને ઓળખતાં હતાં."
વધુમાં તેઓ કહે છે કે "મેં મનોજ સાથે લગ્નની હા પાડી ત્યારે મારા મિત્રો પણ મને ઘણા સવાલ કરતાં પરંતુ હું તેમને એક જ વાત કહેતી કે લોકોના બે હાથ હોવા છતાં પણ તેઓ કંઈ કરી નથી શકતા, પરંતુ મનોજ તો હાથ વગર પણ બધું જ કરી શકે છે. હું બહુ જ ખુશ છું કે મને જીવનસાથી તરીકે મનોજ મળ્યા છે. આજે તેઓ જ્યાં પણ જાય છે મને સાથે લઈને જાય છે હાલમાં જ અમે સાથે દુબઈ પણ જઈને આવ્યા છીએ. જો મારાં લગ્ન અન્ય કોઈ વ્યક્તિ સાથે થયા હોત તો મને આટલું સન્માન અને પ્રેમ ન મળ્યાં હોત."
મનોજે જિંદગીમાં કરેલો સંઘર્ષ અને મુસીબતમાં હિંમત હાર્યા ન હતા. આજે આત્મવિશ્વાસના દમ પર તેમણે પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે.
તેઓ કહે છે કે "આજના યુવાનો નાની નાની બાબતોમાં નિરાશ થઈ જતા હોય છે, કેટલીક વાર આત્મહત્યા તરફ પ્રેરાઈ જાય છે પરંતુ જો આત્મવિશ્વાસ સાથે સખત મહેનત કરવામાં આવે તો જિંદગીનો દરેક જંગ જીતી શકાય છે."
મનોજ સ્વિટ્ઝર્લૅન્ડસ્થિત માઉથ ઍન્ડ ફૂડ પૅઇન્ટિગ ઍસોસિયેશનના સભ્ય પણ છે. લાઇવ ડૅમોસ્ટ્રેશન, વર્કશૉપ માટે પણ તેમને દેશ-દુનિયાનાં અલગ-અલગ શહેરોમાંથી ઑર્ડર મળે છે. તેઓ કતાર, દુબઈ, સિંગાપોર જેવા દેશોમાં વર્કશૉપ અને એક્ઝિબિશન કરી ચૂક્યા છે.
મનોજભાઈનાં માતા શોભાબહેન બીબીસી સાથે વાત કરતાં કહે છે કે, "એક સમયે અમારા સંબંધીઓ અમને કહેતા કે તમારો છોકરો પાંજરાનો એ પોપટ બની ગયો છે જે ફક્ત બોલી શકશે પણ ક્યારે ઊડી નહીં શકે."
તેઓ કહે છે કે, "એક સમયે અમને પણ થતું કે મનોજ કેવી રીતે જીવન જીવશે? પરંતુ મનોજે ક્યારેય હિંમત નથી હારી અને તે સતત મહેનત કરતો રહ્યો અને સફળ થયો. જે લોકો બોલતા હતા તેઓ ત્યાં જ રહી ગયા અને મારા છોકરાએ નામ રોશન કરી દીધું. મનોજના કારણે અમને વિમાનમાં પણ બેસવાનો મોકો મળ્યો છે. આજે અમારો પુત્ર પાંજરું તોડી આકાશમાં ઊડી રહ્યો છે."
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)













