'ધ કેરલા સ્ટોરી'ની કહાણીમાં કેટલું તથ્ય છે?

- લેેખક, સાહિત્ય
- પદ, બીબીસી માટે
‘ધ કેરલા સ્ટોરી’ ફિલ્મ રિલિઝ થઈ ગઈ છે, અને તેની સાથે જોડાયેલા વિવાદે પણ જોર પકડ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને કેરળના મુખ્ય મંત્રી પિનરાઈ વિજયન અને શશી થરૂર સહીતના નેતાઓએ આ ફિલ્મના મામલે ટિપ્પણી કરી છે.
આ ફિલ્મ કેવી છે? એ જોયાં પહેલાં જ તેના ટ્રેઇલરના કારણે તેના વિરોધ અને સમર્થનમાં રાજકીય પક્ષો અને નેતાઓના નિવેદનો ચર્ચાસ્પદ બન્યાં છે. જેને કારણે ફિલ્મને પરોક્ષ પ્રચારનો ફાયદો મળી રહ્યો છે અને દર્શકો પણ. લોકો આ ફિલ્મ જોવા સિનેમાગૃહ સુધી પણ જઈ રહ્યા છે.
ફિલ્મ ધર્માંતરણ અને તે પછી ઉગ્રવાદી પ્રવૃત્તિઓમાં યુવતીઓને કેવી રીતે જોડવામાં આવે છે, તેવા સંવેદનશીલ મુદ્દા પર આધારિત છે. ટ્રેલર રિલિઝ થયા પછી શરૂ થયેલા વિવાદ બાદ ફિલ્મની રિલિઝને રોકવા કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.
ફિલ્મ પર ગરમાયેલા વિવાદમાં ઝુકાવવામાંથી રાજકીય નેતાઓ પણ બાકાત ના રહ્યાં અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જાહેરસભામાં ફિલ્મનો ઉલ્લેખ કરી કૉંગ્રેસ પર પ્રહાર કરવાની તક જતી ના કરી.
કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને પણ ફિલ્મ રિલિઝ થાય તે અગાઉ એક ફેસબુક પોસ્ટ કરી હતી, જેમાં તેમણે બેઘર પરિવારો માટે બનાવાયેલા આવાસની વાત કરતા કહ્યું કે કેરળની વાસ્તવિક કહાણી તો આ છે.
વિવાદોની આંટીઘૂંટી વચ્ચે રિલિઝ થયેલી ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’માં આખરે કેટલું સત્ય છે? તે સવાલ થવો સ્વાભાવિક છે.
પાછલાં કેટલાંક વર્ષોમાં કેરળમાંથી 32 હજાર મહિલાઓ ગાયબ થઈ ગઈ છે, અને તે તમામે કથિત રીતે ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો છે અને ચરમપંથી ગતિવિધિમાં પણ જોડાયાં હોવાના વિષયવસ્તુ પર આધારિત આ ફિલ્મ બનાવવામાં આવી છે.
કેટલાકે આ ફિલ્મ રિલિઝ ના થાય તે માટે અદાલતમાં અરજી કરી હતી. જોકે અદાલતે ફિલ્મને રિલિઝ કરવાની પરવાનગી આપી દીધી હતી.

શું છે ફિલ્મની કહાણી?

ઇમેજ સ્રોત, @ADAH_SHARMA
શાલિની ઉન્નીકૃષ્ણન (અદા શર્મા) કેવી રીતે ધર્મપરિવર્તન કરીને ફાતિમા બની ગયાં? છેવટે તેમના જીવનનો કેવી રીતે અંત થયો, આ ફિલ્મ તેની કહાણી છે.
નિર્દેશક સુદિપ્તો સેને કહ્યું કે, ફિલ્મની કહાણી સત્યઘટનાઓ પર આધારિત છે.
જેના સમર્થનમાં ફિલ્મના અંતે પીડિત પરિવારોનાં કથનનાં વીડિયો પણ બતાવાયા છે.
આ ફિલ્મ એ તમામ યુવતીઓને સમર્પિત કરવામાં આવી છે જે ધર્મપરિવર્તન કરી ગાયબ થઈ ગઈ.
નિર્દેશકે કહ્યું કે તેમણે ‘ધ કેરલા સ્ટોરી’ માટે 7 વર્ષ સુધી સંશોધન કર્યુ છે.

ત્રણ છોકરીઓની કહાણી કહેતી ફિલ્મ

ઇમેજ સ્રોત, SUNSHINE PICTURES/YOUTUBE
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ટ્રેઇલરમાં 32 હજાર મહિલાઓ પીડિત હોવાની વાત કહીને વિવાદ ઊભો કરાયો હતો, પણ ફિલ્મમાં ત્રણ પીડિતા છોકરીઓની કહાણી દર્શાવાઈ છે.
ફિલ્મમાં કેરળમાં નર્સિંગનો અભ્યાસ કરતી ત્રણ વિદ્યાર્થિનીઓનું જીવન બતાવાયું છે.
નિર્દેશકે ફિલ્મમાં વર્ણવ્યું છે કે કેવી રીતે નિર્દોષ બિનમુસ્લિમ છોકરીઓને ચરમપંથી સંગઠન ઇસ્લામિક સ્ટેટ માટે ભરતી કરાય છે. કેવી રીતે એક ચરમપંથી સમૂહ આ ત્રણેય છોકરીઓનું બ્રેઇનવૉશ કરે છે અને કેવી રીતે આ ત્રણેય આ જાળમાં ફસાઈ જાય છે?
ફિલ્મ જોતાં એવું લાગે છે કે નિર્દેશકે તેમની પાસે જે જાણકારી હતી તેના આધારે આ ફિલ્મની કહાણીને પડદા પર દર્શાવી છે, પણ આ કહાણીને પડદા પર જોતી વખતે સિનેમાની અનુભૂતિ પણ થવી જોઈએ. દર્શકો ફિલ્મનાં પાત્રો સાથે જોડાઈને કહાણીમાં આગળ વધી શકે તે જરૂરી હોય છે, પરંતુ નિર્દેશકે આ મામલે પૂરતી મહેનત કરી ન હોય તેમ જણાય છે.
શાલિની અફઘાનિસ્તાનની એક જેલમાંથી તેની કહાણી કહે છે.
કહાણી વર્તમાન અને ભૂતકાળમાં ચાલતી રહે છે. પણ છોકરીઓને ફસાવવાની વાર્તાને ફિલ્મમાં ડાયરેક્ટરે વધારે લંબાણથી બતાવી છે.
વિવિધ ધર્મો, દેવતાઓ અને માન્યતાઓની આસપાસ સંવાદો લખતી વખતે ફિલ્મના ઘણા સીન (દૃશ્યો)નું પુનરાવર્તન થતું જોવા મળે છે. કેટલીક જગ્યાએ એવું લાગે કે નિર્દેશકે કોઈ એક બાજુનો જ પક્ષનો લીધો છે.

શું કોમી એકતામાં ખલેલ પડી છે?

સત્યઘટનાઓ પર આધારિત ફિલ્મ બનાવવામાં કંઈ ખોટું નથી, તે નિર્દેશકની સ્વતંત્રતા છે.
પણ આ કહાણીમાં કેટલાંક વિવાદાસ્પદ દૃશ્યો, શબ્દો અને પાત્રો છે.
બિનમુસ્લિમ પાત્રોને બાકાત કરતાં બાકીનાં બધાં જ પાત્રોને ફિલ્મમાં નકારાત્મક બતાવ્યાં છે, તે દર્શાવે છે કે નિર્દેશકે કોઈ એક બાજુનો જ પક્ષ લીધો છે.
દરેક નકારાત્મક પાત્રને ઠગાઈ કરતું અને દગો દેતું દર્શાવવામાં આવ્યું છે.

સૅન્સર કેવી રીતે માની ગયું?

આ ફિલ્મમાં કેટલાંક વાંધાજનક અને પરેશાન કરતાં દૃશ્યો છે.
માથું, હાથ-પગ કે ધડ શરીરથી અલગ કરી દેવાના...એક યુવતીને નશીલો પદાર્થ આપીને ઘણા લોકો તેનું જાતીય શોષણ કરતા હોવાનાં દૃશ્યો, નગ્નતા દર્શાવતા વીડિયો...આ બધું જોઈને લાગે કે સૅન્સર બોર્ડે આવાં દૃશ્યોને કેટલી સરળતાથી સ્વીકૃતી આપી દીધી છે.
કેટલાંક દૃશ્યો વિચલિત કરે તેવાં છે

ઇમેજ સ્રોત, @ADAH_SHARMA
કેટલાંક દૃશ્યો આ ફિલ્મમાં પરાણે સમાવાયા હોય તેવું લાગે.
એક દૃશ્ય એવું છે જેમાં શાલિની ગર્ભવતી છે. એવામાં તેનો પ્રેમી તેને કહે છે કે જો શાલિની ધર્મપરિવર્તન કરી લે તો જ તે તેની સાથે લગ્ન કરશે.
શાલિની ધર્મપરિવર્તન કરવા તૈયાર થાય છે. જ્યારે આ જ સમયે લગ્નની તૈયારી થતી હોય છે, ત્યારે જ તેનો પ્રેમી ભાગી જાય છે.
ત્યાર પછી એક ધર્મગુરૂ આવીને કહે છે, “જો તું અન્ય કોઈ મુસ્લિમ યુવક સાથે નિકાહ કરી સીરિયા જતી રહે તો અમારા અલ્લાહ તારી બધી ભૂલોને માફ કરી દેશે.”
આ પછી થોડો સમય વિચાર કર્યા પછી શાલિની એક એવા વ્યક્તિ સાથે નિકાહ કરી લે છે જેને તે ઓળખતી પણ નથી.
આ દૃશ્ય કંઈ ખાસ અસર ઊભી નથી કરી શકતું.
અન્ય એક દૃશ્યમાં – ઇસ્લામિક યુવાન દ્વારા ભોળવાયેલી એક યુવતી તેના સામ્યવાદી માનસિકતા ધરાવતા પિતા પાસે લગ્નની મંજૂરી માગે છે, ત્યારે એ પિતા આઘાત અને આશ્ચર્યથી ચોંકી ઊઠે છે.
આવાં દૃશ્યો જોતાં એવું લાગે છે કે જાણે તેને કહાણી સાથે કોઈ સંબંધ વિના જ ઉમેરી દેવાયાં છે.

અદા શર્માનો અભિનય

ઇમેજ સ્રોત, ADAH SHARMA/FACEBOOK
અદા શર્માનો અભિનય આ ફિલ્મની વિશિષ્ટ વાત છે. તેનો અભિનય સાહજિક લાગે છે. આ ફિલ્મને જોઈને એવું લાગે છે કે તે સારાં અદાકાર છે.
અદા શર્માના અભિનયથી ઉપદેશ અને સંદેશ તરીકે ચાલી રહેલી ફિલ્મની કહાણીમાં એક અસર ઊભી થાય છે.
ડર, ગુસ્સો, ભોળપણ, ચિંતા...દરેક ભાવ તેમની આંખોમાં ખૂબ સરસ રીતે વ્યક્ત થતો જોઈ શકાય છે. ખાસ કરીને કેરળ શૈલીમાં હિન્દીના ઉચ્ચારણમાં વધારે સ્વાભાવિકતા જોઈ શકાય છે.
ફિલ્મનું અન્ય એક આકર્ષણ સોનિયા બાલાની છે જે આસિફાના પાત્રમાં જોવા મળી છે.
તેમની બોલી...દેખાવ...ચાલ... બધામાં નકારાત્મકતા જોવા મળે છે.
બ્રેઇનવૉશ કરવાવાળાં તેમનાં દૃશ્યો સહજ લાગે છે.
યોગિતા અને સિદ્દીનાં પાત્રો પણ ગમે એવાં છે.
માતાના પાત્રમાં દેવદર્શિનીનો અભિનય લાગણીશીલ કરી દેનારો છે.

પ્રાકૃતિક સ્થાન
આ કહાણીને ફિલ્માવવા માટે નિર્દેશકે પસંદ કરેલાં સ્થળો અનોખો પ્રભાવ પાડે છે.
અફઘાનિસ્તાન, ઈરાન અને ઇરાકની સીમાઓ પર ફિલ્માવાયેલા દૃશ્યો ભયાનક છે.
કેરળની પૃષ્ઠભૂમિ આ પ્રકારની કથા બતાવવું નાવિન્યતાપૂર્ણ છે.
વિરેશ શ્રીવાલ્સા અને બિસાખ જ્યોતિનું પાર્શ્વસંગીત મધુર છે.
જોકે આ કથાનકથી નિર્દેશક ફિલ્મ માટે જરૂરી એવી નાટ્યાત્મકતા અને સિનેમૅટિક અનુભવ નથી આપી શક્યા. પણ તેને એક વિવાદિત ફિલ્મમાં બદલી દેવાઈ છે જે તમને ચર્ચા તરફ વાળી દે છે.










