ગુજરાતના એ CM જે સત્તા ટકાવી રાખવા કાર્યકરો સાથે પોતાનો પક્ષ છોડી 'ભાજપ સાથે' જોડાઈ ગયા

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
માર્ચ મહિનાના પહેલા અઠવાડિયામાં કૉંગ્રેસના મોટા નેતા અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાઈ ગયા હતા અને છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો હતો.
મોઢવાડિયા કૉંગ્રેસના પૂર્વ પ્રદેશાધ્યક્ષ તથા ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પદે પણ રહ્યા હતા. તેઓ 2022ની વિધાનસભાની ચૂંટણી સમયે ભાજપના વાવાઝોડામાં પણ પોરબંદરની બેઠક પરથી ચૂંટાઈ આવ્યા હતા.
જોકે, આ પહેલો પ્રસંગ નથી કે કૉંગ્રેસમાં આંતરિક ફાંટ પડી હોય. રાજ્યની સ્થાપનાના પ્રારંભિક વર્ષોમાં જ એવું બન્યું હતું કે કૉંગ્રેસના મુખ્ય મંત્રી પાર્ટીથી અલગ થઈને જનતા મોરચા સાથે મળી ગયા હતા.
આ રાજનેતાના જીવનમાં એવો પણ સમય આવ્યો હતો કે જ્યારે તેમણે બે વર્ષમાં ત્રણ વખત પોતાના રાજકીય જહાજના હવા પ્રમાણે સઢ બદલ્યા અને સત્તા ઉપર ટકી રહ્યા.
'ગુજરાતની જીવાદોરી'ના પ્રૉજેક્ટ ઉપરથી ધૂળ ખંખેરીને તેને મક્કમતાપૂર્વક આગળ વધારવાનો શ્રેય પણ આ રાજનેતાને આપવામાં આવે છે. આ રાજનેતા એટલે ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી ચીમનભાઈ પટેલ.
ચીમનભાઈ બન્યા 'પટેલ'

ઇમેજ સ્રોત, Getty Images
ચીમનભાઈનો જન્મ બ્રિટિશ શાસન દરમિયાન તા. ત્રીજી જૂન 1929ના દિવસે સાધારણ ખેડૂત પરિવાર જીવાભાઈ તથા રેવાબહેનને ત્યાં સંખેડામાં થયો હતો. સોળેક વર્ષની ઉંમરથી જ વિદ્યાર્થીકાળમાં તેમણે રાજકારણમાં રસ લેવાનું શરૂ કરી દીધું હતું.
સંખેડાના ગાંધીવાદી નેતા અને સ્વતંત્રતા સેનાની ડૉ. જેઠાલાલ પારેખે તેમનું ઘડતર કર્યું હતું. અહીં ચીમનભાઈએ નેતૃત્વ, સંગઠન અને વ્યવસ્થાપનના પાઠ ભણ્યા. સારી રીતે શાળાકીય શિક્ષણ પૂર્ણ કરીને ઉચ્ચશિક્ષણ માટે તેમણે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની વાટ પકડી.
આ અરસામાં તેમણે વણિક વૈષ્ણવ પરિવારનાં ઉર્મિલાબહેન પટેલ સાથે આંતરજ્ઞાતીય લગ્ન કર્યાં. વિનયન શાખામાં સ્નાતક અને અનુસ્નાતકની ડિગ્રી મેળવી અને વિદ્યાર્થીલક્ષી રાજકારણમાં કૉંગ્રેસનું પ્રતિનિધિત્વ કર્યું. આ અરસામાં પણ તેમણે વિદ્યાર્થી હડતાલને સફળ નેતૃત્વ પૂરું પાડ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સારી શૈક્ષણિક પકડને કારણે જ્યાં ભણતા હતા, ત્યાં જ તેમને વ્યાખ્યાતા તરીકે ભણાવવાની નોકરી મળી ગઈ. તેઓ કૉંગ્રેસમાં અલગ-અલગ ભૂમિકા ભજવતા રહ્યા. આ અરસામાં બૉમ્બે પ્રેસિડન્સીમાંથી ગુજરાત બન્યું. શિક્ષણનો ફેલાવો થાય અને વિદ્યાર્થીઓને હાલાકી ન પડે તે માટે તેઓ અને શૈક્ષણિક સંસ્થાના ટ્રસ્ટી અને સ્થાપક બન્યા.
વર્ષ 1960માં તેમણે સરદાર વલ્લભભાઈ પટેલ ઍજ્યુકેશન ટ્રસ્ટના નેજા હેઠળ અમદાવાદમાં આર્ટ્સ કૉલેજની સ્થાપના કરી હતી. 1967માં કૉંગ્રેસની ટિકિટ મળી ત્યારે તેઓ આ કૉલેજમાં આચાર્ય હતા. ચીમનભાઈ તેમના વતન સંખેડામાંથી ધારાસભ્ય ચૂંટાઈ આવ્યા અને હિતેન્દ્ર દેસાઈ સરકારમાં ઉદ્યોગમંત્રી બન્યા.
ઇંદિરા ગાંધીની કૉંગ્રેસ અને સંસ્થા કૉંગ્રેસ એમ બે ભાગ પડ્યા, ત્યારે દેસાઈએ તેમના રાજકીય ગુરૂ મોરારજીભાઈ સાથે રહેવાનું નક્કી કર્યું.
ફાર્મહાઉસને નામ મળ્યું 'પ્રપંચ'વટી

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ધીમે-ધીમે ઇંદિરા કૉંગ્રેસમાં ચીમનભાઈનું કદ વધી રહ્યું હતું. તેમને આશા હતી કે ચોથી વિધાનસભામાં તેમને જ મુખ્ય મંત્રી બનાવવામાં આવશે. પાર્ટીને 160માંથી 140 બેઠક મળી હતી એટલે ઇંદિરા ગાંધીએ પોતાના મંત્રીમંડળમાં પ્રધાન એવા ઘનશ્યામ ઓઝાને મુખ્ય મંત્રી તરીકે પસંદ કર્યા.
ચીમનભાઈ પટેલે અમદાવાદ નજીક તેમના 'પંચવટી' ફાર્મહાઉસ ખાતે પોતાના સમર્થક તથા ઓઝાથી અસંતુષ્ટ નેતાઓ સાથે બેઠકો શરૂ કરી અને ઓઝા વિરૂદ્ધ વાતાવરણ ઊભું કર્યું. તેમણે બળવાખોર ધારાસભ્યોને પહેલાં પંચવટી અને પછી આબુમાં એકઠા કર્યા.
'પ્રોટેસ્ટ મૂવમૅન્ટ્સ ઍન્ડ સિટીઝન્સ રાઇટ્સ ઇન ગુજરાત' પુસ્તકમાં લેખિકા વર્ષા ભગત-ગાંગુલી લખે છે, 'મુખ્ય મંત્રી બનવા માટે તેમણે (ચીમનભાઈએ) કથિત રૂપે કાં તો ધારાસભ્યો પર દબાણ કર્યું હતું કાં તો ધારાસભ્યોને ખરીદી લીધા હતા. પંચવટી ફાર્મમાં લગભગ 70 ધારાસભ્યોને રાખવામાં આવ્યા હતા. જેને પગલે પંચવટી ફાર્મને લોકો 'પ્રપંચવટી ફાર્મ' કહેવા લાગ્યા હતા.'
પાકિસ્તાન ઉપર વિજય પછી ઇંદિરા ગાંધીનો સૂર્ય મધ્યાહને તપતો હતો. કૉંગ્રેસમાં કોઈ પણ નેતા તેમની સામે બોલવાની હિંમત નહોતો કરતો. આવા સમયે ચીમનભાઈએ ગુજરાતના મુખ્ય મંત્રીપદે પોતાનો દાવો રજૂ કર્યો.
વિજય સંઘવીએ તેમના પુસ્તક 'ધ કૉંગ્રેસ, ઇંદિરા ટુ સોનિયા ગાંધી'માં (પેજનંબર 81-93) ગુજરાતના તત્કાલીન રાજકીય પરિદૃશ્યનો ચિતાર આપ્યો છે. તેઓ લખે છે કે ચીમનભાઈએ વડાં પ્રધાન ઇંદિરા ગાંધી સાથે તત્કાલીન બૉમ્બેના રાજભવનમાં બેઠક કરી.
માંડ વીસેક મિનિટ મુલાકાત ચાલી. અચાનક વાતચીતે ઉગ્રસ્વરૂપ ધારણ કરી લીધું, ત્યારે ચીમનભાઈએ કહ્યું, 'ગુજરાત વિધાનદળના નેતાની પસંદગી ધારાસભ્યો કરશે, તમે નહીં.' ઇંદિરા ગાંધી હબક ખાઈ ગયા. તેમણે ગુજરાતના પ્રભારી સ્વર્ણસિંહને દિલ્હીમાં મળવા અને રજૂઆત કરવા કહ્યું.
ધારાસભ્યો ગુપ્ત રીતે મતદાન કરે અને જેને વધુ મત મળે તે મુખ્ય મંત્રી બને, એવી ફૉર્મ્યુલા તત્કાલીન વિદેશમંત્રી સ્વર્ણસિંહ અને પટેલની વચ્ચે નક્કી થઈ. મતગણતરી નવી દિલ્હી ખાતે સ્વર્ણસિંહની ઓફિસમાં થાય એ મુદ્દે પણ સહમતિ સધાઈ. નાયબ મુખ્ય મંત્રી કાંતિલાલ ઘિયાનો પણ સીએમપદ પર દાવો હતો. ઇંદિરા પોતાની સામે થનારા પટેલ કરતાં ઘિયાને પસંદ કરતા હતા.
સંઘવી લખે છે કે સાત મતે ચીમનભાઈનો વિજય થયો હોવાનું જાહેર થયું, પરંતુ ઘણાને લાગે છે કે ઘિયાને વધુ મત મળ્યા હતા. પરંતુ ઇંદિરા ગાંધી તેમના વિરોધી એવા ચીમનભાઈને ભવિષ્યમાં કદ પ્રમાણે વેતરી નાખવા માગતા હતા, એટલે તેમણે આ ચાલ રમી હતી. ઉત્તર પ્રદેશ અને ઓડિશાની મહત્ત્વપૂર્ણ ચૂંટણી પહેલાં તેઓ ‘ફંડમૅનેજર’ મનાતા પટેલને નારાજ કરવા નહોતા માગતા.
કેન્દ્ર સરકારના ખાદ્યાન્ન મંત્રી ફખરુદ્દીન અલીએ ગુજરાતને મળતો એક લાખ પાંચ હજાર મેટ્રિક ટનનો અનાજના જાહેરવિતરણના ઘઉંના ક્વૉટાને ઘટાડીને 55 હજાર ટનનો કરી નાખ્યો હતો. માત્ર સિત્તેર પૈસામાં મળતું અનાજ પાંચ રૂપિયે કિલો મળવા લાગ્યું હતું. તેલિયા રાજા પણ સમર્થનની કિંમત વસૂલ કરી રહ્યા હતા. સારો વરસાદ થવા છતાં ચીજવસ્તુઓના ભાવ આકાશને આંબી રહ્યા હતા.
આરબ-ઇઝરાયલ યુદ્ધ પછી તેલઉત્પાદક દેશોએ ઉત્પાદન ઘટાડી નાખ્યું હતું. માત્ર ત્રણ ડૉલરમાં મળતું ક્રૂડતેલ 12 ડૉલર ઉપર પહોંચી ગયું હતું, જેનો ફટકો કેન્દ્ર અને રાજ્ય સરકારને પડ્યો હતો. બાંગ્લાદેશને સ્વતંત્ર કરાવવા માટે લડાયેલા યુદ્ધનો ભાર હજુ પણ અર્થતંત્ર પર પડી રહ્યો હતો.
સંઘવી તેમના પુસ્તકમાં લખે છે કે કૉંગ્રેસના જ એક વર્ગે ચીમનભાઈની છાપ ખરડાય તે માટે આ પ્રકારની હવા ઊભી કરી હતી અને વિદ્યાર્થી આંદોલનને હવા આપી હતી.
આવા સમયે નવનિર્માણ આંદોલન થયું. મંત્રીમંડળના સાથીઓ જ ચીમનભાઈ વિરૂદ્ધ થયા. તેમની ઉપર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા. પાર્ટીએ તેમને હાંકી કાઢ્યા.
ગુજરાતમાંથી પ્રેરણા લઈને બિહારમાં વિદ્યાર્થીઓની સંપૂર્ણ ક્રાંતિની શરૂઆત થઈ. ઇંદિરા માટે વધુ એક મુશ્કેલી ઊભી થઈ. પોતાને અનુકૂળ હોય તેવા ઉમેદવારને ગોઠવવા માટે ઇંદિરા ગાંધીએ ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન લાદી દીધું. તેઓ યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા હતા.
કિમલોપ અને ‘નૈતિકતાનો લોપ’

ઇમેજ સ્રોત, Getty Images
કૉંગ્રેસથી અલગ થયેલા ચીમનભાઈએ કિશાન મજદૂર લોકપક્ષની સ્થાપના કરી, જે ટૂંકમાં 'કિમલોપ' તરીકે ઓળખાતો. 1975ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કિમલોપ, ઇંદિરા કૉંગ્રેસ અને જનતા મોરચો એમ ગુજરાતમાં ત્રિપાંખિયો ચૂંટણીજંગ જામ્યો.
મોરારજી દેસાઈના નજીકના સહયોગી યશવંત દોશીએ તેમનું જીવનચરિત્રલખ્યું છે, જેમાં તેઓ પેજનંબર 77 ઉપર લખે છે કે આવા સમયે મોરારજી દેસાઈએ ગુજરાત વિધાનસભાને ભંગ કરવાની માગ સાથે તા. 11 માર્ચ 1974ના ઉપવાસ હાથ ધર્યા. તા. 15મી માર્ચે ઇંદિરા સરકારે વિધાનસભા ભંગ કરવાની ભલામણ કરી.
નવી સરકારના ગઠનનો માર્ગ મોકળો થયો હતો, પરંતુ છ મહિનામાં ચૂંટણી યોજવાને બદલે રાષ્ટ્રપતિ શાસનને વધુ છ મહિના માટે લંબાવવામાં આવ્યું. આવામાં ગુજરાતમાં દુકાળ પડ્યો, એટલે રાજ્યમાં ચૂંટણી યોજાય તે માટે મોરારજીભાઈએ એપ્રિલ-1975માં ફરી ઉપવાસ શરૂ કર્યાં.
ભાજપના નેતા વિજયકુમાર મલ્હોત્રા તેમના પુસ્તક 'ઇવૉલ્યુશન ઑફ બીજેપી' (પેજ 244-245) ઉપર લખે છે કે સંસ્થા કૉંગ્રેસ, જનસંઘ, સમાજવાદી અને ભારતીય લોકદળના ઉમેદવારોની પસંદગી મોરારજી દેસાઈ કરે એવું સૂચન કરવામાં આવ્યું હતું. પાકટ વયે પણ મોરારાજીભાઈએ જનતા મોરચાના ઉમેદવારોને જીતાડવા માટે વ્યાપક પ્રવાસ ખેડ્યા.
તા. 12મી જૂન 1975ના ગુજરાત વિધાનસભાના ચૂંટણીપરિણામ આવ્યા. એજ દિવસે અલ્લાહબાદ હાઈકોર્ટે વર્ષ 1971માં ઇંદિરા ગાંધીની ચૂંટણીને રદ્દ જાહેર કરી અને છ વર્ષ માટે તેમના ચૂંટણી લડવા ઉપર પ્રતિબંધ મૂક્યો. ઇંદિરા ગાંધીને બેવડો આંચકો લાગ્યો હતો.
ચૂંટણીપરિણામો પછી 75 ધારાસભ્ય સાથે કૉંગ્રેસ સૌથી મોટાપક્ષ અને 88 ધારાસભ્ય સાથે જનતા મોરચો સૌથી મોટું ગઠબંધન હતું.
ચીમનભાઈ પોતે જેતપુરની બેઠક ઉપરથી હારી ગયા હતા, પરંતુ પાર્ટીના 12 ધારાસભ્યો ચૂંટાઈ આવ્યા હતા. તેમના પક્ષે જનતા મોરચાને બિનશરતી ટેકો જાહેર કર્યો. બાબુભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં પ્રથમ વખત બિનકૉંગ્રેસી સરકાર બની.
જોકે, સત્તાના આ સમીકરણમાં નૈતિકતાનો લોપ થયો હતો, કારણ કે ચીમનભાઈ સત્તા ઉપર હતા ત્યારથી જ નવા ચૂંટાયેલા અનેક ધારાસભ્યો તેમની સામે ભ્રષ્ટાચારના આરોપ મૂકતા હતા. ચીમનભાઈના પૂતળા બાળવા અને નનામી કાઢવા જેવા કાર્યક્રમો આપ્યા હતા.
બાબુભાઈએ સત્તા સંભાળીને માંડ અઠવાડિયું થયું હતું કે તા. 25મી જૂન, 1975ના રોજ ઇંદિરા ગાંધીએ દેશ ઉપર કટોકટી લાદી દીધી અને સત્તાની સંપૂર્ણ ધૂરા પોતાની હાથમાં લઈ લીધી. કટોકટીવિરોધી નેતાઓ માટે ગુજરાતમાં અભયદાન હતું. છેવટે ઇંદિરાએ ગુજરાતની જનતા મોરચા સરકારને બરતરફ કરી.
રાષ્ટ્રપતિ શાસન હઠતા અને પરિસ્થિતિ અનુકૂળ થતાં માધવસિંહ સોલંકી ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા. માંડ ત્રણેક મહિના થયા હશે કે ઇંદિરા ગાંધીએ કટોકટી ઉઠાવી લેવાની જાહેરાત કરી. 'ગુજરાત મૉડલ' ઉપર કેન્દ્રમાં જનતા મોરચાની સરકાર બની, તેના એક મહિનામાં સોલંકી સરકારનું પતન થયું. આ દરમિયાન પરિસ્થિતિ જોઈને અપક્ષ ધારાસભ્યો અને ચીમનભાઈ પોતાના રાજકીય વહાણના સઢ બદલતા રહ્યા.
ભાજપની સામે, ભાજપની સાથે

ઇમેજ સ્રોત, Getty Images
જનતા મોરચાના નિષ્ફળ પ્રયોગ બાદ ભાજપ સ્વરૂપે નવા પક્ષનો રાજકીય પરિદૃશ્ય પર ઉદય થયો. જેને પહેલી ચૂંટણીમાં લોકસભાની માત્ર બે બેઠક મળી, પરંતુ તે અલગ-અલગ રાજ્યોમાં સત્તામાં હતો કે સત્તામાં ભાગીદાર હતો.
1985માં ચીમનભાઈએ જનતા પાર્ટીની ટિકિટ ઉપર પાટીદારોની બહુમતીવાળી ઊંઝા બેઠક ઉપરથી ચૂંટણી લડી અને ચૂંટાઈ આવ્યા. કૉંગ્રેસે ક્ષત્રિય, આદિવાસી, હરિજન (એ સમયે દલિત સમાજ માટે વપરાતો શબ્દ) અને મુસ્લિમનું KHAM સમીકરણ સાધીને રેકર્ડ 149 બેઠક જીતી. ઇંદિરા ગાંધીની હત્યા બાદ ઉઠેલા સહાનુભૂતિના મોજાનો પણ પાર્ટીને લાભ મળ્યો.
માધવસિંહ સોલંકીના એ મંત્રીમંડળમાં કોઈ સવર્ણ પ્રધાનને સ્થાન ન હતું. આવા સમયે પાટીદારોમાં લોકપ્રિય એવા ચીમનભાઈએ નવું સમીકરણ સાધવાનું શરૂ કરી દીધું હતું. રાજીવ ગાંધીએ તેમના દિગ્ગજ મંત્રી વીપીસિંહને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા. જેમણે જનતા મોરચાની સ્થાપના કરી, જેમાં મુફ્તી મોહમ્મદ સઈદ, આરીફ મહોમ્મદ ખાન, સત્યપાલ મલિક, અરૂણ નહેરુ, વિદ્યાચરણ શુક્લા જેવા કૉંગ્રેસના નારાજ કદાવર નેતાઓ હતા.
જનતા પાર્ટીના અલગ-અલગ સ્વરૂપ, લોકદળ, બાબુ જગજીવનરામની કૉંગ્રેસ, લોકદળ તથા જનતા મોરચાએ મળીને જનતા દળની સ્થાપના કરી, ત્યારે ચીમનભાઈ પણ તેમાં જોડાઈ ગયા. પાર્ટીએ ગુજરાતમાં ભાજપ સાથે મળીને ચૂંટણી લડી. ભાજપને 12 અને જનતા દળને 11 બેઠક ઉપર વિજય મળ્યો.
જેમાં ચીમનભાઈએ સાધેલા 'કોકમ' સમીકરણે પણ ભાગ ભજવ્યો હતો, જે કોળી, કણબી (પટેલ) અને મુસ્લિમની ટૂંકાક્ષરી હતી. દસેક વર્ષથી સત્તાના પરિદૃશ્યમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા પાટીદારોએ ભાજપ અને જનતાદળને સાથ આપ્યો. તો મુસ્લિમો જનતાદળની સાથે રહ્યા.
એ પછી માર્ચ 1990માં ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન કૉંગ્રેસ, ભાજપ અને જનતાદળ વચ્ચે ત્રિપાંખિયો જંગ જામ્યો. ભાજપને 67 અને જનતાદળને 70 બેઠક મળી હતી. 12 જેટલા અપક્ષ ધારાસભ્ય ચૂંટાઈ આવ્યા હતા.
ચીમનભાઈ ઉપર બાહુબલીઓ અને અસામાજિક તત્વોને આશરો આપવાના આરોપ પણ લાગ્યા હતા. કુતિયાણાની બેઠક પરથી સંતોકબહેનની ઉમેદવારીને કારણે રાજકારણમાં સુચારિતાના આગ્રહીઓનાં ભવાં તણાયાં હતાં.
નખશીખ ગાંધીવાદી ગણાતા બાબુભાઈ પટેલ લોકસ્વરાજ મંચના નેજા હેઠળ રાજકારણ કરી રહ્યા હતા અને વીપી સિંહના સંપર્કમાં પણ હતા. વિધાનસભા ચૂંટણી સમયે તેમની સામે ભાજપ કે જનતાદળે ઉમેદવાર ઊભા નહોતા રાખ્યા અને બાબુભાઈ મોરબીની બેઠક પરથી અપક્ષ ચૂંટાઈ આવ્યા હતા.
1979ની મચ્છુ ડૅમ દુર્ઘટના વખતે બાબુભાઈએ સચિવાલયને મોરબી ખસેડી દીધું હતું, જેથી કરીને અલગ-અલગ મંત્રાલય વચ્ચે સમન્વય સરળ અને ઝડપી બને.
ભાજપની શરતો સ્વીકારીને ચીમનભાઈએ સત્તા મેળવી. તેમણે નર્મદાડૅમનો વિરોધ કરી રહેલા લોકો સામે કડક હાથે કાર્યવાહી કરી હતી, જેની અમુક લોકોએ પ્રશંસા તો કેટલાકે ટીકા કરી. અનેક લોકો નર્મદા યોજનાને સાકાર કરવાનો શ્રેય ચીમનભાઈને આપે છે. નર્મદા નદીનું એક નામ રેવા છે, જે ચીમનભાઈનાં માતાનું પણ નામ છે. અમદાવાદમાં ચીમનભાઈના ઘરનું નામ પણ 'રેવારણ્ય' છે.
લોકહિતને ધ્યાને લઈને બાબુભાઈ પટેલે નર્મદા વિભાગનો હવાલો સંભાળ્યો અને ચીમનભાઈના મંત્રીમંડળમાં કામ કરવા તૈયાર થયા. કેશુભાઈ પટેલ નાયબ મુખ્યમંત્રી બન્યા. સુરેશ મહેતા, વજુભાઈ વાળા, અશોક ભટ્ટ અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને મંત્રીપદ મળ્યા.
બે વર્ષ, ત્રણ સત્તાઘાત

ઇમેજ સ્રોત, Getty Images
1989ના અંતભાગમાં ભાજપ અને ડાબેરીપક્ષોની કાખઘોડીથી કેન્દ્રમાં વી.પી. સિંહના નેતૃત્વમાં જનતા દળ સરકારની સ્થાપના થઈ.
વીપી સિંહે ઓબીસીને અનામતની જોગવાઈ કરતી મંડલ પંચની ભલામણોને લાગુ કરવાનું જાહેર કર્યું. જેના કારણે હિંદુ સમાજમાં વિભાજન થશે એવું લાગતા સંઘે રામ મંદિરનો મુદ્દો ઉઠાવ્યો હતો.
વરિષ્ઠ પત્રકાર સ્વપન દાસગુપ્તાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે રામ મંદિર મુદ્દે ભાજપના એક વર્ગમાં અવઢવ હતી, પરંતુ વિશ્વ હિંદુ પરિષદે જનતાની નસ તપાસી લીધી હતી અને તેને વિશ્વાસ હતો કે હિંદુઓને એક કરવાની આ તક છે. એટલું જ નહીં મંદિર બનાવવાની છેલ્લી તક છે.
સપ્ટેમ્બર 1990માં ગુજરાતના સોમનાથ ખાતેથી રામ રથયાત્રાની શરૂઆત થઈ, જે દશેરાના દિવસે અયોધ્યા ખાતે સમાપ્ત થવાની હતી. આ રથયાત્રા બિહારના સમસ્તીપુર પહોંચી, ત્યારે રાજ્યમાં લાલુપ્રસાદ યાદવની સરકાર હતી, જ્યાં અડવાણીની અટકાયત કરવામાં આવી અને તેમને એક બંગલામાં રાખવામાં આવ્યા.
વરિષ્ઠ પત્રકાર પ્રભુ ચાવલાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે યાદવ થકી વડા પ્રધાન વીપી સિંહ ભાજપને કદ પ્રમાણે વેતરવા માગતા હતા. જ્યાં અડવાણીને રાખવામાં આવ્યા હતા, તેમની સાથે વાત થઈ શકે તે માટે વિશેષ ટેલિફોનની લાઇન નાખવામાં આવી હતી, જેથી બંને વચ્ચે વાતચીત થાય અને વચ્ચેનો રસ્તો કાઢી શકાય પરંતુ આ વાત વિશે વાજપેયીને જાણ ન હતી. સિંહ-અડવાણીનો સંવાદ થઈ શકે તે પહેલાં વાજપેયીએ ટેકો પાછો ખેંચવાનો પત્ર રાષ્ટ્રપતિને સોંપી દીધો.
જેનો પડઘો ગુજરાતમાં પણ પડ્યો. ભાજપે ચીમનભાઈની સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લીધો. લગભગ 16 વર્ષે હાથમાં આવેલી સત્તા ફરીથી ચીમનભાઈના હાથમાંથી સરકવાની હતી. આવા સમયે તેમના માટે સાનુકૂળ પરિસ્થિતિ ઊભી થઈ.
જનતાદળમાં ફાટ પડી અને ચંદ્રશેખર પોતાના સમર્થકો સાથે અલગ થઈ ગયા. 195 જેટલા સાંસદ હોવા છતાં સત્તા પર દાવો નહીં કરનારા રાજીવ ગાંધીએ ચંદ્રશેખર સરકારને ટેકો આપ્યો.
રાજીવ ગાંધી દ્વારા ગુજરાત કૉંગ્રેસ એકમને વિના શરતે ચીમનભાઈ સરકારને ટેકો આપવા માટે કહેવામાં આવ્યું. માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં કૉંગ્રેસના 30થી વધુ ધારાસભ્યોને આ વાત ગમી નહીં, પરંતુ તેઓ કેન્દ્રીય નેતૃત્વ સામે લાચાર હતા.
શરદ પવાર તેમના આત્મકથાનક 'ઑન માય ટર્મ્સ'માં લખ્યું છે કે મારા અને ચીમનભાઈ વચ્ચે સારું સામંજસ્ય હતું. જો કોઈ મોટા ઉદ્યોગનો પ્રૉજેક્ટ તેમની પાસે આવતો, તો તેઓ મને મોકલી આપતા. જો કોઈ લઘુ કે મધ્યમ ઉદ્યોગ પ્રસ્તાવની વાત હોય તો હું તેને ગુજરાતમાં ચીમનભાઈ પાસે મોકલી દેતો.
અને પછી....

ઇમેજ સ્રોત, Getty Images
ચંદ્રશેખરની સરકાર અલ્પજીવી નીવડી. ચંદ્રશેખરે લોકસભા વિસર્જનની જાહેરાત કરી દીધી. જનતાદળ વિખેરાઈ ગયું અને તેના અનેક ઘટક અસ્તિત્વમાં આવ્યા. ગુજરાતમાં ચીમનભાઈએ જનતાદળ ગુજરાતની સ્થાપના કરી. આગામી લોકસભા ચૂંટણી જનતા દળ-ગુજરાત અને કૉંગ્રેસે સાથે મળીને લડી.
તા. 21મી મે, 1991ના ચૂંટણીપ્રચાર અભિયાન દરમિયાન રાજીવ ગાંધીની હત્યા થઈ. તેના પાંચ દિવસ બાદ 26મી તારીખે ચૂંટણી યોજાઈ, છતાં કૉંગ્રેસને સહાનુભૂતિના મોજાંનો લાભ ન મળ્યો. તાજેતરમાં ભાજપમાં જોડાયેલા નારણ રાઠવા સ્વરૂપે જનતાદળ ગુજરાતના એકમાત્ર ઉમેદવાર જીત્યા. ખુદ ચીમનભાઈનાં પત્ની ઉર્મિલાબહેન પણ જામનગરની બેઠક પરથી ચૂંટણી હારી ગયાં. આદિવાસી વિસ્તારોમાં સારું પ્રદર્શન કરવાને કારણે કૉંગ્રેસ પાંચ અને ભાજપને 20 બેઠક મળી.
જનતાદળ-ગુજરાત સ્વરૂપે ચીમનભાઈને પોતાની પાર્ટીનું સ્વતંત્ર અસ્તિત્વ દેખાતું ન હતું, તેમની સરકાર ઉપર પણ જોખમ તોળાઈ રહ્યું હતું. આવા સમયે તેમણે વડા પ્રધાન નરસિહ્મારાવનો સંપર્ક કરીને પોતાની પાર્ટીનું કૉંગ્રેસમાં વિલીનીકરણ કરવાની તજવીજ હાથ ધરી.
ગુજરાત કૉંગ્રેસને આ વાત પસંદ ન હતી, પરંતુ રાજીવ ગાંધીની ગેરહાજરીમાં તેઓ કંઈ કરી શકે તેમ ન હતા. બીજી બાજુ, દિલ્હી સરકારને ચીમનભાઈની જરૂર હતી, એટલે વિલીનીકરણ સુપેરે પાર પડ્યું.
લગભગ બે વર્ષમાં ત્રીજી વખત વખત ચીમનભાઈ પોતાની સરકાર બચાવવામાં સફળ રહ્યા હતા. તેઓ પત્રકારોને કહેતા હતા કે 'હું મારો કાર્યકાળ પૂર્ણ કરીશ જ.' જોકે, વિધાતાને કદાચ આ વાત મંજૂર ન હતી. રાજ્યસભાની ચૂંટણી પહેલાં તા. 17 ફેબ્રુઆરી 1994ના તેમનું અવસાન થયું.
રાજ્યસભાના રસ્તે તેમનાં પત્ની ઉર્મિલાબહેન કેન્દ્ર સરકારમાં રાજ્યકક્ષાના વીજમંત્રી બન્યાં. પહેલાં તેમણે અને પછી તેમના દીકરા સિદ્ધાર્થ પટેલે ચીમનભાઈનો રાજકીય વારસો જાળવ્યો.












