ક્લાઇમેટ ચેન્જને કારણે વાવાઝોડાની તીવ્રતા-સમયગાળામાં થઈ રહ્યા છે બદલાવ? ગુજરાત પર થશે શું અસર?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાત આ વર્ષે જૂન માસમાં જ ‘બિપરજોય’ વાવાઝોડાની વિકટ પરિસ્થિતિમાંથી પસાર થયું હતું.
ભારતીય હવામાન વિભાગ અનુસાર બિપરજોય વર્ષ 1977 બાદનું સૌથી લાંબા ગાળા સુધી ચાલેલું ‘સાયક્લોનિક સ્ટોર્મ’ હતું.
13 દિવસ ત્રણ કલાક સુધી ચાલેલા આ વાવાઝોડાએ અરબેયિન સાગરમાં સર્જાયા બાદ કુલ નવ વખત પોતાનો રૂટ બદલ્યો હતો. જેના કારણે હવામાનશાસ્ત્રીઓને તેના રૂટ અંગે આગાહી કરવામાં અતિશય મુશ્કેલી પડી હતી.
વાવાઝોડા અને હવામાન અંગે થયેલાં સંશોધનોમાં હવે સામે આવ્યું છે કે માત્ર વાવાઝોડાની તીવ્રતા જ નહીં પરંતુ તેનાં નિર્માણ અને જીવનકાળ જેવી બાબતોમાંય ભારે બદલાવ જોવા મળી રહ્યા છે.
ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર નવા અભ્યાસમાં સામે આવ્યું છે કે સમુદ્રની પૅટર્નમાં બદલાવ અને વાતાવરણીય વૉર્મિંગને કારણે પૂર્વ અરેબિયન સાગરમાં સર્જાતાં ઉષ્ણકટિબંધીય વાવાઝોડાંની તીવ્રતા અને સંખ્યામાં વધારો થશે. નોંધનીય છે કે આ સાગરને કાંઠે પશ્ચિમ ભારતના ગુજરાત સહિતનાં રાજ્યો વસેલાં છે.
વાવાઝોડાની સંખ્યા અને તીવ્રતામાં વધારો

ઇમેજ સ્રોત, Getty Images
એક નવા સંશોધનમાં ખબર પડી છે કે જળવાયુ પરિવર્તનને કારણે 80ના દાયકાથી શક્તિશાળી ઉષ્ણકટિબંધીય વાવાઝોડાંના સમયમાં દર દાયકામાં ચાર દિવસ વહેલાં આવી રહ્યાં છે.
નોંધનીય છે કે ઉષ્ણકટિબંધીય વાવાઝોડાં અતિ શક્તિશાળી હોવાની સાથોસાથ વિનાશક અસરવાળાં પણ હોય છે.
હવાઈ વિશ્વવિદ્યાલય, સધર્ન યુનિવર્સિટી ઑફ સાયન્સ અને અન્ય કેટલાંક મહત્ત્વપૂર્ણ સંસ્થાનો દ્વારા આ સંશોધન કરાયું હતું, જેનાં પરિણામો આંતરરાષ્ટ્રીય જર્નલ નૅચરમાં પ્રકાશિત કરાયાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સંશોધનનાં પરિણામોમાં થયેલી નોંધ અનુસાર ઉષ્ણકટિબંધીયની વિનાશક અસરોનો સામનો કરવા માટે ઉષ્ણકટિબંધીય વાવાઝોડાંના વલણમાં આવતા ફેરફારોની સમજ કેળવવાનું જરૂરી બની જાય છે.
સંશોધનનાં પરિણામો અનુસાર ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધમાં બનતાં તીવ્ર ઉષ્ણકટિબંધીય વાવાઝોડાં સામાન્ય કરતાં જલદી સર્જાવાનું વલણ જોવા મળ્યું હતું.
આ અભ્યાસ માટે વર્ષ 1981-2017 સુધીના ઉષ્ણકટીબંધીય વાવાઝોડાંના ડેટાનું વિશ્લેષણ કરાયું હતું.
પરિણામો અનુસાર પ્રતિ દાયકા દીઠ તીવ્ર ઉષ્ણકટિબંધીય વાવાઝોડાં સામાન્ય કરતાં 3.7થી 3.2 દિવસ જલદી સર્જાતાં થયાં છે.
જો ઉષ્ણકટિબંધીય વાવાઝોડાની વાત કરીએ તો સામાન્યપણે આ વાવાઝોડાં અરેબિયન સાગરમાં દક્ષિણપશ્ચિમ ચોમાસાની શરૂઆતમાં એટલે કે માર્ચ અને જૂનમાં તેમજ ચોમાસાના અંત બાદ એટલે કે ઑક્ટોબર-ડિસેમ્બરમાં સર્જાતાં હોય છે.
સાયન્ટિફિક રિપોર્ટ્સમાં છપાયેલા અભ્યાસના સહલેખક એસ. અભિલાષે કહ્યું હતું કે, “જો બધા કુદરતી સંજોગો તરફેણમાં હોય તો અરેબિયન સાગરની સપાટી વધુ ગરમ થવાને કારણે ઉત્તર હિંદ મહાસાગરમાં ઉષ્ણકટિબંધીય વાવાઝોડાંની તીવ્રતા અને સંખ્યામાં વધારો થઈ શકે.”
જ્યારે સમુદ્રનો એક ભાગ બીજા ભાગ કરતાં વધુ ગરમ થઈ જાય ત્યારે અલ નીનો જેવી પરિસ્થિતિ સર્જાય છે. આ પરિબળોને કારણે દરિયાની સપાટી વધુ ને વધુ ગરમ થાય છે.
અભિલાષના મતે માનવસર્જિત પરિસ્થિતિઓને કારણે સર્જાયેલી ક્લાઇમેટ ચેન્જની સ્થિતિને કારણે વાવાઝોડાંની સંખ્યા અને તેની તીવ્રતામાં વધારો નોંધાયો છે.
તેઓ કહે છે કે, “તાજેતરમાં અરબેયિન સાગરમાં ચોમાસા બાદ જોવા મળેલાં વાવાઝોડાંની ઍક્ટિવિટીનું કારણ મુખ્યત્વે માનવસર્જિત અસર છે ના કે કુદરતી પરિબળો.
ગુજરાત પર અસર

ઇમેજ સ્રોત, Getty Images
પશ્ચિમ અરબ સાગરમાં થતા ફેરફારોને કારણે ભારતના પશ્ચિમ કાંઠા પર સતત જોખમ તોળાઈ રહ્યું છે.
વાવાઝોડાની તીવ્રતામાં વધારો થતાં ભારે ઝડપથી ફૂંકાતો પવન અને ભારે વરસાદની સંભાવના વધી જાય છે.
આ પરિસ્થિતિઓને કારણે ભારતના પશ્ચિમ વિસ્તારના તિરુવનંતપુરમથી ગુજરાતના દરિયાકાંઠાના ભારે વસતીગીચતાવાળા પ્રદેશો પર વધુ જોખમ તોળાઈ રહ્યું છે.
અભિલાષે કહ્યું, “અરેબિયન સાગરમાં આવું આપણને ક્યારેય નથી જોવા મળ્યું. પરંતુ આપણે હજુ આ વલણો અંગે વધુ અભ્યાસ કરવાની જરૂર છે. આની પરંપરાગત રીતે દરિયાકાંઠે વસતા લોકો પર જરૂર અસર પડશે.”
દર વર્ષે લગભગ 15 કરોડ લોકોના જીવન પર ખતરો

ઇમેજ સ્રોત, Getty Images
ડાઉન ટુ અર્થની વેબસાઇટ અનુસાર સાંબેલાધાર વરસાદ, પૂર અને વિનાશકારી પવનને કારણે શક્તિશાળી ઉષ્ણકટિબંધીય વાવાઝોડાંને સમગ્ર વિશ્વમાં વિનાશકારી આપત્તિઓ પૈકી એક મનાય છે. આ વાવાઝોડાંને કારણે દર વર્ષે સરેરાશ 15 કરોડ લોકોનાં જીવન પર ખતરો તોળાય છે.
વિશ્વ મોસમ વિજ્ઞાન સંગઠન (ડબ્લ્યૂએમઓ) અનુસાર પાછલાં 50 વર્ષમાં આવેલી આપત્તિઓમાં 1,942 ઉષ્ણકટિબંધીય વાવાઝોડાં સાથે સંકળાયેલી હતી.
આ વાવાઝોડામાં અત્યાર સુધી 7,79,329 લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે 1.4 લાખ કરોડ ડૉલર કરતાં વધુનું આથિક નુકસાન કર્યું છે.
હાલમાં જ થયેલી એ શોધમાં ખબર પડી છે કે આગામી દાયકામાં જે પ્રકારે વસતિ અને વૈશ્વિક તાપમાનમાં વધારો થઈ રહ્યો છે, તેના કારણે પહેલાંની સરખામણીએ ઘણા વધુ લોકોને આવાં વાવાઝોડાંનો સામનો કરવો પડી શકે એવુંય બને.
રિપોર્ટમાં એ વાતનીય પુષ્ટિ કરાઈ છે કે આ વાવાઝોડાં વિશ્વની સૌથી મોંઘી પ્રાકૃતિક આપત્તિઓ પૈકી એક છે, જે જનજીવનની સાથોસાથ આર્થિક સ્વરૂપેય ભારે નુકસાન કરી રહ્યાં છે. ઉષ્ણકટિબંધીય વાવાઝોડાં અંગે જર્નલ નૅચરમાં છપાયેલા વધુ એક સંશોધન પ્રમાણે જો વર્ષ 2050 સુધી ઉત્સર્જન રોકવા માટે વિશેષ ધ્યાન ન અપાયું તો તાપમાનમાં થઈ રહેલો વધારો બે ડિગ્રી સેલ્સિયસની નજીક પહોંચી જશે. જેના કારણે આ વિનાશકારી વાવાઝોડાની સંભાવના 41 ટકા વધી જશે.
આમ, બદલાતી જતી પરિસ્તિઓને અનુકૂળ યોગ્ય સમાધાનો ન શોધવામાં આવ્યાં તો આગામી ટૂંકા ગાળામાં જ આ બધી સંભાવનાઓ હકીકતમાં પરિણમશે એવું કહેવામાં કોઈ અતિશયોક્તિ જણાતી નથી.














