હેડ ક્લાર્ક પરીક્ષા : પેપર લીક કેસના તાર સાબરકાંઠા સુધી પહોંચ્યા, કોણે ખરીદ્યું હતું નવ લાખમાં પેપર?

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્યમાં હેડ ક્લાર્કની ખાલી પડેલી 186 જગ્યાઓ માટેની પરીક્ષાનું પરીક્ષાનું પેપર લીક થયું હોવાનો દાવો કરાયો હતો અને ગુજરાત સરકારે તેની પુષ્ટિ કરી હતી.

આ પેપર લીક કેસના તાર સાણંદથી સાબરકાંઠા સુધી પહોંચ્યા હોવાનો ખુલાસો કરાયો છે.

પોલીસે આ મામલે જ્યાં પેપર છપાયું હતું એ પ્રિન્ટિંગ પ્રેસના સુપરવાઇઝરની ધરપકડ કરી છે.

ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.પી. ઝાલાએ બીબીસીના સહયોગી ભાર્ગવ પરીખ સાથેની વાતચીતમાં જણાવ્યું છે, "જયેશ પટેલ અને તેના ભત્રીજા દેવલ પટેલને અમદાવાદની એક સરકારી હૉસ્પિટલમાં મૅલ નર્સ તરીકે કામ કરતા દીપક પટેલ અને ખાનગી હૉસ્પિટલમાં નાઇટ મૅનેજર તરીકે કામ કરતાં મંગેશ શિરકેએ નવ લાખ રૂપિયામાં પેપર આપ્યું હતું."

"આ પેપર સાણંદમાં રહેતા અને ગૌણ સેવા પસંદગી મંડળે જે પ્રિન્ટિંગ પ્રેસમાં છાપવા માટે આપ્યું હતું એ પ્રિન્ટિંગ પ્રેસના સાણંદમાં રહેતા સુપરવાઇઝર કિશોર આચાર્ય પાસેથી ખરીદ્યું હતું. જયેશ પટેલ અને દેવલ પટલે આ પેપરને પ્રાંતિજના ઊંછ ગામે અને વિસનગરના બાસણા ગામે પહોંચાડ્યું હતું."

આ મામલે અત્યાર સુધી 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે મુખ્ય આરોપી જયેશ પટેલ ફરાર છે.

આ પહેલાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવીએ પેપર લીક થયા હોવાની વાત સ્વીકારતાં કહ્યું હતું કે પ્રથમ દિવસથી જ તપાસ ચાલુ કરવામાં આવી હતી.

હેડ ક્લાર્ક પરીક્ષા પેપર લીક (પ્રતીકાત્મક તસવીર)

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હર્ષ સિંઘવીએ કહ્યું કે આ મામલામાં છ લોકોની ધરપકડ કરાઈ છે અને બાકીના ચાર લોકોને રાઉન્ડઅપ કરાયા છે.

ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું, "પેપર લીકની તપાસ માટે સાબરકાંઠા તથા રાજ્ય સરકારના અધિકારીઓની 24 ટીમો બનાવાઈ છે. શંકાસ્પદ લોકો ભાગી ન છૂટે તે માટેની તૈયારીઓ કરાઈ રહી છે."

તેમણે જણાવ્યું કે, "રાજ્ય સરકારે પ્રાંતિજ પોલીસસ્ટેશનમાં 406, 409 અને 420 તથા 120ની કલમ હેઠળ કેસ દાખલ કર્યો છે. લીક થયેલું પેપર ક્યાં અને કોની પાસે પહોંચ્યું છે તેની પણ તપાસ ચાલુ છે."

હર્ષ સંઘવીએ કહ્યું કે, "આરોપીઓ પહેલાં સાબરકાંઠાના ફાર્મ હાઉસ પર ગયા હતા ત્યાર બાદ પેપર ફોડનારાઓ અન્ય આરોપીઓને હોટેલમાં જમવા લઈ ગયા હતા."

તેમણે એવું પણ જણાવ્યું કે પેપર લીક કેસમાં ગાંધીનગર પોલીસની મદદ લેવાઈ છે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

હર્ષ સંઘવીએ જણાવ્યું કે "ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્યમાં હેડ ક્લાર્કની ખાલી પડેલી 186 જગ્યાઓ ભરવા માટેની પરીક્ષામાં 88 હજાર ઉમેદવાર હતા."

આ જગ્યાઓ માટે રવિવારે 12 ડિસેમ્બરના રોજ રાજ્યમાં લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ખાલી પડેલી 186 જગ્યાઓ માટે રાજ્યભરમાંથી બે લાખથી વધુ લોકોએ ઉમેદવારી નોંધાવી હતી.

જોકે રવિવારે બપોરે 12 વાગ્યાથી યોજાયેલી આ પરીક્ષાનું પેપર શનિવારે રાતે જ લીક થઈ ગયું હોવાના આક્ષેપ ગુજરાત આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યા છે.

ગુજરાત સરકારના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે પેપર છપાયું હતું એ પ્રેસ કે સ્ટ્રૉન્ગ રૂમમાંથી લીક થયું તેની પણ તપાસ ચાલી રહી છે. ભૂતકાળના કેસોમાં ન કરાઈ હોય તેવી કાર્યવાહી આ પેપર લીક કેસમાં કરાયું હતું.

તેમણે દાવો કર્યો કે 306 ડિગ્રીએ તપાસ કરાઈ રહી છે ગૌણ સેવા પસંદગી મંડળના અધિકારીઓની ભૂમિકાને પણ તપાસમાં આવરી લેવામાં આવી છે.

line

'પોલીસે વચેટિયાઓને પકડ્યા, મુખ્ય આરોપીઓ બહાર'

સોશિયલ મીડિયામાં ફરતા થયેલા પ્રશ્નો

ઇમેજ સ્રોત, Yuvrajsinh Jadeja

ઇમેજ કૅપ્શન, સોશિયલ મીડિયામાં ફરતા થયેલા પ્રશ્નોના આધારે દાવો કરાઈ રહ્યો છે કે પરીક્ષાનું પેપર લીક થયું હતું.

આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ કહ્યું કે પ્રાંતિજમાં જે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે તેમાં જે કલમો દાખલ કરવામાં આવી એ હળવી કલમ છે. કૌંભાડ કરનારાઓ સામે કડક પગલાં લેવામાં આવે.

તેમણે વધુમાં કહ્યું કે પેપર હિંમતનગરથી લીક થયું હતું એવું પણ સામે આવ્યું છે તો ગૌણ સેવા પસંદગી મંડળ આ મામલામાં સીધા સંકડાયેલા છે તો તેમા અધ્યક્ષ આસિત વોરાને તપાસમાંથી દૂર કરવામાં આવે. ક્યાંક શંકા વોરા પર પણ છે તો તેમને તપાસથી અલગ કરવા જોઈએ. અને જો તેઓ આમાં સંડોવાયેલા હોય તો તેમની સામે પણ કાર્યવાહી કરવી જોઈએ.

યુવરાજસિંહે કહ્યું કે તેમની પાસે કેટલાક ગોપનીય પુરાવા છે જે અમે હર્ષ સંઘવીને આપવા માગીએ છીએ.

તેમણે અન્ય આરોપીઓની ધરપકડ કરવાની માગ પણ કરી.

યુવરાજસિંહે કહ્યું કે પોલીસ હજી વચેટિયાઓની ધરપકડ કરી છે અને મુખ્ય આરોપીઓ પોલીસની પકડથી બહાર છે. આ વચેટિયાઓ કમિશન લેતા હતા, યોગ્ય તપાસ કરવામાં આવશે તો મુખ્ય આરોપીઓ મળી આવશે.

આની પહેલાં યુવરાજસિંહ જાડેજાએ બીબીસી ગુજરાતીના બાદલ દરજી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ”શનિવારની રાત્રે હિંમતનગરના એક ફાર્મહાઉસમાં 16 ઉમેદવારોને આ પેપર મળ્યું હતું.”

“આ 16 વિદ્યાર્થીઓ પૈકી એક વિદ્યાર્થીના સંબંધીએ આવીને મને આ વાત કહી હતી અને તેના માટે તેમણે પૈસા ખર્ચ્યા હોવાનું પણ જણાવ્યું હતું.”

તેમણે એવું પણ કહ્યું છે કે, “બીજા દિવસે પરીક્ષા પૂરી થયા બાદ અમારી સંસ્થા સાથે જોડાયેલો એક યુવક મારી પાસે આવ્યો હતો અને એણે પણ કહ્યું હતું કે આ પેપર સવારે 10 વાગ્યે સોશિયલ મીડિયામાં ફરતું-ફરતું તેની પાસે આવ્યું હતું.”

line

અન્ય જિલ્લાઓમાં પણ પેપર લીક?

સોશિયલ મીડિયામાં ફરતા થયેલા પ્રશ્નો

ઇમેજ સ્રોત, Yuvrajsinh Jadeja

ઇમેજ કૅપ્શન, સોશિયલ મીડિયામાં ફરતા થયેલા પ્રશ્નો

જાડેજાનો દાવો છે કે “જ્યારબાદ ઊલટ તપાસ કરતા લીક થયેલું પેપર માત્ર હિંમતનગરમાં જ નહીં, પરંતુ સુરેન્દ્રનગર, વડોદરા, કચ્છ સુધી પહોંચી ગયું હતું.”

યુવરાજસિંહના જણાવ્યા પ્રમાણે, "લીક થયેલા પેપર માટે ઉમેદવારો પાસેથી 10થી 14 લાખ રૂપિયા જેટલી રકમ લેવામાં આવી છે અને આ જ પ્રકારે સબ-ઑડિટર અને નર્સની પરીક્ષામાં પણ આ જ રીતે પેપર લીક થયાં હતાં."

યુવરાજસિંહ જાડેજાનો દાવો છે કે તેમની પાસે પેપર લીક થયાના પુરાવા છે.

સાથે જ તેમનું કેહવું છે કે આ અંગે તેમણે ગૌણ સેવા પસંદગી સમિતિના સચિવને ટેલિફોનિક જાણ કરી છે.

જોકે તેમના દ્વારા અત્યાર સુધી આ અંગે પોલીસ કે પછી ગૌણ સેવા પસંદગી સમિતિને લેખિતમાં ફરિયાદ કે રજૂઆત કરવામાં આવી નથી.

યુવરાજસિંહ બાદમાં પત્રકારો સાથેની વાતચીતમાં ગૌણ સેવા પસંદગીમંડળના ચૅરમૅન અસિત વોરાને હઠાવવા અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને આ મામલે હસ્તક્ષેપ કરવા ભલામણ કરી હતી.

line

અધિકારીઓએ શું સ્પષ્ટતા કરી?

હર્ષ સંઘવી

ઇમેજ સ્રોત, facebook/Harsh Sanghavi

ઇમેજ કૅપ્શન, હર્ષ સંઘવીએ કહ્યું છે કે "આ મામલામાં છ લોકોની ધરપકડ કરાઈ છે અને બાકીના ચાર લોકોને રાઉન્ડઅપ કરાયા છે. "

આ આક્ષેપો બાદ ગુજરાત ગૌણ સેવા પસંદગીમંડળના ચૅરમૅન અસિત વોરાએ ગત બુધવારે પત્રકારપરિષદ યોજીને આ અંગે ખુલાસો કર્યો હતો.

તેમણે કહ્યું કે "પેપર લીક થવાની વાત જ્યારથી વહેતી થઈ છે, ત્યારથી આજ સુધી તેમની પાસે લેખિતમાં કોઈ ફરિયાદ આવી નથી."

"સોશિયલ મીડિયા પર વહેતા થયેલા ફોટો અને યુવરાજસિંહ દ્વારા રજૂ કરાયેલા પુરાવા પરીક્ષા બાદના હતા. જેથી તે યોગ્ય નથી."

જોકે પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી તપાસ અંગે પણ તેમણે વાત કરી હતી.

તેમણે કહ્યું કે, "સમાચારપત્રો અને ટીવી મીડિયામાં વહેતા થયેલા અહેવાલો બાદ સાબરકાંઠા પોલીસ દ્વારા તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને પોલીસે તેમની પાસેથી પરીક્ષાને લગતી તમામ માહિતી મેળવી હતી."

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો