'જો સંસદ કહેશે તો PoK પર કાર્યવાહી કરીશું.' - આર્મી ચીફ મુકુંદ નરવણે

જનરલ મનોજ મુકુંદ નરવણે

ઇમેજ સ્રોત, Getty Images

ભારતના નવા આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણે શનિવારે નવી દિલ્હી ખાતે પોતાની પ્રથમ પત્રકારપરિષદ સંબોધી હતી.

મીડિયા સાથે વાત કરતાં મુકુંદ નરવણેએ કહ્યું, "જો ભારતીય સંસદ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર ભારતમાં હોય એવું ઇચ્છતી હશે અને જો અમને આ અંગે કોઈ આદેશ મળશે, તો અમે યોગ્ય કાર્યવાહી જરૂર કરીશું."

ખરેખર તેમને પુછાયું હતું કે, ભારતના રાજકીય નેતૃત્વ દ્વારા વારંવાર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ને ભારતમાં સામેલ કરવા અંગે નિવેદનો આપતા રહે છે, આ અંગે આપ શું વિચારો છો.

પોતાના જવાબમાં નરવણેએ કહ્યું કે, "સંપૂર્ણ કાશ્મીર ભારતનો એક ભાગ છે, આ એક સંસદીય સંકલ્પ છે."

line

નરવણે બીજું શું શું બોલ્યા?

સેનાપ્રમુખની તસવીર

ઇમેજ સ્રોત, ANI

નવા આર્મી ચીફે કહ્યું કે, "ભારતીય સેના અગાઉની સરખાણીએ હાલ વધુ યોગ્યપણે તૈયાર છે, પરંતુ આપણે ભવિષ્ય માટેની તૈયારી કરવી પડશે. અમારી તાલીમમાં આ વાત પર જ ભાર મૂકવામાં આવશે."

નરવણેએ પ્રેસને કહ્યું કે, "ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફની નિમણૂક અને સૈન્ય બાબતોના વિભાગનું નિર્માણ એકીકરણની દિશામાં એક ખૂબ જ મોટું પગલું છે અને અમે અમારી તરફથી આ પગલું સફળ નીવડે એ માટેના તમામ પ્રયત્નો કરીશું."

પુંચ સૅક્ટરમાં પાકિસ્તાની સેનાના ગોળીબારમાં બે નાગરિકોનાં મોતના પ્રશ્ન પર સેનાપ્રમુખે કહ્યું, "અમે આ પ્રકારની બર્બર કાર્યવાહીનો આશરો નથી લેતા."

"અમે એક પ્રોફેશનલ સેનાની માફક વર્તીએ છીએ. અમે આવી પરિસ્થિતિનો સામનો યોગ્ય સૈન્ય કાર્યવાહી દ્વારા કરીશું."

કલમ 370 હઠાવી દેવાના પ્રશ્ન અંગે સેનાપ્રમુખે કહ્યું કે કાશ્મીરમાં પરિસ્થિતિ સારી છે.

પાકિસ્તાન અને ચીન સીમા પર સેનાને સંતુલિત કરવાની આવશ્યકતા અંગે વાત કરતાં સેનાપ્રમુખે કહ્યું કે, "સંતુલનની આવશ્યકતા તો છે, કારણ કે ઉત્તર અને પશ્ચિમ બંને સીમાઓ પર સમાન ધ્યાન આપવાની આવશ્યકતા છે."

તેમણે કહ્યું કે, "લાઇન ઑફ કંટ્રોલ અતિશય સક્રિય છે. દરરોજ ગુપ્ત ઍલર્ટ પ્રાપ્ત થઈ રહ્યા છે, આ તમામ ઍલર્ટની ગંભીરતાપૂર્વક નોંધ લેવામાં આવે છે."

"આ સતર્કતાના કારણે, અમે BAT નામથી ઓળખાતી આ ક્રિયાઓને અસફળ બનાવવામાં સફળ રહ્યા છીએ."

નરવણેએ કહ્યું કે પશ્ચિમી સીમા પર સેનાના એક યુનિટને છ અપાચે લડાકૂ હેલિકૉપ્ટર આપવામાં આવ્યાં છે.

આ પત્રકારપરિષદમાં નરવણે કહ્યુ કે સુરક્ષા અમારી પ્રાથમિકતા છે, સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ ન કરી શકાય.

line

કેટલા અનુભવી છે નરવણે?

જનરલ મનોજ મુકુંદ નરવણે

ઇમેજ સ્રોત, Getty Images

31 ડિસેમ્બરના રોજ પૂર્વ સેનાપ્રમુખ બિપિન રાવતનો કાર્યકાળ સમાપ્ત થયા બાદ જનરલ મનોજ મુકુંદ નરવણેએ પદભાર સંભાળ્યો હતો. આ પહેલાં તેઓ સેનાના ઉપપ્રમુખ હતા.

જનરલ નરવણેની નિમણૂક એવા સમયે થઈ છે, જ્યારે ભારત-પાકિસ્તાન વચ્ચે કાશ્મીર અને ઉગ્રવાદી પ્રવૃતિઓ જેવા મુદ્દે તણાવ વધી રહ્યો છે.

જનરલ નરવણે જૂન, 1980માં શીખ લાઇટ ઇન્ફેંટ્રી રેજિમૅન્ટમાં ભરતી થયા હતા.

તેમને કાશ્મીર અને ઉત્તર-પૂર્વ ભારતમાં ઉગ્રવાદ વિરોધી અબિયાનોનો સારો અનુભવ છે.

તેઓ જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રીય રાઇફલ્સની પ્રથમ બટાલિયનની કમાન સંભાળી ચૂક્યા છે. તેઓ એક મેજર જનરલ તરીકે અસમ રાઇફલ્સના ઇન્સ્પેક્ટર જનરલ પણ રહી ચૂક્યા છે.

હાલમાં પૂર્વી સીમા પર મોટા અભ્યાસ કરાવવા પાછળ નરવણેનું જ દિમાગ હતું.

મનોજ મુકુંદ નરવણેનાં પત્ની વીણા નરવણે શિક્ષિકા છે અને તેમની બે દીકરીઓ છે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો