ઈ. વી. રામાસ્વામી : જેમને દક્ષિણના સોક્રેટિસ ગણાવાય છે એ પેરિયાર કોણ હતા?

ઇમેજ સ્રોત, DHILEEPAN RAMAKRISHNAN
- લેેખક, એ. ડી. બાલાસુબ્રણિયન
- પદ, બીબીસી તમિળ સંવાદદાતા
એક તરફ વંચિતોના અધિકાર અને રેશનલ વિચારધારાની વાત કરનારા લોકો પેરિયારને સન્માનથી યાદ કરે છે તો બીજી તરફ અમુક લોકો પેરિયારને હિંદુવિરોધી ગણે છે અને તેમને ધિક્કારે પણ છે.
આઝાદી પહેલાં અને બાદમાં તામિલનાડુમાં પેરિયારનો ઊંડો પ્રભાવ રહ્યો અને આજે પણ રાજ્યના લોકો તેમનું બહુ સન્માન કરે છે.
પેરિયારના નામથી વિખ્યાત ઈ. વી. રામાસ્વામીનો તામિલનાડુની સામાજિક અને રાજકીય પૃષ્ઠભૂમિ પર એટલો ઊંડો પ્રભાવ છે કે સામ્યવાદીઓથી લઈને દલિત આંદોલકારીઓ, તામિલ રાષ્ટ્રવાદીઓથી તર્કવાદીઓ અને નારીવાદ તરફ ઝુકાવ ધરાવનારા સૌ તેમનું સન્માન કરે છે, તેમનાં ઉદાહરણ આપે છે અને તેમને માર્ગદર્શકના રૂપમાં જુએ છે.
જોકે, અનેકવિધ કારણો સાથે એમનો વિરોધ કરનારા લોકો પણ છે.
તર્કવાદી, નાસ્તિક અને વંચિતોના સમર્થક હોવાને કારણે તેમની સામાજિક અને રાજકીય જિંદગીએ ઘણા ઉતારચઢાવ જોયા છે.
1919માં તેઓએ પોતાની રાજકીય સફરની શરૂઆત કટ્ટર ગાંધીવાદી અને કૉંગ્રેસીના રૂપમાં કરી હતી. તેઓ ગાંધીના દારૂબંધી, ખાદી અને છૂતઅછૂતની નાબૂદી તરફ આકર્ષિત થયા હતા.
તેમણે તેમનાં પત્ની નાગમણિ અને બહેન બાલામ્બલને પણ રાજકારણમાં જોડવાની કોશિશ કરી. આ બંને મહિલાઓ તાડીની દુકાનોના વિરોધમાં સૌથી આગળ આવ્યાં.
તાડીવિરોધ આંદોલન સમયે તેમણે સ્વેચ્છાએ પોતાના નારિયેળના બાગ પણ નષ્ટ કરી દીધા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે સક્રિય રીતે અસહયોગ આંદોલનમાં ભાગ લીધો અને ધરપકડ વહોરી. તેઓ કૉંગ્રેસના મદ્રાસ પ્રેસિડેન્સી યુનિટના અધ્યક્ષ બન્યા.

વાયકોમ સત્યાગ્રહ

ઇમેજ સ્રોત, Getty Images
1924માં કેરળમાં ત્રાવણકોરના રાજાના મંદિર તરફ જનારા રસ્તે દલિતોના પ્રવેશના પર પ્રતિબંધનો વિરોધ થયો હતો.
વિરોધ કરનારા નેતાઓની રાજાના આદેશથી ધરપકડ કરાઈ અને આ લડાઈને આગળ વધારવા માટે કોઈ નેતૃત્વ નહોતું ત્યારે આંદોલનના નેતાઓએ આ લડતનું નેતૃત્વ કરવા માટે પેરિયારને આમંત્રિત કર્યા.
આ વિરોધપ્રદર્શનનું નેતૃત્વ કરવા માટે પેરિયારે મદ્રાસ રાજ્ય કૉંગ્રેસના અધ્યક્ષરપદેથી રાજીનામું આપી દીધું. તેઓ ગાંધીના આદર્શોનું ઉલ્લંઘન કરીને કેરળ ચાલ્યા ગયા.
ત્રાવણકોર પહોંચતાં તેમનું રાજકીય સ્વાગત થયું, કેમ કે તેઓ રાજાના મિત્ર હતા. પરંતુ તેમણે સ્વાગતનો ઇન્કાર કરી દીધો, કેમ કે તેઓ ત્યાં રાજાનો વિરોધ કરવા માટે પહોંચ્યા હતા.
તેઓએ રાજાની અનિચ્છાએ વિરોધપ્રદર્શનમાં ભાગ લીધો. તેમની ધરપકડ થઈ અને મહિનાઓ સુધી જેલમાં રહ્યા.
એ વખતે તેમનાં પત્ની નાગમણિએ મહિલાઓ સાથે રાખીને વિરોધપ્રદર્શનનું આયોજન કર્યું.
કૉંગ્રેસ સંમેલનમાં જાતિગત અનામતના પ્રસ્તાવને પાસ કરાવાના પ્રયાસોમાં નિષ્ફળ રહ્યા. એવામાં સમાચાર આવ્યા કે ચેરનમહાદેવી શહેરમાં કૉંગ્રેસ પાર્ટીના અનુદાનથી ચાલતી સુબ્રમણ્યમ અય્યરની શાળામાં બ્રાહ્મણો અને બિનબ્રાહ્મણો વિદ્યાર્થીઓને ભોજન પીરસતી વખતે અલગ વ્યવહાર કરવામાં આવે છે.
પેરિયારે બ્રાહ્મણ અય્યરને બધા વિદ્યાર્થીઓ સાથે સમાન વ્યવહાર કરવાનો આગ્રહ કર્યો.
પરંતુ ન તો તેઓ અય્યરને રાજી કરી શક્યા કે ન કૉંગ્રેસના અનુદાનને રોકી શક્યા. આથી તેઓએ કૉંગ્રેસ છોડવાનો નિર્ણય લીધો.
કૉંગ્રેસ છોડતાં તેઓએ આત્મ-સન્માન આંદોલન શરૂ કર્યું, જેનું લક્ષ્ય બિનબ્રાહ્મણો (જેને તેઓ દ્રવિડ કહેતા હતા)માં આત્મ-સન્માન પેદા કરવું હતું.
બાદમાં તેઓ 1916માં શરૂ થયેલા એક બિનબ્રાહ્મણ સંગઠન દક્ષિણ ભારતીય લિબરલ ફેડરેશન (જસ્ટિસ પાર્ટીના રૂમમાં વિખ્યાત)ના અધ્યક્ષ બન્યા.

દ્રવિડ કઝગમ

1944માં તેઓએ આત્મ-સન્માન આંદોલન અને જસ્ટિસ પાર્ટીને મેળવીને દ્રવિડ કઝગમની રચના કરી.
તેઓએ રશિયાની મુલાકાત લીધી જ્યાં તેઓ કૉમ્યુનિસ્ટ આદર્શોથી પ્રભાવિત થયા અને કૉમ્યુનિસ્ટ પાર્ટીના ઘોષણાપત્રનો પહેલો તમિળ અનુવાદ પ્રકાશિત કર્યો.
મહિલાઓની સ્વતંત્રતાને લઈને તેમના વિચારો એટલા પ્રખર હતા કે આજે પણ તે માનદંડોમાં પણ કટ્ટરપંથી ગણાશે.
તેમણે બાળવિવાહ ઉન્મૂલન, વિધવાઓને ફરીથી લગ્નનો અધિકાર, પાર્ટનર પસંદ કરવા કે છોડવાનો અધિકાર, લગ્નને પવિત્રતાની જગ્યાએ પાર્ટનરશિપનું રૂપ આપવું, વગેરે અભિયાન ચલાવ્યાં હતાં.
તેઓએ મહિલાઓને માત્ર બાળકો પેદા કરવા માટે લગ્નની જગ્યાએ શિક્ષણ મેળવવા કહ્યું.

કટ્ટર નાસ્તિક હતા પેરિયાર

ઇમેજ સ્રોત, Getty Images
તેમના અનુયાયીઓએ વૈવાહિક અનુષ્ઠાનોને પડકાર ફેંક્યો, લગ્નના પ્રતીક તરીકે મંગળસૂત્ર પહેરવાનો વિરોધ કર્યો. તેમને એક મહિલાસંમેલનમાં જ પેરિયારની ઉપાધિ અપાઈ.
પેરિયારનું માનવું હતું કે સમાજમાં વ્યાપ્ત અંધવિશ્વાસ અને ભેદભાવ વૈદિક હિંદુ ધર્મનાં મૂળિયાં છે, જે સમાજને જાતિને આધારે વિભિન્ન વર્ગોમાં વિભાજિત કરે છે, જેમાં બ્રાહ્મણોનું સ્થાન સૌથી ઉપર છે.
આથી તેઓ વૈદિક ધર્મના આદેશ અને બ્રાહ્મણ વર્ચસ્વને તોડવા માગતા હતા. એક કટ્ટર નાસ્તિકના રૂપમાં તેઓએ ભગવાનના અસ્તિત્વની ધારણાના વિરોધમાં પ્રચાર કર્યો.

દક્ષિણપંથી કટ્ટરવિરોધી કેમ?

ઇમેજ સ્રોત, PATTERN FACEBOOK/DRAVIDARKAZHAGAM
તેઓ દક્ષિણ ભારતીય રાજ્યોના સ્વતંત્રતા આંદોલનમાં ભાગ લેવાના વિરોધી હતી. તેઓએ દક્ષિણ ભારતીય રાજ્યો માટે એક અલગ દ્રવિડનાડુ (દ્રવિડ દેશ)ની માગ કરી હતી.
પણ દક્ષિણનાં અન્ય રાજ્યો તેમના વિચારોથી સહમત ન થયાં. તેઓ વંચિત વર્ગ માટે અનામતના હિમાયતી આગેવાન હતા અને 1937માં તેઓએ તામિલભાષી લોકો પર હિંદી થોપવાનો વિરોધ કર્યો હતો.
પેરિયારે આખા તામિલનાડુનું ભ્રમણ કર્યું અને ઘણી સભાઓને સંબોધિત કરી.
તેમનાં મોટાં ભાગનાં ભાષણોમાં તેઓ કહેતા, "માત્ર મેં કહ્યું છે એટલા માટે કંઈ પણ ન કરો. તેના પર વિચારો. જો તમને લાગતું હોય તો તમે સ્વીકારી શકો છો તો જ સ્વીકારો, નહીં તો તેને છોડી દો."
નાસ્તિક અને બ્રાહ્મણવિરોધી રાજનીતિ હોવા છતાં સ્વતંત્ર ભારતના પ્રથમ ગર્વનર જનરલ રાજગોપાલાચારી સાથે તેમના વ્યક્તિગત સંબંધો સારા હતા.
તેમની ઓળખ તર્કવાદ, સમતાવાદ, આત્મ-સન્માન અને અનુષ્ઠાનોના વિરોધી, ધર્મ અને ભગવાનની ઉપેક્ષા કરનાર, જાતિ અને પિતૃસત્તાના વિધ્વંસકના રૂપમાં છે.
દક્ષિણપંથીઓ તેમની ટીકા એ વ્યક્તિના રૂપમાં કરે છે, જેમણે તેમની ધાર્મિક ભાવનાઓ અને પરંપરાઓને અપમાનિત કરી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












