બનાસકાંઠાના મુખ્ય પડકારો અને કારણો

ઇમેજ સ્રોત, Getty Images
બનાસકાંઠા જિલ્લામાં ચૂંટણીમાં મુખ્યત્વે આ મુદ્દા ચર્ચામાં રહે તેવી સંભાવના છે.
બનાસકાંઠા: મુદ્દા અને કારણો

મુદ્દા
- બનાસકાંઠામાં સાક્ષરતાનું પ્રમાણ અન્ય જિલ્લાંની સરખામણીએ ખૂબ જ ઓછું છે. ખાસ કરીને મહિલાઓનો સાક્ષરતા દર માત્ર 51.75 ટકા જેટલો જ છે.
- આ જિલ્લામાં આરોગ્ય સેવાઓમાં પાલનપુર ખાતે આવેલી સિવિલ હોસ્પિટલ સિવાય અન્ય કોઈ મોટી સરકારી હોસ્પિટલ્સ નથી. ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો બની રહ્યા છે, પરંતુ ત્યાં સારવાર કરવા ડૉક્ટર્સ ઉપલબ્ધ નથી.
- આ જિલ્લાની લગભગ 86 ટકા જેટલી વસતી ગ્રામ્ય વિસ્તારોમાં વસે છે. ગત ચોમાસામાં બનાસકાંઠા જિલ્લામાં પૂર આવ્યું હતું જેને કારણે કરોડો રૂપિયાનું જાન-માલનું નુકસાન થયું છે.
- જિલ્લાની આર્થિક પ્રવૃત્તિ મોટેભાગે ખેતી અને પશુપાલન પર નિર્ભર છે. અહીં પૂરના કારણે થયેલી ખેતીને ખૂબ જ ગંભીર અસર થઈ છે.
- જિલ્લાનું રાજકારણ મોટેભાગે જ્ઞાતિ આધારિત હોવાને કારણે જે-તે જ્ઞાતિના રાજકીય અગ્રણીઓ પોતાની જ્ઞાતિ કરતાં અન્ય જ્ઞાતિઓને ખાસ મહત્ત્વ નથી આપતાં.

કારણો
- આ જિલ્લામાંથી કોંગ્રેસ તથા ભાજપમાંથી રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ અને મંત્રીઓ થયા હોવા છતાં શિક્ષણનું પ્રમાણ વધે તે બાબતે બન્ને પક્ષના નેતાઓ તરફથી એકસરખું દુર્લક્ષ સેવવામાં આવ્યું છે.
- આરોગ્ય સેવાઓ માટે હજી પણ સમગ્ર જિલ્લામાં ખાનગી હોસ્પિટલ્સ પર વધુ આધાર રાખવો પડે છે. વળી આ જિલ્લાની એકમાત્ર સિવિલ હોસ્પિટલનું સંચાલન પણ ખાનગી સંસ્થાને સોંપવાનું આયોજન થઈ રહ્યું છે.
- ગત ચોમાસામાં આવેલા પૂરમાં સરકારી રાહતકાર્ય પૂર્ણ થયું હોવા છતાં, હજી પણ સંખ્યાબંધ લોકોને મૃત પશુ સહાય, જમીન ધોવાણ સહાય અને ખેતીના સાધનો માટેની સહાય હજી સુધી મળી શકી નથી.
- સરકારી રાહતો હાલ ચૂંટણીની આચાર સંહિતાને કારણે મળી શકે તેમ નથી તેને કારણે પણ લોકોમાં અસંતોષ છે.
- શિક્ષણનું પ્રમાણ ઓછું હોવાથી આ જિલ્લાનાં મતદારો પણ મોટેભાગે રાજકીય સમજણને બદલે જ્ઞાતિના આધારે મત આપવાનું વલણ ધરાવે છે, આથી સર્વાંગી સામાજિક વિકાસ ધીમો રહે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો








