જાણીતા ઉદ્યોગપતિ રતન તાતાનું નિધન, 86 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા

રતન તાતા

ઇમેજ સ્રોત, Getty Images

ભારતના વિખ્યાત ઉદ્યોગપતિ રતન તાતાનું બુધવારે મુંબઈની એક હૉસ્પિટલમાં અવસાન થયું છે.

તાતા સન્સના ચૅરમૅન એન. ચંદ્રશેખરને તાતા જૂથ તરફથી નિવેદન બહાર પાડીને રતન તાતાના નિધનની પુષ્ટિ કરી હતી.

સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર 7મી ઑક્ટોબરે વહેલી સવારે 86 વર્ષના રતન તાતાનું બ્લડપ્રેશર ઘટી જતાં તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

રતન તાતાના નિધન વિશે રાષ્ટ્રપતિ અને વડા પ્રધાન સહિત દેશના અનેક દિગ્ગજોએ શોક વ્યક્ત કર્યો છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ ઍક્સ પર લખ્યું કે રતન તાતાના નિધનથી ભારતે એવા આઇકન ગુમાવી દીધા, જેમણે કૉર્પોરેટ વિકાસને દેશના નિર્માણ સાથે અને ઉત્કૃષ્ટતાને નૈતિકતા સાથે જોડ્યાં.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઍક્સ પર લખ્યું, "રતન તાતા વિઝનરી બિઝનેસ લિડર તથા અસામાન્ય વ્યક્તિ હતા. તેમણે દેશના પ્રતિષ્ઠિત ઉદ્યોગગૃહને સ્થિર નેતૃત્વ પૂરું પાડ્યું."

કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ રતન તાતાને શ્રદ્ધાંજલિ આપતા ઍક્સ પર લખ્યું કે રતન તાતા દૂરદૃષ્ટા હતા. તેમણે વેપાર અને સખાવતી પ્રવૃત્તિ ક્ષેત્રે પોતાની છાપ છોડી છે.

દેશના ગૃહમંત્રી રાજનાથસિંહે રતન તાતાને શ્રદ્ધાંજલિ આપતા ઍક્સ પર લખ્યું, "શ્રી રતન તાતાના નિધનથી દુખી થયો છું. તેઓ ભારતીય ઉદ્યોગજગતનું અસામાન્ય વ્યક્તિત્વ હતા. તેમણે દેશની અર્થવ્યવસ્થા, ઉદ્યોગ અને વેપારક્ષેત્રે સ્મરણયોગ્ય ફાળો આપ્યો છે. એમના પરિવાર, મિત્રો તથા પ્રશસંકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. ઇશ્વર એમના આત્માને શાંતિ આપે."

રતન તાતાનો જન્મ તા. 28 ડિસેમ્બર 1937ના થયો હતો અને તા. નવમી ઑક્ટોબર 2024ના રોજ તેમણે છેલ્લા શ્વાસ લીધા.

રતન તાતાની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

અત્રે નોંધનીય છે કે રતન તાતા માર્ચ 1990માં તાતા સન્સના ચૅરમૅન બન્યા હતા.

28 ડિસેમ્બર 2012ના રોજ તેઓ ચૅરમૅનપદથી નિવૃત્ત થયા હતા. તેમની આગેવાની હેઠળ તાતા સન્સના બિઝનેસમાં એનક ગણો વધારો થયો હતો.

1991માં તાતા સન્સનું વાર્ષિક ટર્નઓવર 10 હજાર કરોડ રૂપિયા હતું જે 2011-12માં 100 બિલિયન ડૉલરને પણ પાર કરી ગયું હતું.

આ સમયગાળા દરમિયાન તાતા સન્સે કેટલીક ઐતિહાસિક સફળતા પણ હાંસલ કરી હતી. 2000ની સાલમાં તાતા જૂથે બ્રિટિશ ચા નિર્માતા કંપની ટેટલીને અધિગ્રહિત કરી હતી.

 ઑક્ટોબર 2016થી ફેબ્રુઆરી 2017 સુધી તેઓ તાતા સન્સના ઇન્ટરીમ ચૅરમેન તરીકે પણ કામ કર્યું હતું

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

2004માં તાતાએ દક્ષિણ કોરિયાની સંકટગ્રસ્ત ટ્રકનિર્માતા કંપની અધિગ્રહિત કરી.

2007માં તાતાએ બ્રિટિશ-ડચ સ્ટીલનિર્માતા કોરસને 13 અબજ ડૉલરમાં ખરીદી હતી. આ કંપની અનેક યુરોપિયન વાહનનિર્માતા કંપનીને સ્ટીલ વેચતી. જેમાંથી જેગુઆર અને લૅન્ડરોવર મુખ્ય હતી, જેની માલિકી ફૉર્ડની હતી.

2008માં અમેરિકા પર સૌથી મોટું આર્થિક સંકટ ઘેરાવા લાગ્યું હતું. લોકોની મોંઘી ગાડીઓ ખરીદવાની ક્ષમતા ઘટી રહી હતી. ફૉર્ડે અબજો ડૉલરના ખર્ચે બંને કંપનીનું અધિગ્રહણ કર્યું હતું અને તેણે પોતાના અમેરિકા ખાતેના એકમો પર ધ્યાન આપવાનું હતું. આથી, તેણે યુકેની બંને બ્રાન્ડ 'જેગુઆર' અને 'લૅન્ડરોવર'ને (જેએલઆર) વેચવા કાઢી.

તાતાને માત્ર લૅન્ડરોવર બ્રાન્ડમાં રસ હતો, પરંતુ બંને બ્રાન્ડની ઉત્પાદનપ્રક્રિયા એટલી હદે એકબીજા સાથે ઓતપ્રોત હતી કે બેઉની ખરીદી એકસાથે જ કરવી પડે. બંને કંપની ખરીદવા માટે તાતાએ 2 અબજ 30 કરોડ ડૉલર ખર્ચ કર્યો હતો.

પોતાની ઉદ્યોગસાહસિકતા સિવાય દાનવૃત્તિને કારણે પણ રતન તાતાએ પોતાની એક અલગ ઓળખ બનાવી હતી. સાલ 2000માં રતન તાતાને પદ્મભૂષણ અને 2008માં પદ્મવિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.

જ્યારે રતન તાતાની પ્રેમકહાણી ભારત-ચીન યુદ્ધના લીધે અધૂરી રહી ગઈ

રતન તાતા

ઇમેજ સ્રોત, HOB/FB

ભારતના સૌથી સફળ ઉદ્યોગપતિઓમાં સામેલ રતન તાતાએ જીવનમાં ક્યારેય લગ્ન ન કર્યાં.

સોશિયલ મીડિયા પોસ્ટ માટે જાણીતી વેબસાઇટ-બ્લૉગ 'હ્યુમન્સ ઑફ બૉમ્બે' સાથેની વાતચીતમાં રતન તાતાએ તેમની જિંદગીની અનેક અંતરંગ વાતો કરી હતી.

તેમણે લખ્યું, "મારું બાળપણ બહુ સારું હતું. જ્યારે હું અને મારા ભાઈ મોટા થયા ત્યારે માતાપિતાના છૂટાછેડાના કારણે અમારે ઘણી મુશ્કેલીઓ વેઠવી પડી, કારણ કે એ વખતમાં છૂટાછેડા આજની જેમ સામાન્ય બાબત નહોતી."

તેમણે કહ્યું, "અમારાં દાદીએ દરેક રીતે અમારું ધ્યાન રાખ્યું. મારાં માતાએ ફરી લગ્ન કર્યાં એ પછી સ્કૂલમાં છોકરાઓ અમારી વિશે જાતભાતની વાતો કરતા હતા, અમને પરેશાન કરતા હતા."

"જોકે અમારાં દાદી અમને સમજાવતાં હતાં કે આવું ન કહેશો, શાંત કેવી રીતે રહેવું અને કોઈ પણ કિંમતે પ્રતિષ્ઠા જાળવી રાખવી."

રતન તાતાએ કહ્યું, "હવે કહેવું સરળ છે કે કોણ ખોટું હતું અને કોણ સાચું. હું વાયોલિન શીખવા માગતો હતો, પણ મારા પિતા ઇચ્છતા હતા કે હું પિયાનો શીખું."

"હું ભણવા માટે અમેરિકા જવા માગતો હતો, તેઓ ઇચ્છતા હતા કે હું બ્રિટનમાં રહું. હું આર્કિટેક્ટ બનવા માગતો હતો, પણ એમની જીદ હતી કે હું એન્જિનિયર કેમ ન બનું."

રતન તાતા

ઇમેજ સ્રોત, HOB/FB

એ પછી રતન તાતા ભણવા માટે અમેરિકાની કૉર્નેલ યુનિવર્સિટી ગયા અને આનું પૂરું શ્રેય તેમણે તેમનાં દાદીને આપ્યું.

તેમણે કહ્યું, "મેં મિકેનિકલ એન્જિનિયરિંગમાં ઍડમિશન લીધું હતું, જોકે પછી મેં આર્કિટેક્ચરમાં ડિગ્રી લીધી."

એ પછી રતન તાતા લૉસ એન્જલસમાં નોકરી કરવા લાગ્યા જ્યાં તેમણે બે વર્ષ સુધી કામ કર્યું.

એ દિવસોને યાદ કરતાં રતન તાતા કહે છે, "એ ઘણો સારો સમય હતો - મોસમ પણ ખુશનુમા હતી, મારી પાસે પોતાની ગાડી હતી અને મને મારી નોકરી પ્રત્યે પ્રેમ હતો."

આ શહેરમાં રતન તાતાને મનપસંદ છોકરી મળી અને તેમને પ્રેમ થઈ ગયો.

રતન તાતા કહે છે, "એ લૉસ એન્જલસ હતું, જ્યાં મને પ્રેમ થયો અને હું એ છોકરી સાથે લગ્ન કરવાનો હતો."

"એ જ વખતે મેં ભારત આવવાનો નિર્ણય લીધો, કેમ કે મારાં દાદીની તબિયત સારી નહોતી રહેતી."

તેઓ કહે છે, "હું એવું વિચારીને ઘરે આવી ગયો કે જેની સાથે હું લગ્ન કરવા માગું છું તે પણ મારી સાથે ભારત આવશે, પણ 1962ના ભારત-ચીનના યુદ્ધને લીધે તેનાં માતાપિતા તેને ભારત મોકલવાના પક્ષમાં નહોતા અને આ રીતે આ સંબંધ તૂટી ગયો."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.