ભારતના 'મોસ્ટ વૉન્ટેડ' મસૂદ અઝહરની કહાણી જેનાં 10 સગાંસંબંધી ભારતીય હવાઈ હુમલામાં માર્યાં ગયાં

બીબીસી ગુજરાતી ભારત પાકિસ્તાન કાશ્મીર જૈસ-એ-મોહમ્મદ મૌલાના મસૂદ અઝહર હાફીઝ સૈયદ શ્રીનગર હવાઈ હુમલા

ઇમેજ સ્રોત, Getty Images

પાકિસ્તાન પર ભારતના હવાઈ હુમલા પછી કટ્ટરવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે કહ્યું છે કે સંગઠનના વડા મસૂદ અઝહરના પરિવારના 10 સભ્યો અને ચાર નિકટના લોકો આ સ્ટ્રાઇકમાં માર્યા ગયા છે.

આ નિવેદન મુજબ પાકિસ્તાનના બહાવલપુરમાં સુભાન અલ્લાહ મસ્જિદ પર થયેલા હુમલામાં અઝહરના સંબંધીઓનાં મોત થયાં છે.

બહાવલપુરમાં જ 10 જુલાઈ, 1968ના રોજ અલ્લાહબક્ષ સબીરના પરિવારમાં મસૂદ અઝહરનો જન્મ થયો હતો. અઝહરના પિતા બહાવલપુરની એક સરકારી શાળામાં પ્રિન્સિપાલ હતા.

ભારતના ગૃહ મંત્રાલયે 7 માર્ચ 2024ના રોજ મોસ્ટ વૉન્ટેડ લોકોની યાદી જારી કરી હતી જેમાં 57 વર્ષના મસૂદ અઝહરનું નામ ટોચ પર હતું.

ભારત વિરુદ્ધ મસૂદના ગુનાની યાદી લાંબી છે. કેટલાય કેસમાં તેમનું નામ આરોપી તરીકે છે.

તેમાં પહેલી ઑક્ટોબર, 2001ના દિવસે શ્રીનગરના તત્કાલીન જમ્મુ-કાશ્મીરની વિધાનસભા કૉમ્પ્લેક્સ પર થયેલો હુમલો પણ સામેલ છે. આ ઘટનામાં 38 લોકોનાં મોત થયાં હતાં.

ત્યાર પછી 12 ડિસેમ્બર 2001ના રોજ ભારતીય સંસદ પર થયેલા આતંકવાદી હુમલામાં પણ અઝહરનું નામ છે. આ હુમલામાં સુરક્ષાદળોના છ જવાનો અને બીજા ત્રણ લોકોનાં મોત થયાં હતાં.

પુલવામા હુમલામાં ષડયંત્રનો આરોપ

બીબીસી ગુજરાતી ભારત પાકિસ્તાન કાશ્મીર જૈસ-એ-મોહમ્મદ મૌલાના મસૂદ અઝહર હાફીઝ સૈયદ શ્રીનગર હવાઈ હુમલા

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, 2019માં પુલવામામાં સીઆરપીએફના કાફલા પર હુમલો થયો હતો જેમાં 40થી વધુ જવાન માર્યા ગયા હતા

મસૂદ અઝહર પર જ પુલવામા હુમલામાં સામેલ હોવાનો પણ આરોપ છે, જેમાં 40 જવાનોનાં મોત થયાં હતાં.

પરંતુ મૌલાના મસૂદ અઝહરની સૌથી વધુ ચર્ચા કંદહાર વિમાન અપહરણ દરમિયાન થઈ હતી. 1999માં કંદહારમાં હાઈજેક દરમિયાન જે ત્રણ કટ્ટરવાદીઓને છોડવાની માંગણી કરવામાં આવી હતી, તેમાં મસૂદ અઝહરનું નામ સામેલ હતું.

ભારત સરકારના તત્કાલીન વિદેશમંત્રી જસવંતસિંહ મસૂદ અઝહરને ખાસ વિમાનમાં કંદહાર લઈ ગયા હતા. ત્યારથી ભારતીય સુરક્ષા એજન્સીઓ મસૂદ અઝહરને શોધી રહી છે.

ભારતમાં મસૂદ અઝહરની ઓળખ પ્રતિબંધિત સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા તરીકેની છે. ભારત સરકારનો દાવો છે કે આ સંગઠનનું વડુંમથક પાકિસ્તાનના પંજાબના બહાવલપુરમાં છે.

આ પણ એક કારણ માનવામાં આવે છે જેના લીધે ભારતે પહેલી વખત પાકિસ્તાનની સીમામાં 100 કિલોમીટર અંદર સુધી જઈને હુમલો કર્યો છે.

ભારતે ઘણી વખત પાકિસ્તાન પાસે મસૂદ અઝહરની સોંપણી માટે માંગણી કરી છે, પરંતુ પાકિસ્તાને હંમેશાં દાવો કર્યો છે કે અઝહર પાકિસ્તાનમાં નથી.

જેહાદી પ્રવૃત્તિઓની શરૂઆત

બીબીસી ગુજરાતી ભારત પાકિસ્તાન કાશ્મીર જૈસ-એ-મોહમ્મદ મૌલાના મસૂદ અઝહર હાફીઝ સૈયદ શ્રીનગર હવાઈ હુમલા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પહેલી મે, 2019ના રોજ સંયુક્ત રાષ્ટ્રે મૌલાના મસૂદ અઝહરના સંગઠનને 'આતંકી સંગઠન' જાહેર કર્યું

ભારત 2009થી મૌલાના મસૂદ અઝહરના સંગઠન જૈશ-એ-મોહમ્મદને સંયુક્ત રાષ્ટ્રની આતંકવાદી સંગઠનોની યાદીમાં સામેલ કરવાની માંગણી કરતું આવ્યું છે, પરંતુ ચીને હંમેશાં તેની સામે વીટોનો ઉપયોગ કર્યો છે.

લભગગ 10 વર્ષના પ્રયાસો અને પુલવામા હુમલા પછી પહેલી મે, 2019ના રોજ સંયુક્ત રાષ્ટ્રે મૌલાના મસૂદ અઝહરના સંગઠનને 'આતંકી સંગઠન' જાહેર કર્યું. ત્યાર બાદ પાકિસ્તાને યુએનની સુરક્ષા પરિષદની મૅનેજમેન્ટ સમિતિ સામે સવાલ ઉઠાવ્યા હતા.

મસૂદ અઝહરના કેટલાક કારનામા વિશે ભારતીય ગૃહમંત્રાલયે મોસ્ટ વૉન્ટેડની યાદીમાં માહિતી આપી છે. તેના મુજબ અઝહરના નેતૃત્વમાં જૈસ-એ-મોહમ્મદ આતંકવાદી પ્રવૃત્તિ માટે વ્યાપક ભરતી અભિયાન ચલાવે છે અને યુવાનોને ભારત વિરુદ્ધ કાર્યવાહી કરવા ઉશ્કેરે છે.

જાન્યુઆરી, 2002માં ઇન્ડિયન ઍક્સપ્રેસ અખબારે મૌલાના મસૂદ અઝહર વિશે એક વિસ્તૃત લેખ છાપ્યો છે. તે મુજબ મસૂદ અઝહર કરાચીમાં અભ્યાસ દરમિયાન જ જેહાદી પ્રવૃત્તિ સાથે જોડાયા હતા.

ભારતમાં મસૂદની ધરપકડ ક્યારે થઈ?

બીબીસી ગુજરાતી ભારત પાકિસ્તાન કાશ્મીર જૈસ-એ-મોહમ્મદ મૌલાના મસૂદ અઝહર હાફીઝ સૈયદ શ્રીનગર હવાઈ હુમલા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 1999માં મસૂદનો છુટકારો થયો ત્યાં સુધી તેને જમ્મુની કોટ ભલવાલ જેલમાં રખાયો હતો
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અખબારી અહેવાલ પ્રમાણે મસૂદ અઝહર ભારત-પાક સરહદેથી નહીં, પરંતુ જાન્યુઆરી 1994માં ઢાકાથી દિલ્હી વિમાનમાર્ગે ભારતમાં પ્રવેશ્યો હતો.

કેટલાક દિવસો સુધી તે દિલ્હીની જાણીતી હોટેલોમાં રોકાયો. ત્યાર પછી દેવબંદ અને અંતે કાશ્મીર પહોંચ્યો. ત્યાં 10 ફેબ્રુઆરી, 1994ના રોજ ભારતીય સુરક્ષાદળોએ મસૂદની ધરપકડ કરી હતી.

મસૂદની ધરપકડ પછી 10 મહિનાની અંદર કટ્ટકવાદીઓએ દિલ્હીમાં કેટલાક વિદેશીઓના અપહરણ કર્યા અને તેમને છોડવાના બદલામાં મસૂદ અઝહરની મુક્તિની માંગણી કરી હતી.

પરંતુ તેઓ નિષ્ફળ ગયા. ઉત્તર પ્રદેશ અને દિલ્હી પોલીસે સહારનપુરમાંથી બંધકોને છોડાવી લીધા હતા.

એક વર્ષ પછી હરકત-ઉલ-અન્સારે ફરી કેટલાક વિદેશીઓનું અપહરણ કરીને મસૂદને છોડાવવા પ્રયાસ કર્યો, પરંતુ તે પણ નિષ્ફળ નીવડ્યો.

ત્યાર પછી 1999માં મસૂદનો છુટકારો થયો ત્યાં સુધી તેને જમ્મુની કોટ ભલવાલ જેલમાં રખાયો હતો. તે વખતે કાશ્મીરમાંથી પકડાયેલા કાશ્મીરીઓ, અફઘાનો અને પાકિસ્તાની કટ્ટરવાદીઓનું આખું જૂથ ત્યાં જેલમાં હતું.

તેમાં કટ્ટરવાદી સંગઠન હરકત-ઉલ-મુજાહિદ્દીનના શ્રીનગરમાં કમાન્ડર કહેવાતા સૈફુલ્લાહ ખાન અને તેમના બે સગા કટ્ટરવાદી ભાઈઓ પણ સામેલ હતા.

કટ્ટરવાદીઓ પર કેટલો પ્રભાવ

બીબીસી ગુજરાતી ભારત પાકિસ્તાન કાશ્મીર જૈસ-એ-મોહમ્મદ મૌલાના મસૂદ અઝહર હાફીઝ સૈયદ શ્રીનગર હવાઈ હુમલા

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, મૌલાના અઝહરના ભાષણોથી તમામ કટ્ટરવાદીઓ પર જબ્બરજસ્ત અસર પડતી હતી.

શ્રીનગરમાં બીબીસીના સંવાદદાતા રહેલા ઝુબેર અહમદ સાથે વાતચીતમાં સૈફુલ્લાહે દાવો કર્યો હતો કે મસૂદ અઝહરે જેલવાસ દરમિયાન કેટલીક વાતો જણાવી હતી.

તેમણે કહ્યું હતું, "મૌલાનાનું એક જ કામ હતું, ભાષણ આપવાનું. તેમણે બંદૂક નહોતી ઉઠાવી, કોઈની હત્યા નહોતી કરી. તેઓ જેહાદની વિચારધારા પર ભાષણ આપતા હતા."

સૈફુલ્લાહના કહેવા પ્રમાણે મૌલાના અઝહરના ભાષણોથી ત્યાં હાજર તમામ કટ્ટરવાદીઓ પર જબ્બરજસ્ત અસર પડતી હતી. જોકે, ઝુબૈર અહમદે પોતાના રિપોર્ટમાં જણાવાયું હતું કે મૌલાનાની યુટ્યૂબ પર હાજર ક્લિપ્લ ભારત વિરુદ્ધ ઉશ્કેરણીજનક હતી.

બીબીસી ન્યૂઝ ઉર્દૂના હાલના સંપાદક આસિફ ફારુકીએ બીબીસી હિંદીને જણાવ્યું હતું કે, "પાકિસ્તાનમાં પ્રતિબંધ હોવા છતાં જૈશ-એ-મોહમ્મદની કેટલીક હરકતો જોવા મળી હતી. તેમના માટે કહેવાય છે કે પાકિસ્તાની ગુપ્તચર તંત્રની તેમને મદદ મળતી રહી હતી. પરંતુ આ વાતના કોઈ પુરાવા નથી."

આસિફ ફારુકીએ જણાવ્યું કે, "વર્ષ 1999માં કંદહાર કાંડ પછી મસૂદ અઝહરે અફઘાનિસ્તાનમાં તાલીબાનની મદદથી જૈસ-એ-મોહમ્મદની રચના કરી હતી. બે-ત્રણ વર્ષ પછી પાકિસ્તાનમાં તેમની ધરપકડ કરવામાં આવી અને તેમના સંગઠન પર પ્રતિબંધ મૂકાયો. મેં ક્યારેય કોઈ નેતાને ખુલ્લેઆમ કે દબાયેલા સૂરે મસૂદ અઝહરની તરફેણમાં કોઈ વાત કરી હોય."

પાકિસ્તાનમાં કેવી છબી છે?

બીબીસી ગુજરાતી ભારત પાકિસ્તાન કાશ્મીર જૈસ-એ-મોહમ્મદ મૌલાના મસૂદ અઝહર હાફીઝ સૈયદ શ્રીનગર હવાઈ હુમલા

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, હાફિઝ સઈદની જેમ પાકિસ્તાની મીડિયામાં મૌલાનાને લગતા સમાચાર જોવા નથી મળતા

આસિફ ફારુકી જણાવે છે કે, પાકિસ્તાનમાં મસૂદ અઝહર માટે લોકોમાં સારો અભિપ્રાય નથી. બધા જાણે છે કે તેઓ એક કટ્ટરવાદી જૂથના વડા છે, કટ્ટરવાદનો પ્રચાર કરે છે.

"કટ્ટરવાદની ઘણી ઘટનાઓમાં તેમનો હાથ છે. યુવાનો તેમના વિશે સારો અભિપ્રાય નથી ધરાવતા. પરંતુ સમાજનો એક હિસ્સો એવો છે જે તેમને સમર્થન આપે છે. આ એવા લોકો છે જેઓ ભારતને પોતાનો દુશ્મન માને છે."

આમ તો મૌલાના મસૂદ અઝહર જાહેરમાં ઓછા જોવા મળે છે. હાફિઝ સઈદની જેમ પાકિસ્તાની મીડિયામાં મૌલાનાને લગતા સમાચાર જોવા નથી મળતા.

છેલ્લા બે દાયકામાં માત્ર બે વખત મસૂદની જાહેર હાજરીની ચર્ચા થઈ છે.

આ વિશે આસિફ ફારુકીએ જણાવ્યું કે, "કરાચીમાં એક કાર્યક્રમમાં મૌલાના જોવા મળ્યા હતા. ત્યાર પછી મુઝફ્ફરાબાદમાં જેહાદને લગતાં ભાષણોની કૉન્ફરન્સમાં દેખાયા હતા."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન