અલીદીના વિસરામ: યુગાન્ડાના 'તાજ વિનાના સુલતાન' તરીકે ઓળખાતા ગુજરાતી વેપારી

- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
એક નાનો છોકરો કાચી ઉંમરે અજાણ્યા શહેરમાં આવે. અહીં કોઈ તેનો હાથ પકડે અને તેને વેપારના ગુણ શીખવાડે. જોત-જોતામાં આ છોકરો મોટો થઈ જાય અને સમૃદ્ધ વેપારી બને.
નવા શહેરમાં પોતાના સમુદાયના લોકો માટે આ છોકરો મસીહા બની જાય અને તેમને સુખ-દુઃખમાં મદદ કરે. તેમના માટે સેવા-સગવડસ્થાનો ખોલે.
પ્રથમ નજરે આ વાત 1970ના દાયકાની બોલીવૂડની ફિલ્મની કહાણી જણાય આવે, પરંતુ જો તે બાળકનું નામ અલીદીના વિસરામ હોય, તો આ તેમની જીવનકહાણી છે.
કચ્છમાં જન્મેલા અલીદીના વિસરામ બહુ નાની ઉંમરે પૂર્વ આફ્રિકામાં પહોંચ્યા હતા.
તેમણે હાલના યુગાન્ડા, ડૅમોક્રૅટિક રિપબ્લિક ઑફ ધ કૉંગો (આખું નામ), તાન્ઝાનિયા, કેન્યા અને દક્ષિણ સુદાન સુધી પોતાનો વેપાર વિસ્તાર્યો હતો.
ત્યાં કામ કરતા નીચલાવર્ગના અંગ્રેજ કર્મચારીઓ માટે તેઓ બૅન્ક હતા. રિટેલ ચેઇન સ્ટોરના માલિક, હાથીદાંતના વેપારી, આયાતકાર-નિકાસકાર, કોટનની જીનના માલિક હતા.
અલીદીના વિસરામ 'હાથીદાંતના વેપારના રાજા' અને 'યુગાન્ડાના તાજ વિનાના સુલતાન' તરીકે પણ ઓળખાતા. આગાખાન તૃતીયે તેમને 'વારસ'ના ખિતાબથી નવાજ્યા હતા.
ભારત સરકારે 'ઑપરેશન કાવેરી' હેઠળ સુદાનમાં વસતા ભારતીય નાગરિકોને જળ તથા હવાઈ માર્ગે ભારત પરત લાવ્યા તેમાં ગુજરાતના રાજકોટથી સુદાનમાં વસી ગયેલા ગુજરાતીઓ પણ હતા. હજારો ગુજરાતીઓ આફ્રિકા જઈને સમૃદ્ધ બન્યા છે, ત્યારે પૂર્વ આફ્રિકામાં પરચમ લહેરાવનાર ગુજરાતી વેપારીના જીવન પર એક નજર.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

સાત સમંદર પાર

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અલીદીના વિસરામનો જન્મ કચ્છના કેરા ખાતે ખોજા પરિવારમાં (ઈ.સ. 1851) થયો હતો. એ સમયના અનેક બાળકો સાથે થયું હતું, તેમ માત્ર બાર વર્ષની ઉંમરે દેશી જહાજમાં કચ્છથી નીકળીને લાંબી દરિયાઈ મુસાફરી ખેડીને તેઓ ઈ.સ. 1863માં બાગામોયા (હાલ તાન્ઝાનિયા) પહોંચ્યા હતા.
અહીં તેઓ સેવા હાજી પારુ પાસે પહોંચ્યા. જેઓ પોતાના કાફલા પૂર્વ આફ્રિકાના અંતરિયાળ વિસ્તારોમાં મોકલતા.
તેમની પાસેથી અલીદીનાએ વેપારના ગુણ શીખ્યા. શરૂઆતનાં વર્ષોમાં તેઓ કપડાં, અનાજ અને મીઠાના સાટે મધ, મીણ અને લવિંગ ખરીદતા.
'કેનિયન કૅપિટાલિસ્ટ્સ, ધ સ્ટેટ, ઍન્ડ ડૅવલપમૅન્ટ'માં (પેજનંબર 39) ડેવિડ હિંબારા ટાંકે છે કે, ઈ.સ. 1877માં બાગામોયામાં તેમણે પોતાનો વેપાર શરૂ કર્યો. જેનો વ્યાપ તેમણે દાર-એ-સલામ, સદાણી, ટીંડે, અને ઊજીજી ખાતે શાખાઓ ખોલીને વધાર્યો હતો.
1896માં તેમણે ઝાંઝીબાર તથા એજ વર્ષે યુગાન્ડામાં પણ શાખાઓ ખોલી. ઈ.સ. 1899માં બ્રિટિશ ઇસ્ટ આફ્રિકાના મોમ્બાસા તથા અલગ-અલગ સ્થળોએ શાખાઓ ખોલી હતી.
તેઓ હાથીદાંત, ઘેટાં-બકરાંનાં ચામડાં, ચામડાં, રબર, મધમાખીનું મીણ, તલ, મગફળી, મરચાં અને બીજાં ઉત્પાદનોની નિકાસ કરતા હતા.
તેઓ કાપડની બનાવટો, મણકા, ધાબળા, તાંબુ, પિતળ અને લોખંડની આયાત કરતા. આ સિવાય તેઓ યુરોપમાંથી સિલ્ક, ઉનના કપડાં અને વાઇન મંગાવતાં.
તેઓ કંપાલામાં સોડા, ચામડાં રંગવાની અને ફર્નિચરની ફૅકટરીઓના માલિક હતા. મૉમ્બાસામાં તેઓ વસરામ જિનિંગ અને ઑઈલ ફેકટરી ધરાવત હતા. એન્તેબેમાં ગોળ બનાવવાની ફેકટરી હતી.

ઇમેજ સ્રોત, Allidina visram high School
અલીદીના વિસરામની પેઢી ઝાંઝીબાર સરકારનાં જહાજોના અને બ્રિટિશ ડૉમિનિયન્સ મરીન ઇન્શ્યોરન્સ કંપનીના સત્તાવાર એજન્ટ હતા. લૅક વિક્ટોરિયામાં કંપાલા (Kampala), ઝિંઝા (Jinja), કિસુમુમાં (Kisumu) વચ્ચે તેમનાં જહાજ ચાલતાં.
તેમની કંપનીમાં 500 જેટલા ભારતીય ગુમાસ્તા કામ કરતા. આ સિવાય મોટી સંખ્યામાં સ્થાનિકોને સુથારીકામ અને કડિયાકામ માટે રાખ્યા હતા.
તેમની પેઢીમાં મોટાભાગે ખોજા કામ કરતા, પરંતુ આ સિવાય, હિંદુ, મુસ્લિમ, સ્થાનિક હબસી વગેરે પણ કામ કરતા અને બધાને માટે તેઓ સમાન રીતે સન્માનિત હતા. અંગ્રેજો પણ તેમને આદર આપતા.
19મી સદીના અંતભાગમાં એટલે કે લગભગ 1898 આસપાસ અલીદીનાની માત્ર મોમ્બાસાની શાખાનું વાર્ષિક ટર્નઑવર રૂ. ત્રણ લાખ જેટલું હતું.
હેનરિચ બ્રોડે તેમના પુસ્તક 'બ્રિટિશ ઍન્ડ જર્મન ઇસ્ટ આફ્રિકા' (પૃષ્ઠક્રમાંક 50) પર ઉલ્લેખ કરતા લખે છે કે તેઓ રૂ. બે લાખની આયાત કરે છે, જ્યારે રૂ. એક લાખ જેટલી નિકાસ કરે છે.
આજના સમયમાં કદાચ આ રકમ નાની લાગે, પરંતુ એ ગાળામાં પૂર્વ આફ્રિકાના સરેરાશ શ્રમિકનું માસિક વેતન બેથી ત્રણ રૂપિયા હતું. તેની સાથે સરખાવતા ટર્નઑવર અને નફાના કદનો અંદાજ આવે.

'કિંગ ઑફ આઇવરી'

ઇમેજ સ્રોત, Getty Images
એ સમયે હજુ મોટાભાગનો વેપાર અને માણસોની અવરજવર દરિયાઈમાર્ગે થતી.
આફ્રિકાના અંતરિયાળ વિસ્તારોમાં જવું દુર્ગમ હતું. અલીદીના વિસરામે વેપારના ગુરૂથી અલગ થયા બાદ તેમણે પોતે પણ અંતરિયાળ વિસ્તારોમાં કાફલા મોકલવાનું શરૂ કર્યું.
તેમના માટે ભોજન અને માણસોની વ્યવસ્થા કરી આપતા. ડૉ. વલી જમાલ લિખિત પુસ્તક 'યુગાન્ડા એશિયન્સ, વી કૉન્ટ્રિબ્યૂટેડ, વી કૉન્ટ્રિબ્યૂટ'માં (160-163) લખે છે કે :
મોટાભાગના પ્રવાસીઓ આફ્રિકા ખંડ ખેડવા માટે કે શિકાર કરવા માટે અહીં પહોંચતા હતા.
દરિયાકિનારેથી અલીદીના વિસરામની પેઢીનો ચેક આપ્યો હોય હોય, તો તેને યાત્રા દરમિયાન અંતરિયાળવિસ્તારમાં તેમની જ પેઢીમાં ત્રણથી પાંચ ટકાના દરે વટાવી શકાતો. તેઓ બૅંક સમાન જ હતા.
મોટાભાગના વિદેશી મુસાફરો આફ્રિકામાં હાથી, ચીતા, સિંહના ટ્રૉફી હંટિંગ (વાઘ નથી) માટે આવતા. આમાંથી મળતી એક આડપેદાશ ઉપર અલીદીના વિસરામની નજર પડી હતી. આ હતાં હાથીદાંત.
તેની ભારતના રાજવી પરિવારો અને ધનિકોમાં પુષ્કળ માગ હતી અને તેના ઊંચા ભાવ પણ મળતા.
આ વેપારમાં તેમને એટલો બધો નફો થયો હતો અને તેમનો વ્યાપ એટલો વધી ગયો હતો કે તેઓ 'હાથીદાંતના રાજા' તરીકે ઓળખાતા.
ઈ.સ. 1897માં વેપારના ગુણ શીખવનાર સેવા હાજી પારુના મૃત્યુ પછી તેમના વેપારને તેમણે હસ્તગત કર્યો હતો.
આજના સમયના પશ્ચિમી કે ભારતીય ધોરણ મુજબ આ પ્રકારનો શિકારને સગવડ આપવી અને હાથીદાંત જેવી આડપેદાશના વેપાર વિશે જાણીને નાકનું ટેરવું ચડી જાય, પરંતુ એ સમયે યુરોપિયનો અને અમેરિકનો જ આ પ્રકારની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા અને તેને સાહસિક બાબત ગણવામાં આવતી.

રેલવેએ બદલી દશા-દિશા

ઇમેજ સ્રોત, Getty Images
પૂર્વ આફ્રિકામાં અલીદીના વિસરામના કદથી અંગ્રેજો પણ વાકેફ હતા અને તેમના વિશે ચર્ચા કરતા. ઈ.સ. 1902માં ફ્રૅડરિક જેક્સન નામના એક અધિકારીએ તેમના અહેવાલમાં લખ્યું કે અલીદીના નામના ભારતીય વેપારીએ મૂળનિવાસીઓ દ્વારા જેટલા પ્રમાણમાં તલ અને શેરડી ઉગાડવામાં આવે, તેની ખરીદી કરી લેવાની તૈયારી દાખવી છે.
અલીદીના વિસરામે તેમની દુકાનો સરકારી કચેરીઓની પાસે નાખી હતી.
ત્યાંથી યુરોપિયન કર્મચારીઓને ફર્નિચર, ખુરશી, ટેબલ, જંગલ સફારી પર જવા માટેના કપડાં અને જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ મળી રહેતી.
આ કર્મચારીઓને ઘણી વખત ત્રણ-ત્રણ મહિને પગાર મળતો, પરંતુ અલીદીનાની પેઢીઓ તેમને ઉધારી ઉપર માલ આપતી.
સરકારી કચેરીની નજીક હોવાથી આવનાર અધિકારી-કર્મચારીને સ્થાનિક ઉત્પાદન, પરિવહન, સંચાર વગેરે બાબતોમાં મદદ મળી રહેતી, જે સરકાર માટે લાભકારક હતું.
વળી, એક ઇજારાની સ્થિતિ હોવા છતાં તેઓ ક્યારેય ઊંચાભાવે ચીજો ન વેચતા હોવાનું અંગ્રેજ અધિકારીઓ તેમના પત્રાચારમાં નોંધે છે.
1901માં રેલવે નખાવાની શરૂઆત થઈ ત્યારે અલીદીના વિસરામે પોતાની આર્થિકપ્રવૃત્તિઓના કેન્દ્રને બાગામોયાથી મોમ્બાસા ખસેડી.
જેમ-જેમ લાઇન વિસ્તરતી ગઈ, તેમ-તેમ તેને સમાંતર દુકાનો નાખી.
યુરોપિયનોમાં તેઓ 'દુકાવાલા' (દુકાનના સંદર્ભમાં) તરીકે ઓળખાતા. તેમના પગાર અને ખોરાકનું કામ પણ અલીદીનાની પેઢીને મળેલા હતા.

ઇમેજ સ્રોત, Getty Images
તેમના બિઝનેસ મૉડલ અંગે સર ચાર્લ્સ ઇલિયટે ઈ.સ. 1902માં લખ્યું, 'મોટાભાગના નાના વેપારીઓને અલીદીના વિસરામ નામના વેપારી માલ પૂરો પાડે છે.
જેઓ તેમને દરમહિને હપ્તે-હપ્તે ચૂકવણું કરે છે અને તેમના નામ હેઠળ વેપાર કરે છે.'
'અલગ-અલગ સ્થળે ફેલાયેલા આ સ્ટોરોનું સંચાલન તેમના ભારતીય સહાયકો કરે છે.
મોટાભાગના તેમના ઇસ્માઇલિયા સમુદાયના છે. તેમને પૂર્વ આફ્રિકાના અંતરિયાળવિસ્તોરમાં દુકાનો શરૂ કરનાર ગણી શકાય.'
આ વ્યવસ્થાને આજના સમયની ફ્રૅન્ચાઇઝી સિસ્ટમની નજીક ગણી શકાય.
જોકે, અન્ય સમાજ અને સમુદાયના લોકો પણ અલીદીના વિસરામ માટે વેપાર કરતા.
તેમની દુકાનોમાં 'શોપ-હાઉસ' પ્રકારની વ્યવસ્થા હતી, જેમાં રહેઠાણ અને દુકાન એકસાથે હતા. એટલે સ્થાનિક એજન્ટની ઉપલબ્ધતા રહેતી.
જે.એસ. મંગતે તેમના પુસ્તક 'અ હિસ્ટ્રી ઑફ ધ એશિયન્સ ઇન ઇસ્ટ આફ્રિકા' (પૃષ્ઠક્રમાંક 52-55) પર તેનો ઉલ્લેખ કર્યો છે. આ સિવાય તેમણે ખેતીમાં પણ ઝંપલાવ્યું હતું.
ડૉ. વલી તેમના પુસ્તકમાં લખે છે કે 1904માં તેમણે ખેતીકામ શરૂ કર્યું હતું અને ટૂંક સમયમાં કઠોળ, ફળ-ફૂલ, કપાસ, રબર અને શેરડીનું વાવેતર કરતાં સાત મોટા ખેતર તેમની માલિકીનાં હતા.
તેમાં ત્રણ હજાર કરતાં વધુ કર્મચારીઓ કામ કરતા.

અલીદીના વિસરામનો 'વિશ્રામ'

ઇમેજ સ્રોત, Getty Images
અલીદીના વિશ્રામે જમાતખાના, મસ્જિદો અને ચર્ચ ઉપરાંત લાઇબ્રેરીના બાંધકામ માટે દાન આપ્યા હતા. આ સિવાય તેમના મૃત્યુ પછી દીકરાએ પિતાના નામથી સ્કૂલ પણ બંધાવી હતી. યુગાન્ડામાં તેમના નામથી રસ્તો પણ હતો, પરંતુ ઇદી અમીનના શાસનકાળ દરમિયાન તેનું નામ બદલી નાખવામાં આવ્યું હતું.
ડૉ. વલી જમાલ નોંધે છે કે તેઓ યુગાન્ડાના 'તાજવગરના સુલતાન' તરીકે ઓળખાતા. કેન્યા અને યુગાન્ડામાં સ્થાયી થયેલા 90 ટકા ઇસ્માઇલીઓની સમૃદ્ધિ તેમને જ આભારી છે. સમુદાયની સેવા માટે આગાખાન તૃતીયે તેમને 'વારસ'નો ખિતાબ એનાયત કર્યો હતો.
અલીદીના વિસરામ વરસમાં એક વખત ઠેર-ઠેર ફેલાયેલી તેમની પેઢીઓની મુલાકાત લેતા. આવી જ એક મુલાકાત દરમિયાન વર્ષ ઈ.સ. 1916માં તેઓ કોંગો ગયા હતા.એ સમયે પહેલું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું હતું અને પૂર્વ આફ્રિકા તેનું કેન્દ્ર પણ હતું.
આ યાત્રા દરમિયાન તેમને તાવ આવ્યો અને તેમનું મૃત્યુ થયું. કહેવાય છે કે આ મુલાકાત દરમિયાન તેમના કેટલાક દલાલોએ ચૂકવણું કરવામાં હાથ ઊંચા કરી દીધા હતા, જેના કારણે તેમને આઘાત લાગ્યો હતો.
અલીદીના વિસરામની દફનવિધિ સમયે યુગાન્ડાના રાજા અને ગવર્નર હાજર રહ્યા હતા. વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખી હતી. તેમના મૃત્યુ પછી તેમના દીકરાએ તેમના નામથી સ્કૂલ બંધાવી હતી.તેઓ આજે પણ ત્યાં વસતા ઇસ્માઇલી ખોજા, ગુજરાતીઓ અને ભારતીયો માટે પ્રેરણાસ્રોત છે.

ગુજરાતીઓનાં વળતા પાણી

ઇમેજ સ્રોત, Getty Images
અલીદીના વિસરામના મૃત્યુ પછી પૂર્વ આફ્રિકાના પરિદૃશ્ય પર નાનજી કાલીદાસ મહેતા, મનુ માધવાણી અને સુલેમાન વીરજી સહિતના વેપારીઓનો ઉદય થયો. ઘરઆંગણે ભારતની સ્વતંત્રતા પછી પણ પણ અનેક મોટા વેપારીઓ પૂર્વ આફ્રિકામાં જ સ્થાયી થયા અને પ્રગતિ સાધી.
યુગાન્ડા ગુજરાતીઓનું મોટું કેન્દ્ર હતું. જોકે ઈદી અમીન નામની આંધી તેમના ઘરોને વિખેરી નાખવાની હતી. તેમણે કહ્યું કે તે યુગાન્ડાને 'ભારતનું સંસ્થાન' નહીં બનવા દે.
ઈદી અમીને દેશ સમક્ષ દાવો કર્યો હતો કે અલ્લા તેમને સપનામાં આવ્યા હતા અને આદેશ આપ્યો હતો કે યુગાન્ડામાંથી એશિયનોને કાઢી મૂકવામાં આવે. આ માટે તેમણે 90 દિવસની મુદ્દત આપી હતી. મોટાભાગના ગુજરાતીઓ પાસે વતન પરત ફરવાનો, યુકેનો પાસપૉર્ટ ધરાવનારાઓને ત્યાં જવાનો અને અમેરિકા કે કૅનેડા જવાના વિકલ્પ બચ્યા હતા.
ઈદીએ આરોપ લગાવ્યો હતો કે એશિયન સમુદાય લાંચ, ભ્રષ્ટાચાર, હવાલા કૌભાંડ, કરચોરી, દાણચોરી, દગાખોરીમાં સામેલ છે અને તેમને અનુકૂળ પડે એવું નાગરિકત્વ મેળવવું છે.
ઈદીના શાસનમાં એશિયનો પ્રત્યે સ્થાનિક લોકોનો આક્રોશ આગ બનીને ભભૂક્યો હતો. એ આક્રોશનું એક કારણ હતું સ્થાનિક લોકો પ્રત્યે એશિયન સમુદાયનું વલણ.
આ અંગે વાત કરતા વરિષ્ઠ પત્રકાર વિપુલ કલ્યાણીએ અગાઉ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું, "યુગાન્ડામાં રહેતો ગુજરાતી સમુદાય મુખ્યત્વે વેપાર સાથે જ સંકળાયેલો હતો. ઇતિહાસ સાક્ષી છે કે વેપારી લોકો જ્યાં પણ ગયા છે ત્યાં શોષણ થયું જ છે."
"યુગાન્ડાનો ગુજરાતી સમુદાય ઉપરથી જાતિવાદી, કોમવાદી અને રંગવાદી વલણ પણ ધરાવતો હતો. તેઓ પોતાના 'વાડા'માં જ રહેતા. સ્થાનિકો સાથે ઓરમાયું વર્તન દાખવતા હતા."
'મલ્ટિકલ્ચરિઝમ, પોસ્ટકૉલોનિયાલિટી ઍન્ડ ટ્રાન્સનેશનલ મીડિયા' નામના પુસ્તકમાં આ અંગે વાત કરતાં ઇલા શૉહાત અને રૉબર્ટ સ્ટામ લખે છે :
"યુગાન્ડામાં રહેતા ભારતીયોમાં મોટા ભાગના ગુજરાતી હતા. એમાંથી જેટલા પણ હિંદુઓ હતા તેઓ જાતિમાં વહેંચાયેલા હતા. જ્યારે મુસ્લિમો શિયા-સુન્નીના ફિરકામાં ફસાયેલા હતા."
"આ ભારતીયોને યુગાન્ડામાં સમૃદ્ધ તો થવું હતું પણ તેઓ ભેદભાવ છોડવા તૈયાર નહોતા. લગ્ન પણ તેઓ જાતિના વાડામાં જ કરતા અને સ્થાનિક લોકો સાથે લગ્નનો વિચાર પણ નહોતા કરી શકતા."
સ્થાનિકો સાથે ન ભળવાને કારણે એમની શોષણકર્તાની છાપ વધુ ઘેરી બની હતી. તેમના વેપાર-ઇતિહાસ અને ઓળખને નાસ કરવાનો પ્રયાસ થયો.
તાજેતરના વર્ષોમાં યુગાન્ડામાં ગુજરાતીઓ અને ભારતીયોની સ્થિતિ સુધરી છે, પરંતુ તેમનો દબદબો અગાઉ જેવો નથી રહ્યો.
ડેવિડ તેમના પુસ્તકમાં ટાંકે છે, અનેક દેશોના ઇતિહાસમાં જોવા મળ્યું છે કે જ્યારે ત્યાં અસામાન્ય આર્થિકવિકાસ થઈ રહ્યો હોય ત્યારે અને અનેક સાહસિકોના ચહેરાં તેના પટલ ઉપર ઊભરી આવે. આર્કરાઇટ, કાર્નેગી, ફોર્ડની ઉદ્યોગસાહસિકતાનો ઇતિહાસ તેમાં મહત્ત્વપૂર્ણ છે.
પૂર્વ આફ્રિકામાં ઉદ્યોગસાહસિકોએ તેમના સ્તર ઉપર પ્રદાન આપ્યું છે. તેમાંથી અનેકના વિશે કોઈ લખાણ ઉપલબ્ધ નથી એટલે વિસરાઈ ગયા છે. જોકે, અલીદીના વિસરામ જેવા અમુક તેમાં અપવાદ છે.














