બનાસકાંઠા : ધાનેરાને થરાદ જિલ્લામાં મુકાતા સ્થાનિકો અને નેતાઓએ વિરોધપ્રદર્શનમાં શું કહ્યું?
ગુજરાત સરકાર વર્ષે 2025ની શરૂઆતમાં પહેલી જાન્યુઆરીએ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને નવા વાવ-થરાદ જિલ્લાની જાહેરાત કરી હતી.
નવા જાહેર કરેલા વાવ-થરાદ જિલ્લામાં વાવ, ભાભર, થરાદ, ધાનેરા, સુઈગામ, લાખણી, દિયોદર અને કાંકરેજ એમ કુલ આઠ તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
જોકે જાહેરાત થઈ ત્યારથી અને હજુ પણ આ આઠ તાલુકામાંથી ત્રણ તાલુકાના લોકો વિરોધપ્રદર્શન કરી રહ્યા છે, તેમનું કહેવું છે કે નવા જિલ્લાથી તેમને મુશ્કેલી પડી શકે તેમ છે.
દિયોદર તાલુકાના રહેવાસીઓ વાવ-થરાદને બદલે ઓગડ જિલ્લાની માગ કરી રહ્યા છે
તો ધાનેરા તાલુકાના લોકો બનાસકાંઠામાં જ રહેવા માગે છે. જ્યારે કાંકરેજ તાલુકાના લોકો બનાસકાંઠામાં રહેવા માગે છે અને જો બનાસકાંઠામાં ન સમાવેશ કરાય તો તેઓ પાટણ જિલ્લામાં સામેલ થવા માગે છે. પરંતુ વાવ થરાદ જિલ્લામાં સામેલ થવા માગતા નથી.
દિયોદરના લોકોએ ઓગડ જિલ્લાની માગની અરજી સાથે સૂચિત નકશો પણ મૂક્યો હતો.
તેમનો દાવો છે કે નવા જાહેર કરેલા જિલ્લામાં દિયોદર એ મધ્યમાં પડે છે. જેમાં દિયોદરથી કાંકરેજ 20 કિમી, લાખણી 29 કિમી, ભીલડી 29 કિમી, રાધનપુર 45 કિમી, ભાભર 20 કિમી, સુઈગામ 48 કિમી, વાવ 42 અને થરાદ 40 કિમી છે.
જોકે જાણકારો કહે છે કે નવા જાહેર કરેલા જિલ્લા અંગે વિરોધ કરતાં ત્રણ તાલુકામાંથી દિયોદર અને કાકંરેજ તાલુકામાં સરકારને નુકસાન થઈ શકે છે. પરંતુ ધાનેરામાં નુકસાન થવાની શક્યતા દેખાતી નથી.

ઇમેજ સ્રોત, Paresh Padhiyar
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



