જન્માષ્ટમી : ગુજરાતમાં કૃષ્ણજન્મ શ્રાવણમાં તો યુપીમાં ભાદરવામાં કેમ ઉજવાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
જન્માષ્ટમી છઠ્ઠી સપ્ટેમ્બરે એ ઉજવવી કે સાતમી સપ્ટેમ્બરે તેના વિશેની અસમંજસનો અંત આવી ગયો છે અને ગુરૂવારે તેની ઉજવણી કરવાની સ્પષ્ટતા થઈ ગઈ છે.
ત્યાં કેટલાક લોકોને જૂનો સવાલ તાજો થયો છે કે ગુજરાતમાં શ્રાવણ મહિનાની વદ આઠમના દિવસે જન્માષ્ટમી ઉજવવામાં આવે છે, તો ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ સહિત દેશના અનેક ભાગોમાં ભાદરવા મહિનામાં કૃષ્ણ જન્મનો તહેવાર કેમ આવે છે ?
આની પાછળનું કારણ હિંદુ પંચાંગોમાં માસની ગણતરી કરવા માટેની બે પદ્ધતિ જવાબદાર છે. ગુજરાતમાં પણ વિસ્તાર, ધર્મ અને સંપ્રદાયના આધારે મિતિમાં તફાવત આવે છે.
દેશમાં અલગ-અલગ સંવત અસ્તિત્વમાં આવ્યા, જેની પાછળ ધાર્મિક, રાજકીય અને શાસકીય પરિસ્થિતિઓ જવાબદાર હતી. દેશમાં હાલ ચાર સંવતવર્ષ મુખ્યત્વે પ્રચલિત છે.

તિથિ, માસ, સંવત

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ એ કોઈપણ ઐતિહાસિક, રાજકીય, સાંસ્કૃતિક કે ખગોળીય ઘટનાને નોંધવા માટે અનિવાર્ય માહિતી છે. પદ્ધતિસર સવંત અમલમાં આવ્યા તે પહેલાં રાજાના શાસનકાળના વર્ષ સાથે સમયને જોડવામાં આવતો, જેમ કે 'રાજાના શાસનના અમુકમાં વર્ષે.' મૌર્યકાલીન રાજા અશોક તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
વૈદિકકાળથી પંચાંગના આધારે મિતિ નક્કી કરવાની ભારતમાં પરંપરા રહી છે. પંચાંગમાં તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ (ત્રીસ ઘડીના કાળનો એક એકમ) એમ પાંચ અંગ જણાવવામાં આવ્યા છે. આ ભારતીય પંચાંગો અને ધર્મશાસ્ત્રોમાં, સૌર, ચંદ્ર, સાયન અને નક્ષત્ર એમ ચાર પ્રકારના કાલમાનનું મિશ્ર સ્વરૂપ સ્વીકારાયેલું છે.
પૂનમ કે પૂર્ણિમા પછીના દિવસથી ચંદ્રનો ક્ષય થવા લાગે અને તેનો પ્રકાશ 15 દિવસ સુધી ઘટે એટલે તે અંધારિયા, કૃષ્ણપક્ષ, વદ કે વદી તરીકે ઓળખાય છે. પછીના પખવાડિયામાં ચંદ્રનો પ્રકાશ દિવસે-દિવસે વધતો રહે એટલે તે અજવાળિયાં, શુક્લ, શુક્લપક્ષ, સુદ કે સુદી તરીકે ઓળખાય છે.
આ પંદર દિવસોને એકમ (પ્રતિપદા કે પડવો), બીજ, ત્રીજ (તૃતીયા), ચોથ (ચતુર્થી), પાંચમ, છઠ, સાતમ (કે સપ્તમી), આઠમ (કે અષ્ટમી), નોમ (કે નવમી), દસમી (કે દસમ), અગિયારસ (કે એકાદશી), બારસ (કે દ્વાદશી), તેરસ (કે ત્રયોદશી), ચોદસ (કે ચતુર્દશી) તરીકે ઓળખાય છે. જો ચંદ્ર ચડતી કળાએ હોય તો તિથિની આગળ 'સુદ' અને ઊતરતી કળાએ હોય તો 'વદ' પછી તિથિ લખવામાં આવે છે. સુદનો પંદરમો દિવસ 'પૂનમ' તથા વદનો પંદરમો દિવસ 'અમાસ' તરીકે ઓળખાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ડીસી સરકારે તેમના પુસ્તક 'ઇન્ડિયન ઍપિગ્રાફી'માં (પેજનંબર 219-323) ઉપર કેટલાક સંવત તથા તેની સાથે જોડાયેલી માહિતી આપી છે. સૌપહેલો સંવત 'કૃત' હોવાની માહિતી મળે છે.
અકબરે 'દીન-એ-ઇલાહી' ધર્મની સ્થાપના કર્યા પછી 'ઇલાહી સન' નામથી નવો સન શરૂ કર્યો હતો. તેમાં અકબરના શાસનને પ્રથમ વર્ષ ગણવામાં આવ્યું. તેમાં 12 મહિના હતા 29,30, 31 કે 32ના મહિના હતા. આ પહેલાં ઇસ્લામિક હિજરીસન પ્રચલિત હતું. જોકે, દીન-એ-ઇલાહીની જેમ જ આ સંવત્સરને પણ લોકોની વ્યાપક સ્વીકાર્યતા મળી ન હતી.
હિજરીસનના ચંદ્રવર્ષ અને ઋતુઓ વચ્ચે તાલમેળ ન રહેતો હોવાથી અકબરે 'ફસલીસન'ની (પાકઆધારિત વર્ષ) શરૂઆત કરાવી હતી, જેથી કરીને મહેસૂલ વસૂલવામાં સગવડ રહે. અમલી, શાહૂર, બંગાળી, વિલાયતી, ત્રિપુરા, મગી, મલ્લ, મવલૂદી વગરે તેના અલગ-અલગ સન સ્વરૂપ છે.
પ્રભાસ અને દક્ષિણ કાઠિયાવાડના કેટલાક વિસ્તારોમાં 'સિંહ સંવત્સર'ના નામે નવા સંવતનો ઉલ્લેખ જોવા મળે છે. (ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ, દેસાઈ, 172-173) જે જયસિંહ સિદ્ધરાજના સમયમાં ચાલુ થયો હોવાનું માનવામાં આવે છે. આજે તે વપરાશમાં નથી.
કલિયુગ, બુદ્ધનિર્વાણ અને વીરનિર્વાણ જેવા સંવત બહુ વહેલા શરૂ થયા હોવા છતાં તેનું ચલણ એ પછીના અમુક સૌકાઓ બાદ શરૂ થયું હોવાનું જણાય છે. કલચૂરી અને ગુપ્ત-વલભી, ગુરૂના 12 વર્ષનું ચક્ર, હર્ષ, ગંગ (કે ગાંગેય), કૂચબિહાર, વગેરે જેવા સંવત સદંતર નાબૂદ થઈ ગયા છે.

ઈસવી સન અને શક સંવત
દેશમાં શાસકીય તથા રોજબરોજના વ્યવહારૂ ઉપયોગમાં 'ઈસવી સન'નો ઉપયોગ થાય છે, જે 'ક્રાઇસ્ટ ઍરા' અને 'બિફૉર ક્રાઇસ્ટ ઍરા' અથવા 'કૉમન ઍરા' અને 'બિફૉર કૉમન ઍરા' તરીકે ઓળખાય છે. ભારતમાં કંપની સરકાર તથા એ પછી બ્રિટિશ શાસનકાળ દરમિયાન આ સંવત પ્રચલિત બન્યો. ગુજરાતમાં 19મી સદીના બીજા અને ત્રીજા દાયકા દરમિયાન તેનો ફેલાવો થયો હોવાનું માનવામાં આવે છે.
'ઈસવી સન' જાન્યુઆરી મહિનાથી શરૂ અને ડિસેમ્બર મહિનામાં પૂર્ણ થાય છે. જાન્યુઆરી, માર્ચ, મે, જુલાઈ, ઑગસ્ટ, ઑક્ટોબર અને ડિસેમ્બર મહિનો 31 દિવસના હોય છે, જ્યારે એપ્રિલ, જૂન, સપ્ટેમ્બર અને નવેમ્બર 30 દિવસના હોય છે. ફેબ્રુઆરી મહિનો સામાન્ય રીતે 28 દિવસનો હોય છે, પરંતુ 'પ્લુત વર્ષ 'માં તે 29 દિવસનો હોય છે. જો પ્લુત વર્ષનો 100 વડે ભાગાકાર થઈ શકે તેમ હોય તો એ વર્ષમાં ફેબ્રુઆરી માસમાં 28 દિવસ જ હોય છે.
આંતરરાષ્ટ્રીય વ્યવહારોમાં સામંજસ્ય બેસાડવા માટે તથા વહીવટી એકરૂપતાને જાળવી રાખવા માટે સ્વતંત્રતા પછી પણ 'ઈસવી સન'નો ઉપયોગ ચાલુ રહેવા પામ્યો છે. આમ છતાં સરકારી ગૅઝેટોમાં તેની સાથે 'શક સંવત'નું પણ પ્રકાશન કરવામાં આવે છે.
વિક્રમ સંવતને 'વિક્રમ કાલ', 'માલવગણ' કે 'કૃત'ના નામથી પણ ઓળખવામાં આવે છે. તે અંગ્રેજી કૅલેન્ડર કરતાં 57-58 વર્ષ આગળ હોય છે.
અનુશ્રુતિ પ્રમાણે, શકોએ ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્યના વંશજોને પરાજિત કરીને પોતાનો નવો સંવત શરૂ કર્યો હતો. જે વિક્રમ સંવતના લગભગ 135 વર્ષ પછી શરૂ થયો હતો. તે ઈસવી સન કરતાં 78-79 વર્ષ પાછળ છે.
દખ્ખણના પ્રતિષ્ઠાનપુરના (પૈઠણ) લોકપ્રિય પ્રાચીન રાજા શાલિવહનનું નામ આ સંવત સાથે જોડી દેવામાં આવ્યું એટલે તે 'શાલિવહન-કૃત શક' તરીકે ઓળખાતું. એ સમયે ઉજ્જૈન ભારતનું જ્યોતિષ તથા ખગોળવિજ્ઞાનનું કેન્દ્ર હતું એટલે તે વ્યાપક રીતે પ્રચલિત બન્યું. વિક્રમ સંવત નવમી સદીમાં અને શક સંવત 12મી સદી પછી પ્રચલિત થયા હોવાનું માનવામાં આવે છે.
સરકાર તેમના પુસ્તકમાં લખે છે કે નવેમ્બર-1952માં દેશના અલગ-અલગ સંવતનો અભ્યાસ કરીને સર્વસામાન્ય કૅલેન્ડર સૂચવવા માટે સમિતિની નિમણૂક કરવામાં આવી હતી. જેણે વર્ષ 1955માં સુધાર સાથેનું શક કૅલેન્ડર સૂચવ્યું હતું, તા. 22મી માર્ચ 1957થી તેનો ઉપયોગ શરૂ થયો હતો.
આ સિવાય 'હિજરીસન'એ મુસ્લિમોમાં પ્રચલિત સંવત છે. બૌદ્ધ, જૈન તથા પારસીના પણ આગવા સંવત્સર છે, જેનો ઉપયોગ મિતિ, તહેવાર અને મહિના નક્કી કરવા માટે કરે છે.

અમાંત અને પૂર્ણિમાંત

ઇમેજ સ્રોત, Getty Images
હિંદુઓની માન્યતા પ્રમાણે, કૃષ્ણ એ ભગવાન વિષ્ણુના આઠમા અવતાર છે. તેમનો જન્મ હાલના ઉત્તર પ્રદેશના મથુરાના કારાગૃહમાં લગભગ પાંચ હજાર 250 વર્ષ પહેલાં થયો હતો. મામા કંસના વધ પછી તેઓ મથુરામાં સ્થાયી થયા હતા.
પરંતુ કંસના સસરા અને મગધના શાસક જરાસંઘે વેર લેવા માટે વારંવાર મથુરા ઉપર આક્રમણ કર્યા, કૃષ્ણ તથા તેમના મોટાભાઈ બલરામે પ્રજાજનોનો બચાવ કર્યો. 17 હુમલા પછી તેમણે હાલના ગુજરાતના દ્વારકા ખાતે યાદવોને ખસેડવાનો નિર્ણય કર્યો. આમ ઉત્તર પ્રદેશ અને ગુજરાતએ કૃષ્ણભક્તોના તીર્થધામોમાં પ્રમુખ છે.
દ્વારકાધીશના મંદિરમાં ધ્વજા ચઢાવાનો વિશેષાધિકાર ધરાવતા ગુગળી બ્રાહ્મણ સમાજના સૅક્રેટરી કપીલ વાયડાના જણાવ્યા પ્રમાણે, "મથુરાનું કૅલેન્ડર દ્વારકાની તિથિ કરતાં 15 દિવસ આગળ ચાલતું હોય છે એટલે જ્યારે ગુજરાતમાં શ્રાવણ મહિનાનો વદપક્ષ ચાલતો હોય છે, ત્યારે ત્યાં ભાદરવો મહિનો બેસી ગયો હોય છે. જોકે, અંગ્રેજી તારીખ પ્રમાણે, બંને સ્થળોએ એક જ દિવસે ધાર્મિકતહેવાર ઉજવાતા હોય છે."
ગુજરાતમાં દેશી નામાના હિસાબો દિવાળીના દિવસે પૂરા થતા અને 'ચોપડાપૂજન' નામની ધાર્મિકવિધિ બાદ નવાવર્ષના રોજમેળ માંડવામાં આવે છે. આ નામો ગુજરાત અને ઉત્તર ભારતમાં કારતક (કાર્તિક), માગશર (માર્ગશીર્ષ), પોષ, મહા (માઘ), ફાગણ (ફાલ્ગુન), ચૈત્ર, વૈશાખ (બૈશાખી), જેઠ (જ્યેષ્ઠ), અષાઢ, શ્રાવણ, ભાદરવા (ભાદ્રપદ), આસો (અશ્વિન) તરીકે ઓળખાય છે. ચંદ્ર અને સૌરવર્ષની વચ્ચે સામંજસ્ય બેસાડવા માટે લગભગ અઢી વર્ષે 'અધિકમાસ' કે 'પુરુષોત્તમમાસ' ઉમેરવામાં આવે છે. આ સિવાય જ્વલ્લે જ બનતી ઘટનામાં માસનો 'ક્ષય' પણ થાય છે.
લગભગ બે દાયકાથી કાર્તિકી પંચાગના સંપાદન કાર્ય સથે જોડાયેલા સનત પોપટના કહેવા પ્રમાણે, "તિથિ નક્કી કરવા માટેની 'અમાંત' પદ્ધતિમાં અમાસના દિવસે મહિનો પૂર્ણ થાય છે અને નવા માસની શરૂઆત સુદ એકમથી થાય છે. દાખલા તરીકે આજે માગશર મહિનાની અમાસ હોય તો બીજા દિવસે પોષ માસની સુદ-એકમ હશે."
"આ સિવાયની પદ્ધતિ 'પૂર્ણિમાંત' છે, જેમાં પૂર્ણિમાના દિવસે માસને પૂર્ણ માનવામાં આવે છે અને વદ એકમથી નવા માસની શરૂઆત થાય છે. આમ તેમાં પ્રથમ પખવાડિયું વદનું હોય છે. જેમ કે શ્રાવણ મહિનો પૂર્ણ થયા પછી ભાદ્રપદ શરૂ થયો."
અમાંત શબ્દ એ 'અમાસ અને અંત'ની સંધિ છે, જ્યારે અને 'પૂર્ણિમાંત'એ 'પૂર્ણિમાના દિવસે અંત' છે. ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તામિલ નાડુ, કેરળ, પશ્ચિમ બંગાળ, આસામ અને ત્રિપુરામાં 'અમાંત' પદ્ધતિ પ્રચલિત છે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ. બિહાર, પંજાબ, હરિયાણામાં 'પૂર્ણિમાંત' પ્રવર્તમાન છે.
ગુજરાતમાં દિવાળીના બીજા દિવસે નવવર્ષની ઉજવણી કરવામાં આવે છે, આમ છતાં તેના જ ભાગરૂપ એવા કચ્છમાં અષાઢી બીજના દિવસે નવું વર્ષ ઉજવાય છે. ક્યારેક વૈષ્ણવો અને સ્વામીનારાયણ સંપ્રદાયમાં તિથિ કે તેના ક્ષય વિશે એકાદ દિવસનો ફેરપાર ઊભો થતો હોય છે. આમ વિસ્તારવાર નાના-મોટા તફાવત પણ હોય શકે છે.
ગુજરાતના વિક્રમ સંવત કારતક મહિનાથી શરૂ થાય છે, જ્યારે મહારાષ્ટ્ર-ગોવા (ગુડી પડવો), આંધ્ર પ્રદેશ-તેલંગણા (ઉગાદી), તામિલ નાડુમાં (પુથાન્દુ) ચૈત્ર મહિનાથી નવું વર્ષ શરૂ થાય છે.














