You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

તાલિબાનના કબજા પછી 80 હજાર કરતાં વધુ અફઘાનોને દેશમાંથી બહાર કઢાયા

કાબુલ ઍરપૉર્ટ પર દસ હજાર કરતાં વધુ લોકો અફઘાનિસ્તાનમાંથી બહાર જવા માટે આતુરતાપૂર્વક ફ્લાઇટની વ્યવસ્થા થાય તેની રાહ જોઈ રહ્યા છે.

લાઇવ કવરેજ

  1. તાલિબાનના કબજા પછી 80 હજાર કરતાં વધુ અફઘાનોને દેશમાંથી બહાર કઢાયા

    ભારતના સ્વતંત્રતાદિવસે જ તાલિબાન અફઘાનિસ્તાનના પાટનગર કાબુલના દરવાજા સુધી પહોંચી ગયું હતું.

    કાબુલ પર તાલિબાને કબજો જમાવ્યા બાદથી અફઘાનિસ્તાનમાંથી અમેરિકા અને અન્ય દેશોની સેનાઓ દ્વારા 80 હજાર કરતાં વધુ અફઘાનોને સુરક્ષિત સ્થળે લઈ જવાની કામગીરી કરાઈ છે.

    અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને એપ્રિલ 2021માં અમેરિકન સુરક્ષાદળો દ્વારા અફઘાનિસ્તાન ખાલી કરાશે તેવી જાહેરાત કરી હતી.

    31 ઑગસ્ટ સુધી અમેરિકનદળોએ અફઘાનિસ્તાનની ધરતી છોડી દેવાની ડેડલાઇન પણ નક્કી કરાઈ છે.

    જોકે, ઘણા લોકોનું માનવું છે કે આ ડેડલાઇનના કારણે ઘણા લોકો, જેઓ તાલિબાનના શાસનમાં અફઘાનિસ્તાનમાં નથી રહેવા માગતા, તેઓ પાછળ છૂટી જશે.

    અમેરિકાના પ્રેસ સેક્રેટરીએ અફઘાનિસ્તાનમાંથી જરૂરિયાતમંદ લોકોને બહાર કાઢવાના પોતાના અભિયાન વિશે વાત કરતાં કહ્યું કે,“અમે અંતિમ દિવસો સુધી જરૂરિયાતમંદોને બહાર કાઢીશું. પરંતુ છેલ્લા બે દિવસમાં અમારી પ્રાથમિકતા હશે.”

    તેમણે કહ્યું હતું કે જ્યારે અમેરિકાના સૈનિકો ઍરપૉર્ટ છોડી દેશે, તે અમેરિકાની જવાબદારી નહીં રહે.

    નોંધનીય છે કે હાલ કાબુલ ઍરપૉર્ટ પર દસ હજાર કરતાં વધુ લોકો અફઘાનિસ્તાનમાંથી બહાર જવા માટે આતુરતાપૂર્વક ફ્લાઇટની વ્યવસ્થા થાય તેની રાહ જોઈ રહ્યા છે.

    અમેરિકાએ જ્યારથી પોતાનાં દળોને પાછા ખેંચવાનું શરૂ કર્યું છે ત્યારથી અમેરિકન સૈન્ય અને અન્ય આંતરરાષ્ટ્રીય સૈન્યોને અફઘાનિસ્તાનમાં મદદરૂપ થનારા લોકો અને તેમના પરિવારજનો તાલિબાનની બીકથી દેશ છોડીને ભાગી રહ્યા છે.

    નોંધનીય છે કે ભારતીય સૈન્યે પણ પોતાના કેટલાક નાગરિકો સહિત સ્થાનિક અફઘાનો અને શીખોને ભારત લાવવામાં મદદ કરી છે.

  2. અક્ષય કુમારની ફિલ્મ બૅલબૉટમ પર ત્રણ દેશોએ પ્રતિબંધ મૂક્યો, શું છે આખો વિવાદ?

    અભિનેતા અક્ષય કુમારની તાજેતરમાં જ રિલિઝ થયેલી ફિલ્મ બૅલબૉટમ પર ખાડીના ત્રણ દેશોએ પ્રતિબંધ મૂક્યો છે.

    અક્ષય કુમારની આ ફિલ્મ એક સિક્રેટ મિશન પર આધારિત છે અને પ્લેન અપહરણની ઘટના તેમાં દર્શાવવમાં આવી છે. મધુ ભોજવાની, જૅકી ભગનાની, વાસુ ભગનાની અને નિખિલ અડવાણી આ ફિલ્મના નિર્માતા છે.

    બૅલબૉટમ પર ત્રણ ખાડી દેશો સાઉદી અરેબિયા, કુવૈત અને કતારમાં પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

    જાણો શું છે આખો વિવાદ?

  3. દસ દિવસ પછી પણ કાબુલમાં ઍરપોર્ટ પર રઝળે છે હજારો લોકો

    કાબુલ પર તાલિબાનના કબજાને દસ દિવસ થઈ ગયા છે. જ્યારે 15 ઑગસ્ટે કાબુલમાં તાલિબાનના લડવૈયાઓએ પ્રવેશ કર્યો ત્યારે હજારો લોકો કાબુલના આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ પર ઉમટી પડ્યા હતા.

    સૌ પોતાનાં બાળકો, પત્ની, ભાઈ, બહેન, માતાપિતા અને પરિવાર સાથે અફઘાનિસ્તાનમાં અંધકારમય ભવિષ્યની આશંકાને જોતાં દેશ છોડીને ભાગવા માગતા હતા.

    કાબુલ ઍરપૉર્ટ પર વિમાનમાં ચડવા માટે ધક્કામુક્કીના એવાં દૃશ્યો જોવા મળ્યા જેવા ક્યારેય જોવા નહોતા મળ્યા. ક્યાંક વિમાનની આગળ દોડતા લોકો જોવા મળ્યા જે કોઈ પણ રીતે પોતાનો દેશ છોડીને ભાગી જવા માગતા હતા.

    લોકોમાં તાલિબાનનો એટલો ભય હતો કે પોતાના જીવને જોખમમાં નાખીને વિમાન પર લટકી ગયા હતા.

    આ બધા દૃશ્યો અફઘાન લોકોની લાચારી સ્પષ્ટ કરે છે.

    તાલિબાનના કાબુલ પર કબજાને દસ દિવસ વીતી ગયા છે પણ લોકોનો ભય ઓછો થતો નથી. હજી પણ કાબુલમાં હામિદ કરઝઈ આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ પર હજારો લોકો ફસાયેલા છે.

    અફઘાન લોકો એક સારા ભવિષ્યનું સપનું લઈને વિદેશી વિમાનમાં સવાર થઈને અફઘાનિસ્તાન છોડી દેવા માગે છે.

    હજારો લોકો હજી પણ ઍરપોર્ટ પર રાહ જોઈ રહ્યા છે.

    ઍરપોર્ટ પર અવ્યવસ્થા પાછળ એક મોટું કારણ તાલિબાનનો કબજો અને તેમના તરફથી આપવામાં આવેલી ચેતવણી પણ છે.

    છેલ્લા કેટલાક દિવસોથી કાબુલના ઍરપૉર્ટ પર ગોળીબાર અને નાસભાગમાં ઓછામાં ઓછા 20 લોકોનાં મૃત્યુ થયાં છે.

    બીબીસી સંવાદદાતા લીસ ડૂસેટ મુજબ ઍરપોર્ટની પાસે હજારોની સંખ્યામાં લોકો ફસાયા છે. તેમના રિપોર્ટ મુજબ દરરોજ હજારો અફઘાન લોકોને વિદેશ મોકલવામાં આવી રહ્યા છે છતાં 14 હજાર લોકો ઍરપૉર્ટ પર રાહ જોઈ રહ્યા છે.

    સમાચાર એજન્સી રૉયટર્સ મુજબ અમેરિકન અધિકારીઓ જણાવ્યું કે સોમવારે 12 કલાકમાં લગભગ 11 હજાર લોકોને બહાર કાઢવામાં આવ્યા. અમેરિકન અધિકારીઓએ દાવો કર્યો કે ફસાયેલા લોકોને વિદેશ મોકલવાની પ્રક્રિયા ઝડપી બનાવાઈ છે અને યુદ્ધના સ્તરે લોકોને અફઘાનિસ્તાનથી બહાર કાઢવામાં આવી રહ્યા છે.

    તાલિબાને કહ્યું છે કે અમેરિકા માટે તેના નાગરિકોને લઈ જવાની 31 ઑગસ્ટની ડેડલાઇન લંબાવવામાં નહીં આવે તો અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને પણ કહ્યું છે કે 'જેટલી જલદી અફઘાનિસ્તાનથી બહાર નીકળી જઈએ એટલું સારું.'

    વર્લ્ડ ઍરપૉર્ટ વાયોલન્સ કમિશન દ્વારા પ્રકાશિત ખતરાને સંબંધિત રૅંકિંગમાં કાબુલ ઍરપૉર્ટ બીજા નંબર પર છે.

    મીડિયા રિપોર્ટો મુજબ વર્લ્ડ ઍરપૉર્ટ વાયોલન્સ કમિશનના એક પ્રવક્તાએ જણાવ્યું કે ગત અઠવાડિયે ઍરપૉર્ટની બહાર ગોળીબારની ઓછામાં ઓછી 12 ઘટનાઓ બની. આવી ઘટનાઓમાં નાટકીય રીતે વધારો થયો છે.

    કાબુલ ઍરપૉર્ટ પર ખતરાની વાતથી અમેરિકન અને નેટો દેશોના અધિકારીઓ પણ સહમત છે.

    અમેરિકન અધિકારીઓએ શનિવારે પોતાના નાગરિકોને ચેતવણી આપી હતી કે 'કાબુલ ઍરપૉર્ટ પર ઇસ્લામિક સ્ટેટ જૂથની અફઘાનિસ્તાન પાંખના લડવૈયા હુમલો કરી શકે છે.'

    અમેરિકન અધિકારીઓ કહ્યું હતું, "ઍરપૉર્ટના ગેટની બહાર ખતરો હોઈ શકે છે. અમે ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા છીએ."

  4. ગુજરાતમાં દુષ્કાળની ચેતવણી, હવામાન એજન્સીએ શું કહ્યું?

    ગુજરાતમાં આ વખતે વરસાદની ઘટ છે, ખેડૂતો સહિત તમામ લોકો સારા વરસાદની અપેક્ષા કરી રહ્યા છે.

    ત્યારે હવે જો સારો વરસાદ નહીં પડે તો ગુજરાતમાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા છે.

    એવામાં ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે ગુજરાતમાં દુષ્કાળ જેવી સ્થિતિ પેદા થવાની સંભાવના વ્યક્ત કરી છે.

    ગુજરાતમાં ઓછા વરસાદના પહલે શું પરિસ્થિતિ ઊભી થઈ શકે તેમ છે?

  5. 'લવજેહાદ' : 'પ્રેમમાં ગીતા કે કુરાનનું બંધન ન હોવું જોઈએ' – હિંદુ-મુસ્લિમ યુગલની આપવીતી

    "હું મૂળ આણંદનો છું, પણ ઘણા વખતથી ભરૂચમાં સેલ્સમૅનની નોકરી કરું છું. ભરૂચમાં મારા ઘણા મુસ્લિમ મિત્રો થયા. મેં ઇસ્લામને સમજવાનો પ્રયાસ કર્યો અને મુસ્લિમ થવા માગતો હતો, પણ અલગઅલગ મંજૂરીને કારણે બે વર્ષથી બધું અટવાયેલું પડ્યું હતું. છેવટે હું હાઈકોર્ટમાં ગયો અને હવે હું મુસ્લિમ થઈ શકીશ."

    બે વર્ષથી કાનૂની લડાઈ લડી રહેલા જિજ્ઞેશ પટેલ નવા કાયદાથી ઘણા વ્યથિત હતા, પણ હાઈકોર્ટે નવા કાયદાની કલમો મામલે 'સ્ટે' આપ્યા પછી હવે તેઓ રાહતની લાગણી અનુભવે છે.

    33 વર્ષીય જિજ્ઞેશને લગ્ન માટે ધર્મપરિવર્તન નથી કરવું, પરંતુ તેમને ઇસ્લામ ધર્મ ગમે છે એટલે ધર્મપરિવર્તન કરવું છે. જેથી તેઓ નવો પાસપોર્ટ, આધારકાર્ડ અને પાનકાર્ડ જેવા દસ્તાવેજો નવેસરથી કઢાવી શકે.

    જિજ્ઞેશે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "આણંદમાં નોકરીના સારા સ્રોત નહોતા એટલે હું ભરૂચ ગયો. અહીં સેલ્સમૅનની નોકરી દરમિયાન મારા ઘણા મુસ્લિમ મિત્રો બન્યા. શરૂઆતમાં હું મારા હિંદુ ધર્મ પ્રમાણે વર્તતો ત્યારે એમને કોઈ વાંધો પણ નહોતો."

    "નોકરી પછી રાત્રે હું બીજાં પુસ્તકોની સાથેસાથે કુરાન પણ વાંચતો હતો. મને કુતૂહલ થયું, હું ઘણા મૌલવીને મળ્યો. હું સાત વર્ષથી નિયમિત રમજાન પાળું છું, પાંચ ટાઈમ નમાઝ પણ પઢું છું. અને બીજા રિવાજો પણ."

    અહીં વાંચો લવજેહાદના કાયદામાં અમુક કલમો પર હાઈકોર્ટના સ્ટે આવ્યા પછી હિન્દુ-મુસ્લિમ યુગલો પર શું અસર થશે?

  6. કાબુલ ઍરપોર્ટ પર હજારો લોકો હજી ફસાયેલા

    કાબુલ પર તાલિબાનના કબજાના દસ દિવસ બાદ પણ ઍરપોર્ટ પર અફરાતફરીનો માહોલ છે.

    ઍરપોર્ટ પર દેખાઈ રહેલી અવ્યવસ્થાનું એક મોટું કારણ તાલિબાનનો કબજો અને તેમના તરફથી આપવામાં આવેલી ચેતવણી છે. છેલ્લા દસ દિવસમાં અહીં ગોળીબાર અને નાસભાગમાં 20 લોકો મૃત્યુ પામ્યાં છે.

    બીબીસી સંવાદદાતા લીસ ડૂસેટ મુજબ ઍરપોર્ટની પાસે હજારોની સંખ્યામાં લોકો ફસાયેલા છે.

    આ વીડિયોમાં જુઓ તેમનો ખાસ અહેવાલ

  7. અફઘાનિસ્તાનમાં મે મહિનાથી અત્યાર સુધી ચાર લાખ લોકો ઘર છોડી ગયા

    સંયુક્ત રાષ્ટ્રે જણાવ્યું છે કે અફઘાનિસ્તાનમાં આ વર્ષે જેટલા લોકો પોતાનું ઘર છોડવા મજબૂર થયા છે તેમાંથી 60 ટકા બાળકો

    અફધાનિસ્તાનમાં સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા ઑફિસ ફૉર ધી કો-ઓર્ડિનેશન ઑફ હ્યૂમેનિટેરિયન અફેયર્સ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ચાર લાખથી વધારે લોકો મે મહિનાની શરૂઆતથી પોતાનું ઘર છોડીને ચાલ્યા ગયા છે.

    છેલ્લા કેટલાક મહિનાઓથી અફઘાનિસ્તાનના લોકોએ વિવિધ વિસ્તારોમાં ભયંકર લડાઈનો સામનો કર્યો છે.

    આ વર્ષે કુલ સાડા પાંચ લાખ અફઘાન લોકો વિસ્થાપિત થયા છે.

    અફઘાનિસ્તાનમાં એક કરોડ 80 લાખ લોકોને માનવીય સહાયની જરૂર છે અને તાલિબાનના કબજાથી માનવીય સહાય પહોંચાડનારાઓ પર ભારણ વધ્યું છે.

  8. શિવસેનાનો નારાયણ રાણેને જવાબ- 'વડા પ્રધાન મોદી વિશે કોઈ આવું કહેત તો..'

    શિવસેનાએ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે પર હુમલો કરતા કહ્યું કે તેમના કારણે કેન્દ્ર સરકારનું માથું શરમથી નમી ગયું છે.

    તેમણે કહ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે વિશે કરવામાં આવેલી ટિપ્પણીને ગંભીરતાથી લેવી જોઈએ.

    પાર્ટીએ પોતાના મુખપત્ર સામનાના સંપાદકીયમાં ટીકા કરતા તેમની સરખામણી એવા ફુગ્ગા સાથે કરી જેમાં કાણું છે અને ભાજપ ભલે જેટલી હવા ભરે તે ઉપર નહીં જઈ શકે.

    સામનામાં લખવામાં આવ્યું કે કેન્દ્રીય મંત્રી બન્યા પછી પણ રાણેનું વર્તન રસ્તે ચાલતા ગુંડા જેવું છે.

    સંપાદકીયમાં લખવામાં આવ્યું છે કે જો કોઈએ આવી વાત વડા પ્રધાન વિશે કહી હોત તો, તેને દેશદ્રોહના આરોપમાં જેલ મોકલી દેવામાં આવ્યા હોત. રાણેનો ગુનો એને સમાન જ છે. ભાજપે આની મોટી કિંમત ચૂકવવી પડશે.

    આ લેખ મુજબ, “મુખ્ય મંત્રીને ધમકી આપનારનો હાથ કાયદાકીય રીતે તોડી નાખવો જોઈએ. મહારાષ્ટ્રની પૂર્વ સરકારે કેટલાક બૌદ્ધિક લોકોને આવા આરોપમાં જેલમાં પૂરી દીધા હતા કે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાનું ષડયંત્ર રચી રહ્યા છે.”

    આગળ લખવામાં આવ્યું છે કે “કોઈ પણ સભ્ય નેતા હોત તો માફી માગી લેત અને વાત પૂરી થઈ જાત કારણ કે કોઈ પણ સરકારથી મોટું નથી. પરંતુ ભાજપ માટે મહારાષ્ટ્રનું ગૌરવ અને મુખ્ય મંત્રીની પ્રતિષ્ઠાની કોઈ કિંમત નથી.”

  9. ગુજરાતમાં કોવિડ પ્રોટોકૉલ હેઠળ ધોરણ છથી આઠના વિદ્યાર્થીઓ માટે શાળાઓ ખૂલશે

    ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું છે કે 2 સપ્ટેમ્બરથી 32 લાખથી વધારે વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય શરૂ, 20 હજારથી વધારે શાળાઓમાં ક્લાસ શરૂ થશે.

    બુધવારે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે બીજી સપ્ટેમ્બરથી ધોરણ છથી ધોરણ આઠ સુધીના વિદ્યાર્થીઓ માટે ઑફલાઇન શિક્ષણની શરૂઆત થશે.

  10. વખાન : અફઘાનિસ્તાનનો એ મુસ્લિમ પ્રદેશ જ્યાં નથી તાલિબાની હિંસા

    રાજધાની કાબુલ ફતેહ કરીને બે દાયકા બાદ ફરી અફઘાનિસ્તાન પર તાલિબાનની આણ પ્રવર્તી રહી છે. ચીન, ઈરાન, પાકિસ્તાન, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાન સાથેની સરહદો એ સાબિત કરવા માટે પૂરતી છે કે એશિયામાં અફઘાનિસ્તાનનું એવું સ્થાન છે જેવું માનવ શરીરમાં હૃદયનું હોય છે.

    3.20 કરોડથી વધુની વસતી ધરાવતા આ દેશની લગભગ એક ચતુર્થાંશ વસતી મજાર-એ-શરીફ, કાબુલ જેવાં મોટાં શહેરોમાં વસે છે. મજાર-એ-શરીફ દેશની રાજધાની કાબુલથી દક્ષિણ-પૂર્વ દિશામાં 320 કિલોમીટર દૂર આવેલું છે.

    દેશના આ ચોથા ક્રમના સૌથી મોટા શહેરનું કેન્દ્ર હઝરત અલીની મઝાર છે, જે સ્થાનિક માન્યતા અનુસાર પૈગંબર-એ-ઈસ્લામના જમાઈ અને ઈસ્લામના ચોથા ખલીફાનું અંતિમ વિશ્રામસ્થળ છે. એ મઝાર ઈસ્લામી સ્થાપત્યનો એક માસ્ટરપીસ છે. એ સફેદ કબૂતરો માટે પણ વિખ્યાત છે.

    સ્થાનિક લોકોનું માનવું છે કે અલગ રંગનું કોઈ પક્ષી મઝાર પરિસરમાં દાખલ થઈ જાય તો તેની પાંખ પારદર્શી અને સફેદ થઈ જાય છે.

    વખાન કૉરિડોર મઝાર શરીફથી લગભગ 600 કિલોમીટર પૂર્વમાં આવેલો છે, જે સાંસ્કૃતિક તથા ભૌગોલિક રીતે દેશના બાકી હિસ્સાથી એકદમ અલગ છે. બદખ્શાં ક્ષેત્રમાં આવેલો 350 કિલોમીટર લાંબો આ પ્રદેશ વિશ્વની ત્રણ મોટી પર્વત શૃંખલાઓ - હિંદુ કુશ, કરાકોરમ અને પામીરનું સંગમસ્થાન છે.

    આ ક્ષેત્રનો પ્રવાસ કરાવતી કેટલીક કંપનીઓ પૈકીની એક ઈંટેમડ બાર્ડઝ ડૉટ કૉમના જેમ્સ વિલકોક્સ કહે છે કે "તમે અફઘાનિસ્તાનમાં ટ્રાફિક, ઘોંઘાટ અને સલામતીના મુદ્દાના સંદર્ભમાં આનાથી વધારે દૂર જઈ શકતા નથી."

    "અહીં વધુ વસતી નથી, પણ અહીં પહોંચવું મુશ્કેલ છે. આવી જગ્યા છે એવું બહુ ઓછા લોકો જાણે છે. આ વિશ્વના સૌથી દુર્ગમ અને સુંદર સ્થળો પૈકીનું એક છે."

  11. ગુજરાત ભાજપના અધ્યક્ષ સી. આર. પાટીલે પોતે લીધેલો નિર્ણય કેમ ફેરવી તોળ્યો?

    આગામી વર્ષમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે.

    ત્યારે ભાજપ દ્વારા તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. એ પહેલાં જ ભાજપના અધ્યક્ષ સી. આર. પાટિલે એક મહત્ત્વનું નિવેદન કર્યું છે.

    કેન્દ્રમાં નવા વરાયેલા કૅબિનેટ મંત્રીઓ દ્વારા રાજ્યમાં પ્રવાસ શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે હાલમાં અમરેલી ખાતે પુરુષોત્તમ રૂપાલાનો સન્માન સમારોહ યોજાયો હતો.

    જે દરમિયાન ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પણ સન્માન સમારોહમાં પહોંચ્યા હતા.

    આ કાર્યક્રમ દરમિયાન સી.આર.પાટીલે સંબોધન કરતા જણાવ્યું હતું કે “60 વર્ષથી વધુ ઉંમરના લોકોને ટિકિટ નહીં આપવાનો નિર્ણય જિલ્લા પંચાયત અને કૉર્પોરેશન માટે લેવાયો છે. એ નિયમ વિધાનસભાની ચૂંટણી માટે નથી લેવાયો.”

  12. સરદાર સરોવર ડૅમમાં સીપેજને લઈને વહીવટકર્તાઓએ કેમ ચોખવટ કરવી પડી?

    નર્મદા બચાવો આંદોલન સાથે સંકળાયેલાં કર્મશીલ મેધા પાટકરે સરદાર સરોવર નર્મદા ડૅમ ઝમવાની ઘટનાને લઈ તેની સુરક્ષા પર સવાલ ખડો કર્યો હતો એ મામલે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડે (SSNL) વાંધો ઉઠાવ્યો છે.

    એસએસએનલે મેધા પાટકરને પાયાવિહોણા આરોપ મૂકવા બદલ માફી માગવા કહ્યું છે.

    ટાઇમ્સ ઑફઇન્ડિયાના એક રિપોર્ટ મુજબ એસએસએનએલ (ડૅમ)ના ચીફ ઍન્જિનિયર આર.એમ.પટેલે આધિકારિક નિવેદનમાં કહ્યું હતું, “મેધા પાટકરે હાલમાં ડૅમમાં સીપેજ (ઝમવું) અંગે કરેલા નિવેદનનો કોઈ આધાર નથી અને લોકોને ગેરમાર્ગે દોરવાનો નકામો પ્રયાસ છે.”

    તેમણે કહ્યું, "કોઈ પણ ડૅમમાં કૉન્ક્રીટ ઝમવો એ સામાન્ય વાત છે અને એ મુજબ સમારકામ હાથ ધરવામાં આવતું હોય છે. સરદાર સરોવર ડૅમમાં લાંબા ગાળાથી પાણી છે અને કોઈ પણ માનવનિર્મિત માળખામાં સમારકામ અને દેખરેખ જરૂરી હોય છે."

    તેમણે કહ્યું કે આ ઝમવું નિર્ધારિત માત્રામાં છે અને ડૅમના વહીવટકર્તાઓએ ડૅમ સેફ્ટી રિવ્યૂ પૅનલ (ડીએસઆરપી) ની ભલામણો મુજબ સમારકામ ચાલુ કર્યું છે.

    તેમણે વધુમાં જણાવ્યું કે ડીએસઆરપીએ છેલ્લે 24થી 26 જુલાઈ 2021ના ડૅમનું નિરીક્ષણ કર્યું હતું અને સેન્ટ્રલ વૉટર કમિશન દ્વારા નિર્ધારિત માપદંડો મુજબ ડૅમને પ્રાથમિક રૂપે સુરક્ષિત ગણાવાયો છે.

  13. મોદી સરકાર પર નેશનલ મોનિટાઇઝેશન પાઇપલાઇનને લઈને આરોપ

    કેન્દ્ર સરકારની નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇનના લૉન્ચ બાદ સરકાર સતત વિરોધીઓના નિશાને છે. 6 લાખ કરોડ રૂપિયાના મોનેટાઇઝેશન પ્લાન અંતર્ગત સરકાર રેલવેથી માંડીને રોડ અને વીજળી ક્ષેત્રની સંપત્તિ વેચવાની છે.

    કૉંગ્રેસ સહિત વિપક્ષી દળો સતત કેન્દ્ર સરકાર પર આ અંગે આરોપ મૂકી રહ્યા છે. કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે 70 વર્ષમાં જે ઊભું કર્યું મોદી સરકાર સાત વર્ષમાં વેચી રહી છે.

    તેમણે આરોપ મૂક્યો કે સરકારનો આ પ્લાન મોનોપોલી રચવા માટે છે.

  14. ગુજરાતમાં આગામી દિવસોમાં જન્માષ્ટમી અને ગણેશોત્સવને લઈને રાત્રી કર્ફ્યૂમાં શું ફેરફાર કરાયા?

    ગુજરાતમાં આગામી દિવસોમાં જન્માષ્ટમી અને ગણેશોત્સવના તહેવારોને જોતાં રાજ્ય સરકારે રાત્રી કર્ફ્યૂમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે.

    તારીખ 30 ઑગસ્ટની રાત્રે જન્માષ્ટમીની ઉજવણી માટે ગુજરાતનાં આઠ મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. તારીખ 30 ઑગસ્ટે એક દિવસ પૂરતો કર્ફ્યૂ રાત્રે એક વાગ્યાથી અમલમાં રહેશે.

    મંદિર પરિસરમાં જન્માષ્ટમીની ઉજવણી વખતે વધારેમાં વધારે 200 લોકોને ભેગા થવાની છૂટ આપવામાં આવશે. એ સિવાય કોરોના સંબંધી બધા નિયમોનું પાલન કરવાનું રહેશે.

    જન્માષ્ટમી વખતે યોજાતી શોભાયાત્રાને 200 લોકોની હાજરી સાથે નિર્ધારિત રૂટ પર મંજૂરી આપવામાં આવશે. પરંતુ જન્માષ્ટમીના લોકમેળાની પરવાનગી આપવામાં આવશે નહીં.

    નવ સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર દરમિયાન ગણેશોત્સવની ઉજવણીને લઈને નિર્ણય કરવામાં આવ્યા જેમાં સાર્વજનિક ગણેશોત્સવમાં ચાર ફૂટની ગણેશ પ્રતિમા અને ઘરમાં બે ફૂટની ગણેશ પ્રતિમાની સ્થાપના કરી શકાશે.

    સાર્વજનિક આયોજનમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સહિત કોરોના સંબંધી અન્ય નિયમોનું પાલન ફરજિયાત કરવાનું રહેશે.

    ધાર્મિક વિધિ સિવાય અન્ય કોઈ સાંસ્કૃતિક કે ધાર્મિક કાર્યક્રમોને પરવાનગી નથી આપવામાં આવી.

    નવ સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર સુધી ગણેશોત્સવ દરમિયાન આઠ મહાનગરોમાં કર્ફ્યૂ રાત્રે 12 વાગ્યે શરૂ થશે.

    સ્થાપના અને વિસર્જન વખતે માત્રે 15 લોકોને હાજર રહેવાની મંજૂરી આપવામાં આવી છે.

  15. અફઘાનિસ્તાનની 'નવી સરકાર'ને વધુ એક આંચકો, કરોડોનું ફંડિંગ બંધ થતાં વિકાસકાર્ય ફડચામાં જઈ શકે

    વિશ્વ બૅન્કે અફઘાનિસ્તાનમાં પરિયોજનાઓ માટે ફંડિંગ રોકી દીધું છે.

    અફઘાનિસ્તાન પર તાલિબાનના નિયંત્રણ બાદ વિશ્વ બૅન્કે આ મહત્ત્વનો નિર્ણય કર્યો છે.

    કહેવામાં આવી રહ્યું છે કે તાલિબાનના નિયંત્રણથી દેશમાં વિકાસલક્ષી પરિયોજનાઓ અને ખાસ કરીને મહિલાઓ પર ખરાબ અસર પડશે.

    આની પહેલા આઈએમએફે પણ ફાળો આપવાનું બંધ કર્યું હતું. બાઇડન પ્રશાસને પણ અફઘાનિસ્તાનમાં સેન્ટ્રલ બૅન્કની સંપત્તિઓને જબ્ત કરી હતી.

    વિશ્વ બૅન્કના એક પ્રવક્તાએ બીબીસીને કહ્યું, ''અમે અફઘાનિસ્તાનમાં પોતાના ઑપરેશન માટે ફંડ પર રોક લગાવી દીધી છે. અમે અફઘાનિસ્તાનની હાલની પરિસ્થિતિ પર પોતાની આંતરિક નીતિઓ અને પ્રક્રિયા મુજબ નજર રાખીએ છીએ. અમે અમારા સહયોગીઓ સાથે અફઘાનિસ્તાનના લોકોની મદદ કરવાનું ચાલુ રાખશું જેથી કોઈ રસ્તો કાઢી શકાય.''

    શુક્રવારે વિશ્વ બૅન્કે કહ્યું હતું કે કાબુલથી તેના સ્ટાફને સુરક્ષિત પાકિસ્તાન મોકલવામાં આવ્યો છે. વિશ્વ બૅન્કનો આ નિર્ણય અફઘાનિસ્તાનની નવી સરકાર માટે મોટો આંચકો છે.ગત અઠવાડિયે આઈએમએફે પણ ધીરાણ ચાલુ રાખવા પર રોક લગાવી હતી.

  16. GSEB Repeater Result 2021: માત્ર 10.04 ટકા પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ

    જીએસઈબી એસએસસી રિપીટર અને પ્રાઇવેટ કૅન્ડિડેટ્સની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.

    કુલ 3.26 લાખ પરીક્ષાર્થીઓએ ગુજરાતમાં દસમાની રિપીટર પરિક્ષા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જેમાંથી 10.04 ટકા પરિક્ષાર્થીઓ જ પાસ થયા છે.

    પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર પરીક્ષાર્થીઓમાં 12.75 ટકા વિદ્યાર્થીનીઓ અને પરીક્ષામાં પાસ થનાર વિદ્યાર્થીઓની ટકાવારી 8.77 ટકા રહી છે.

    ગુજરાત સેકેન્ડરી ઍન્ડ હાયર સેકેન્ડરી એજ્યુકેશન બોર્ડ, જીએસઈબીએ 2021ની જીએસઈબી રિપીટર પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. આ લિંક પર ક્લિક કરીને પરિણામ જોઈ શકાય છે.

    આ પરીક્ષા જુલાઈ 2021માં યોજાઈ હતી.

  17. મહારાષ્ટ્ર: નારાયણ રાણેને ધરપકડ બાદ જામીન

    કેન્દ્રીય મંત્રી અને દિગ્ગજ ભાજપ નેતા નારાયણ રાણેએ મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે પર કરેલી ટિપ્પણીનો વિવાદ એટલો વકરી ગયો છે કે વાત નારાયણ રાણેની ધરપકડ સુધી પહોંચી ગઈ હતી અને એ પછી કલાકમાં એમને જામીન આપી દેવામાં આવ્યા હતા.

    મંગળવારે સમાચાર સંસ્થા પીટીઆઈએ કહ્યું હતું કે નારાયણ રાણેની ધરપકડ કરવામાં આવી હતી.

  18. 2020 સમર પૅરાલિમ્પિકમાં ગુજરાતનાં બૅડમિન્ટન ખેલાડી પારુલ પરમાર ભારતનું પ્રતિનિધિત્વ કરશે

    ઉંમર અને શારીરિક વિષમતાઓને પાર કરીને ભારતનાં પારુલ દલસુખભાઈ પરમાર પૅરાબેડમિન્ટનના વર્લ્ડ સર્વિસ એસએલ3 (વુમન્સ સિંગલ સ્ટેન્ડિંગ) કૅટેગરીમાં છેલ્લા એક દાયકાથી પ્રથમ ક્રમાંકે છે. તેઓ આ રમતમાં એક રીતે પ્રભુત્વ ધરાવે છે.

    બીજા વ્યવસાયમાં કામ કરતાં લોકોની સરખામણીમાં ખેલાડીઓ વહેલા નિવૃત્ત થઈ જતાં હોય છે. એવા ગણ્યા-ગાંઠ્યા ખેલાડીઓ છે, જેઓ 40 વર્ષની ઉંમરે પહોંચ્યા બાદ પણ મેદાનમાં ઍક્ટિવ હોય છે.

    આ સ્થિતિમાં પારુલ દલસુખભાઈ પરમાર કોઈ સુપરવુમનથી કમ નથી. 47 વર્ષનાં બૅડમિન્ટન ચૅમ્પિયન પારુલ પરમાર 2020 સમર પૅરાલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાં જઈ રહ્યાં છે.

  19. 2020 સમર પૅરાલિમ્પિક ગેઇમ્સમાં અફઘાનિસ્તાનના ખેલાડીઓ ન પહોંચ્યા પણ ધ્વજનો સમાવેશ કરાયો

    જાપાનની રાજધાની ટોક્યોમાં મંગળવારે પૅરાલિમ્પિક્સ રમતોત્સવનો ભવ્ય આરંભ થયો.

    ટોક્યો 2020ના સંચાલકોએ પૅરાલિમ્પિક ગેઇમ્સના ઉદ્ઘાટનના અવસરે કહ્યું, "પૅરાલિમ્પિક ઍથ્લીટ્સ સમજે છે કે પવન કોઈ પણ દિશામાં વહેતો હોય પરંતુ તેની શક્તિનો કેવી રીતે ઉપયોગ કરવો. પોતાના સાહસથકી અને પાંખો ફેલાવીને તેઓ ઘણી ઊંચાઈએ પહોંચી શકે છે."

    કોરોના મહામારીને કારણે પોતાની નિર્ધારિત તારીખથી 364 દિવસ પછી યોજાઈ રહેલા આ રમતોત્સવનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો.

    162 દેશોની પૅરાલિમ્પિક કમિટીના 4,400 ઍથ્લીટ્સ આ રમતોત્સવમાં 22 રમતોની 539 મેડલ ઇવેન્ટમાં ભાગ લેશે.

    ટોક્યો પહેલું શહેર છે જ્યાં બીજી વખત સમર પૅરાલિમ્પિક્સનું આયોજન થઈ રહ્યું છે, આની પહેલાં 1964 માં આ રમતોત્સવ ટોક્યોમાં યોજાયો હતો.

    અફઘાનિસ્તાનના પૅરાથ્લીટ્સ આ રમતોત્સવમાં ભાગ નથી લઈ શક્યા પરંતુ અફઘાનિસ્તાનના ધ્વજનો ઉદ્ઘાટન સમારોહમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.

    અફઘાનિસ્તાનના બે પૅરાથ્લીટ્સ દેશમાં ફેલાયેલી અસ્થિરતાને કારણે રમતોત્સવમાં ભાગ લેવા ટોક્યો નથી પહોંચી શક્યા.

  20. તાલિબાનનો આરોપ - 'અમેરિકા ભણેલા અને દક્ષ લોકોને લઈ જઈ રહ્યું છે'

    તાલિબાનના હાથમાં અફઘાનિસ્તાનની સત્તા આવ્યા બાદ કેટલાક અફઘાન લોકો દેશ છોડી જવા માગે છે.

    ઝબુઉલ્લાહ મુજાહિદે કહ્યું કે અમેરિકા ભણેલા અને દક્ષ અફઘાન લોકોને અહીંથી લઈ જવાનું બંધ કરે.

    તેમણે એમ પણ કહ્યું કે 31 ઑગસ્ટ પછી અફઘાનિસ્તાનથી કોઈને ઍરલિફ્ટ નહીં કરી શકાય.

    મુજાહિદે કહ્યું,''અમેરિકા દક્ષ અફઘાન લોકોને લઈ જાય છે, જેમકે એન્જિનિયર અહીંયા નથી બચ્યા. તેમની પાસે વિમાન છે, તેમની પાસે ઍરપૉર્ટ છે અને તેમણે પોતાના નાગરિકો સાથે કૉન્ટ્રૅક્ટરોને અહીંથી લઈ જવા જોઈએ.''

    મુજાહિદે કહ્યું કે અફઘાન સરકારમનાં મહિલાકર્મીઓએ સુરક્ષાની સ્થિતિ સુધારે ત્યાં ઘરમાં જ રહેવું જોઈએ.

    તાલિબાને 31 ઑગસ્ટની ડેડલાઇનને નહીં લંબાવવાની ધમકી આપ્યા પછી અમેરિકાએ કાબુલથી લોકોને કાઢવાનું કામ ઝડપી કરી નાખ્યું છે.

    અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને ટ્વીટ કરીને કહ્યું છે કે 14 ઑગસ્ટ સુધી પોતાના 70,700 લોકોને અફઘાનિસ્તાનથી કાઢવામાં આવ્યા છે.

    અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું છે કે 31 ઑગસ્ટની ડેડલાઇન મુજબ જ લોકોને કાઢવાનું કામ ચાલી રહ્યું છે. જોકે નેટોના કેટલાક સહયોગી દેશોએ પહેલાં 31 ઑગસ્ટની ડેડલાઇન લંબાવાની માગ કરી હતી.