રનિલ વિક્રમસિંઘે બન્યા શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ, 134 સાંસદોનું મળ્યું સમર્થન

રનિલ વિક્રમસિંઘે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રનિલ વિક્રમસિંઘે

રનિલ વિક્રમસિંઘ શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ ચૂંટાયા છે. પ્રદર્શનકારીઓની નારાજગી છતાં વિક્રમસિંઘેને નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા છે.

આ પહેલાં રાષ્ટ્રપતિ માટે બુધવારે શ્રીલંકામાં ત્રિપાંખીયો જંગ ખેલાયો હતો, જેમાં કાર્યવાહક રાષ્ટ્રપતિ રનિલ વિક્રમસિંઘે ઉપરાંત દલસ અલાપેરુમા અને વામપંથી નેશનસ પીપલ્સ પાવર પાર્ટીના અનુરા કુમારા દિસાનાયકે મેદાનમાં હતા.

દેશને આર્થિક સંકટમાંથી બહાર કાઢવાનો અને છેલ્લા કેટલાય મહિનાથી ચાલી રહેલા વિરોધપ્રદર્શનનો ખતમ કરીને કાયદાનું શાસન સ્થાપિત કરવાના પડકારો છે.

રનિલ વિક્રિમસંઘેએ શાસકપક્ષના જ અસંતુષ્ટ સાંસદ દલસ અલાપેરુમાને પરાજય આપ્યો છે. દલસને વિપક્ષે ટેકો આપ્યો હતો.

નવા રાષ્ટ્રપતિનો કાર્યકાળ નવેમ્બર 2024માં પૂરો થશે. અર્થાત નવા રાષ્ટ્રપતિ તરીકે રનિલ ગોટાબાયા રાજપક્ષેનો બચેલો કાર્યકાળ પૂરો કરશે.

આજે યોજાનારા મતદાનમાં કુલ 225 સાંસદ વોટ આપ્યા હતા અને કોઈ પણ ઉમેદવારને જીતવા માટે 50 ટકાથી વધુ વોટની જરૂર હતી.

line

રનિલ વિક્રમસિંઘે છ વખત બની ચૂક્યા છે શ્રીલંકાના પીએમ

રનિલ વિક્રમસિંઘે

ઇમેજ સ્રોત, Getty Images

રનિલનો જન્મ 24 માર્ચ, 1949ના રોજ એસ્મન્ડ વિક્રમસિંઘે અને નલિની વિક્રમસિંઘેને ત્યાં થયો હતો. તેમણે કોલંબોની રૉયલ કૉલેજમાં સ્નાતક અને કોલંબો યુનિવર્સિટીમાં અનુસ્નાતક સુધીનો અભ્યાસ કર્યો હતો.

તેમણે પોતાની કારકિર્દી વકીલ તરીકે શરૂ કરી અને પછી રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.

રનિલ વિક્રમસિંઘેએ પોતાના રાજકીય જીવનની શરૂઆત ગમ્પાહા જિલ્લામાંથી કરી હતી.

1970માં તેમને યુનાઈટેડ નેશનલ પાર્ટીના કેલાનિયા મતવિસ્તારના મુખ્ય આયોજક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને તેમને બિયાગામા મતવિસ્તારના મુખ્ય આયોજક બનાવવામાં આવ્યા હતા.

તેમને બિયાગામાથી સંસદીય બેઠક મળી અને જેઆર જયવર્દનેની સરકારમાં યુવામંત્રી બનાવવામાં આવ્યા હતા. તેમનો પ્રથમ પોર્ટફોલિયો યુવા બાબતો અને રોજગારનો હતો.

પછી તેઓ યુનાઈટેડ નેશનલ પાર્ટીના અગ્રણી નેતા તરીકે પ્રગતિ કરતા ગયા.

1 મે, 1993ના રોજ શ્રીલંકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રણસિંઘે પ્રેમદાસાનું એલટીટીઈના એક આત્મઘાતી બૉમ્બહુમલામાં મૃત્યુ થયું હતું. ત્યાર બાદ ડીબી વિજેતુંગાની વચગાળાની સરકાર બની હતી, જેમાં રનિલને વડા પ્રધાન બનાવવામાં આવ્યા.

ત્યાર બાદ 2001માં તેઓ બીજી વખત વડા પ્રધાન બન્યા હતા.

જાન્યુઆરી 2015માં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રનિલ-મૈત્રીપાલ ગઠબંધનની સફળતા બાદ રનિલ ત્રીજી વાર વડા પ્રધાન બન્યા હતા.

તે જ વર્ષે સંસદ ભંગ કરવામાં આવી હતી અને ફરી ચૂંટણી યોજાઈ હતી, ત્યારે પણ રનિલ જીતી ગયા અને ફરીથી વડા પ્રધાન બન્યા હતા.

'ગૂડ ગવર્નન્સ' તરીકે ઓળખાતા 2015-2019ના સમયગાળા દરમિયાન રાજકીય અસમંજસની પરિસ્થિતિને પગલે તત્કાલીન રાષ્ટ્રપતિ મૈત્રીપાલ સિરિસેનાએ પોતાની સત્તાનો ઉપયોગ કરીને રનિલ વિક્રમસિંઘેને બદલીને મહિંદા રાજપક્ષેને વડા પ્રધાન બનાવ્યા હતા.

જોકે હાઈકોર્ટના ચુકાદાના આધારે તેમને ફરીથી પાંચમી વખત વડા પ્રધાન બનાવવામાં આવ્યા હતા.

2019માં જ્યારે ગોટાબાયા રાજપક્ષે રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા ત્યારે રનિલ વડા પ્રધાનપદ પરથી હટી ગયા હતા. ગોટાબાયાની સરકારમાં યોજાયેલી ચૂંટણીમાં તેમને અભૂતપૂર્વ હારનો સામનો કરવો પડ્યો હતો.

જોકે તેમની પાર્ટીને રાષ્ટ્રીય યાદી દ્વારા એક સંસદીય બેઠક મળી હતી. એ બેઠક પરથી રનિલ સંસદમાં ગયા હતા.

છેલ્લા કેટલાક મહિનાઓથી શ્રીલંકાની અર્થવ્યવસ્થા સતત કથળતી ગઈ અને હવે જ્યારે સામાજિક-રાજકીય કટોકટીનો માહોલ સર્જાયો છે, ત્યારે રનિલને ફરીથી છઠ્ઠી વખત વડા પ્રધાન બનાવવામાં આવ્યા હતા.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન