CAA-NRC : ભાજપે નાગરિકતા કાયદાને લઈને અભિયાન કેમ ચલાવવું પડ્યું?

વિજય રુપાણીની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

નાગરિકતા સંશોધન કાયદો-એનઆરસીને લઈને દેશમાં વિરોધ-સમર્થનનો દોર ચાલી રહ્યો છે. દરમિયાન ભાજપે અભિયાન આદર્યું છે, જે હેઠળ તેઓ સભા-રેલીઓને કરીને લોકોને આ કાયદાના ફાયદા ગણાવશે.

આજે ગુજરાતના વિવિધ શહેરોમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિતના નેતાઓની સભાઓ યોજાનાર છે.

ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ ભાજપ આ અભિયાન ચલાવી રહ્યું છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર સીએએના સમર્થનમાં એક અભિયાનની શરૂઆત કરાવી છે.

વડા પ્રધાને ટ્વિટર પર લખ્યું કે 'ભારત CAAનું સમર્થન કરે છે, કેમ કે CAA ઉત્પીડનનો શિકાર થયેલા શરણાર્થીઓને નાગરિકત્વ આપવા સાથે જોડાયેલો છે.'

'આ કોઈની નાગરિકતા છીનવવા મામલે નથી. નરેન્દ્ર મોદીએ લોકોને કહ્યું કે તેઓ NaMo App પર મોજૂદ સામગ્રી, ગ્રાફિક્સ અને વીડિયો શૅર કરે અને પોતાનું સમર્થન દર્શાવે.'

અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના રામલીલા મેદાનમાં નાગરિકતા સંશોધન અને એનઆરસીનો ઉલ્લેખ કરીને વિપક્ષ પર આ મામલે ગુમરાહ કરવાનો આરોપ મૂક્યો હતો.

તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ન્યૂઝ એજન્સી એએનઆઈને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે એનપીઆર અને એનઆરસીને એકબીજા સાથે કોઈ સંબંધ નથી. એનઆરસી અને એનપીઆરને લઈને લોકો વચ્ચે ભ્રમ ફેલાવાઈ રહ્યો છે.

ભાજપ દ્વારા નાગરિકતા સંશોધન અને એનઆરસી મામલે અભિયાન ચલાવવાની અને 250થી વધુ સ્થળોએ પત્રકારપરિષદ યોજવાની જાહેરાત કરાઈ છે.

line

નાગરિકતા કાયદાને લઈને ભાજપનું અભિયાન

જે. પી. નડ્ડા

ઇમેજ સ્રોત, Getty Images

ભાજપના નેતા જે. પી. નડ્ડાએ નાગરિકતાના સમર્થન હેઠળના અભિયાનની શરૂઆત મમતા બેનરજીના પશ્ચિમ બંગાળથી કરી હતી.

ગુજરાતમાં પણ મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં યોજાયેલી રેલીને સંબોધી હતી.

તેમણે પણ નાગરિકતા કાયદા મામલે લોકોને ભ્રમમાં નાખવાનો કૉંગ્રેસ પર આરોપ મૂક્યો હતો.

તો શું ભાજપ આવું અભિયાન ચલાવીને લોકોને સમજાવી શકશે કે તેમનું સમર્થન મેળવી શકશે?

બીબીસી સંવાદદાતા બ્રજેશ મિશ્ર સાથેની વાતચીતમાં વરિષ્ઠ પત્રકાર નીરજા ચૌધરી જણાવે છે કે ભાજપથી ભૂલ થઈ ગઈ છે. જો તેમણે અગાઉથી જ અભિયાન ચલાવ્યું હોત તો કદાય લોકો સુધી પોતાનો સંદેશ પહોંચાડી શકત. અન્ય પક્ષોને મનાવી શકત અને વિરોધ આ હદે વધ્યો ન હોત.

તેઓ એમ પણ કહે છે કે વિપક્ષને પણ અંદાજ નહોતો કે દેશના યુવાનો અને મુસલમાનો આ રીતે રસ્તે ઊતરીને વિરોધ કરશે. અને સરકાર પણ તેને કળી ન શકી.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

તો વરિષ્ઠ પત્રકાર અજય ઉમટ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવે છે કે સમર્થન કરનારા અને વિરોધ કરનારા કયા મુદ્દે વિરોધ અને સમર્થન કરે છે એ પણ મોટા ભાગે ખ્યાલ નથી. આ મામલે એક મોટો કૉમ્યુનિકેશન ગૅપ પ્રવર્તે છે.

તેઓ કહે છે, "મોટા ભાગના આંદોલનકારીઓ આ કાયદાની જોગવાઈથી કદાચ પરિચિત પણ નથી કે આ નાગરિકતા આપવાનો છે કે ખૂંચવવાનો છે. આવા સંજોગોમાં ભાજપ આ કૉમ્યુનિકેશન ગૅપ ઘટાડવાનું અભિયાન જો છેડે તો એ એક સારી વાત છે."

ઉમટ આ મામલે સામાજિક તાણાવાણાને જોડતાં ઉમેરે છે, "પણ તકેદારી એ રાખવી જોઈએ કે આ સમગ્ર પ્રક્રિયામાં સામાજિક અને રાજકીય ધ્રુવીકરણ ન થાય."

"આપણે આજે જે સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ એ જોતાં સામાજિક તાણાવાણા છિન્નભિન્ન ન થાય એ એક જાગૃત પ્રહરી તરીકે જોવાની આપણી અને બધાની ફરજ છે. આથી ભાજપે પણ એ મુદ્દે સચેત રહેવું જોઈએ."

line

'ભાજપનો મુખ્ય મુદ્દાઓ પરથી ધ્યાન હઠાવવાનો પ્રયાસ'

પોલીસને ફૂલ આપતી યુવતી

ઇમેજ સ્રોત, PTI

અગાઉ ભાજપના જનરલ સેક્રેટરી ભૂપેન્દ્ર યાદવે પત્રકારપરિષદમાં કહ્યું હતું, "આંદોલનમાં થયેલી હિંસા માટે કૉંગ્રેસ જવાબદાર છે."

"કૉંગ્રેસ અને અન્ય વિરોધી પક્ષો દ્વારા અફવા અને ભ્રમની રાજનીતિ કરાઈ રહી છે."

પત્રકારપરિષદમાં તેમણે કહ્યું હતું, "એનઆરસી મામલે જે ભ્રમ ફેલાવવામાં આવ્યો છે એ દૂર કરવામાં આવશે અને આ માટે ભાજપ અભિયાન ચલાવશે."

"આગામી દસ દિવસ સુધી ભાજપ અભિયાન ચલાવશે અને 250થી વધારે સ્થળોએ પત્રકારપરિષદ યોજશે."

તેમણે એવું પણ જણાવ્યું હતું કે "ભાજપ ત્રણ કરોડથી વધારે લોકોનો સંપર્ક કરીને સીએએના સમર્થમાં જનમત એકઠો કરશે."

તો ગુજરાત કૉંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી ભાજપ પર આરોપ લગાવતાં કહે છે કે દેશમાં વધતી મોંઘવારી, બેરોજગારી, મહિલા પરના અત્યાચારને રોકવામાં નિષ્ફળ ભાજપ સરકાર મૂળ મુદ્દાઓથી ધ્યાન ભટકાવવા માટે આ પ્રકારનું ધર્મ આધારિત વિભાજન ઊભું કરવા જઈ રહી છે. પોતાની સત્તા ટકાવવા માટે દેશને નુકસાની તરફ લઈ જઈ રહી છે.

ભાજપને અગાઉનાં ચૂંટણીવચનો યાદ અપાવતાં મનીષ દોશી કહે છે, "ભાજપ સરકાર વર્ષ 2014માં જે વચનો આપીને સત્તામાં આવી હતી એને પૂરાં કરવાં જોઈએ."

"નોટબંધી અને જીએસટીને લીધે લોકોને નુકસાન થયું, દર વર્ષે બે કરોડ લોકોને રોજગારી આપવાની વાત થઈ હતી, ખેડૂતોની આવક બમણી કરવાની વાત થઈ હતી- આ બધા મુદ્દાઓ પર વાત કરે તો એ દેશ માટે સારું ગણાશે."

ભાજપ ધર્મ આધારિત વિભાજન કરીને દેશની એકતા અને અંખડિતતાને સૌથી મોટું નુકસાન કરી રહ્યો હોવાનો તેઓ આરોપ પણ મૂકે છે.

તેમણે એમ પણ કહ્યું કે નાગરિકતા કાયદાને લઈને કૉંગ્રેસ વિરોધ કરી રહી છે અને આગામી દિવસોમાં પણ કૉંગ્રેસ બંધારણ બચાવોના નારા સાથે આગળ વધશે.

line

'બંધારણને આધારે કાયદો લવાયો'

વિરોધ કરતી યુવતીઓ

ઇમેજ સ્રોત, PTI

બીબીસી સંવાદદાતા બ્રજેશ મિશ્ર સાથેની વાતચીતમાં ભાજપના રાજ્યસભાના સાંસદ રાકેશ સિન્હા કહે છે, "નાગરિકતા સંશોધન કાયદો ભારતના બંધારણને આધારે લવાયો છે."

"જેવી રીતે અમે પારસી અને યહૂદીઓને ભારતની નાગરિકતા આપી એવી જ રીતે અન્ય ધર્મના લોકોને પણ નાગરિકતા અપાઈ રહી છે."

"પણ દેશના કેટલાક વિપક્ષો અને બહાર બેસેલા લોકો આ કાયદાને લઈને ભ્રમ ફેલાવી રહ્યા છે કે આ કાયદો ભારતના મુસલમાનો સાથે ભેદભાવ કરે છે. અને એટલું જુઠ્ઠું બોલ્યા કે એ સમુદાયને લાગ્યું કે તેમની સાથે ભેદભાવ થઈ રહ્યો છે."

વિરોધ કરતાં લોકો

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી સંવાદદાતા બ્રજેશ મિશ્ર સાથેની વાતચીતમાં વરિષ્ઠ પત્રકાર રાધિકા રામસેશનનું જણાવે છે કે વિરોધપ્રદર્શન દરમિયાન મંત્રીઓ અને ભાજપના પ્રવક્તાઓ તરફથી આવેલાં નિવેદનોથી ભ્રમ પેદા થયો અને લોકોને ગુસ્સો ભડક્યો. પરંતુ હવે ભાજપને અહેસાસ થયો છે. આથી તે અભિયાન ચલાવે છે, પરંતુ હવે ઘણું મોડું થઈ ગયું છે.

ઉલ્લેખનીય છે કે કેરળ સીએએના વિરોધમાં પ્રસ્તાવ પાસ કરાવનાર પહેલું રાજ્ય બન્યું છે.

કેરળના મુખ્ય મંત્રી વિજયને નાગરિકતા સંશોધન કાયદો (સીએએ) રદ કરવાની માગ સાથે વિધાનસભામાં પ્રસ્તાવ રજૂ કરતાં કહ્યું કે "આ કાયદો બંધારણીય આધારભૂત મૂલ્યો અને સિદ્ધાંતોની વિરુદ્ધમાં છે."

અગાઉ પશ્ચિમ બંગાળ સહિત કેટલાંક બિનભાજપશાસિત રાજ્યોએ એલાન કર્યું હતું કે તેઓ સીએએનું પાલન નહીં કરે.

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો