અમિત શાહને 'અફઝલ ખાન' કહેનારા ઉદ્ધવ ઠાકરે અમદાવાદ રોડ-શૉમાં કેમ હાજર રહ્યા?

ભાજપના કાર્યકરની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કાનપુરમાં મોદીની રેલી દરમિયાન એક કાર્યકર
    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ભાજપના અધ્યક્ષ અમિત શાહ શનિવારે ઉમેદવારી કરવા પહોંચ્યા તે પહેલાં યોજાયેલી રેલીમાં એનડીએના શિવસેનાના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે, શિરોમણિ અકાલીદળના પ્રકાશસિંઘ બાદલ, લોક જનશક્તિ પાર્ટીના રામવિલાસ પાસવાન હાજર રહ્યા.

ઉપરાંત વિરોધી કૅમ્પના મનાતા કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી અને ગૃહપ્રધાન રાજનાથસિંહ, ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, ગુજરાત ભાજપના પ્રભારી ઓમ માથુર, ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી પણ હાજર રહ્યા.

જેમાં શાહને 'અફઝલ ખાન' કહેનારા ઉદ્ધવ ઠાકરે પણ સામેલ થયા હતા, જેમના ભાષણ દરમિયાન મોદી-મોદીના નારા લાગ્યા હતા.

એનડીએ અને ભાજપના દિગ્ગજ નેતાઓની હાજરીમાં ઉમેદવારી કરીને ભાજપના અધ્યક્ષ શાહ કાર્યકર્તાઓ, જનતા તથા વિપક્ષને સંદેશ આપવા ચાહે છે.

ગુજરાતમાં ચોથી એપ્રિલ સુધી ઉમેદવારી કરી શકાશે અને તા. 23મી એપ્રિલે મતદાન થશે.

line

ઠાકરેની હાજરીમાં મોદી-મોદીના નારા

બદલો Facebook કન્ટેન્ટ

આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી

Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.

Facebook કન્ટેન્ટ પૂર્ણ

શિવસેનાના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે પહોંચ્યા ત્યારે અમિત શાહે મંચ ઉપરથી આગળ આવીને તેમને ઉષ્માભેર ગળે મળ્યા હતા.

પોતાના સંબોધનમાં ઠાકરેએ કહ્યું, "હું અહીં આવ્યો એટલે કેટલાયને પેટમાં ચૂક ઊપડી છે. શાહ મારા ઘરે આવ્યા, ત્યારે અમારી વચ્ચે ખુલ્લા મને વાતચીત થઈ."

"હવે અમારી વચ્ચે કોઈ મતભેદ નથી રહ્યા અને તમામ વિવાદ સમાપ્ત કરી દીધા છે."

"હિંદુત્વ અને રાષ્ટ્રીયતા મુદ્દે બંને પક્ષ એક છીએ. અમારા દિલ મળ્યા છે, જ્યારે વિપક્ષના માત્ર હાથ મળ્યા છે."

"ગાંધીનગર અને ગુજરાતની જનતાને અપીલ કરીશ કે રૅકૉર્ડ લીડ સાથે શાહને વિજયી બનાવો."

"25 વર્ષ પહેલાં ભાજપ અને શિવસેના રાજકીય રીતે અછૂત હતા, પરંતુ હવે દિલ્હીમાં ભગવો લહેરાયો છે. દિલથી આવ્યો છું."

"ઠાકરેના ભાષણ વખતે 'મોદી-મોદી'ના નારા લાગ્યા હતા. ત્યારે ઠાકરેએ કહ્યું કે વિપક્ષને કહો કે અમારી જેમ એક મંચ ઉપર આવી દેખાડે."

"અહીં એક નામના નારા લાગી રહ્યા છે, પણ તેમની રેલીમાં કોના નારા લાગશે? અમિત શાહ તમે આગળ વધો અમે તમારી સાથે છીએ."

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

'અફઝલ ખાન' સાથે ઠાકરે

ઠાકરે તથા શાહની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભાજપ તથા શિવસેનાએ મહારાષ્ટ્ર વિધાનસભા માટે પણ યુતિ કરી છે

2014માં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી વખતે ભાજપે શિવસેનાને વધુ બેઠકો આપવાનો ઇન્કાર કરી દીધો, જેના કારણે ગઠબંધન તૂટી ગયું.

તુલજાપુર ખાતે એક જાહેરસભાને સંબોધિત કરતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું, 'મત માટે મોદીની કૅબિનેટ મહારાષ્ટ્રમાં ફરી રહી છે. તેઓ અફઝલ ખાનની ફોજ જેમ મહારાષ્ટ્ર જીતવા માગે છે.'

તા. 23મી જાન્યુઆરીના શિવસેનાના મુખપત્ર 'સામના'માં ફરી એક વખત 'અફઝલ ખાન' શબ્દનો પ્રયોગ થયો અને ભાજપનો આડકતરો ઉલ્લેખ કરતા કહેવાયું કે 'શિવસેનાને નાબુદ કરી દેવા અનેક અફઝલ ખાન આવ્યા અને ઊંધે માથે પટકાઈ ગયા.'

અફઝલ ખાન 'આદિલ શાહી વંશ'ના લડવૈયા હતા, જેમણે મરાઠા યૌદ્ધા શિવાજી સાથે યુદ્ધ કર્યું હતું.

આ સિવાય શિવસેનાએ 'ભાજપ કુંભકર્ણ છે', 'ચોકીદાર ચોર છે', 'મુખ્ય પ્રધાન જુમલેબાજ છે' અને 'ભાજપ કિસ કરે તો ગઠબંધન નહીં થાય' જેવાં નિવેદનો કર્યાં હતાં.

સામે પક્ષે અમિત શાહે સેનાની સરખામણી ઉંદર સાથે કરી હતી અને ઠાકરે સામે ઉગ્ર વલણ અખત્યાર કર્યું હતું, જેના જવાબમાં શિવસેનાએ શાહનો ઉલ્લેખ 'અફઝલ ખાન' તરીકે કર્યો હતો.

શિવસેનાના વરિષ્ઠ નેતા નીલમ ગોરહેના કહેવા પ્રમાણે, "ઉમેદવારી સમયે હાજર રહીને ઠાકરે ગઠબંધનનો ધર્મ નિભાવી રહ્યા છે."

"ભૂતકાળમાં કેટલાક વિવાદ અને ગેરસમજણ થયાં હતાં, પરંતુ હવે તેની ઉપર ધ્યાન દેવાની જરૂર નથી."

line

શાહની ધાક અને નબળાઈ

શાહ અને મોદીની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 'શાહ-મોદીનું ભવિષ્ય એકીજા સાથે જોડાયેલું'

લગભગ અઢી દાયકાથી ભાજપ વિશે રિપોર્ટિંગ કરતાં વરિષ્ઠ પત્રકાર શબા નક્વીના કહેવા પ્રમાણે :

"1980માં બનેલી ભારતીય જનતા પાર્ટીના પ્રથમ અધ્યક્ષ અટલ બિહારી વાજપેયી સહિત તમામ નેતાઓ સાથે મારી મુલાકાત થઈ છે, પરંતુ શાહની કામ કરવાની રીત ભાજપના પહેલાંના 10 અધ્યક્ષ કરતાં અલગ છે."

"વાજપેયી અને અડવાણીનું કાર્યકર્તાઓએ અલગ રીતે સન્માન કર્યું, પણ ક્યારેય એમનાથી ડર્યા નથી.."

"લોકો શાહથી ડરે છે અને આખાબોલી મનાતી ભાજપ પાર્ટી આજે સંગઠિત છે અને પોતાના અધ્યક્ષના ચીંધેલા માર્ગે જ ચાલે છે. અત્યારે જો કોઈ અસંતોષ કે મતભેદ છે તો તે જાહેરમાં નથી."

શાહ-મોદીના સંબંધો અંગે નક્વી કહે છે, "શાહ જનનેતા હોવાની મહત્વાકાંક્ષા ધરાવે છે, પણ એમની ખરી તાકાત નરેન્દ્ર મોદીની એમના પરની નિર્ભરતા છે."

"આ બન્નેનું ભાગ્ય એકબીજા સાથે સંકળાયેલું છે. એકબીજા વગર તેઓ અધૂરા છે."

line

એનડીએમાં એકતા

પ્રકાશસિંઘ બાદલ તથા શાહની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, એનડીએના ખૂબ વરિષ્ઠ નેતાઓમાંથી એક પ્રકાશસિંઘ બાદલ સાથે અમિત શાહ (ફાઇલ)

ભાજપના પ્રવક્તા પ્રેમ શુક્લાના કહેવા પ્રમાણે, "ભાજપ તથા શિવસેના વચ્ચે 'મતભેદ રહ્યા છે, પરંતુ મનભેદ નથી થયા. વિધાનસભામાં અલગ-અલગ ચૂંટણી લડ્યાં, ત્યારે પણ કેન્દ્રમાં સાથેસાથે હતાં."

"સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અલગ-અલગ લડ્યાં, પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકારમાં સાથે હતાં."

"મહારાષ્ટ્ર, બિહાર સહિત અન્ય રાજ્યોમાં એનડીએના ઘટકદળો વચ્ચે બેઠકોની વહેંચણી થઈ ગઈ છે."

"બીજી બાજુ, 350 એવી બેઠકો છે કે જ્યાં મહાગઠબંધનના ઘટકદળો જ અંદરોઅંદર એકબીજા સામે ચૂંટણી લડશે."

શુક્લા ઉમેરે છે કે હિંદુત્વના મુદ્દે બંને પક્ષો એક છે.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

વરિષ્ઠ પત્રકાર મૃણાલિની નાણિવડેકરે બીબીસી મરાઠી સાથે વાત કરતા જણાવ્યું, "જો ઓછી બેઠકો આવે તો? એની વ્યૂહરચનાના ભાગરૂપ છેલ્લા બે-ત્રણ મહિનાથી ભાજપ આયોજન કરી રહ્યો હતો."

"એટલે જ શિવસેનાએ અનેક વખત મર્યાદા બહારની ટિપ્પણી કરી હોવા છતાંય લોકસભા ઉપરાંત વિધાસનભા માટે ગઠબંધનને આખરી ઓપ આપી દેવાયો છે."

ઠાકરે ઉપરાંત શિરોમણિ અકાલીદળના પ્રકાશસિંઘ બાદલ પણ તેમની સાથે હશે.

લગભગ ત્રણ દાયકાથી પંજાબના રાજકારણ ઉપર નજર રાખનાર વરિષ્ઠ પત્રકાર જગતારસિંઘના કહેવા પ્રમાણે :

"સમયાંતરે ભાજપ પર લઘુમતી સમુદાય વિરુદ્ધ હોવાના આરોપ લાગતા રહે છે."

"જો પાંચ વખતના લઘુમતી શીખ મુખ્ય પ્રધાન બાદલ ઉમેદવારી વખતે હાજર રહે એટલે એનડીએમાં શાહની સ્વીકાર્યતાને અનુમોદન મળશે."

લોક જનશક્તિ પાર્ટીના સુપ્રીમો રામવિલાસ પાસવાન પણ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગુજરાત પહોંચ્યા હતા.

પત્રકારો સાથે વાત કરતા ગુજરાતના મુખ્ય પ્રધાન રૂપાણીએ કહ્યું હતું કે 'એનડીએ એક છે એવો સંદેશ આપોઆપ જનતાને મળે છે.'

લાઇન
લાઇન

સ્થાન અને સ્થળનું ચક્ર

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

54 વર્ષીય શાહનો જન્મ વર્ષ 1964માં મુંબઈ ખાતે થયો હતો, જોકે તેમનો ઉછેર ગુજરાતના માણસામાં થયો હતો.

16 વર્ષની ઉંમરે શાહ પરિવાર અમદાવાદ આવી ગયો, અહીં શાહ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ તરફ આકર્ષાયા.

અહીંથી તેઓ સંઘની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને બાદમાં રાજકીય પાંખ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા.

21 વર્ષની ઉંમરે નારણપુરા વૉર્ડના પોલિંગ એજન્ટ તરીકે શાહને ભાજપમાં પહેલી મહત્ત્વપૂર્ણ જવાબદારી મળી.

આગળ જતા તેઓ નારણપુરા બેઠક ઉપરથી ધારાસભ્ય પણ બન્યા, જે ગાંધીનગર લોકસભા મતવિસ્તાર હેઠળ પણ આવે છે.

રામ જન્મભૂમિ અભિયાન અને એકતાયાત્રા દરમિયાન શાહે તેમની સંગઠનાત્મક શક્તિનો પરિચય આપ્યો.

1991માં અડવાણીએ ગાંધીનગરની બેઠક ઉપરથી ઉમેદવારી કરી હતી, ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમની પાસે હતા અને અમિત શાહ એક સામાન્ય કાર્યકર તરીકે ઊભા હતા.

1989થી 2009 તેઓ ગાંધીનગરની બેઠક ઉપર ચૂંટણી વ્યૂહરચના ઘડવાની જવાબદારી નીભાવતા રહ્યા છે અને પાર્ટી આ બેઠક ઉપર અજય રહી છે.

ભાજપના કાર્યકર્તાની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઉત્તર પ્રદેશમાં ભાજપે એકલાહાથે 80માંથી 71 બેઠક મેળવી

2014ની લોકસભા ચૂંટણી વખતે દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં તેમને ભાજપની જવાબદારી સોંપવામાં આવી હતી, જ્યાં સૌથી વધુ 80 બેઠક છે.

રાજકીય વર્તુળોમાં એક કહેવત પ્રચલિત છે કે 'દિલ્હીની સત્તા ઉપર પહોંચવાનો રસ્તો ઉત્તર પ્રદેશ થઈને જાય છે.'

અહીં ભાજપે અત્યારસુધીનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને એકલાહાથે 80માંથી 71 બેઠકો જીતી.

ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાના કહેવા પ્રમાણે, "અમિત શાહ ચૂંટણીની વ્યૂહરચના સારી રીતે જાણે છે અને જ્યારે તેઓ ગાંધીનગરથી લડશે, એટલે કાર્યકર્તાઓ તેમજ નેતાઓની શક્તિ બમણી થઈ જશે. "

નક્વીના કહેવા પ્રમાણે, "ગુજરાતમાં શાહના સમયમાં જ એ વાત સામે આવી કે તેઓ એક ઉમદા ચૂંટણી પ્રબંધક છે."

"શાહની ખાસિયત એ હતી કે ભાજપના વિરોધીઓની સામે નાના પક્ષો અને અપક્ષ ઉમેદવારોને ઊભા કરવા, જેના પરિણામે વિપક્ષના મત ઘટી જતા હતા."

લાઇન
લાઇન

ભાજપ બાદ સરકારમાં નંબર -2?

ગડકરી, રાજનાથસિંહ તથા અમિત શાહની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

વરિષ્ઠ પત્રકાર પ્રદીપ સિંહના કહેવા પ્રમાણે, "અડવાણીની બેઠક ઉપરથી અમિત શાહનું ચૂંટણી લડવું ભાજપના એક વરિષ્ઠ નેતાનું ચૂંટણીના મેદાનમાં ઊતરવું માત્ર નથી, તેમાં સંદેશ પણ છે."

"અમિત શાહ લોકસભામાં એક સાધારણ સભ્યની જેમ લડવાના નથી. આ ચૂંટણીથી ભાજપમાં પદાનુક્રમ નક્કી થઈ રહ્યો છે."

"મોદીની સાથે જે નેતાઓની ઉંમર 60 વર્ષ કરતાં વધારે છે તેમની માટે સંદેશ છે કે પદાનુક્રમમાં હવે અમિત શાહ ઔપચારિક રૂપે નંબર બે પર હોઈ શકે છે."

"લોકસભા ચૂંટણી બાદ ભાજપની ફરીથી સરકાર બને તો એવી પ્રબળ શક્યતા છે કે અમિત શાહ દેશના ગૃહમંત્રી અને કૅબિનેટમાં બીજાક્રમે હશે."

"વર્તમાન ગૃહમંત્રી રાજનાથસિંહ માટે તે મોટો ઝટકો હશે. સંજોગની વાત એ છે કે પાર્ટી અધ્યક્ષપદ પણ અમિત શાહને રાજનાથસિંહને હટાવ્યા બાદ જ મળ્યું હતું."

હાલમાં સરકારમાં મોદી પછી રાજનાથસિંહ 'નંબર-ટુ' છે અને મોદીની ગેરહાજરીમાં તેઓ જ કૅબિનેટની બેઠકોની અધ્યક્ષતા કરે છે.

પ્રદીપ સિંહ ઉમેરે છે, "છેલ્લાં પાંચ વર્ષના રાજકીય ઘટનાક્રમ પર નજર નાખવામાં આવે તો મોદી-શાહની જોડીએ ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ત્રિપુરા, અસમ, હિમાચલ, અરુણાચલ પ્રદેશ અને હવે ગોવામાં પચાસ વર્ષ કે તેના કરતાં ઓછી ઉંમરના નેતાઓને મુખ્યમંત્રી બનાવ્યા છે."

"રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અધ્યક્ષ મોહન ભાગવતે સંઘ સહકાર્યવાહક રહીને સંઘમાં પેઢી પરિવર્તનનું કામ કર્યું હતું અને ભાજપના નેતાઓને પણ આમ કરવાની સલાહ આપી હતી."

line

'ક્લબ 160'ના ગડકરી

અમિત શાહ તથા નીતિન ગડકરીની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગડકરીની હાજરીથી પાર્ટી એક હોવાનો સંદેશ આપવા પ્રયાસ

2014ની ચૂંટણી લોકસભામાં તત્કાલીન વિપક્ષનાં નેતા સુષમા સ્વરાજ, ભાજપના તત્કાલીન અધ્યક્ષ રાજનાથસિંહ, ઉપરાંત પૂર્વ અધ્યક્ષ નીતિન ગડકરીને 'ક્લબ-160'નાં સભ્ય માનવામાં આવતાં.

પ્રદીપસિંહના કહેવા પ્રમાણે, "ત્રણેય એકબીજાને પસંદ કરતાં ન હતાં, પરંતુ મોદીનો વિરોધ કરવામાં એક હતાં."

"એક તબક્કે કોર્ટના આદેશને પગલે શાહે ગુજરાત છોડવું પડ્યું, ત્યારે તેઓ દિલ્હીમાં રહેતા. એ સમયે શાહનો કપરો કાળ ચાલી રહ્યો હતો."

"તેઓ જ્યારે ગડકરીને મળવા જતા ત્યારે ગડકરી તેમને કલાકો સુધી રાહ જોવડાવતા."

"જોકે, સમયનું પૈડું ફર્યું. ડિસેમ્બર 2014માં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનનું નામ નક્કી કરવાનું હતું અને અમિત શાહ ભાજપના અધ્યક્ષપદે હતા."

"ગડકરીને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનપદે બેસવું હતું, પરંતુ ન બેસી શક્યા. નાગપુરના જે દેવેન્દ્ર ફડણવીસને ગડકરી તેમની સામે છોકરું સમજતા હતા, તેઓ મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી બની ગયા."

મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તિસગઢમાં ભાજપના પરાજય બાદ અને લોકસભાની ચૂંટણીની જાહેરાત પહેલાં ભાજપની 'ક્લબ 160' ફરી એક વખત સક્રિય થઈ હતી, જેનું નેતૃત્વ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ લીધું હતું.

ગડકરીએ કહ્યું હતું કે 'જો પાર્ટીના કોઈ સાંસદ કે ધારાસભ્ય હારે તો તેની જવાબદારી પણ અધ્યક્ષની હોય છે.' આ સિવાય તેમણે કહ્યું હતું કે 'વચન પૂર્ણ નહીં કરનારાઓને જનતા મારે છે.'

ગડકરીના આવા નિવેદનોને આધાર બનાવીને વિપક્ષના અનેક નેતાઓએ ભાજપને ટૉન્ટ માર્યા હતા.

એટલે સ્વાભાવિક રીતે ગડકરીની હાજરીની નોંધ રાજકીય વિશ્લેષકો લે, જ્યારે પાર્ટીના કાર્યકર્તા તથા વિપક્ષમાં સંદેશ જાય કે ભાજપ એક છે.

પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી, પૂર્વ નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણી અને ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલા (હવે રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (એનસીપી)માં) ભાજપની ટિકિટ ઉપર લોકસભામાં ગાંધીનગરનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે.

23મી મેના દિવસે ગાંધીનગરની બેઠક ઉપરથી ભાજપનો વિજય થશે તો આ યાદીમાં વધુ એક નામ ઉમેરાશે, ત્યાં સુધી 'જો અને તો'ની જ ચર્ચા હશે.

લાઇન
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો