પ્રેસ રિવ્યૂ: તોગડિયાને લઈ જનાર અને મૂકી જનાર બંને વ્યક્તિઓ જુદી?

પ્રવીણ તોગડીયા

ઇમેજ સ્રોત, Getty Images

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ પ્રવીણ તોગડિયાના ગુમ થવાના ઘટનાક્રમમાં બે અલગ અલગ માણસોની માહિતી મળી છે.

ક્રાઇમ બ્રાંચની તપાસમાં ખુલાસો થયો છે કે પ્રવીણ તોગડિયાને વીએચપી કાર્યાલયેથી લઈ જનાર અને કોતરપુર મૂકી જનાર બંને વ્યક્તિઓ અલગ અલગ હતી.

108 ઍમ્બ્યુલન્સ દ્વારા તોગડીયાને હોસ્પિટલ લઈ જવાયા હતા. તેના પાયલોટે કોતરપુરથી હોસ્પિટલ સુધી લઈ જનાર વ્યક્તિનું વર્ણન કર્યું હતું.

પોલીસ કોન્સ્ટેબલ વિક્રમસિંહે પણ સવારે તોગડીયાની સાથે રીક્ષામાં ગયેલા દાઢીધારી શખ્સનું વર્ણન કર્યું હતું. આ બંને વર્ણનો પરથી વ્યક્તિઓ જુદી જુદી હોવાનું હાલ લાગી રહ્યું છે.

આખા ઘટનાક્રમમાં તોગડિયા કેમ ગુમ થયા અને કોણ કોતપુર મૂકી ગયું તેનો ખુલાસો થયો નથી.

line

ઇઝરાયલની જાસૂસી સંસ્થાનો ભારતને લાભ

મોદી અને નેતાન્યાહુ

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાત સમાચારના અહેવાલ મુજબ હવે ઇઝરાયલની જાસૂસી સંસ્થા મોસાદનો લાભ હવે ભારતને મળશે.

ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ છ દિવસની ભારતની મુલાકાતે છે ત્યારે ગઈકાલે ભારત અને ઇઝરાયલ વચ્ચે નવ કરારો થયા હતા.

જેમાં ભારત અને ઇઝરાયલ વચ્ચે આતંકવાદ અંગેની માહિતી અને ઇન્ટેલિજન્સ આપ-લેના કરારો થયા છે.

જેથી ભારતની જાસૂસી સંસ્થા રો અને ઇઝરાયલની જાસૂસી સંસ્થા મોસાદ વચ્ચેના સંબંધો પણ મજબૂત બનશે.

ઉપરાંત ભારતે ઇઝરાયલ સાથે સાયન્સ, ટેક્નોલોજી અને પેટ્રોલિયમ ક્ષેત્રે પણ કરારો કર્યા છે.

line

ઉતરાયણમાં દોરી-પતંગથી 14નાં મૃત્યુ

પતંગ ચગાવતા લોકો

ઇમેજ સ્રોત, Getty Images

નવગુજરાત સમાચારના અહેવાલ મુજબ રાજ્યમાં દોરી અને પતંગના કારણે 14 લોકોનાં મૃત્યુ થયાં છે.

અમદાવાદમાં જ બે દિવસમાં ધાબા પરથી નીચે પટકાતા 4 વ્યક્તિઓનાં મૃત્યુ થયાં છે.

જ્યારે દોરી તથા ધાબા પરથી પડવાથી અમદાવાદમાં જ 200 જેટલી વ્યક્તિઓને નાની-મોટી ઇજાઓ થઈ છે.

આ આંકડા માત્ર મ્યૂનિસિપલ કોર્પોરેશનની હોસ્પિટલોમાં સારવાર માટે ગયેલાં દર્દીઓના જ છે.

ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હોય તેવા લોકોના આંકડા મળી શક્યા નથી.

ઉપરાંત 108 ઇમર્જન્સી સર્વિસ દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે બે દિવસમાં સમગ્ર રાજ્યમાં 6 હજાર ઇમર્જન્સી કોલ નોંધાયા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો