સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સાંપ્રદાયિક તણાવ, શું છે સમગ્ર મામલો અને સ્થાનિકો શું કહે છે?

સુરતમાં રોષે ભરાયેલા કેટલાક લોકોએ વાહનોની તોડફોડ કરી હતી.

ઇમેજ સ્રોત, RUPESH SONVANE

ઇમેજ કૅપ્શન, સુરતના સૈયદપુરામાં તણાવભરી શાંતિ છે
    • લેેખક, શીતલ પટેલ
    • પદ, બીબીસી ગુજરાતી માટે, સુરતથી

સુરતના કોટ વિસ્તાર સૈયદપુરામાં રવિવારે મોડી રાત્રે ગણેશ પંડાલ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો જે બાદ થોડા સમય માટે સમગ્ર વિસ્તારમાં સાંપ્રદાયિક તણાવ ફેલાઈ ગયો હતો. હજુ પણ સૈયદપુરા વિસ્તારમાં પરિસ્થિતિ તંગ છે અને સમગ્ર વિસ્તારમાં ભારે પોલીસ તહેનાત કરવામાં આવી છે. જ્યાં પથ્થરમારો થયો હતો તે વિસ્તારમાં સોમવારે સુરત મહાનગરપાલિકાએ બુલડોઝર ચલાવીને કથિત ગેરકાયદેસર દબાણો દૂર કર્યાં હતાં.

આ પહેલાં ઘટનાની જાણ થતાં ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, સુરતના મેયર અને અન્ય લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પથ્થરમારાથી ગુસ્સે ભરાયેલા લોકોને શાંત પાડવામાં પોલીસને ભારે જહેમત કરવી પડી હતી.

હર્ષ સંઘવીએ સમાચાર સંસ્થા એએનઆઈને જણાવ્યું કે પથ્થરમારાની ઘટનામાં સુરત પોલીસે અત્યાર સુધી 6 બાળકો ઉપરાંત 28 લોકોને પકડી લેવામાં આવ્યા છે. સુરત પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. સમગ્ર શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જે લોકો પણ શાંતિ ડહોળવાનો પ્રયાસ કરશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

રવિવાર મોડી રાત્રે સુરત પોલીસે સમગ્ર સૈયદપુરાના વિસ્તારમાં કૉમ્બિંગ કરવાનું શરૂ કર્યું હતું જે સોમવારે વહેલી સવાર સુધી ચાલી હતી.

સોમવાર સવારે હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તેઓ સવારે ગણેશ પંડાલમાં જઈને પૂજા કરતા જોઈ શકાય છે. તેમણે લખ્યું કે, "સુરત પોલીસ ટીમ અને ગણેશ પંડાલના આયોજકો સાથે મેં ગણેશ પંડાલમાં જ્યાં પથ્થરમારો થયો હતો ત્યાં ગણેશજીની આરતી અને પૂજા કરી."

હર્ષ સંઘવી સહિત અન્ય નેતાઓ અને ટોચના પોલીસ અધિકારીઓએ આખી રાત સૈયદપુરામાં રહીને પોલીસ કાર્યવાહીનું નિરીક્ષણ કર્યું હતું.

સોમવારે સુરત મહાનગરપાલિકાએ ઘટનાની પ્રતિક્રિયા આપતાં સૈયદપુરા પોલીસચોકી નજીક કથિત ગેરકાયદેસર દબાણો દૂર કર્યાંં હતાં. મહાનગરપાલિકાની ટીમોએ મોટી સંખ્યામાં પોલીસની ટીમોને સાથે રાખીને બુલડોઝર ચલાવ્યું હતું.

શું છે આખો મામલો?

લોકોએ પોલીસ ચોકીને ઘેરીને ભારે હોબાળો મચાવ્યો હતો

ઇમેજ સ્રોત, RUPESH SONAVANE

ઇમેજ કૅપ્શન, લોકોએ પોલીસચોકીને ઘેરીને ભારે હોબાળો મચાવ્યો હતો

સૈયદપુરાના વરિયાવી બજાર નજીક છેલ્લાં ઘણાં વર્ષોથી ગણેશચતુર્થીની ઉજવણી કરવામાં આવે છે. રવિવારે રાત્રે સૈયદપુરા વિસ્તારમાં આવેલા ગણેશ પંડાલમાં પથ્થરામારાની ઘટના ઘટી હતી, ત્યાર બાદ સાંપ્રદાયિક તણાવ પેદા થયો હતો.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સમાચાર એજન્સી એએનઆઈને સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે આપેલી જાણકારી પ્રમાણે, ''ગણેશ પંડાલ પર રવિવારે રાતે લગભગ 9 વાગ્યાની આસપાસ કેટલાંક બાળકોએ પથ્થરમારો કર્યો હતો. જોકે, સ્થળ પર તહેનાત પોલીસે બાળકોને તરત જ ત્યાંથી હટાવી લીધાં. ત્યાર બાદ લોકોનું ટોળું ભેગું થયું જેમની સાથે પોલીસની વાતચીત થઈ હતી.''

તેમણે કહ્યું કે બંને જૂથો તરફથી પથ્થરમારો થયો એ દરમિયાન પોલીસકર્મીઓને પણ ઈજા થઈ છે. ત્યાર બાદ તાત્કાલિક પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી. આ વિસ્તારમાં જરૂર પડી ત્યાં લાઠીચાર્જ અને ટિયરગૅસના શેલ છોડવામાં આવ્યાં હતાં.

બીબીસીને મળેલી માહિતી પ્રમાણે પથ્થરમારો થતા તંગદિલી સર્જાઈ હતી. ઘટનાના વિરોધમાં લોકોનાં ટોળાંએ વરિયાવી બજાર પોલીસચોકીને ઘેરી લીધી હતી અને નારેબાજી કરી હતી. લોકોએ દોષીઓ સામે કડક કાર્યવાહીની માગ કરી હતી.

રોષે ભરાયેલા કેટલાક લોકોએ પોલીસચોકી નજીક પાર્ક કરેલાં વાહનોની તોડફોડ કરી હતી. પરિસ્થિતિ બગડતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર આવી પહોંચ્યો હતો. ભીડને કાબૂ કરવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને ટિયરગૅસનાં શૅલ્સ પણ છોડ્યાં હતાં. ઘટના બાદ પોલીસે વરીયાવી બજાર, સૈયદપુરા, રામપુરા વિસ્તારમાં સઘન બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

સોમવારે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતએ પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું, ''આ સમગ્ર પ્રકરણમાં ત્રણ કેસ દાખલ કરવામાં આવ્યા છે જેમાં રાયોટિંગ અને ધાર્મિક લાગણી દુભાવવાનો ગુનો પણ નોંધ્યો છે. શ્રીજીની પ્રતિમા પર પથ્થરમારો કરનાર બાળકો જે રિક્ષામાં આવ્યાં હતાં એ રીક્ષાના ડ્રાઇવર સહિત 6 બાળકો અને 28 લોકો સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બાળકો 12થી 13 વર્ષની ઉંમરના છે અને બધા એક કિલોમીટર દૂરથી આવ્યાં હતાં.''

તેમણે વધુમાં જણાવ્યું કે આ ઘટનામાં કાયદાના સંઘર્ષમાં આવેલાં બાળકોનાં માતાપિતાની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે, આ બાળકોએ કોના ઇશારે પથ્થરમારો કર્યો તે વિશે હજી તપાસ ચાલી રહી છે. સીસીટીવી અને લોકોના મોબાઇલમાં થયેલ વીડિયો રેકૉર્ડીંગના આધારે પણ તપાસ કરવામાં આવી છે.

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મીડિયાને જણાવ્યું કે સૈયદપુરાપુરા વિસ્તારમાં વર્ષોથી ગણપતિની સ્થાપના થાય છે. આજે કેટલાક લોકોએ ગણેશજીની મૂર્તિ પર પથ્થરમારો કર્યો હતો. આસ્થાને ઠેસ પહોંચાડનાર અને શહેરની શાંતિને ભંગ કરનાર કોઈપણ લોકોને છોડવામાં આવશે નહીં અને આવું કૃત્ય કરનાર લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

વીડિયો કૅપ્શન, Surat માં ગણેશ પંડાલ પર પથ્થરમારાનો સમગ્ર મામલો શું છે, અત્યાર સુધીમાં શું-શું થયું?

સ્થાનિક લોકોનું શું કહેવું છે?

સમગ્ર સૈયદપુરા વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ તહેનાત કરવામાં આવી છે

ઇમેજ સ્રોત, RUPESH SONAVANE

ઇમેજ કૅપ્શન, સમગ્ર સૈયદપુરા વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ તહેનાત કરવામાં આવી છે

પથ્થરમારાની ઘટના બાદ હાલ સમગ્ર સૈયદપુરા વિસ્તારમાં અજંપાભરી શાંતિ છે. દરેક જગ્યાએ પોલીસની ટીમો તહેનાત છે અને વિસ્તારની મોટાભાગની દુકાનો અને ઑફિસો બંધ છે.

સ્થાનિકો અનુસાર એક નાની બાબતને મોટું સ્વરૂપ આપી દેવામાં આવતાં સાંપ્રદાયિક વાતાવરણ ડહોળાયું હતું. તેમના અનુસાર પથ્થરમારા જેવી ઘટના બની નહોતી પરંતુ એક બાળકથી ભૂલથી પથ્થર ફેંકતા મૂર્તિને વાગ્યો હતો.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતા સ્થાનિક આગેવાન અય્યુબ પટેલ કહે છે, ''બાળકો રમતાં હતાં અને રમતમાં એક બાળકે પથ્થર ફેંકયો જે ગણેશજીની મૂર્તિને સ્પર્શ્યો હતો. પથ્થરમારો થયો છે તેવી વાત વહેતી થઈ અને લોકોનું ટોળું ભેગું થતાં સમગ્ર મામલો તંગ બન્યો હતો. જે બાળકો આ ઘટનામાં સામેલ હોવાનું કહેવામાં આવે છે તેઓ સ્થાનિક નથી.''

તેઓ વધુમાં કહે છે કે સૈયદપુરા પોલીસચોકીની નજીક રહેતા લઘુમતિ સમાજના લોકોની સંપત્તિને ટોળાંએ નુકસાન પહોંચાડ્યું હતું. લોકોનાં વાહનો, ફૂડ-સ્ટૉલ અને અન્ય સંપત્તિની તોડફોડ કરવામાં આવી હતી.

સૈયદપુરા અને આજુબાજુના વિસ્તારોમાં રહેતા લઘુમતિ સમુદાયના લોકોના કહેવા અનુસાર અહીં વર્ષોથી ધામધૂમથી ગણશેચતુર્થીની ઉજવણી કરવામાં આવે છે અને ક્યારેય ઘર્ષણની સ્થિતિ આવી નથી.

સૈયદપુરા વિસ્તારમાં પાનની દુકાન ચલાવતા અબ્દુલ શેખ કહે છે, ''જ્યાં આ ઘટના બની ત્યાં બે દાયકાથી ગણેશચતુર્થીની ઉજવણી થઈ રહી છે. ગણેશ પંડાલ લગાવી શકાય તે માટે મુસ્લિમ દુકાનદારો 10 દિવસ પોતાની દુકાન બંધ રાખે છે. આટલાં વર્ષોમાં ક્યારેય પણ આવી ઘટના બની નથી. અમે પણ ઇચ્છીએ છીએ કે સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવે અને દોષિતોને સજા અપાય.''

મોડી રાત્રે પોલીસે સમગ્ર વિસ્તારમાં કૉમ્બિંગ કરવાના કારણે પણ સ્થાનિકો નારાજ છે. તેમના અનુસાર પોલીસ સ્ટાફે તાળું તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને લોકોને પકડ્યા હતા.

અય્યુબ પટેલ કહે છે, ''પોલીસની ટીમોએ સૈયદપુરા પંપિંગ સ્ટેશન, રાજાવાડી અને આજુબાજુના વિસ્તારોમાં કૉમ્બિંગ કર્યું હતું. રાત્રે બે વાગ્યે કૉમ્બિંગ શરૂ કરવામાં આવ્યું હતું જે સવારે ચાર વાગ્યા સુધી ચાલ્યું હતું. કૉમ્બિંગ દરમિયાન લઘુમતિ સમાજના 40 કરતાં વધુ લોકો અને 20થી વધુ હિંદુઓને પકડ્યા છે.''

સુરતમાં ડિમૉલિશન

ઇમેજ સ્રોત, RUPESH SONAVANE

ઇમેજ કૅપ્શન, સુરત મહાનગરપાલિકા દ્વારા ડિમૉલિશન

પરંતુ કેટલાક લોકોના મત પ્રમાણે આ સામાન્ય પથ્થરમારાની ઘટના નથી. નિમિષાબહેન મોદી છેલ્લાં 40 વર્ષથી વરીયાવી બજારમાં રહે છે.

તેઓ કહે છે, ''મંડળ દ્વારા ગણેશજીની સ્થાપના વર્ષોથી કરવામાં આવે છે, પરંતુ છેલ્લાં બે વર્ષથી આ ઉત્સવ દરમિયાન કેટલાક અસામાજિક લોકો દ્વારા અમારી આસ્થાને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.''

તેઓ ઉમેરે છે, ''રાત્રે નવ વાગ્યાનો સમય હતો અહીં સત્યનારાયણની કથા ચાલતી હતી. મોટી સંખ્યામાં લોકો કથામાં હાજર હતા. તેવા સમયે રિક્ષામાં આવેલાં બાળકોએ એકાએક ગણેશજીની પ્રતિમા પર પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારાના કારણે સમગ્ર વિસ્તારમાં અશાંતિનો માહોલ ફેલાઈ ગયો હતો.''

''રિક્ષામાં આવેલાં આ બાળકોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બજાર વચ્ચે સાંકડો માર્ગ છે અને ટ્રાફિકને કારણે તેઓ ભાગી શક્યાં ન હતાં. મંડળના છોકરાઓએ બાળકોને પકડી લીધાં હતાં. ત્રણ બાળકોને મંડપ પર રાખ્યાં અને બે બાળકોને એક દુકાનમાં પૂરી દીધાં હતાં. ત્યારબાદ પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર આવી હતી અને કાંકરીચાળો કરનાર બાળકોને પોલીસચોકીએ લઈ જવાયાં હતાં.''

કેવો છે સુરતનો સૈયદપુરા વિસ્તાર?

જે ગણેશ પંડાલમાં પથ્થરમારાની ઘટના બની હતી ત્યાં હાલ શાંતિ છે

ઇમેજ સ્રોત, RUPESH SONAVANE

ઇમેજ કૅપ્શન, જે ગણેશ પંડાલમાં પથ્થરમારાની ઘટના બની હતી ત્યાં હાલ તણાવભરી શાંતિ છે

જ્યાં આ ઘટના બની છે તે સૈયદપુરા વિસ્તારમાં મુસ્લિમોની નોંધપાત્ર વસતી છે. સમગ્ર સૈયદપુરામાં ઘણી જૂની ઇમારતો છે અને અહીં વર્ષોથી હિંદુઓ અને મુસ્લિમોની સાથે-સાથે પારસીઓ પણ રહે છે.

ક્યારેક આ વિસ્તારમાં પારસીઓની બહુમતિ હતી. શહેરની એક સમયની પ્રખ્યાત સર જે. જે. સ્કૂલ, પારસી પંચાયત અને તેમનાં દ્વારા સંચાલિત હૉસ્પિટલ અને અન્ય ઇમારતો અહીં જ આવેલી છે. હજુ પણ સુરત શહેરના મોટાભાગના પારસીઓ સૈયદપુરા અને તેની આજુબાજુના વિસ્તારમાં રહે છે.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં સૈયદપુરામાં હિંદુઓની સાથે-સાથે મુસ્લિમોની વસતીમાં પણ વધારો થયો છે. અહીં મૂળ સુરતીઓ જેમાં ઘાંચી, કોળી, રાણા અને ખત્રી સમાજની સારી એવી વસ્તી છે. ગુજરાતીઓ ઉપરાંત અહીં મરાઠી સમાજના લોકો પણ રહે છે.

હિંદુઓ આ વિસ્તારમાં વર્ષોથી ગણેશચતુર્થીની ઉજવણી કરે જેમાં લઘુમતિ સમાજના લોકો પણ યોગદાન આપે છે. કેટલાંક વર્ષોમાં ગણેશ પંડાલની સંખ્યા વધી છે. કેટલીક જગ્યાએ ભવ્ય રીતે ગણેશચતુર્થીની ઉજવણી કરવામાં આવે છે અને મોટા પંડાલ બનાવવામાં આવે છે.

જે ગણેશ પંડાલમાં પથ્થરમારાની ઘટના બની હતી તેની સોમવાર સવારે બીબીસી ગુજરાતીની ટીમે મુલાકાત લીધી હતી. હાલ ગણેશ પંડાલમાં સ્થિતિ હાલ શાંતિ છે. પોલીસ તહેનાત કરવામાં આવી છે અને ભક્તો સરળતાથી દર્શન કરી શકે છે.

સમગ્ર ઘટના બાબતે ગણેશ પંડાલના આયોજકો કંઈ પણ કહેવા તૈયાર નથી.

તણાવ પર રાજનીતિ

સુરતમાં ડિમૉલિશન

ઇમેજ સ્રોત, RUPESH SONVANE

ઇમેજ કૅપ્શન, સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ મહાનગરપાલિકાનું ડિમૉલિશન

ભાજપે સુરતના સૈયદપુરામાં ગણેશની પ્રતિમા પર પથ્થરમારાની ઘટનાની નિંદા કરી છે. સાથે એક નિવેદનમાં જણાવ્યું છે કે અસામાજિક તત્વો સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે તે આવકારદાયક છે. ભાજપે કહ્યું કે સુરતમાં શાંતિને ડહોળવાનો પ્રયત્ન કરનારાઓને સરકાર છોડશે નહીં.

બીજી તરફ કૉંગ્રેસે પણ આ ઘટનાની નિંદા કરી છે. સુરત શહેર કૉંગ્રેસના નેતા અસલમ સાઇકલવાલાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે જે બાળકોએ પથ્થરમારો કર્યો હતો તેમની પોલીસે અટકાયત કરી છે પરંતુ આ ઘટના બાદ ભાજપના નેતાઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તેમણે ઉશ્કેરણીજનક ભાષણ કર્યું હતું જેને કારણે પરિસ્થિતિ વણસી હતી.

કૉંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ માગ કરી છે કે આ ઘટના બાદ જેણે કાયદો હાથમાં લીધો છે તેની સામે પણ પોલીસ કાર્યવાહી કરવામાં આવે.

આમ આદમી પાર્ટીના નેતા પાયલ સાકરિયાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે આ કૃત્ય કરનારા સામે અને તેમને ઉશ્કેરણી કરનારા સામે પણ કાર્યવાહી કરવામાં આવે.

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.