બજેટ 2024 : 'પીએમ આવાસ યોજના હેઠળ 70 ટકા આવાસ મહિલાઓને મળ્યા'- નાણામંત્રી નિર્મલા સીતારમણ

ઇમેજ સ્રોત, SAJJAD HUSSAIN/AFP via Getty Images
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું અને વચગાળાનું બજેટ રજૂ કર્યું છે.
તેમણે કહ્યું કે , "આપણે ગરીબ, મહિલાઓ, યુવાઓ અને અન્નદાતા પર ધ્યાન આપવાની જરૂર છે. તેમની જરૂરિયાતો અને આશાઓ અમારી પ્રાથમિકતા છે."
ગુરૂવારે સવારે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદભવન પહોંચ્યાં હતાં. એ પછી કેન્દ્રીય કૅબિનેટ સમક્ષ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.
આ પહેલાં સીતારમણ, રાજ્યકક્ષાના નાણામંત્રી પંકજ ચૌધરી અને ડૉ. ભાગવત કરાડે મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે બેઠક કરી હતી અને એપ્રિલ-જુલાઈના બજેટની રૂપરેખા રજૂ કરી હતી.
પરંપરા પ્રમાણે વચગાળાનું બજેટ હોવાથી પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ કરમાળખામાં કોઈ ફેરફાર કરવામાં નહોતા આવ્યા. તા. 31મી માર્ચે પૂરી થતી અમુક છૂટછાટોને નીતિસાતત્ય માટે એક વર્ષ લંબાવવામાં આવી છે.
સીતારમણે જાહેરાત કરી છે કે યુપીએ સરકારના બે કાર્યકાળની મોદી સરકારના10 વર્ષ સાથે તુલના કરતું શ્વેતપત્ર રજૂ કરવામાં આવશે, જેથી બંને સરકારની નીતિઓની 'અભ્યાસાર્થે તુલનાત્મક સમીક્ષા' થઈ શકે.
કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે બજેટને ભવિષ્ય માટે ઉત્સાહજનક અને પ્રોત્સાહનવર્ધક જણાવ્યું હતું, જેની મદદથી વર્ષ 2027 સુધીમાં ભારત પાંચ ટ્રિલિયન ડૉલર ઇકૉનૉમી બનશે. કૉંગ્રેસના નેતા ગૌરવ ગોગોઈના મતે આ બજેટમાં મધ્યમ તથા ગરીબ વર્ગ માટે કશું ન હતું.
બજેટ 2024માં શું મહત્ત્વની જાહેરાતો કરવામાં આવી?

ઇમેજ સ્રોત, Prakash Singh/Bloomberg via Getty Images
કરદાતાઓ માટે
- વચગાળાના બજેટમાં પ્રત્યક્ષ કરમાળખામાં કોઈ ફેરફાર નહીં
- વર્ષ 1962થી વર્ષ 2009- '10 સુધીના સમય માટે રૂ. 25 હજાર સુધીની કર આકરણી તથા એ પછીના ચાર વર્ષ માટે રૂ. 10 હજાર સુધીની કર માગણીને જતી કરવામાં આવશે, જેના કારણે એક કરોડ કરદાતાઓને લાભ થશે.
- નવી કરવ્યવસ્થા હેઠળ રૂ. સાત લાખ સુધીની આવક ધરાવનારાઓએ કોઈ કરભારણ નહીં
- આવકવેરા રિટર્ન ભરનારાઓની સંખ્યા 2.4 ગણી વધી તથા પ્રત્યક્ષ કરમાંથી આવક ત્રણગણી થઈ
- આવકવેરા રિફંડને વર્ષ 2013-14માં સરેરાશ 93 દિવસથી ઘટાડીને સરેરાશ 10 દિવસે લાવ્યા
- જીએસટીની માસિક સરેરાશ આવક રૂ. એક લાખ 66 હજાર પર પહોંચી, મૂળ આધાર કરતાં આવક લગભગ બમણી થઈ
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
યુવા અને શિક્ષણ
- એક લાખ કરોડના બજેટ દ્વારા સંશોધનક્ષેત્રે લાંબાગાળાની ધિરાણ કે પુનઃધિરાણની યોજનાઓ આપવામાં આવશે. જેનો ધિરાણદર નીચો કે શૂન્ય હશે. સંરક્ષણ તથા ભવિષ્યમાં વિકાસ પામનારાક્ષેત્રે સંશોધનને પ્રોત્સાહન આપવામાં આવશે.
- આગામી પાંચ વર્ષ દરમિયાન દેશમાં અસામાન્ય વૃદ્ધિ થશે અને વર્ષ 2047 સુધીમાં ભારત વિકસિત રાષ્ટ્ર બનવાનો પાયો નાખશે. લોકશાહી, યુવાશક્તિ તથા વૈવિધ્યનો લાભ થશે.
કૃષિ અને કૃષકો માટે
- ચાર કરોડ ખેડૂતોને પીએમ પાક વીમા યોજનાનો લાભ મળ્યો.
- તલ, સોયાબીન, સૂરજમુખી, એરંડા અને મગફળી જેવા તેલિબિયાંના ઉત્પાદનમાં આત્મનિર્ભરતા માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવશે.
- આગામી પાંચ વર્ષ દરમિયાન દેશના ગ્રામીણ વિસ્તારોમાં વધુ બે કરોડ ઘરનું નિર્માણ કરવામાં આવશે.

ઇમેજ સ્રોત, Sansad TV
મહિલાઓ માટેની વાતો
- તમામ આશા અને આંગણવાડી વર્કર તથા આરોગ્ય મદદકર્તાઓને આયુષ્માન ભારતનો લાભ મળશે.
- 83 લાખ સ્વસહાય જૂથો દ્વારા નવ કરોડ ગ્રામીણ મહિલાઓના જીવનમાં પ્રયાસ થઈ રહ્યાં છે. આ યોજના થકી એક કરોડ કરતાં વધુ મહિલાઓ 'લખપતિ દીદી' બની છે. આગામી સમયમાં આ આંકડો ત્રણ કરોડ સુધી લઈ જવાનું લક્ષ્યાંક
- નવથી 14 વર્ષની બાળકીઓમાં સર્વાઇકલ કૅન્સરને અટકાવવા માટે રસીકરણ હાથ ધરવામાં આવશે.
- પીએમ મુદ્રા યોજના હેઠળ 43 કરોડ લોન આપવામાં આવી, જેમાંથી 30 ટકા મહિલાઓને મળી. કુલ રૂ. 22 લાખ 50 હજાર કરોડની લોનો આપવામાં આવી.
- ટ્રિપલ તલાક નાબૂદી, ગ્રામીણ વિસ્તારમાં 70 ટકા પીએમ આવાસ વિસ્તારના મહિલાને સ્વતંત્ર કે સંયુક્ત રીતે ઘર આપવામાં આવ્યા. આ સિવાય લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે અનામતની જોગવાઈ કરવામાં આવી.
પુનઃપ્રાપ્ય ઊર્જા
- દરિયામાં પવનઊર્જાક્ષેત્રને પ્રોત્સાહન મળે તે માટે આર્થિક સહાય કરવામાં આવશે
- પીએનજી તથા સીએનજીમાં બાયોગૅસને ઉમેરવાનું ફરજિયાત કરાશે
- ઈ-વ્હીકલ માટે સર્વાંગી માળખું ઊભું કરાશે
- એક કરોડ ઘરોને સોલાર રૂફટૉપ દ્વારા માસિક 300 યુનિટ વીજળી મળશે, જેના કારણે વાર્ષિક રૂ. 18 હજાર સુધીની બચત થશે. વધારાની વીજળીને ગ્રીડમાં વેંચી શકાશે. જેના કારણે સોલારક્ષેત્રે રોજગારીનું સર્જન થશે.
- યુવાનોમાં કૌશલ્યવૃદ્ધિ માટે ત્રણહજાર નવી આઈટીઆઈની સ્થાપના કરવામાં આવી.
- સાત નવી આઈઆઈટી અને આઈઆઈએમની સ્થાપના કરવામાં આવી.
રેલવે, વિમાનન, પર્યટન
- ભારતીય વિમાનન કંપનીઓએ એક હજાર કરતાં વધુ નવા વિમાનના ઑર્ડર આપ્યા
- લક્ષદ્વીપ સહિતના ટાપુઓ પર પર્યટન, પૉર્ટ કનેક્ટિવિટી અને સુવિધા વધારવામાં આવશે
- પર્યટનસ્થાનોના રેટિંગ માટે ફ્રૅમવર્ક તૈયાર કરવામાં આવશે ફ્રૅઇટ કૉરિડોર ઉપરાંત ત્રણ કૉરિડોર દ્વારા રેલવેમાં સુરક્ષા અને સુવિધા વધારવા પ્રયાસ કરાશે
- 40 હજાર રેલ બોગીઓને વંદે ભારત શ્રેણીમાં રૂપાંતરિત કરવામાં આવશે.
- ઇન્ડિયા-મિડલ ઇસ્ટ-યુરોપ યોજનાને કારણે આગામી સદીઓ સુધી નવો વેપારરુટ ખોલશે એવો સરકારને વિશ્વાસ
ભાષણના મુખ્ય મુદ્દાઓ

ઇમેજ સ્રોત, Getty Images
- 10 વર્ષમાં દરેકને ઘર, નળથી જળ, દરેક ઘરને વીજળી-ગૅસ અને બૅન્ક-એકાઉન્ટ દ્વારા અમારી સરકાર દરેક ઘર સુધી પહોંચી છે.
- ગરીબ, મહિલા, યુવા તથા અન્નદાતા એમ ચાર જાતિઓની જરૂરિયાતો, કલ્યાણ અને તેમની આકાંક્ષાઓને સંતોષવાનો પ્રયાસ છે. તેમનો વિકાસ થશે એટલે દેશનો વિકાસ થશે.
- 10 વર્ષમાં સીધું વિદેશી મૂડીરોકાણ લગભગ બમણું થયું અને 596 અબજ ડૉલર પર પહોંચ્યું
- 25 કરોડ લોકોને બહુ-આયામી ગરીબીમાંથી બહાર કાઢવામાં સફળતા મળી.
- પીએમ જનધન ઍકાઉન્ટ દ્વારા રૂ. 34 લાખ કરોડ સીધા લાભાર્થીઓના ખાતામાં જમા કરાવવામાં આવ્યા.
- 78 લાખ ફેરિયાઓને આર્થિકમદદ આપવામાં આવી.
- યુવાનોમાં કૌશલ્યવૃદ્ધિ માટે ત્રણહજાર નવી આઈટીઆઈની સ્થાપના કરવામાં આવી.
- પીએમ મુદ્રા યોજના હેઠળ 43 કરોડ લોન આપવામાં આવી, જેમાંથી 30 ટકા મહિલાઓને મળી. કુલ રૂ. 22 લાખ 50 હજાર કરોડની લોનો આપવામાં આવી.
- સાત નવી આઈઆઈટી અને આઈઆઈએમની સ્થાપના કરવામાં આવી.
- ટ્રિપલ તલાક નાબૂદી, ગ્રામીણ વિસ્તારમાં 70 ટકા પીએમ આવાસ વિસ્તારના મહિલાને સ્વતંત્ર કે સંયુક્ત રીતે ઘર આપવામાં આવ્યા. આ સિવાય લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે અનામતની જોગવાઈ કરવામાં આવી.
- લોકોની વાસ્તવિક આવકમાં 50 ટકા જેટલો વધારો થયો
- ચાર કરોડ ખેડૂતોને પીએમ પાક વીમા યોજનાનો લાભ મળ્યો.
ગત વર્ષે ઉદ્યોગોને કેટલો ફાયદો પહોંચ્યો?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સરકારનું આ પગલું વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ પાવર બનવાની મહત્ત્વાકાંક્ષાઓને ધ્યાનમાં રાખીને છે.
તેની એક ઝલક રાજસ્થાનના શહેર દુદૂમાં જોવા મળે છે. અંદાજે એક વર્ષ પહેલાં જેની સ્થાપના કરવામાં આવી હતી એ ભારતીય કંપની ગ્રેવ એનર્જીએ એક કારખાનું શરૂ કર્યું હતું. તેમાં દરરોજ 3 હજાર સોલર પેનલ બનાવવામાં આવી રહ્યા હતા.
આ કંપનીને 560 કરોડ રૂપિયાની સરકારી ગ્રાન્ટ મળી હતી.
કંપનીના સીઈઓ વિનય થડાણી કહે છે, “આ શરૂઆતી પ્રોત્સાહન છે અને પાંચ વર્ષ પછી જ્યારે સરકારી સહાય મળવાનું બંધ થઈ જશે તો મારું માનવું છે કે ત્યાં સુધીમાં ઉદ્યોગ આત્મનિર્ભર થઈ જશે અને આપબળે આગળ વધવા માટે સક્ષમ થઈ જશે.”
સરકારનું આ પ્રોત્સાહન ગ્રેવ એનર્જી જેવી કંપનીઓને ચીન પરની તેમની નિર્ભરતા ઘટાડવામાં મદદ કરવા માટે પણ છે.
થડાણી કહે છે કે આ ક્ષેત્રનો 80 ટકા કાચો માલ હજુ પણ ચીનમાંથી આવે છે. તેમનું કહેવું છે કે યોગ્ય પગલાં લેવામાં આવી રહ્યા છે, તેમ છતાં ભારતને આમ કરવામાં થોડો સમય લાગશે.
તેઓ કહે છે, "માત્ર નાણાકીય સહાય જ નહીં, પરંતુ સરકારે જે વાતાવરણ બનાવ્યું છે, તેનાથી બધું જ ઝડપથી થાય છે - તે જ સાચો લાભ છે."
હકીકતમાં, ગ્રેવ એનર્જી આગામી કેટલાક મહિનામાં બે ફેક્ટરીઓ શરૂ કરવાની તૈયારીમાં છે. તેનું લક્ષ્ય 2000થી વધુ લોકોને રોજગાર આપવાનું છે.
સરકારે માત્ર સૌરઉર્જા ક્ષેત્રને જ નહીં પરંતુ ટેલિકોમ, ફાર્માસ્યુટિકલ્સ, ફૂડ પ્રોસેસિંગ અને ઈલેક્ટ્રોનિક્સ જેવા ડઝનથી વધુ ક્ષેત્રોની ઉત્પાદન ક્ષેત્ર અથવા તો પીએલઆઈ યોજનાઓ તરીકે ઓળખ કરી છે.
સરકારી ડેટા અનુસાર, છેલ્લા બે વર્ષમાં આ યોજના હેઠળ છ લાખથી વધુ નોકરીઓનું સર્જન થયું છે અને ઉત્પાદન 8.61 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.
વધતી બેરોજગારી ચિંતાનો વિષય

ઇમેજ સ્રોત, Getty Images
આ બધું એવા સમયે થઈ રહ્યું છે જ્યારે વધતી બેરોજગારી દેશ માટે ચિંતાનો વિષય બની રહી છે.
સરકારના તાજેતરના લૅબર ફોર્સ સર્વે અનુસાર ગત વર્ષે ગ્રેજ્યુએટ થયેલા લોકોમાં બેરોજગારીનું પ્રમાણ સૌથી વધુ 13.4 ટકા હતી.
ત્યારપછી ડિપ્લોમાધારી લોકોમાં 12.2 ટકા અને સ્નાતકોત્તર લોકોમાં 12.1 ટકા બેરોજગારીનું પ્રમાણ જોવા મળ્યું હતું.
બેરોજગારીના આ ચિંતાજનક આંકડાઓની અસર જમીન પર પણ જોવા મળી રહી છે. કારણ કે ભારતના યુવાનો કામની તલાશ કરી રહ્યા છે.
ગ્રેવ એનર્જીના કારખાનાથી અંદાજે 60 કિલોમિટર દૂર જયપુર શહેરમાં કૉલેજમાંથી પાસ થયેલા યુવક-યુવતીઓ એ દરેક પ્રયત્ન કરી રહ્યા છે જેનાથી તેમને નોકરી મળી શકે. હજારો ગ્રેજ્યુએટ લોકો નોકરીની આશાએ કોચિંગ સેન્ટરો ભણી જાય છે.
આ કોચિંગ સેન્ટરોના ખીચોખીચ ભરેલા વર્ગખંડોમાં બેઠેલા ઘણા યુવાનો ગામડાઓમાંથી આવે છે.
તેઓ તેમના માતા-પિતાની જીવનભરની કમાણી મોંઘા શિક્ષણ પાછળ ખર્ચે છે. તેઓ આશાવાદી રહે છે કે તેમની બાજુમાં બેઠેલી વ્યક્તિ કરતાં તેમની પાસે વધુ સારી તક છે.
23 વર્ષીય ત્રિશા અભયવાલ કહે છે, "આ જીવન અને મૃત્યુનો મામલો છે."
તેઓ તેમના ગામથી 150 કિલોમીટર દૂર જયપુર શહેરમાં ભાડાના રૂમમાં રહે છે. તેઓ સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે.
ત્રિશા કહે છે, “સ્પર્ધા એટલી વધી ગઈ છે કે બધા માટે પૂરતી નોકરીઓ નથી.
ત્રિશાની જેમ સુરેશકુમાર ચૌધરી પણ ચિંતા વ્યક્ત કરે છે. ખેડૂત પરિવારમાંથી આવતા સુરેશ તેમના પરિવારમાં સરકારી નોકરી માટે પ્રયાસ કરનાર પ્રથમ વ્યક્તિ છે. આ પરિવારની બધી આશા 23 વર્ષના સુરેશ પર ટકેલી છે.
તેઓ તેના કારણે દબાણ અનુભવે છે. લોકોની પાસે કોઈ વિકલ્પ નથી.
સુરેશ કહે છે, “જો ઘણા બધા વિકલ્પો હોત તો આ કોઈ સમસ્યા ન હોત. મારા જેવા શિક્ષિત ભારતીયો નોકરી મળશે એવી આશામાં સમય અને પૈસા બંને ખર્ચી રહ્યા છે.”
અર્થશાસ્ત્રીઓને કઈ વાતની ચિંતા છે?

ઇમેજ સ્રોત, Getty Images
ઉત્પાદન ક્ષેત્રને ઊંચું લઈ જવું અને નોકરીઓ પેદા કરવાની યોજનાઓ સાચી દિશામાં ઉઠાવવામાં આવેલું પગલું છે. પરંતુ તેણે કેટલાક અર્થશાસ્ત્રીઓને ચિંતિત પણ કર્યા છે.
પ્રૉ. અરૂણ કુમાર કહે છે કે 1.97 લાખ કરોડ રૂપિયામાંથી હજુ 2 ટકા ફંડની જ વહેંચણી કરવામાં આવી છે. આ વર્ષે જાન્યુઆરીમાં પ્રૅસ ઇન્ફોર્મેશન બ્યુરો (પીઆઈબી) દ્વારા જારી કરાયેલ છેલ્લા નિવેદન અનુસાર, આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 4415 કરોડ રૂપિયાનું વિતરણ કરવામાં આવ્યું છે.
પ્રૉ. કુમાર માને છે કે આ ભંડોળને અલગ રીતે ખર્ચવાની જરૂર હતી. તેઓ કહે છે, "તેને યોગ્ય રીતે લક્ષિત કરવામાં આવતું નથી. કારણ કે ભારતમાં સંગઠિત ક્ષેત્ર નોકરીઓનું સર્જન કરતું નથી પરંતુ અસંગઠિત ક્ષેત્ર કરે છે. સંગઠિત ક્ષેત્રમાં માત્ર 6 ટકા કર્મચારીઓ કામ કરે છે. 94 ટકા કર્મચારીઓ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે.”
પ્રૉ. કુમાર કહે છે કે આપણે ધ્યાન બદલવાની જરૂર છે. આપણે સંગઠિત ક્ષેત્રને બદલે અસંગઠિત ક્ષેત્રને પ્રોત્સાહન આપવાની જરૂર છે. આ યોજના સંપૂર્ણપણે સંગઠિત ક્ષેત્રને લક્ષ્યાંકિત કરે છે.
ભારતના સમગ્ર આર્થિક દૃષ્ટિકોણની વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. ભારત વિશ્વની અગ્રણી અર્થવ્યવસ્થા તરીકે ઓળખાય છે.
ઇન્ટરનેશનલ મૉનેટરી ફંડે કહ્યું છે કે, "ભારતની અર્થવ્યવસ્થાએ 'મજબૂત વૃદ્ધિ' દર્શાવી છે. તેનું નાણાકીય ક્ષેત્ર સ્થિતિસ્થાપક છે અને તે ઘણાં વર્ષોથી સૌથી મજબૂત છે. તેને 2023ની શરૂઆતમાં શરૂ થયેલી આર્થિક મંદીથી મોટાભાગે અસર થઈ નથી."
અનુમાન મુજબ, ભારતમાં વિકાસ દર પણ મજબૂત રહેવાની સંભાવના છે. પરંતુ સવાલ એ છે કે શું તમામ ભારતીયો આ વૃદ્ધિને અનુભવી શકશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર આ અઠવાડિયે તેની ચૂંટણીવર્ષની નાણાકીય યોજનાઓ રજૂ કરવા માટે તૈયાર છે. તેથી એવી શક્યતા છે કે આ બજેટ અર્થશાસ્ત્ર કરતાં રાજકારણથી વધુ પ્રેરિત હોઈ શકે છે.
બજેટ સત્રમાં રાષ્ટ્ર્રપતિએ અભિભાષણમાં શું કહ્યું?

ઇમેજ સ્રોત, ANI
નવા બનેલા સંસદભવનમાં રાષ્ટ્રપતિએ પ્રથમ વાર અભિભાષણ આપ્યું હતું. આ પ્રસંગે તેમણે સરકારે લીધેલા આર્થિક પગલાંઓને બિરદાવ્યા હતા.
તેમણે કહ્યું હતું કે, “વિશ્વએ બે મોટાં યુદ્ધો અને કોરોના જેવી મહામારીનો સામનો કર્યો છે. આ પ્રકારના વૈશ્વિક પડકારો છતાં પણ મારી સરકારે દેશમાં મોંઘવારીને કાબૂમાં રાખી છે અને તેને બે આંકડાથી ઘટાડીને 4 ટકાના સ્તરે લાવી દીધી છે. જેના કારણે સામાન્ય નાગરિકો પર મોંઘવારીનો માર પડ્યો નથી.”
તેમણે કહ્યું હતું કે, "વર્ષ 2023 ભારત માટે એક ઐતિહાસિક વર્ષ હતું, જ્યારે વૈશ્વિક કટોકટી હોવા છતાં તે મુખ્ય અર્થતંત્રોમાં સૌથી ઝડપી વૃદ્ધિ પામ્યું હતું. સતત બે ત્રિમાસિક ગાળામાં ભારત લગભગ 7.5 ટકા વૃદ્ધિ પામ્યું હતું."
શું છે વચગાળાનું બજેટ?

ઇમેજ સ્રોત, Getty Images
આ વર્ષે રજૂ થનારું બજેટ એ વચગાળાનું બજેટ હશે. વચગાળાનું બજેટ એ ચૂંટણી પહેલાં રજૂ થતું બજેટ છે જે દર વર્ષે રજૂ થતા કેન્દ્રીય બજેટથી અલગ હોય છે.
કેન્દ્રીય બજેટ આખા વર્ષ માટેનું હોય છે જ્યારે વચગાળાનું બજેટ 2થી 4 મહિનાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે.
વચગાળાના બજેટમાં ગત વર્ષના ખર્ચ અને આવકની માત્ર ઉપરછલ્લી જાણકારી જ હોય છે જ્યારે કેન્દ્રીય બજેટમાં ખર્ચ અને આવકનું વિસ્તૃત વિવરણ હોય છે.
જોકે, અહીં એ ઉલ્લેખનીય છે કે વચગાળાનું બજેટ જાહેર કરવાની કોઈ બંધારણીય જોગવાઈ કરવામાં આવેલી નથી. સરકાર ઇચ્છે તો વર્ષમાં બે વખત પણ બજેટ રજૂ કરી શકે છે.
આ બજેટ પાછળનો સૈદ્ધાંતિક તર્ક એવો છે કે જ્યારે સરકારનો કાર્યકાળ ખતમ થઈ રહ્યો હોય ત્યારે તે આવનારા આખા વર્ષ માટે જાહેરાતો કરી શકતી નથી કારણ કે ચૂંટણી પછી કોઈ અન્ય પક્ષની સરકાર પણ બની શકે છે.
એટલે હાલની સરકાર નવી બનનારી સરકાર પર પોતાના આર્થિક નિર્ણયો થોપી શકતી નથી. જોકે, આ નિયમો પાળવાને તે બાધ્ય નથી. તે માત્ર સ્વસ્થ લોકતાંત્રિક પરંપરાનો એક ભાગ છે.












