મહારાષ્ટ્ર : અમૃતા ફડણવીસે ગરબામાં મુસ્લિમોના પ્રવેશ મુદ્દે આ વાત કહી – ન્યૂઝ અપડેટ

મહારાષ્ટ્ર : અમૃતા ફડણવીસે ગરબામાં મુસ્લિમોના પ્રવેશ મુદ્દે આ વાત કહી – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Prodip Guha/Getty Images

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસનાં પત્ની અમૃતા ફડણવીસે રાજ્ય સરકારના મંત્રી નિતેશ રાણે દ્વારા ગરબા કાર્યક્રમોમાં મુસ્લિમોને પ્રવેશ ન આપવા સંબંધિત માંગ અંગે નિવેદન આપ્યું છે.

અમૃતા ફડણવીસે કહ્યું, "તેમણે (નિતેશ રાણે) આ વાત ખૂબ વિચાર કરીને કહી છે. હું તેની ઊંડાણમાં જવા માંગતી નથી. પરંતુ હું એટલું જરૂર કહેવા માંગું છું કે ગરબા એક રાષ્ટ્રીય ઉત્સવ છે. તેને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઉજવવામાં આવે છે."

"તેથી જો કોઈપણ સમુદાય કે ધર્મનો વ્યક્તિ કોઈ હંગામો કર્યા વગર શાંતિપૂર્વક આવીને તેને જોવા માંગતો હોય, તો મને લાગે છે કે તે યોગ્ય છે. પરંતુ તેની પાછળ અન્ય શું કારણો છે, તેનો મેં અભ્યાસ કર્યો નથી."

આ પહેલાં નિતેશ રાણેએ નવરાત્રી ઉત્સવ દરમિયાન રાજ્યમાં ગરબા અને ડાંડીયા કાર્યક્રમોમાં મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા, પ્રવેશ માટે ઓળખની ચકાસણી અને તિલક લગાવવું ફરજિયાત બનાવવાની વિશ્વ હિંદુ પરિષદની માંગને સમર્થન આપ્યું હતું.

તેમણે કહ્યું, "વિશ્વ હિંદુ પરિષદે જે માંગણીઓ કરી છે અને જે અપેક્ષાઓ વ્યક્ત કરી છે, તે ખોટી નથી. જે લોકો મૂર્તિપૂજા કરતા નથી, અમારા ધર્મને માનતા નથી, તો શું તમને અમારી નવરાત્રી અથવા ગરબા સમારોહમાં આવવાનો અધિકાર છે?"

તેમણે વધુમાં કહ્યું, "માત્ર આધાર કાર્ડની ચકાસણી સુધી મર્યાદિત રહેવાને બદલે, તેમની પાસેથી હનુમાન ચાલીસાનો પાઠ કરાવવામાં આવવો જોઈએ અને ત્યારબાદ જ તેમને આવવાની મંજૂરી આપવી જોઈએ."

અમેરિકાએ 5 ઈરાની ઑઇલ ટૅન્કરોને બનાવ્યાં નિશાન, ઈરાને જૉર્ડન પર કર્યો જવાબી હુમલો

ઈરાને કુવૈત અને બહેરિનનાં બંદરો પર હાજર અમેરિકન જહાજો સામે વધુ હુમલા કરવાની ચેતવણી આપી છે.

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, ઈરાને કુવૈત અને બહેરિનનાં બંદરો પર હાજર અમેરિકન જહાજો સામે વધુ હુમલા કરવાની ચેતવણી આપી છે. (પ્રતીકાત્મક તસવીર)

અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકૉમ)એ જણાવ્યું છે કે છેલ્લા બે દિવસમાં એક અમેરિકન યુદ્ધજહાજને બે વખત નિશાન બનાવવામાં આવ્યું હતું, જેના જવાબમાં અમેરિકન સેનાએ ઈરાનનાં પાંચ ઑઇલ ટૅન્કરો પર હુમલો કર્યો.

સેન્ટકૉમના જણાવ્યા અનુસાર, આમાંથી ચાર ઈરાની ઑઇલ ટૅન્કરોનો સંબંધ ઈરાનની ઇસ્લામિક રિવૉલ્યુશનરી ગાર્ડ્સ કૉર્પ્સ (IRGC) સાથે હતો અને તેઓ ઓમાનની ખાડીમાં હાજર હતાં. અન્ય એક ટૅન્કરને ખાર્ક ટાપુની નજીક નિશાન બનાવવામાં આવ્યું હતું.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ખાર્ક ઈરાનના તટથી દૂર આવેલું એક મુખ્ય તેલ નિકાસ કેન્દ્ર છે.

તેના જવાબમાં ઈરાને જૉર્ડનમાં આવેલા એક અમેરિકન સૈન્ય મથક પર મિસાઇલો છોડી હતી. જોકે, જૉર્ડને બાદમાં જણાવ્યું કે તેની ઍર-ડિફેન્સ સિસ્ટમે ઈરાન દ્વારા છોડવામાં આવેલી 20માંથી 18 મિસાઇલોને હવામાં જ તોડી પાડી હતી.

બંને દેશો વચ્ચે છેલ્લા એક અઠવાડિયામાં એકબીજા પરના હુમલાઓ વધુ ઉગ્ર બન્યા છે. 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલાઓના છ મહિના પછી પણ આ સંઘર્ષ ચાલુ રહ્યો છે.

બંને દેશો વચ્ચે વધતા તણાવને કારણે એશિયાઈ બજારોમાં શરૂઆતના કારોબાર દરમિયાન તેલના ભાવોમાં વધારો નોંધાયો.

બેન્ચમાર્ક બ્રૅન્ટ ક્રૂડનો ભાવ 1.5% વધીને પ્રતિ બેરલ 99.41 ડૉલર થયો. જ્યારે અમેરિકામાં વેપાર થતા ઑઇલનો ભાવ 1.6% વધીને પ્રતિ બેરલ 94.55 ડૉલર થયો.

આ દરમિયાન ઈરાને કુવૈત અને બહેરિનનાં બંદરો પર હાજર અમેરિકન જહાજો સામે વધુ હુમલા કરવાની ચેતવણી આપી છે.

ઈસાની સેનાના નૌકાદળ કમાન્ડે કુવૈત અને બહેરિનનાં બંદરોની નજીક હાજર એવા તમામ ઑઇલ ટૅન્કરોના ક્રૂને ચેતવણી આપી, જેમનો સંબંધ અમેરિકા સાથે છે.

તેમણે કહ્યું કે તેઓ "તાત્કાલિક પોતાનાં જહાજો છોડી દે, ભલે તેઓ બંદર પર ઊભા હોય કે લંગર નાખીને ઊભા હોય, કારણ કે તેમને નિશાન બનાવવામાં આવશે."

વિજય માલ્યાએ પોતાને વારંવાર ભાગેડુ કહેવાતા આ દાવો કર્યો, જણાવ્યું કે તેઓ ભારત કેમ આવી શકતા નથી

વિજય માલ્યા, બીબીસી ગુજરાતી, ન્યૂઝ અપડેટ ગુજરાત સમાચાર ભાગેડુ ફંડ

ઇમેજ સ્રોત, Getty Images

પૂર્વ રાજ્યસભા સાંસદ અને ઉદ્યોગપતિ વિજય માલ્યાએ પોતાને વારંવાર ભાગેડુ કહેવામાં આવતા એક નિવેદન આપ્યું છે.

વિજય માલ્યાએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર દાવો કર્યો, "જે લોકો કહે છે કે હું ભારત આવવાથી ઇન્કાર કરનાર ભાગેડુ છું, તેઓ કૃપા કરીને એ જાણી લે કે હું વર્ષ 1992થી બ્રિટનનો કાયમી નિવાસી છું. હાલમાં મને કાયદાકીય રીતે આ દેશની બહાર જવાની મંજૂરી નથી. આ બધું ભારત સરકાર દ્વારા કરવામાં આવેલાં દેખાડાંરૂપી પગલાંથી શરૂ થયું, જે મારા કેસમાં અત્યંત અન્યાયપૂર્ણ છે."

તેમણે બીજી એક પોસ્ટમાં કહ્યું, "જે બધા લોકો મારી વાત પર વિશ્વાસ નથી કરતા, તેઓ કૃપા કરીને પોતે તેની ચકાસણી કરે અને જુએ કે ઈડીએ મારા જપ્ત કરેલા ફંડમાંથી 350 કરોડ રૂપિયાથી વધુ રકમ કિંગફિશરના કર્મચારીઓને ચૂકવણી કરવા માટે મુક્ત કરી હતી."

તેમણે કહ્યું, "હું તેમને પૈસા આપી શક્યો નહોતો કારણ કે ઈડીએ મારી સંપત્તિઓ અને ફંડ્સ પોતાના કબજામાં લઈ લીધાં હતાં."

તેમણે લખ્યું, "કોઈ પત્રકારની સ્ક્રિપ્ટની શરૂઆતમાં જ મને ઠગ કેમ કહેવામાં આવે છે? તેની જગ્યાએ એ પ્રશ્નથી શરૂઆત કેમ કરવામાં આવતી નથી કે મને મારા પૈસા ક્યારે પાછા મળશે?"

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન