વડા પ્રધાન નરેન્દ્ર મોદીના રશિયા પ્રવાસને પશ્ચિમી દેશો કેવી રીતે જોઈ રહ્યા છે?

પીએમ મોદી, રશિયા, મૉસ્કો, પુતિન

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ઝુબૈર અહમદ
    • પદ, વરિષ્ઠ પત્રકાર, લંડન

હંગેરીના વડા પ્રધાન વિક્ટર ઑર્બને તાજેતરમાં રશિયાની મુલાકાત લીધી જ્યાં તેઓ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળ્યા હતા. તેના કારણે વરિષ્ઠ યુરોપિયન નેતાઓએ તેમનો ભારે વિરોધ કર્યો હતો.

યુરોપના દેશો રશિયા વિરુદ્ધ યુક્રેનને પોતાના રક્ષણ માટે મોટા પ્રમાણમાં સૈન્ય અને સામગ્રીની સહાયતા કરી રહ્યા છે, ત્યારે યુરોપના કોઈ પણ નેતા મૉસ્કોની મુલાકાત લે તો તેને યુરોપ સાથે વિશ્વાસઘાત તરીકે જોવામાં આવે છે.

હંગેરીને ઘણી વખત યુરોપમાં એક બહારની વ્યક્તિ તરીકે જોવામાં આવે છે અને ઑર્બનને ઘણા લોકો એક આપખુદ શાસક તરીકે ગણે છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની 8 અને 9 જુલાઈની રશિયા મુલાકાત વિશે પશ્ચિમી દેશો કેવો પ્રતિભાવ આપે છે તે જોવું રહ્યું.

પશ્ચિમી દેશોના નેતાઓએ હજુ સુધી આ મુલાકાત પર ખૂલીને ટિપ્પણી કરવાનું ટાળ્યું છે. પરંતુ ગુરુવારે ભારતમાં અમેરિકન રાજદૂત એરિક ગાર્સેટીએ જણાવ્યું કે તેમનો દેશ રશિયાને જવાબદાર ઠરાવવા માટે મળીને કામ કરવા અંગે ભારત સાથે સતત સંપર્કમાં છે.

નરેન્દ્ર મોદી રશિયામાં પુતિનને ભેટે તે જોઈને યુરોપ અને અમેરિકા ચોક્કસ ખુશ નહીં થાય, કારણ કે રશિયાના યુક્રેન પરના આક્રમણના કારણે તેઓ પુતિનને યુરોપમાં ઉથલપાથલ કરનાર વ્યક્તિ તરીકે જુએ છે.

WhatsApp

દ્વિપક્ષીય બેઠક

પીએમ મોદી, રશિયા, મૉસ્કો, પુતિન

ઇમેજ સ્રોત, Getty Images

સત્તાવાર વલણ એવું રહ્યું છે કે 22માં ભારત-રશિયા વાર્ષિક સંમેલનમાં ભાગ લેવા માટે રાષ્ટ્રપતિ પુતિનના આમંત્રણ પર ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી રશિયાની મુલાકાત લઈ રહ્યા છે. છેલ્લા ત્રણ વર્ષમાં કોઈ દ્વિપક્ષીય બેઠક નથી યોજાઈ. છેલ્લે 2021માં આવી બેઠક થઈ હતી.

બુધવારે રશિયાએ બંને નેતાઓની વાતચીતના ઍજન્ડા વિશે વાત કરી, જેમાં જણાવાયું હતું કે બંને નેતાઓ પરંપરાગત રીતે મૈત્રીપૂર્ણ ભારત-રશિયા સંબંધોમાં વધુ વિકાસની સંભાવનાઓની સાથે સાથે આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક એજન્ડાના મહત્ત્વના મુદ્દા પર ચર્ચા કરશે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ભારતે વધુ માહિતી નહોતી આપી, પરંતુ એવું માનવામાં આવે છે કે કેટલાક મહત્ત્વના કરાર પર હસ્તાક્ષર થશે.

આ મુલાકાતના કારણે પશ્ચિમમાં ઘણા લોકોનાં ભવાં ચઢી ગયાં છે.

શું તેમાં દેખાય છે તેના કરતા કંઈક જુદું છે?

લંડનની કિંગ્સ કૉલેજ ખાતે સાઉથ એશિયન સ્ટડીઝના જાણીતા વિદ્વાન ક્રિસ્ટૉ જૅફરલૉટ કહે છે કે મોદીની મોસ્કો યાત્રાનાં ભૂરાજકીય પરિમાણો છે.

તેઓ કહે છે, "ભારત રશિયા સાથે પોતાના સંબંધોને આગળ લઈ જવા માટે ઉત્સુક છે. માત્ર સૈન્ય સામગ્રી માટે રશિયા પર પોતાની નિર્ભરતાના કારણે નહીં, પરંતુ એટલા માટે કારણ કે નવી દિલ્હી એક બહુધ્રુવીય વિશ્વને પ્રોત્સાહન આપવા માટે ઉત્સુક છે જ્યાં સરકાર દરેક પ્રકારના ભાગીદારો સાથે પોતાના હિતને આગળ વધારવાની સ્થિતિમાં છે."

પ્રોફેસર જૅફરલૉટ માને છે કે આ યાત્રા રશિયાની ચીન સાથે નિકટતા સાથે પણ સંકળાયેલી છે. તેઓ કહે છે, "દિલ્હી માટે મૉસ્કો સાથે એક વિશિષ્ટ સંબંધો જાળવી રાખવા એ રશિયા અને બેઇજિંગ વચ્ચેની ઘનિષ્ઠતાને હળવી બનાવશે."

મોદીએ છેલ્લે 2015માં મૉસ્કોની મુલાકાત લીધી હતી. પરંતુ 2019માં તેઓ આર્થિક ફોરમમાં ભાગ લેવા વ્લાદિવોસ્તોક ગયા હતા. પુતિન અને મોદી છેલ્લે 2022માં ઉઝબેકિસ્તાનના એસસીઓ શિખર સંમેલનમાં મળ્યા હતા. પુતિન 2021માં દિલ્હી પણ આવ્યા હતા.

મોદીની મૉસ્કો યાત્રા એવા સમયે થઈ રહી છે જ્યારે અમેરિકા અને તેના યુરોપિયન સાથી દેશો રશિયાને વૈશ્વિકસ્તરે એકલું પાડી દેવા પ્રયાસ કરે છે અને રશિયા પર આકરા પ્રતિબંધો ઝીંક્યા છે. તેમણે ઉચ્ચ સ્તરિય બેઠકો પણ ઘણી ઘટાડી દીધી છે.

ભારતનું કહેવું છે કે તેની વિદેશ નીતિ 'વ્યૂહાત્મક સ્વાયત્તતા' અને 'રાષ્ટ્રીય હિત' પર આધારિત છે.

પરંતુ પશ્ચિમમાં રશિયા વિરુદ્ધ ફેલાયેલી ભાવનાને ધ્યાનમાં રાખતા શું આ મુલાકાત ભારતના વ્યૂહાત્મક ભાગીદાર અમેરિકાને નારાજ કરશે?

અમેરિકાના બાલ્ટીમોરમાં જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટી ખાતે ઍપ્લાઈડ ઇકૉનૉમિક્સના પ્રોફેસર સ્ટીવ એચ. હેન્કેએ પૂર્વ રાષ્ટ્રપતિ રેગનની આર્થિક સલાહકાર પરિષદમાં કામ કર્યું છે. તેઓ માને છે કે ભારતના રશિયા સાથેના સંબંધો ઐતિહાસિક છે.

તેઓ કહે છે, "પીએમ મોદી અને ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરના નિવેદનોને જોતાં એ સ્પષ્ટ છે કે ભારત તમામ દેશો સાથે સારા સંબંધ રાખવા માગે છે. ખાસ કરીને રશિયા સાથે, એક એવો દેશ જેની સાથે સોવિયેત યુગથી ભારતના સંબંધો સારા રહ્યા છે."

ભારત-રશિયા સંબંધોનો ઇતિહાસ

પીએમ મોદી, રશિયા, મૉસ્કો, પુતિન

ઇમેજ સ્રોત, Getty Images

1960થી 1980ના દાયકા સુધી ભારતમાં ઉછરેલી કોઈ વ્યક્તિ એવી નહીં હોય તે સોવિયેત પ્રભાવમાંથી બચી શકી હોય.

ભારતના વિશાળ સ્ટીલ પ્લાન્ટ રશિયાની મદદથી સ્થાપવામાં આવ્યા હતા અને તેના અંતરિક્ષ કાર્યક્રમને પણ રશિયાની મદદ મળી હતી. સંકટના સમયમાં સોવિયેત સંઘ ભારતની પડખે રહ્યો હતો.

ભારત અને પાકિસ્તાન વચ્ચે 1965માં તાસ્કંદ સાથે ઐતિહાસિક મિત્રતા સંધિ થઈ હતી જે સોવિયેત સંઘે કરાવી હતી. તમે રશિયાની મુલાકાત લો તો વીતેલા જમાનાના વિખ્યાત બોલિવુડ સ્ટાર રાજ કપૂરનો ઉલ્લેખ થવાનો જ છે.

પુતિન જ્યારે વર્ષ 2000માં પહેલી વખત રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તે વર્ષે બંને દેશોએ 'વ્યૂહાત્મક ભાગીદારી પર ઘોષણા' હેઠળ સંરક્ષણ, અંતરિક્ષ અને આર્થિક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. એસ-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમનો સોદો અને ઊર્જા ક્ષેત્રે સહયોગ આધુનિક સમયમાં ચાલી રહેલા પ્રયત્નોનું ઉદાહરણ છે.

ભારત અને રશિયા આ ગૂંચવણનો ઉકેલ લાવીને પોતાના સંબંધોને ગાઢ બનાવવાની ક્ષમતા ધરાવે છે જે બદલાતી જતી વૈશ્વિક પરિસ્થિતિમાં મજબૂત રહે અને સાથે તે સુનિશ્ચિત થાય.

જમણેરી વિચારક ડો. સુવ્રોકમલ દત્તા કહે છે કે ભારત-રશિયા સંબંધો અત્યારે તેની ટોચ પર છે. તેઓ ઉમેરે છે, "ભારતના વડા પ્રધાનની રશિયા મુલાકાત અનેક નવાં પરિવર્તનો સાથે એક નવી, બદલાતી ભૂરાજકીય વૈશ્વિક વ્યવસ્થાની શરૂઆત કરશે જેમાંથી નવાં નવાં સંયોજનો રચાશે."

ભારતની 'તટસ્થતા' એ પશ્ચિમ માટે નિરાશા?

પીએમ મોદી, રશિયા, મૉસ્કો, પુતિન

ઇમેજ સ્રોત, Getty Images

પશ્ચિમમાં માર્ગો પર ઘણા લોકો એ બાબતે અફસોસ વ્યક્ત કરે છે કે એક મજબૂત લોકશાહીના રૂપમાં ભારતે યુક્રેન વિરુદ્ધ રશિયાના 'ગેરકાયદે યુદ્ધ'ની ટીકા નથી કરી.

ભારતની તટસ્થતાને ઘણી વખત રશિયાની તરફેણ કરવા સમાન ગણવામાં આવે છે.

જોકે, ભારતમાં ઘણા લોકોનું માનવું છે કે જ્યારે રશિયાની વાત આવે ત્યારે પશ્ચિમી મીડિયા તટસ્થ રહી શકતું નથી.

ડો. દત્તા કહે છે, "પશ્ચિમી દેશો અપેક્ષા રાખે છે કે યુદ્ધ અંગે ભારત રશિયાની ટીકા કરે. પરંતુ આવું કોઈ પણ સ્થિતિમાં નથી બનવાનું. ભારત માટે પોતાના રાષ્ટ્રીય હિત સર્વોપરી છે."

આમ છતાં પશ્ચિમી જગત ભારત-રશિયા સંબંધોની મજબૂતી અને યુક્રેન પર આક્રમણ બદલ રશિયાની ટીકા કરવામાં ભારતની અનિચ્છાને લઈને ચિંતિત છે.

અમેરિકા અને યુરોપિયન યુનિયનના સભ્યો ભારતના વલણને રશિયાને રાજનૈતિક અને આર્થિક રીતે એકલું પાડી દેવાના પ્રયાસોમાં અવરોધ તરીકે જુએ છે.

તેમને એ વાતની ચિંતા છે કે ભારત વેપાર અને સંરક્ષણ સહિતની બાબતોમાં રશિયા સાથે સતત ભાગીદારી કરે તેના કારણે રશિયાને યુક્રેન યુદ્ધ રોકવા માટે મજબૂર કરવાનું આંતરરાષ્ટ્રીય દબાણ નબળું પડે છે. ભારત પોતાની ઊર્જા આયાતનો મોટો હિસ્સો રશિયા પાસેથી ખરીદે છે ત્યારે પશ્ચિમી દેશો ઇચ્છે છે કે રશિયાની ઊર્જા નિકાસ પરનાં અમેરિકન પ્રતિબંધોનું ભારત સન્માન કરે.

ભારત જાણે છે કે આ એક જટિલ મુદ્દો છે અને વાતચીત અને મંત્રણાની હિમાયત કરીને પોતાનાં વ્યૂહાત્મક હિત અને ઊર્જા સુરક્ષાની જરૂરિયાત વચ્ચે સંતુલન બનાવવાની વાત પર ભાર મૂકે છે. આ વર્ષની શરૂઆતમાં સેન્ટર ફૉર રિસર્ચ ઑન એનર્જી ઍન્ડ ક્લીન ઍર (CREA) એ રશિયાથી ભારતની ક્રૂડ ઑઇલની આયાત અંગે પોતાનું વિશ્લેષણ રજુ કર્યું હતું. તે મુજબ ફેબ્રુઆરી 2022માં યુક્રેન પર રશિયાના હુમલાના સમય કરતા ક્રૂડની આયાત 13 ગણી વધી ગઈ હતી.

પરિણામે ભારત અને રશિયાની વચ્ચે દ્વિપક્ષીય વેપાર જોતજોતામાં 2023-24માં વધીને 64 અબજ ડૉલર થઈ ગયો. તેમાં ભારતનું યોગદાન માત્ર 4 અબજ ડૉલરનું હતું. પશ્ચિમી મીડિયામાં વ્યાપક રીતે એવા અહેવાલ આપવામાં આવ્યા છે કે રશિયાના યુક્રેન પર હુમલા વધારી રહ્યું છે તેનો શ્રેય ભારત અને ચીનને જાય છે કારણ બંને દેશો રશિયન ક્રૂડ ઑઇલના સૌથી મોટા ખરીદદાર છે.

શું પ્રતિબંધો અસરકારક છે?

પીએમ મોદી, રશિયા, મૉસ્કો, પુતિન

ઇમેજ સ્રોત, Getty Images

શું કોઈ એવો નિષ્કર્ષ કાઢી શકે કે રશિયાને યુક્રેન સામેના યુદ્ધને ફંડિંગ કરતું રોકવાં માટેના પશ્ચિમી પ્રતિબંધો અસરકારક નથી રહ્યા?

વિદેશમંત્રી એસ. જયશંકરે બે વર્ષ અગાઉ વૉશિંગ્ટનમાં પત્રકારોને એક જોરદાર જવાબ આપ્યો હતો જ્યારે તેમણે કહ્યું કે પ્રતિબંધો લાદવા છતાં પશ્ચિમી દેશો ભારતની તુલનામાં વધારે રશિયન ક્રૂડ ઑઇલની આયાત કરે છે.

તે સમયે જયશંકરે કહ્યું હતું કે, “તમે રશિયા પાસેથી ઊર્જાની ખરીદીનો વિચાર કરતા હોવ તો હું તમને યુરોપ પર ધ્યાન કેન્દ્રિત કરવા સૂચવીશ... અમે અમુક ઊર્જા ખરીદીએ છીએ જે અમારી સુરક્ષા માટે આવશ્યક છે. પરંતુ મને શંકા છે કે આંકડાને જોવામાં આવે તો કદાચ એક મહિનામાં અમે કરેલી ખરીદી યુરોપ દ્વારા એક બપોર સુધીમાં થતી ખરીદી કરતાં ઓછી હશે. તો તમે કદાચ તેના વિશે વિચારવાનું પસંદ કરશો."

પ્રોફેસર હેન્કે અમેરિકામાં એવા નિષ્ણાતો પૈકી એક છે જેઓ માને છે કે પ્રતિબંધો અસરકારક નથી.

તેમણે કહ્યું, "હું સૈદ્ધાંતિક અને વ્યવહારિક બંને રીતે પ્રતિબંધો અને મુક્ત વેપારમાં હસ્તક્ષેપનો વિરોધ કરું છું, કારણ કે લગભગ ક્યારેય પ્રતિબંધો ઉદ્દેશ્ય મુજબ કામ નથી કરતા. ઑઇલના પ્રતિબંધો અંગે ભારતનો જે દૃષ્ટિકોણ છે તે જ મારો દૃષ્ટિકોણ છે."

જોકે, પ્રોફેસર જૅફરલૉટ આ વાત સાથે અસહમત છે. તેમના જણાવ્યા પ્રમાણે, "હું અલગ મત ધરાવું છું. પશ્ચિમમાં ઘણા લોકો કંઇક અલગ કહે છે. પ્રતિબંધોનાં પરિણામો નથી જોવાં મળતાં કારણ કે તે પૂર્ણ રીતે લાગુ નથી થતા. ખાસ કરીને ભારત અને યુરોપિયન યુનિયન જેવા દેશો દ્વારા જેઓ રશિયાને પોતાનું તેલ વેચવામાં મદદ કરે છે. શું આ પ્રકારની પ્રથા વિવાદનું કારણ બને છે કે નહીં તે જોવાનું રહેશે."

પરંતુ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા પર આવી જાય તો શું થશે, જેની હાલમાં સંભાવના દેખાય છે?

ફ્રાન્સના વિદ્વાને ભારત માટે ચેતવણી આપી છે. તેઓ કહે છે, "ટ્રમ્પ જો બીજી વખત ચૂંટાશે તો નિશ્ચિત રીતે બધું બદલાઈ જશે. પરંતુ પુતિન દરેક ચીજમાંથી બચી જશે જેમાં યુક્રેનમાં ક્ષેત્રિય વિજય પણ સામેલ છે. તો શું ભારતને ફાયદો થશે? ચીન એવા તારણો કાઢી શકે જે હિમાલયમાં ક્ષેત્રીય અખંડતાના મામલે ભારતના પક્ષમાં નહીં હોય."

શું પુતિનના નેતૃત્વમાં રશિયા એકલું પડી ગયું છે?

પીએમ મોદી, રશિયા, મૉસ્કો, પુતિન

ઇમેજ સ્રોત, Getty Images

પુતિન હેઠળ રશિયાએ યુક્રેન પર આક્રમણ અને 2014માં ક્રિમિયા પર કબ્જો જમાવવાના પગલાંના કારણે ખાસ કરીને પશ્ચિમી દેશો તરફથી આંતરરાષ્ટ્રીય અલગાવનો સામનો કરવો પડ્યો છે.

પુતિનની આ કાર્યવાહીના કારણે અમેરિકા, યુરોપિયન યુનિયન અને અન્ય સહયોગીઓ તરફથી વ્યાપક પ્રતિબંધો ઝીંકવામાં આવ્યા અને કૂટનીતિક પ્રતિક્રિયા આવી. જોકે, રશિયાએ ચીન, ભારત જેવો દેશો અને મધ્ય-પૂર્વ અને આફ્રિકાના વિવિધ દેશો સાથે મજબૂત સંબંધ જાળવી રાખ્યા છે જેથી પશ્ચિમી અલગાવની અસર ઓછી કરવામાં મદદ મળે છે.

પ્રોફેસર સ્ટીવ હેન્કે માને છે કે મોદી અને અન્ય નેતાઓ રશિયાની રાજધાનીની મુલાકાત લે તે રશિયા કે પુતિન અલગ પડી ગયા છે તેના સંકેત નથી. તેઓ કહે છે, "મોદી અને પુતિન બેઠક કરે છે તે બહુ સારી વાત છે. આ રીતે જ વાસ્તવિક ડિપ્લોમસી કરી શકાય છે."

પ્રોફેસર જૅફરલૉટ માને છે કે પુતિન મોટા ભાગે સત્તાવાદી શાસનની નજીક રહે છે.

તેઓ કહે છે, "રશિયા નિશ્ચિત રીતે સત્તાવાદી શાસનથી અલગ નથી. આફ્રિકાના સરમુખત્યાર શાસકો, ઈરાન, ચીન વગેરે સાથે તેમના ઘનિષ્ઠ સંબંધોથી આ સ્પષ્ટ જોઈ શકાય છે. ઑર્બનનું હંગેરી એ એકમાત્ર યુરોપિયન યુનિયનનો દેશ છે જે મૉસ્કોની નિકટ છે. તથા તે આજે ઈયુમાં સૌથી વધુ અસહિષ્ણુ દેશ છે."

પરંતુ ભારતનું શું?

તેઓ કહે છે કે, "લોકશાહીની અસ્વીકૃતિના મામલે સમાનતાના કારણે ભારત રશિયા સાથે સારા સંબંધો ચાલુ રાખી શકે છે. આ ઉપરાંત પશ્ચિમ અને તેના પ્રભાવ સામે ગ્લોબલ સાઉથના નેતા તરીકે દેખાવાનો ભારતનો પ્રયાસ પણ છે."

ઘણા વિશ્લેષકો માને છે કે રશિયા સામે અમેરિકાના પ્રતિબંધો પુતિનને અલગ પાડી દેવામાં મોટા ભાગે નિષ્ફળ રહ્યા છે, કારણ કે ભારત, હંગેરી અને ચીનના નેતાઓ મૉસ્કોનો પ્રવાસ કરતા રહ્યા છે. તેનાથી વેપાર સંબંધો અને સહયોગ મજબૂત થાય છે જે યુક્રેન યુદ્ધ પછી પણ ચાલુ રહી શકે છે અને વૈશ્વિક સત્તાની ગતિશીલતાને નવો આકાર આપી શકે છે.