વિશ્વકપ 2026 : 'ફાઇનલ પહેલાં સચીન તેંડુલકરે કર્યો હતો ફોન', સંજુ સેમસને જણાવ્યું કેવી રીતે તેમનું સપનું થયું સાકાર

ઇમેજ સ્રોત, Alex Davidson-ICC/ICC via Getty Images
- લેેખક, પ્રવીણ
- પદ, બીબીસી સંવાદદાતા
- વાંચવાનો સમય: 4 મિનિટ
"ન્યૂઝીલૅન્ડ સિરીઝ બાદ હું તૂટી ગયો હતો. મને લાગ્યું કે મારાં સપનાં ફરીથી વિખેરાઈ ગયાં છે."
જ્યારે સંજુ સેમસનને આઇસીસી ટી20 વિશ્વકપ 2026નો પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ પસંદ કરવામાં આવ્યો તો તેમના દિલમાં એ યાદો ફરીથી તાજી થઈ જ્યારે તેઓ ભાંગી પડ્યા હતા.
તે સમયે તેમણે કદાચ મનમાં સ્વીકારી લીધું હતું કે ટીમ ઇન્ડિયાની તેમની સફર બસ અહીં સુધીની જ છે.
તારીખ 31મી જાન્યુઆરી, 2026. ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે પાંચ મૅચની સિરીઝનો છેલ્લો મુકાબલો. ટી20 વિશ્વકપ 2026ની શરૂઆત પહેલાં એ ભારતીય ટીમની છેલ્લી મૅચ હતી.
સંજુ સેમસનના બૅટથી નીકળેલા માત્ર 6 રન. ટી20 ઇન્ટરનૅશનલમાં સતત 11મી ઇનિંગમાં સંજુ સેમસન અર્ધસદી લગાવવાથી ચૂકી ગયા હતા. પરંતુ આ મુકાબલામાં ઇશાન કિશને સદી ફટકારી.

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય ટીમ જ્યારે 271 રનનું મોટું લક્ષ્યાંક હાંસલ કરવા મેદાનમાં ઉતરી તો મેદાન પર એવું લાગ્યું કે સંજુ સેમસનનું વિશ્વકપમાં રમવાનું સપનું અધુરું રહી જશે.
સંજુ સેમસન પોતાની વિકેટકિપીંગ કિટ લઈને બાઉન્ડ્રી પાર જ કરવાના હતા કે ટીમ મૅનેજમેન્ટનો ઇશારો મળ્યો. આ ઇશારો એ કે આજે તમે વિકેટકિપીંગ નહીં કરો, કિપીંગની જવાબદારી સંભાળશે સદી ફટકારનારા ઈશાન કિશન.
તે સમયે સંજુ સેમસનની નિરાશા એટલી હદ સુધી જોવા મળી કે તેમણે તેમના કિપીંગ ગ્લ્વસ બાઉન્ડ્રી લાઇન પાસે ઊભેલાં બે નાનાં ફૅન્સને આપી દીધાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સંજુ સેમસનની આ ભેટે તો નાનાં બાળકોનો દિવસ ઉજ્જવળ બનાવી દીધો, પરંતુ તે સમયે સંજુ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો હતો.
કદાચ તે સમયે તેમના દિલમાં એ જ ચાલતું હતું કે હવે જિંદગીમાં આ ગ્લવ્ઝની જરૂરત નથી રહી.
આવું પહેલાં ક્યારેય નથી થયું

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ મૅચમાં ઈશાન કિશનના કિપીંગની જવાબદારી સંભાળ્યા બાદ એ સ્પષ્ટ થઈ ગયું હતું કે વિશ્વકપની ટીમમાં પહેલી પસંદ ઈશાન કિશન જ રહેશે. સંજુ સૅમસનને પ્લેઇંગ-11માં જગ્યા નહીં મળે.
પરંતુ મહિનાભરમાં જ સંજુ સેમસનનો સમય બદલાઈ ગયો. હવે ન કેવળ તેનાં અધૂરાં રહી ગયેલાં સપનાં પૂરાં થયાં છે, પરંતુ તે કદાચ પોતાની કૅરિયરના શ્રેષ્ઠ પડાવ પર છે.
આઇસીસી વિશ્વકપના ઇતિહાસમાં ક્યારેય નહીં થયું હોય કે જે ખેલાડીને અડધી સફર સુધી પ્લેઇંગ-11નો ભાગ નહોતો બનાવાયો તે પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ બન્યો હોય.
પરંતુ આ વાત હવે ક્રિકેટના ઇતિહાસમાં નોંધાઈ ચૂકી છે. સંજુ સેમસને એવી કમાલ કરી દેખાડી કે તેને ક્રિકેટ ઇતિહાસના સૌથી સફળ કમબૅકમાં ગણાવાશે.
સંજુ સેમસને પહેલા વર્ચુઅલ ક્વાર્ટર ફાઇનલમાં વેસ્ટ ઇન્ડિઝ સામે 97 રનની નૉટઆઉટ ઇનિંગ રમીને ભારતને સેમિફાઇનલ સુધી પહોંચાડ્યું. પછી તેમણે વાનખેડેમાં 42 બૉલમાં 89 રનની ઇનિંગ રમીને એ નક્કી કરી આપ્યું કે ભારતીય ટીમ ફાઇનલમાં રમશે.
અમદાવાદ ખાતેની ફાઇનલ મૅચમાં તેમણે ફરી 89 રનની ઇનિંગ રમીને નક્કી કરી દીધું કે ટી20 વિશ્વકપ 2026નો તાજ ભારત પાસે જ રહેશે.
માત્ર પાંચ મૅચમાં સંજુ સેમસનને 331 રન બનાવીને પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ પસંદ કરવામાં આવ્યો ત્યારે માનો કે તેના દિલમાં રહેલું તમામ દર્દ છલકી ઉઠ્યું અને તેનું કારણ પણ હતું. તેણે 199.37ની સ્ટ્રાઇક રેટથી 80.25ની સરેરાશથી આ રન ફટકાર્યા હતા.
તે ત્રીજો એવો ખેલાડી બન્યો જેમણે ટી20 વિશ્વકપની સેમિફાઇનલ અને ફાઇનલ એમ બંનેમાં અર્ધસદી ફટકારી હોય.
જ્યારે કોઈ ખેલાડી આ પ્રકારનું પ્રદર્શન દેખાડે તો પછી તેમની પાસે કહેવા માટે કોઈ શબ્દ બાકી નથી રહેતા.
આસમાનમાં ચમકતો સિતારો

ઇમેજ સ્રોત, Getty Images
તેથી જ મૅચ બાદ સંજુએ કહ્યું, "માનો કે સપનું હકીકતમાં બદલાઈ ગયું છે. શબ્દ સમાપ્ત થઈ ગયા છે. હું આ લાગણીને સંભાળવાની કોશિશ કરી રહ્યો છું."
"તેની શરૂઆત 2024થી થઈ. હું ટીમની સાથે હતો અને એક પણ મૅચમાં સાબિત ન કરી શક્યો. હું સતત વિઝ્યુલાઇઝ કરતો રહ્યો. સપનું જોતો રહ્યો કે હું આમ જ કરવા માંગતો હતો."
"મને ખબર હતી કે પરત ફરવા માટે મારે ઘણી મહેનત કરવી પડશે. ન્યૂઝીલૅન્ડ સામે સિરીઝ બાદ હું ભાંગી પડ્યો હતો. હું મહેસૂસ કરતો હતો કે મારાં સપનાં તૂટી ગયાં છે."
"પરંતુ કદાચ ઇશ્વર પાસે મારે માટે કોઈ નવી યોજના હતી. સપનાં જોવા માટેની હિંમત રાખવાની મને ખુશી છે. ગત બે મહિનાથી સચીન તેંડુલકર સર સાથે સંપર્કમાં હતો. હું તેમનો આભારી છું, કાલે રાત્રે પણ તેમણે મને કૉલ કર્યો હતો."
સપનાં પૂરાં થતાં મળનારી ખુશી ત્યારે વધી ગઈ, જ્યારે કુલદીપ યાદવ તેમની પાસે વિશ્વકપની ટ્રૉફી લઈને આવ્યા. તેમણે કુલદીપ સાથે મળીને ટ્રૉફી ઉઠાવી.
પછી ટ્રૉફીને જ્યારે કુલદીપ લઈને આગળ વધવા જતા હતા, ત્યારે સંજુએ શબ્દો વગર જાણે કે કહી દીધું કે ઊભો રહે. તેમણે કુલદીપના હાથમાંથી ટ્રૉફી લઈને થોડા સમય સુધી તેને જોતા રહ્યા.
આ દરમિયાન જ્યારે પણ તેમની નજર આસમાન પર ગઈ ત્યારે તેમણે સેંકડો સિતારાઓ જોયા હશે. પરંતુ લાગણીના આ સમુદ્ર વચ્ચે ડૂબકી લગાવતા તે કદાચ એ વાત ન જાણી શક્યા કે ક્રિકેટ માટે જીવનારા-મરનારા 140 કરોડ લોકોના આ દેશમાં તે ખુદ હવે એક સિતારો બની ગયા છે. જેને કદાચ દેશ ક્યારેય નહીં ભૂલી શકે.
હવે સંજુ સેમસન ભવિષ્યમાં કોઈ ઇન્ટરવ્યૂ આપશે તો તેમના દિલમાં એ દર્દ નહીં છલકાય કે "હું ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં 10 વર્ષથી રમું છું, પણ મારા ભાગે માત્ર 40 જ મૅચ રમવાની આવી."
આ કેટલીક મૅચોમાં તેમણે જે હાંસલ કર્યું, તે ક્રિકેટના મોટા દિગ્ગજો પણ સેંકડો મૅચ કે હજારો રન અથવા અનેક કીર્તિમાન બનાવવા છતાં હાંસલ ન કરી શક્યા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન











