ગુજરાત સામે ટાંકણી જેવડું સિંગાપોર કેવી રીતે આર્થિક સુપરપાવર બની ગયું?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતનું ક્ષેત્રફળ એક લાખ 96 હજાર વર્ગકિલોમીટર છે, જેની સામે સિંગાપોરનો વિસ્તાર 734 સ્ક્વેર કિમી છે. મતલબ કે ગુજરાતના કુલવિસ્તારના 0.37 ટકા જેટલું. છતાં તેનો સમાવેશ વિશ્વના વિકસિત દેશોમાં થાય છે.
જ્યારે આ દેશ આઝાદ થયો ત્યારે તેના શાસકો પાસે કદાચ જ કોઈ એવી વસ્તુ હતી કે જેનાથી તેઓ દેશને ગરીબીમાંથી બહાર લાવી શકે.
સિંગાપોર પાસે ખેતીલાયક જમીન કે ખનીજ સંસાધનો નહોતાં, લોકો ઝૂંપડીઓમાં રહેતા હતા.
પણ આજે સિંગાપોર એ દેશ છે જે દેશના લોકોનું સરેરાશ વેતન વિશ્વમાં નવમા ક્રમે છે.
કન્સલ્ટિંગ ફર્મ જૂનિપર રિસર્ચ પ્રમાણે, મોબિલિટી, સ્વાસ્થ્ય, સુરક્ષા અને ઉત્પાદકતામાં સિંગાપોર વિશ્વના અગ્રણી દેશોમાં સામેલ છે.
એટલું જ નહીં, 'ધી ઇકોનૉમિસ્ટ'ના રૅન્કિંગમાં સિંગાપોર છેલ્લાં 11 વર્ષમાં (વર્ષ 2023ની સ્થિતિ પ્રમાણે) નવ વખત વિશ્વનું સૌથી મોંઘું શહેર રહ્યું છે.
જ્યારે સિંગાપોર પર બૉમ્બમારો થયો

ઇમેજ સ્રોત, Getty Images
આ બીજા વિશ્વયુદ્ધની વાત છે, સિંગાપોર 'જિબ્રાલ્ટર ઑફ ધી ઈસ્ટ' તરીકે ઓળખાતું હતું, કારણ કે બ્રિટિશ સેનાઓ મોટી સંખ્યામાં સિંગાપોરમાં તહેનાત કરાઈ હતી.
પણ વર્ષ 1942માં જાપાને બ્રિટનને કારમી રીતે પરાસ્ત કર્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ત્યારે બ્રિટનના વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલે આ હારને "બ્રિટનના ઇતિહાસનું સૌથી મોટું નુકસાન અને સૌથી મોટું આત્મસમર્પણ" ગણાવ્યાં હતાં.
પણ 1944-45માં અમેરિકાનાં વિમાનોએ જાપાન શાસિત સિંગાપોર પર હુમલો કર્યો હતો.
આ હુમલામાં સિંગાપોર પર ભયાનક બૉમ્બમારો કરવામાં આવ્યો, જેનાથી ત્યાંનાં વેપારી બંદરો ધ્વંસ થઈ ગયાં.
પણ ત્યાર બાદ સિંગાપોરે જાણે કે પોતાનું ભવિષ્ય જાતે લખ્યું.
જ્યારે સિંગાપોરને મળ્યો તેમનો હીરો 'હૈરી લી'
જાપાનના શાસન સમયે સિંગાપોરના લોકોએ તમામ પ્રકારનો ત્રાસ વેઠ્યો.
16 સપ્ટેમ્બર 1923એ જન્મેલા કુઆન યી એક ચીની પરિવારની ત્રીજી પેઢીના પુત્ર હતા.
સિંગાપોરની અંગ્રેજી મીડિયમ સ્કૂલમાં અભ્યાસ કરનાર લી કુઆન યીનો વ્યવહાર પણ અંગ્રેજો જેવો જ હતો, એટલે જ બાળપણમાં લોકો તેમને 'હૈરી લી' કહીને બોલાવતા હતા.
જાપાનના શાસન દરમિયાન લી કુઆનનું ભણવાનું બગડ્યું હતું, પણ યુદ્ધ પૂર્ણ થવાની સાથે જ કુઆને લંડન સ્કૂલ ઑફ ઇકોનૉમિક્સ અને કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો.
વિદ્યાર્થીકાળથી જ સમર્પિત સમાજવાદી રહેલા લી કુઆન સિંગાપુર પાછા આવીને એક ટ્રેડ યુનિયનના વકીલ બન્યા હતા.
સિંગાપોરને આઝાદી અપાવી

ઇમેજ સ્રોત, Getty Images
1954માં લી કુઆને પીપલ્સ ઍક્શન પાર્ટી (પીએપી)ની સ્થાપના કરી. ત્યાર બાદ લી 40 વર્ષ સુધી આ પાર્ટીના મહાસચિવ રહ્યા.
1959ની ચૂંટણીમાં પીએપીને બહુમતી મળી. આ રીતે સિંગાપોર સંપૂર્ણ રીતે અંગ્રેજોના રાજમાંથી નીકળીને સ્વશાસિત રાજ્ય બની ગયું.
લી કુઆને 1963માં સિંગાપોરનું મલેશિયા સાથે વિલીનીકરણ કર્યું, પણ ઘણાં બધાં કારણોસર આ ગઠબંધન લાંબા સમય સુધી ટક્યું નહીં.
ત્યાર બાદ 1965માં આર્થિક, રાજકીય, વૈચારિક ગજગ્રાહ અને જાતીય સમૂહો વચ્ચે થયેલા સંઘર્ષ પછી સિંગાપોર સંઘમાંથી નીકળી ગયું અને તારીખ નવમી ઑગસ્ટ 1965ના રોજ સ્વતંત્ર અને સાર્વભૌમ રાષ્ટ્ર બન્યું.
મલેશિયાથી અલગ થવાની જાહેરાત કરતી વખતે લી કુઆન ભાવુક થઈ ગયા હતા અને પત્રકારપરિષદ દરમિયાન રડી પડ્યા હતા. તેમણે તત્કાલીન સમયને કપરો કાળ જણાવ્યો હતો.
સિંગાપોરને ફરીથી ઊભું કરવાની પ્રક્રિયા

ઇમેજ સ્રોત, AFP
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
શરૂઆતમાં વર્ષો સુધી બ્રિટિશ રાજ, જાપાનનું શાસન અને પછી મલેશિયાના અંકુશમાંથી આઝાદ થઈને સિંગાપોર એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે આકાર લઈ રહ્યું હતું.
પણ આ દેશ પાસે એવી કોઈ ચીજ નહોતી જે દેશના વિકાસમાં ઉપયોગી સાબિત થઈ શકે. મોટાભાગના લોકો ઝૂંપડપટ્ટીમાં રહેવા મજબૂર હતા.
વર્લ્ડ બૅન્કના રિપૉર્ટ પ્રમાણે 1965માં સિંગાપોરની વ્યક્તિદીઠ જીડીપી 516 યુએસ ડૉલર હતી અને દેશની લગભગ અડધી જનસંખ્યા અશિક્ષિત હતી.
પણ આમ છતાં સિંગાપોરની વ્યક્તિદીઠ જીએનપીમાં 1960 થી 1980 સુધીમાં 15 ગણો વધારો થયો હતો.
સિંગાપોરના પૂર્વ વડા પ્રધાન લી કુઆન માનતા હતા કે ઇઝરાયલની જેમ સિંગાપોર પણ ઝડપથી વિકાસ કરીને અન્ય દેશોને પાછળ છોડશે અને મલ્ટીનૅશનલ કંપનીઓને આકર્ષિત કરશે.
જોકે એક પાયમાલ અને નાના દેશથી કાચની ઇમારતોનો દેશ બનાવવાની પ્રક્રિયામાં સિંગાપોરના લોકોએ મોટી કિંમત ચૂકવી છે.
સિંગાપોરે ભ્રષ્ટાચારની સમસ્યાનો સામનો કરવા માટે સિંગાપોરમાં એવા કડક કાયદા બનાવવામાં આવ્યા કે જેનાથી ભ્રષ્ટાચાર ઘટતો જોવા મળ્યો.
સિંગાપોરમાં રસ્તા અને હાઈવે બનાવવા પર ભાર મૂકાયો જેના થકી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરી શકાય.
સિંગાપોરે આટલી કમાણી કેવી રીતે કરી?

ઇમેજ સ્રોત, Getty Images
સિંગાપોરની સ્થિતિ સુધરી એ બદલ તેમની ભૌગોલિક સ્થિતિનું પણ યોગદાન છે. આ દેશ એવી જગ્યાએ આવેલો છે કે જ્યાંથી વિશ્વનો 40 ટકા સમુદ્રી વેપાર થાય છે, જેના કારણે આ દેશને સારી કમાણી થાય છે.
તેના 190 કિલોમીટર લાંબા તટ પર ઘણાં બંદરો છે. લી કુઆન સરકારે શરૂથી જ સિંગાપોરમાં રહેતી મિશ્ર વસ્તીને શિક્ષિત કરી હતી અને માનવસંસાધન તૈયાર કરવા પાછળ પણ નાણાં ખર્ચ્યાં હતાં.
હાલમાં સિંગાપોરને દુનિયાનો ફાઇનાન્સિયલ હબ ગણવામાં આવે છે, કેમ કે સિંગાપોરની બૅન્ક વિશ્વ સ્તરે સેવાઓ આપવામાં સક્ષમ છે.
સિંગાપોરની વસતિ 56 લાખ 50 હજાર જેટલી છે, જેની સામે લગભગ દોઢકરોડ લોકોએ સિંગાપોરની (નવેમ્બર-2024ની સ્થિતિ પ્રમાણે) મુલાકાત લીધી હતી. જે તેની વસતિ કરતાં ત્રણ ગણી સંખ્યા છે.
ઇઝ ઑફ ડૂઇંગ બિઝનેસ, પર્યટનક્ષેત્રનાં આકર્ષણો તથા સરળ વિઝા નીતિને કારણે ત્યાં મોટી સંખ્યામાં મુલાકાતીઓની અવરજવર રહે છે.
સામાન્ય લોકો માટે સિંગાપોર કેવું છે?

ઇમેજ સ્રોત, AFP
સિંગાપોરમાં રહેતા ઘણા પ્રવાસી આ દેશની મોંઘવારીથી પોતાને પ્રભાવિત નથી ગણતા, કારણ કે આ દેશમાં લોકોની આવક બીજા દેશના લોકો કરતાં વધારે છે.
સિંગાપોરની સફળતાની જ્યારે-જ્યારે વાત કરાય છે ત્યારે-ત્યારે પૂર્વ વડા પ્રધાન લી કુઆનને પણ યાદ કરાય છે.
તેમની એક વાતને યાદ કરાયે છે કે, "આખરે મને શું મળ્યું? એક સફળ સિંગાપોર. સામે મેં શું આપ્યું? મારું જીવન."
વર્ષ 2015માં તેમનું અવસાન થયું ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમને અંતિમ વિદાય આપવા માટે સિંગાપોર ગયા હતા. એ સમયે તેમના દીકરા સિંગાપોરના વડા પ્રધાન હતા.
ભ્રષ્ટાચારની નાબૂદી

ઇમેજ સ્રોત, Getty Images
લી કુઆને અરબ દેશોથી ઘેરાયેલા ઇઝરાયલને મૉડલ બનાવ્યું. તેમનું કહેવું હતું કે ઇઝરાયલની જેમ, અમે પણ હરણફાળ ભરીશું અને મલ્ટી નૅશનલ કંપનીઓને આકર્ષિત કરીશું.
તેઓ ચીન સાથે સારા સંબંધ રાખવાનું મહત્ત્વ સમજતા. ચીનના નેતા દેંગ જિયાઓપિંગ સાથેની તેમની મિત્રતાથી સિંગાપોર માટે મદદરૂપ સાબિત થઈ હતી.
દેંગે 1978માં સિંગાપોરની મુલાકાત લીધી હતી અને લી કુઆનની આર્થિક નીતિઓની પ્રશંસા પણ કરી હતી. દેંગ દ્વારા ચીનમાં કરાયેલા સુધારાથી કુઆન પણ પ્રભાવિત હતા.
આજે સિંગાપોરમાં 75 ટકા જેટલી વસતિ મૂળ ચાઇનિઝ લોકોની છે. બાકીના લોકો મલય કે ભારતીય છે. ભારતીય મૂળના નાગરિક સિંગાપોરમાં રાષ્ટ્રપતિ તથા વિપક્ષના નેતાના પદ સુધી પણ પહોંચ્યા છે.
છતાં ચોક્કસ વિસ્તારમાં એક જ સમુદાયના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈને 'પોતાનો વિસ્તાર' બનાવી ન લે તેવી રહેણાકનીતિ સિંગાપોરે ઘડી છે.
સિંગાપોરમાં સરેરાશ 89.7 ટકા નાગરિકો પોતાનું ઘર ધરાવે છે.
તેમણે સિંગાપોરની બહુ-સંસ્કૃતિવાદ આધારિત નવી ઓળખ ઊભી કરવાનો પ્રયત્ન કર્યો. જેના માટે લી કુઆને વિવિધ જાતિ અને સમુદાયોને એક સાથે જોડવાનું કામ કર્યું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












